સર્વસમાવેશીપણું એ દરેક સાચા ગુજરાતીની ઓળખ છે
એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?
“શરવ લોકોને પ્રગટ છે જે શ્રી હિન્દુસ્તાન મધ્યે પહેલી સંસ્કૃત ભાષા હતી. તે મધેથી કેટલી એક બીજી ભાષાઓ નીકળી છે, એમાંની એક ગુજરાતી ભાષા પણ છે. પણ એ ગુજરાતી ભાષા મધે મોગલાઈની હકુમતના વખતમાં ઘણાખરા ફારસીના, અરબીના બોલ આવેલા છે. અને વલી હવે અંગ્રેજ બહાદુરની હકૂમતમાં કેટલાક અંગ્રેજી બોલ પણ ભેળવાયા છે. ગુજરાતી બોલી એવી લેવા ધારી છ કે જે સર્વે લોકોની સમજમાં આવે. આપણે જો કદાપિ ચાહિએ કે નિતારી ગુજરાતી ભાષા બોલીએ તો તે એક બીજાને સમજવી કઠણ પડશે.”
આ શબ્દો લખાયા હતા આજથી ૨૦૦ વરસ પહેલાં. અને એ લખનાર નહોતા કોઈ પંડિત, નહોતા મોટા ભાષાશાસ્ત્રી. એ તો હતા ગુજરાતી મુદ્રણ, ભાષા, સાહિત્ય, પત્રકારત્વ, જેવાં અનેક ક્ષેત્રોના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનસાહેબ.
“મારા ભાઈ, જરા ધીરજ ખમો, પરભાષાના સંપાદનના શ્રમ કરતાં સ્વભાષામાં પ્રવીણતા મેળવવાનો આયાસ અધિક છે. ભાષા કે બીજું કંઈ પણ આપણું હોય, તેમાં આપણે મનોયત્નથી પરિશ્રમ કરવો, ત્યારે જ તે દીપે. આર્ય કુળની સંસ્કૃતની દીકરી, ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી ગુજરાતી, તેને કોણ કદિ અધમ કહે? પ્રભુ એને આશીર્વાદ દેજો.”
ફરદુનજી મર્ઝબાન રેવરન્ડ ટેલર ઈચ્છારામ દેસાઈ
આ શબ્દો લખનારની માતૃભાષા ગુજરાતી નહોતી. પણ ‘મનોયત્નથી પરિશ્રમ’ કરી ગુજરાતી ભાષા શીખ્યા હતા. અને તે પણ કેવી? આ શબ્દો જેની પ્રસ્તાવનામાં લખ્યા છે તે તેમનું ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ ૧૮૬૭માં પ્રગટ થયું ત્યારથી દાયકાઓ સુધી ગુજરાતી વ્યાકરણ શીખવવા માટે બોમ્બે પ્રેસિડન્સીની સ્કૂલોમાં વપરાતું રહ્યું. એમણે લખેલાં ખ્રિસ્તી ધર્મભાવનાનાં પદો આજે પણ ગુજરાતની કેટલીક ચર્ચમાં ગવાય છે. એમનું નામ રેવરન્ડ જોસેફ વાન સામરન ટેલર. પિતાની જેમ લંડન મિશનરી સોસાયટીના પાદરી. પણ ૧૮૬૦માં એ સોસાયટીએ ગુજરાતમાંની પોતાની કામગીરી સમેટી લેવાનું નક્કી કર્યું. એક બાજુ બાપીકો સંપ્રદાય, બીજી બાજુ કર્મભૂમિ ગુજરાત. સંપ્રદાયને વળગી રહેવું હોય તો ગુજરાત છોડવું પડે. રેવરન્ડ ટેલરે શું કર્યું? બાપીકો સંપ્રદાય છોડ્યો, ગુજરાતમાં કામ કરતા આયરિશ પ્રેસબિટેરિયન મિશનમાં જોડાઈ ગયા.
“દરેક ભાષાની ખૂબી તેની સાદાઈમાં છે. જ્યારે શબ્દો નાના નાના, સાદા અને સાધારણ લોકો સમજી શકે એવા હોય ત્યારે જ ખરેખરી ખૂબી માલુમ પડે છે અને બોલનાર અને લખનારના વિચારોની અસર સાંભળનાર અથવા વાંચનાર ઉપર બરાબર રીતે થઈ શકે છે.”
આ શબ્દો છપાયા હતા ૧૮૮૦ના ઓક્ટોબરની ૧૦મી તારીખે. ‘ગુજરાતી’ નામના અઠવાડિકના પહેલા અંકના તંત્રીલેખમાં. અને એ લખનાર હતા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ. મેટ્રિક પણ નહોતા થયા એવા ગુજરાતી ભાષાના મોટા ગજાના પત્રકાર અને લેખક.
ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ
પણ આજે લગભગ ભૂલાઈ ગયેલી વ્યક્તિઓના આ બધા શબ્દો આજે યાદ કરવાનું કારણ? કારણ ૨૪મી ઓગસ્ટ એટલે ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ.’ હા, આજે ગુજરાતી એક વિશ્વભાષા બની છે. પણ અર્વાચીન ગુજરાતી ભાષા, સાહિત્ય, પત્રકારત્વ, રંગભૂમિ, ચલચિત્ર, સુગમ સંગીત, વગેરેની ગંગોત્રી છે મુંબઈ. અને તેમાં અસ્વાભાવિક કશું નથી. કારણ આજનું ગુજરાત ૧૯૬૦ સુધી વિશાળ બોમ્બે પ્રેસિડન્સીનો જ ભાગ હતું. એટલે ત્યાં સુધી ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું મુંબઈ.
કવિ નર્મદ
અને આ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ ઉજવાય છે દર વરસે ૨૪મી ઓગસ્ટે. કારણ? આપણે જેને અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખીએ છીએ તે કવિ નર્મદનો એ છે જન્મ દિવસ. નર્મદ જન્મ્યો હતો સુરતમાં. પણ તેને જાણ્યો અને પ્રમાણ્યો તે તો મુંબઈએ. તેનું મોટા ભાગનું સ્કૂલનું શિક્ષણ મુંબઈમાં, કારણ પિતા લાલશંકર સરકારી છાપખાનામાં લહિયા તરીકે નોકરી કરતા હતા. અંગત સંજોગોને કારણે ભલે ગ્રેજ્યુએટ થવાનું સપનું પૂરું ન કરી શક્યો નર્મદ, પણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજનો વિદ્યાર્થી. પહેલું જાહેર ભાષણ ‘મંડળી મળવાથી થતા લાભ’ કર્યું તે મુંબઈમાં. ૧૮૫૭ના એપ્રિલની પહેલી તારીખે નર્મદનું પહેલવહેલું પુસ્તક ‘પિંગળપ્રવેશ’ પ્રગટ થયું તે મુંબઈથી. અને તે પછીનાં પણ ઘણાં પુસ્તકો છપાયાં અને પ્રગટ થયાં મુંબઈથી. અને નર્મદની જુદી જુદી પ્રવૃત્તિઓને આર્થિક ટેકો આપનાર ઘણાખરા હતા મુંબઈગરા. આજે પણ જેનું નામ ભૂલાયું નથી તે ‘ડાંડિયો’ નામનું સામયિક પણ નર્મદે શરૂ કર્યું તે મુંબઈમાં. અને જન્મ્યો ભલે સુરતમાં. સુરતની ભૂમિને ચાહતો હતો પણ પુષ્કળ. પણ તાપી નદી ય છેવટે જે અરબી સમુદ્રમાં સમાઈ જાય છે તે જ સમુદ્રને કાંઠે આવેલા મુંબઈમાં નર્મદે છેલ્લા શ્વાસ લીધા. આ જ કવિ નર્મદે એક કાવ્યમાં પહેલી પંક્તિમાં સવાલ પૂછ્યો છે :
‘કોની કોની છે ગુજરાત?’
અને પછી આગળ જતાં પોતે જ જવાબ આપ્યો છે:
‘પૂર્વજ જેના, જે વળી આજે જન્મ થકી ગુજરાતી વદ્યા
કોઈ રીતની તો પણ ને વળી આર્ય ધર્મને રાખી રહ્યા.
તેની તેની છે ગુજરાત, પછી હોય ગમે તે જાત.
વળી પરદેશી બીજા જેને ભૂમિએ પાળી મોટા કર્યા,
પરધર્મી, પણ હિત ઇચ્છનારા માતતણું તે ભાઈ ઠર્યા.
તેની તેની છે ગુજરાત, પછી હોય ગમે તે જાત,
તેની તેની છે ગુજરાત.
આ સર્વસમાવેશીપણું નર્મદમાં વિકસ્યું તે મુંબઈમાં. અને આ સર્વસમાવેશીપણું એ માત્ર નર્મદની નહિ, દરેક સાચા ગુજરાતીની ઓળખ છે.
ગુજરાતી ભાષાના છાપકામની શરૂઆત મુંબઈમાં થઈ તેમ ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણનું પુસ્તક પણ લખાયું અને છપાયું મુંબઈમાં. અને એના લખનાર હતા કંપની સરકારના મુંબઈ ઈલાકાના સર્જન જનરલ ડો. રોબર્ટ ડ્રમન્ડ. પુસ્તકનું નામ જરા લાંબું લચક હતું : ‘ઈલસટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ધ ગુજરાતી, મહરટ્ટ એન્ડ ઈંગ્લિશ લેન્ગવેજિસ’. ગુજરાતી અને મરાઠી વ્યાકરણનો તેમાં અંગ્રેજી દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. આ પુસ્તક છપાયું હતું મુંબઈના બોમ્બે કુરિયર પ્રેસમાં. વડોદરામાં રેસિડન્ટ સર્જન તરીકે અને ગુજરાતના અપીલ એન્ડ સર્કિટ જજના સર્જન તરીકે કામ કર્યું હતું એટલે તેમને ગુજરાતી ભાષાનો સારો એવો પરિચય. વખત જતાં તેઓ મુંબઈ સરકારના અસિસ્ટન્ટ સર્જન અને પછી સર્જન જનરલ બન્યા.
માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન
બ્રિટિશ પદ્ધતિની સ્કૂલોમાં ગુજરાતી-મરાઠી જેવી દેશી ભાષાઓના શિક્ષણનો પાયો નાખ્યો તે પણ બે અંગ્રેજોએ. એટલું જ નહિ, એ બંને માનતા હતા કે ‘દેશી’ઓને શાળાનું શિક્ષણ તો તેમની માતૃભાષામાં જ આપવું જોઈએ. આ બેમાંના એક તે મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન અને બીજા તે કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસ. આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમણે પહેલી સ્કૂલો શરૂ કરી. જુદા જુદા વિષયનાં પાઠ્ય પુસ્તકો ‘દેશી’ ભાષાઓમાં તૈયાર કરી કે કરાવી છપાવ્યાં. શિક્ષકોની તાલીમની વ્યવસ્થા ઊભી કરી. વ્યવસ્થિત અભ્યાસક્રમ તૈયાર કર્યા-કરાવ્યા. જર્વિસ વ્યવસાયે તો એન્જિનિયર. પણ એલ્ફિન્સ્ટનના કહેવાથી મંડી પડ્યો પાઠ્ય પુસ્તકોના કામમાં. અને એલ્ફિન્સ્ટન? તેમના પરિચય માટે આ એક પ્રસંગ જ પૂરતો છે. એક વાર તેઓ ડિસ્ટ્રિકટમાં ફરવા નીકળ્યા હતા. સાંજ પડી એટલે તંબુ તાણ્યા. ફાનસના આછા અજવાળામાં પુસ્તકોનો ઢગલો લઈને બેઠા. એક-એક પુસ્તક જોતા જાય, નોંધ ટપકાવતા જાય. તેમના તંબુથી થોડે દૂર બ્રિટિશ લશ્કરની છાવણી. તેના વડા કર્નલ બ્રિગ્સ ગવર્નરને મળવા આવ્યા. પૂછ્યું : સાહેબ, આટલા આછા અજવાળામાં આપ આ પુસ્તકો જોવા બેઠા છો, તો એવાં તે કેવાં મહત્ત્વનાં એ પુસ્તકો છે? જવાબ : આ બધાં ગુજરાતી-મરાઠી જેવે ‘દેશી’ ભાષાઓનાં પુસ્તકો છે. અહીંના લોકોને ભણાવવા માટે કેટલાં કામનાં છે એ તપાસી રહ્યો છું. બ્રિગ્સ : પણ સાહેબ, આ ‘દેશી’ઓને ભણાવવા એટલે તો આપણે માટે પાછા સ્વદેશ ભેગા થઈ જવા માટેનો રસ્તો બાંધવો. એક વાર ભણ્યા પછી આ લોકો આપણા તાબામાં રહેશે? જવાબ : જુઓ, આ લોકોને સારી રીતે ભણાવવા-ગણાવવા એ શાસનકર્તા તરીકે આપણી ફરજ છે. અને સાચો બ્રિટિશ બચ્ચો પોતાની ફરજ ક્યારે ય ચૂકે નહિ. ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે.
બીજા એક અંગ્રેજ અમલદાર, એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. સરકારી નોકરીનો મોટો ભાગ આજના ગુજરાતમાં. પણ ૧૮૬૨માં બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના થઈ ત્યારે તેના પહેલા છ જજની નિમણૂક ગ્રેટ બ્રિટનનાં મહારાણીએ પોતે કરેલી. એ છ જજમાંના એક તે આ ફાર્બસ. ગુજરાતી બોલવા-વાંચવામાં એક્કો નર. ખાંખાંખોળાં કરી અંગ્રેજીમાં પહેલી વાર ગુજરાતનો ઇતિહાસ લખ્યો, ‘રાસ માળા’. અમદાવાદ, સુરત, ઇડર, જ્યાં ગયા ત્યાં ગુજરાતી ભાષા-સાહિત્યને, સંસ્કૃતિને પોષણ આપ્યું. ૧૮૬૫માં મુંબઈમાં તેમણે સ્થાપેલી ‘ગુજરાતી સભા, મુંબઈ’. એ જ વરસે ફાર્બસનું પૂનામાં કાચી વયે અવસાન થયું. તેમની યાદગીરીમાં ‘ગુજરાતી સભા’નું નામ બદલીને ‘ફાર્બસ ગુજરાતી સભા’ રાખવામાં આવ્યું. આજના ગુજરાત રાજ્ય બહાર ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના ક્ષેત્રે કામ કરતી આ સૌથી જૂની સંસ્થા.
હા, મુંબઈ શહેરને ઘડવામાં ગુજરાતીઓનો ફાળો ખરો જ. પણ ગુજરાતી ભાષા, સાહિત્ય, રંગભૂમિ, ફિલ્મ, રેડિયો, ટેલિવિઝન, મુદ્રણ, પુસ્તક પ્રકાશન, પત્રકારત્વ જેવાં અનેક ક્ષેત્રોમાં પારસીઓએ, પરદેશીઓએ, પાદરીઓએ જે ફાળો આપ્યો છે તેને વિશ્વ ગુજરાતી દિવસ નિમિત્તે તો યાદ કરીએ. આપણે તો વેપારી પ્રજા. જમા-ઉધારના ચોપડા બરાબર ચીતરીએ. તો આપણી આજની ઓળખને ઘડવામાં આ બધાએ જે ફાળો આપ્યો તેને જમા ખાતે તો લખીએ! તેનું ઋણ ચૂકવી તો ન શકાય, પણ ઋણસ્વીકાર તો કરી જ શકાય ને? આવો ઋણસ્વીકાર ન કરે તેને માટે જ કદાચ ઉમાશંકર જોશીએ આ પંક્તિ લખી હશે :
એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 20 ઓગસ્ટ 2022