આપણે મામલે હકારાત્મક બાબત એ છે કે આપણી પાસે તાકત છે તો ખરી પણ તેની ઉર્જા સાચી દિશામાં વળે, તે માટે નારાયણ મૂર્તિની વાતને એક પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે
છેલ્લા એક અઠવાડિયાથી સોફ્ટવેર સમ્રાટ નારાયણ મૂર્તિએ કીધેલી વાત પર સતત પ્રતિભાવ આવી રહ્યા છે. નારાયણ મૂર્તિએ એમ કહ્યું કે – દેશના યુવાનોએ અઠવાડિયાના 70 કલાક કામ કરવાની તૈયારી બતાડવી જોઇએ, તો જ તેઓ દેશના વિકાસમાં મદદરૂપ થઈ શકશે. તેમણે આ કહ્યું તેની સાથે એમ પણ ઉમેર્યું કે ભારતની પ્રોડક્ટીવિટી – ઉત્પાદન ક્ષમતા – વિશ્વમાં સૌથી નીચી છે અને જો આપણે કાર્ય ક્ષમતા નહીં વધારીએ તો આપણે એ દેશો સાથે સ્પર્ધામાં નહીં ઉતરી શકીએ જેમણે બહુ જ સારી પ્રગતિ કરી છે.
નારાયણ મૂર્તિના વિધાનો વાયરલ થયા અને તેમની વાત સાથે અમુક લોકો સંમત થયા તો અમુકે કહ્યુ કે આવી રીતે કંઇ કામ ન થાય – આટલા કલાકો કામ કરવાનું આવે તો વર્ક-લાઇફ બેલેન્સનું શું થશે? લોકોનાં માનસિક સ્વાસ્થ્ય પર અસર પડશે, કોર્પોરેટ્સમાં વર્ક કલ્ચર ટોક્સિક હોય છે, પગાર ધોરણો પણ ઓછા હોય છે, લોકોએ તો ટીકા કરવાનું શરૂ કર્યું તો નારાયણ મૂર્તિના ઇન્ફોસિસનાં ય છોતરાં કાઢ્યાં કે ટેક કંપનીમાં પગાર સરખો નથી અપાતો કોઇ શા માટે અઠવાડિયાના 70 કલાક કામ કરે? વળી સ્ત્રીઓ જો 70 કલાક કામ કરે તો શું કારણ કે ઘણીબધી સ્ત્રીઓ આજે પણ ઘર અને નોકરી બન્ને સંભાળતી હોય છે – આવી સ્થિતિમાં તેમને માટે આ વધુ પડતું જ થઈ જાય કારણ કે બન્ને સંભાળવામાં અત્યારે પણ તે અઠવાડિયાના 70 કલાકથી વધારે જ કામ કરતી હોય છે.
ભારતમાં કામના કલાકોનો મામલો સંવેદનશીલ જ રહ્યો છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન – IOLએ કોરોનાવાઈરસ રોગચાળા પહેલા એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર ભારતીયો દર વર્ષે 2,000 કલાકથી વધુ કામ કરે છે અને આ કલાકો યુ.એસ., બ્રાઝીલ અને જર્મનીથી ઘણા વધારે છે. વળી આ જ વર્ષે તામીલનાડુમાં ફેક્ટ્રીમાં કામના કલાકો આઠમાંથી વધારીને બાર કરાયા ત્યારે તેનો ભારે વિરોધ થયો અને કલાકો જે હતા એ કરી દેવાયા. અન્ય કંપનીના સી.ઇ.ઓ.ઝ કામના કલાકો વધારવાની વાત કરીને ટીકા વહોરી ચૂક્યા છે.
જો કે નારાયણ મૂર્તિના આ વિધાનને સંદર્ભમાં જોવું જોઈએ એવું ઘણા અગ્રણીઓએ કહ્યું છે. ભારતની વસ્તીની વાત કરીએ તો આપણે ત્યાં યુવાનોની સંખ્યા અન્ય દેશોની સરખામણીએ વધારે છે. આપણે આર્થિક વિકાસના રસ્તે એ ગણતરી સાથે આગળ વધી રહ્યા છીએ કે 2030માં આપણે જર્મની અને જાપાનથી આગળ વધીએ. આપણે અત્યારે અર્થતંત્રની દૃષ્ટિએ 3.7 ટ્રલિયન ડૉલર્સના કદ સાથે પાંચમા સ્થાને છીએ. આપણો જી.ડી.પી. 2030 સુધીમાં જાપાનના જી.ડી.પી. જેટલો થઇ જવાની વકી છે અને એશિયા પેસિફિક રિજ્યનમાં આપણે સૌથી ઝડપી અને મોટા અર્થતંત્રની યાદીમાં પહોંચીશું. આ વિગતો એસ. એન્ડ પી. ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં ટાંકવામાં આવી છે. આર્થિક મહાસત્તાનું લેબલ યુ.એસ.એ.ને માથે છે કારણ કે તેનું અર્થતંત્ર 18 ટ્રિલિયન ડૉલર્સનું છે જે આખા વિશ્વના જી.ડી.પી.ના 17.9 ટકા જેટલો હિસ્સો છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની ગણતરી અનુસાર ભારત 2023-24ના ફાઇનાન્શિયલ વર્ષમાં 5.9 ટકાના દરે વધે તેવી વકી છે. જે વૈશ્વિક આર્થિક વિકાસ દર 2.8 ટકા કરતાં ઘણો વધારે છે. જાપાન જી.ડી.પી. અનુસાર ત્રીજા ક્રમાંકે છે તો ચોથા ક્રમાંકે જર્મની છે.
જર્મની અને જાપાનનો સંદર્ભ જરૂરી છે કારણ કે બીજા વિશ્વ યુદ્ધ પછી આ બન્ને દેશોએ પોતાની આર્થિક શક્તિને વધારવા માટે બધું જોર લગાડી દીધું અને માટે જ આજે આ બન્ને દેશો આર્થિક મજબૂતાઈની યાદીમાં આગળ ધપી શક્યા છે. જર્મનીમાં નાઝીવાદ હતો તો જાપાનમાં સામ્રાજ્યવાદની સાંકળોમાં સપડાયેલો હતો. પરંતુ આ સ્થિતિમાંથી નીકળીને શાંત, સમૃદ્ધ અને ધબકતી લોકશાહી વાળા રાષ્ટ્ર બનવા પાછળ આ બન્ને દેશોએ ભારે મહેનત કરી છે. સુધારા, બદલાવ, માળખાકીય પુનઃનિર્માણ કરીને પશ્ચિમી દેશો સાથે સમાંતર થવામાં આ બન્ને રાષ્ટ્રોએ કોઈ કચાશ ન છોડી. ચીનને 1978માં મોકળાશ અને સુધારા સાથે આર્થિક ફેરફારો શરૂ કર્યા અને તેનો વાર્ષિક જી.ડી.પી. વર્ષોથી 9 ટકાના દરે રહ્યો છે. 2000ની સાલમાં ચીન 13મા સ્થાને હતો અને 2010થી તે જાપાનથી આગળ વધીને અર્થતંત્રની વૃદ્ધિના સ્તરે બીજા સ્થાન પહોંચ્યો.
2047 સુધીમાં ભારત જો વિશ્વની સૌથી મોટી આર્થિક સત્તા બનવા માગતો હોય તો તેણે દર વર્ષે 14 ટકાના દરે વૃદ્ધિ કરવી પડે. આ ગણતરી એ સાથે કે રૂપિયાનું સ્થાન ડૉલરની સામે સ્થિર રહે. લેબર, રોકાણો, માનવ વસ્તી અને ફેક્ટરી ઉત્પાદનો જો મોટા પ્રમાણમાં થતા રહે તો આ પણ શક્ય છે. 2006-11 દરમિયાન બારતનો વાર્ષિક વિકાસ દર 14 ટકાની આસપાસ રહ્યો છે. નારાયણ મૂર્તિ કદાચ એમ કહેવા માગે છે ભારત આવનારાં વર્ષોમાં વિકાસની દોડમાં પાછો ન પડે અને માટે જ તે ચાહે છે કે કામના કલાકો અત્યારે છે તેના કરતાં વધુ રહે. આ કલાકોનો અર્થ માત્ર શારીરિક કે માનસિક મહેનત સાથે નથી જોડાયેલો બલકે જેને સ્માર્ટ વર્ક કહે છે, જેટલા કલાકો હોય તે ઉત્પાદન અને વિકાસની દિશામાં જ હોય અને જે થાય છે તેના કરતાં અમુક ટકા વધારે હોય તો આ ચોક્કસ શક્ય છે. લેબર પ્રોડક્ટીવિટી – શ્રમ ઉત્પાદકતાની ગણતરી કરીએ તો ભારતનું ગોઠવાયેલું ઉત્પાદન ક્ષેત્ર, વૈશ્વિક સ્તરે અન્ય દેશોની સરખામણીએ વધવાને બદલે ઘટી રહ્યું છે. યુવાન દેશ હોવાથી આ પારો નીચે જાય તો યુવાન દેશ હોવાનો હુંકાર કોઇ કામનો નથી રહેતો. મલ્ટી નેશનલ કંપનીઓ સિવાય ભારતના આઇ.ટી. અને આઇ.ટી.ઇ.એસ. ક્ષેત્ર, કન્સલ્ટિંગ પેઢીઓ, કેન્દ્રીય સરકાર જે પાંચ દિવસ કામ કરે છે અને રિટેલ – હૉસ્પિટાલિટી, હેલ્થકેર જેવાં ક્ષેત્રો સહિત લશ્કર, પોલીસ, ઉત્પાદન અઠવાડિયાના છ દિવસ કામ કરે છે. પાંચ અને છ દિવસ કામ કરનારા આ બે ક્ષેત્રો વચ્ચેની એક દિવસ વધારે કામ કરવાના ફરક પર નારાયણ મૂર્તિની ટિપ્પણી અવળી અસર કરશેની ચિંતાને કારણે આટલો બધો હોબાળો થયો છે. બીજી તરફ એવા વ્યવસાયો પણ છે, જેમ કે મેડિકલ, પત્રકારત્વ, નાના-મોટા આંત્રપ્રિન્યોર્સ – લાંબા કલાકો કામ કરે છે અને તેમાં રવિવારની કે જાહેર રજાઓની ગણતરી મોટે ભાગે નથી હોતી. વસ્તીની સ્થિતિનું વિહંગાવલોકન કરીને જ્યાં કાચા પડીએ છીએ તેની પર ધ્યાન આપીને વૈશ્વિક અર્થતંત્રની રેસમાં ઝડપ અને સ્થિરતા બન્ને વધારવાનો આ યોગ્ય સમય છે. વસ્તીના ડિવિડન્ડ રળવા માટે આનાથી બહેતર સમય કદાચ જલદી નહીં આવે. જ્યારે રાષ્ટ્રની વસ્તી વૃદ્ધ હોય, જે અમુક મોટા દક્ષિણ-એશિયાઈ દેશોમાં કે અમુક પશ્ચિમી દેશોમાં થઈ રહ્યું છે ત્યાં અર્થતંત્રનો બોજો વધી રહ્યો છે કારણ કે તેમણે એવી વસ્તી મેઇન્ટેઇન કરવાની આવે છે જે અત્યારે અર્થતંત્ર ઘડવામાં કોઈ યોગદાન નથી આપતી અને તેની સામે તેમની પાસે કામ કરીને અર્થતંત્રને દોડતું રાખે તેવું યુવા ધન અન્ય રાષ્ટ્રોની સરખામણીએ ઓછું છે પણ છતાં ય પાછલી પેઢીના કામોથી અત્યારે તેમનું એન્જિન દોડે છે. આ રાષ્ટ્રો પોતાના અર્થતંત્રની તાકત ટકાવી રાખવાની ચિંતા કરી રહ્યા છે અને જ્યારે આપણે મામલે હકારાત્મક બાબત એ છે કે આપણી પાસે તાકત છે તો ખરી પણ તેની ઉર્જા સાચી દિશામાં વળે, તે માટે નારાયણ મૂર્તિની વાતને એક પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. આપણા દેશની ઉત્પાદન ક્ષમતા અને સ્પર્ધાત્મક વલણની ધાર કાઢવા માટે, બહેતર ભવિષ્ય ઘડવા માટે આપણે જ્યારે પ્રગતિના પંથે પહોંચીને દોડવાનું ચાલુ કરી દીધું છે ત્યારે થોડા કલાકો વધારે આપવાથી જ રાષ્ટ્રનું અર્થતંત્ર બહેતર બનશે.
બાય ધ વેઃ
નારાયણ મૂર્તિની વાતને જેમ કહેવાઇ છે એમ જ અનુસરવામાં આવે તો માનસિક-શારીરિક સ્વાસ્થ્યના પ્રશ્નો થઇ શકે છે અને માટે જ એ અનિવાર્ય છે કે તેને ભણતર નહીં પણ ગણતર સાથે અનુસરવામાં આવે – હાર્ડ વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક. રાષ્ટ્રને નવા સ્તરે મુકવું હોય તો અત્યારની અને કાર્ય ક્ષેત્રે પ્રવૃત્ત થનારી આવનારી એક બે પેઢીએ તો કામ પ્રત્યેની કટિબદ્ધતા વધારવી જ પડશે. ક્રેડ – જે એક જાણીતું સ્ટાર્ટ અપ છે તેના યુવાન સ્થાપક કુણાલ શાહે નારાયણ મૂર્તિની વાતને હકારાત્મક ગણીને પોતાનો એવો મત જાહેર કર્યો છે કે ભારતમાં વર્ક-લાઇફ બેલેન્સને નામે કાર્યક્ષમતામાં અવરોધ ઊભા થાય છે. ભારતના વિકાસમાં આ જ અભિગમ આડો આવે છે. આપણે હજી વિકસિત રાષ્ટ્ર બન્યા નથી અને એક સમયે સખત ઢસરડા કરીને આજે મહાસત્તા બનેલા પશ્ચિમી રાષ્ટ્રોની વર્ક-લાઇફ બેલેન્સની માનસિકતા અપનાવવા માટે થનગનીએ છીએ. વળી ભ્રષ્ટાચાર, સરકારી કામગીરીમાં લાસરિયા ખાતું આપણી ગતિમાં મોટા સ્પીડ બ્રેકર છે. યથા રાજા, તથા પ્રજા વાળી કહેવત આ મામલે ચોક્કસ લાગુ પડે જ છે. આ સંજોગો ઉપરથી બદલાશે તો જ અર્થતંત્રને મામલે આગળ ધપવામાં આપણે જે વિચારીએ છીએ તે મેળવી શકીશું, નહીંતર માથે લટકતું શીકું ખયાલી ખીચડીમાં ભાંગી જશે અને આપણે જ્યાંનાં ત્યાં રહીશું. સમૃદ્ધિ હશે તો સમાજમાં પણ શાલિનતા આવવાની શક્યતા એ વાત પણ યાદ રાખવા જેવી ખરી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 નવેમ્બર 2023