દિલ્હીના મામલાને બહુ ખેંચવામાં સાર નથી, એનું ભાન કેન્દ્ર સરકારને થઈ ગયું હોય એમ લાગે છે. મંગળવારે દિલ્હીના સનદી અધિકારીઓના એસોસિયેશને નિવેદન બહાર પાડ્યું છે કે દિલ્હી સરકારના સનદી અધિકારીઓ હડતાલ પર નથી અને તેઓ કેજરીવાલ સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ પહેલાં છેલ્લા એક અઠવાડિયાથી તેઓ એકનો એક રાગ આલાપતા હતા કે તેઓ હડતાલ પર ગયા નથી, તેમણે કોઈ ફરજ બજાવવાનું અટકાવ્યું નથી, માત્ર દિલ્હીના પ્રધાનોની રાબેતાની બેઠકોમાં હાજરી આપતા નથી. તેમનો પ્રતિકાર મર્યાદિત સ્વરૂપનો છે અને તે આત્મગૌરવ માટેનો છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ પહેલાં જ સનદી અધિકારીઓને આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત કોઈની પણ સામે રક્ષણ આપવાની જવાબદારી લીધી હતી. તેમણે અધિકારીઓનું સન્માન જળવાય એની બાંયધરી આપી હતી. આના પ્રતિસાદમાં એ સમયે અધિકારીઓ કહેતા હતા કે સમાધાનનો કે બાંયધરીનો સવાલ જ ક્યાં છે, જ્યારે અમે હડતાલ પર જ નથી. હંમેશ મુજબ વડા પ્રધાન ચૂપ છે, પણ આશ્ચર્યની વાત એ છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ પણ ચૂપ છે, જે દાવો કરી રહ્યા છે કે દિલ્હીમાં શાસનનો ખરો અધિકાર તેઓ ધરાવે છે. વડા પ્રધાન તો નિ:શંક સત્તા ધરાવે છે અને એલ.જી. સત્તા ધરાવતા હોવાનો દાવો કરે છે, પણ આમ છતાં ય તેમને તેમની ફરજની યાદ અપાવવામાં આવે ત્યારે તેઓ બન્ને શાહુડીની જેમ રેતીમાં મોં છુપાવી દે છે. એટલે તો દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનોજ સિસોદિયાએ સનદી અધિકારીઓની વાતચીત કરવાની ઓફરનો સ્વીકાર કરતા શરત રાખી છે કે બેઠક અનિલ બૈજલની હાજરીમાં થવી જોઈએ કે જેથી તેઓ નવી રમત ન રમે.
કૂણા સનદી અધિકારીઓ નથી પડ્યા, કેન્દ્ર સરકાર પડી છે. તેમને સમજાઈ ગયું છે કે હવે બહુ ખેંચવામાં લાભ કરતા નુકસાન વધુ છે. એક તો દિલ્હીની પ્રજાનો મૂડ રવિવારના આમ આદમી પાર્ટીના મોરચામાં નજરે પડ્યો હતો. ટૂંકી નોટિસ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો મોરચામાં જોડાયા હતા. મોરચો મંડી હાઉસથી વડા પ્રધાનના નિવાસ સ્થાને જવા નીકળ્યો હતો અને તેમાં ક્રમશ: સંખ્યા વધતી જતી હતી. મોરચો જ્યારે સંસદ માર્ગ પર પહોંચ્યો ત્યારે મોરચો કાઢવા માટે પોલીસની મંજૂરી લેવામાં આવી નથી, એમ કહીને પોલીસે મોરચાને અટકાવી દીધો હતો. અરવિંદ કેજરીવાલે પણ અથડામણમાં ઊતરવાની જગ્યાએ હવે પછી જરૂર પડ્યે ફરી મોરચાનું આયોજન કરવામાં આવશે, એમ કહીને મોરચો આટોપી લીધો હતો. આ એક ઘટના પરથી કેન્દ્ર સરકારને સમજાઈ ગયું હતું કે દિલ્હીની પ્રજા કેવો મૂડ ધરાવે છે.
બીજી ઘટના વિરોધ પક્ષોની દિવસોદિવસ મજબૂત થઈ રહેલી એકતા છે. ચારે બાજુથી દિલ્હી સરકારને ટેકો મળી રહ્યો છે. નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા દિલ્હી ગયેલાં પશ્ચિમ બંગાળ, કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના મુખ્ય પ્રધાનો અલગથી વડા પ્રધાનને મળ્યા હતાં અને તેમણે વડા પ્રધાનને વિનંતી કરી હતી કે દિલ્હી સરકાર ચૂંટાયેલી સરકાર છે અને તેને કામ કરવાની તક આપવામાં આવે. દિલ્હી સરકાર માટે સહાનુભૂતિનું મોજું એટલું તીવ્ર છે કે દિલ્હી સરકારના ધરણાનો વિરોધ કરી રહેલી કોંગ્રેસે પણ વલણ બદલવું પડ્યું છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ મમતા બેનર્જીને મળ્યા હતા અને કોંગ્રેસ પક્ષ તેની ભૂમિકાની પુન:સમીક્ષા કરશે એવી ખાતરી આપી હતી.
આ ઉપરાંત તામીલનાડુના ડી.એમ.કે.ના નેતા સ્તાલિને, તાજાતાજા રાજકારણમાં પ્રવેશેલા કમલ હાસને, બી.જે.પી.ના સંસદસભ્ય શત્રુઘ્ન સિંહાએ ટેકો આપ્યો છે. કેન્દ્ર સરકારને એક વાતની ખાતરી થઈ ગઈ હોય એમ લાગે છે કે દાદાગીરી કરીને અને વિરોધ પક્ષો સાથે ચારે બાજુ બાખડીને બી.જે.પી. તેમની એકતા માટે મજબૂત કારણ આપી રહી છે. આને કારણે તેમની વચ્ચે એકતા નહીં થવાની હોય તો પણ થશે. જો આમ ન હોય તો સર્વોચ્ચ અદાલતના બે જજોએ કેજરીવાલ સરકારની વિરુદ્ધ નુક્તેચીની કરવા છતાં સનદી અધિકારીઓ કૂણા શા માટે પડ્યા? સર્વોચ્ચ અદાલતે સોમવારે દિલ્હી સરકારને પૂછ્યું હતું કે કોઈના ઘરમાં કે ઓફિસમાં ઘૂસીને ધરણા કરવાનો અને કબજો જમાવવાનો અધિકાર તમને કોણે આપ્યો? સર્વોચ્ચ અદાલતનું વલણ જોતાં એવી શક્યતા ખરી કે સર્વોચ્ચ અદાલત એલ.જી.ની ઓફિસ ખાલી કરવાનો અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓને આદેશ આપે, પરંતુ અદાલત હવે પછીની સુનાવણી વખતે આવો આદેશ આપે ત્યાં સુધીમાં કેન્દ્ર સરકારને અને બી.જે.પી.ને ઘણું નુકસાન થઈ શકે એમ છે.
અરવિંદ કેજરીવાલે બે વાત સાબિત કરી આપી છે. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને પક્ષમાંથી તગેડી મૂકીને તેમણે સાબિત કરી આપ્યું છે કે તેઓ મોટા નેતા નથી, પરંતુ એ સાથે જ દિલ્હીમાં અનેક વિઘ્નો વચ્ચે દિલ્હીની જનતા યાદ રાખે એવું કામ કરીને સાબિત કરી આપ્યું છે કે તેઓ મોટા શાસક છે. કેરળ સહિત ભારતનું કોઈ પણ રાજ્ય ધડો લઈ શકે એવું નેત્રદીપક કામ કેજરીવાલ અને તેમના સાથીઓએ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે દિલ્હીમાં કરી બતાવ્યું છે. વડા પ્રધાન અને બી.જે.પી.ના નેતાઓને આ વાત કઠે છે.
આશા રાખીએ કે દિલ્હીની મડાગાંઠનો આવતા એક-બે દિવસમાં અંત આવશે.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 જૂન 2018