યે કૈસી અજબ દાસ્તાં હો ગઈ હૈ
છુપાતે છુપાતે બયાં હો ગઈ હૈ
યે દિલ કા ધડકના યે નજરોં કા ઝૂકના
જિગર મેં જલન સી યે સાંસોં કા રૂકના
ખુદ જાને ક્યા દાસતાં હો ગઈ હૈ
બુઝા દો સિતારોં કી શમ્મે બુઝા દો
છુપા દો હસીં ચાંદ કો ભી છુપા દો
યહાં રોશની મહેમાં હો ગઈ હૈ
ઇલાહી યે તુફાન હૈ કિસ બલા કા
કિ હાથોં સે છૂટા હૈ દામન હયા કા
ખુદ કી કાસમ આજ દિલ કહ રહા હૈ
કિ મિટ જાઉં મૈં નામ લેકર વફા કા
તમન્ના તડપકર જવાં હો ગઈ હૈ

સુમન કલ્યાણપુર
‘દિલ ગમ સે જલ રહા હૈ જલે, પર ધુઆં ન હો’ અને ‘ન તુમ હમેં જાનો’ જેવાં સદાબહાર મધુર ગીતો આપનાર સુમન ક્લ્યાણપુરે થોડા દિવસ પહેલા ચિરવિદાય લીધી. આ ગીતો લતા મંગેશકરે નથી ગાયાં એવું જાણ્યા પછી પણ માનવામાં ન આવે એવું લતાજી સાથેનું ગજબનું કંઠસામ્ય સુમનજી માટે સદ્દભાગ્ય અને કમભાગ્ય બંને હતાં. એમને શ્રદ્ધાંજલિ આપી આ લેખની શરૂઆત કરું.
૧૫ જૂને વીતેલા યુગના બે તેજસ્વી સિતારાઓનો જન્મદિન – સંગીતકાર સજ્જાદ હુસૈન અને ગાયિકા અભિનેત્રી સુરૈયા. આ બંનેની વાત કરવા માટે ૧૯૬૩ની ફિલ્મ ‘રૂસ્તમ સોહરાબ’ના ‘યે કૈસી અજબ દાસતાં હો ગઈ હૈ, છુપાતે છુપાતે બયાં હો ગઈ હૈ’થી ઉત્તમ ગીત ન હોઈ શકે. આ સુંદર ગીત શાયર જાં નિસાર અખ્તરે લખ્યું હતું.
પ્રેમ અને શૌર્ય બંનેની અતિરેકતાભરી વાર્તાઓ મધ્યકાલીન સાહિત્યનું જબરજસ્ત આકર્ષણ રહ્યું છે, પછી તે કોઈ પણ દેશનું સાહિત્ય હોય. ફારસી સાહિત્યના, વિશ્વ સાહિત્યમાં અગ્રણી સ્થાન ધરાવતા મહાકાવ્ય ‘શાહનામે’નું વિષયવસ્તુ પણ આ જ છે. અગિયારમી સદીની શરૂઆતમાં ઈરાની કવિ અબૂલ કાસિમ ફિરદૌસી લખેલા ‘શાહનામે’માં આમ તો રાજાઓની કથાઓ છે. ઈરાનના પ્રાગૈતિહાસિક કાળથી લઈને સાતમી સદીમાં થયેલા આરબ આક્રમણ અને સાસાનીદ સામ્રાજ્યના પતન સુધીનો ઇતિહાસ અને રાજવંશની કથાઓ વણી લેતો આ ગ્રંથ ફિરદૌસીએ લખ્યો, એ વખતે ફારસી ભાષા લુપ્ત થવાની અણી પર હતી. આ ગ્રંથે ફારસી ભાષા અને ઈરાની સંસ્કૃતિને પુનર્જીવિત કરી અને સાચવી રાખી. ‘શાહનામે’ વિશ્વના સૌથી લાંબા મહાકાવ્યોમાંનું એક છે.
‘રૂસ્તમ સોહરાબ’ આ મહાકાવ્યમાં વણાયેલી અત્યંત પ્રખ્યાત અને કરુણ લોકવાર્તા છે. તેના પરથી ૧૯૬૩માં એક ભવ્ય કોસ્ચ્યુમ ડ્રામા ફિલ્મ ‘રૂસ્તમ સોહરાબ’ બની હતી. ઈરાનનો બહાદુર મહાન યોદ્ધો રૂસ્તમ (પૃથ્વીરાજ કપૂર) એક યુદ્ધપ્રવાસ દરમિયાન સમંગણ દેશની રાજકુમારી તહેમીના(સુરૈયા)ના પ્રેમમાં પડે છે અને તેની સાથે એક જ રાત ગાળીને ચાલ્યો જાય છે. વર્ષો સુધી એ પાછો આવી શકતો નથી ને એક દિવસ યુવાન થઈ ગયેલો પુત્ર એક યુદ્ધમાં પિતાના હાથે જ માર્યો જાય છે. આ કરુણાંતિકા પરથી દેશવિદેશમાં અનેક નાટકો, ઓપેરા, ફિલ્મો અને પુસ્તકો થયાં છે.
‘યે કૈસી અજબ દાસ્તાં હો ગઈ હૈ’ ગીતમાં પૌરુષભર્યા વીરને ચાહવા લાગેલી સુંદર કન્યાનો મધુર એકરાર છે. એક તરફ લજ્જા, બીજી તરફ પ્રેમ અને ત્રીજી તરફ ઉલ્લાસ આ બધા ભાવોને સુરૈયાએ ખૂબ આકર્ષક રીતે વ્યક્ત કર્યા છે. કંઠમાં પણ સૌમ્ય માદકતાને વહેતી મૂકી છે.

સુરૈયા
‘રૂસ્તમ સોહરાબ’ ૩૪ વર્ષની સુરૈયાની છેલ્લી ફિલ્મ હતી, ત્યારપછી તેણે અભિનય અને ગાવાનું બંને સંપૂર્ણપણે છોડી દીધાં. જે વખતે તેની લોકપ્રિયતાનો સિતારો ખાસ્સો બુલંદ હતો ત્યારે અભિનય અને ગાયન છોડ્યાં એ તેનું સ્ટ્રેટેજિક સ્ટેપ હતું કે દેવ આનંદ સાથે તૂટેલા સંબંધનો આઘાત તે કોણ કહી શકે? બને કે સત્ય આ બે છેડાની વચ્ચે ક્યાંક હોય. ગમે તેમ, તેના ક્ષેત્રસન્યાસથી ગાયિકા-અભિનેત્રીનો આખો યુગ સમાપ્ત થઈ ગયો હતો. આ ગીત તેનું છેલ્લું હતું અને શ્રેષ્ઠ ગીતોમાંનું એક હતું.
સુરૈયાના મામા ઝહુર એ વખતે હિંદી સિનેમામાં વિલન તરીકે જાણીતા. એમની ઓળખાણથી સાત વર્ષની સુરૈયા ફિલ્મોમાં કામ કરવા લાગી. ૧૯૪૧માં બારેક વર્ષની ઉંમરે સુરૈયાએ ‘તાજમહલ’ ફિલ્મમાં મુમતાઝ મહલનો બાળપણનો રોલ કર્યો હતો. મદન મોહન અને રાજ કપૂર સાથે ઓલ ઈન્ડિયા રેડિયો પર કાર્યક્રમો આપતી સુરૈયાને સાંભળી નૌશાદે તેની પાસે મહેતાબ માટે ‘મેરે દિલ કો સજન સમજા દો’ ગીત ગવડાવ્યું ત્યારે સુરૈયા ૧૩ વર્ષની હતી. સુરૈયાએ માત્ર મહેતાબ માટે જ ગાયું છે. ૧૬ વર્ષની ઉંમરે તે નાયિકા બની. ત્યાર પછી તેણે કદી પાછું વળીને જોયું નહીં. એ જમાનાની સફળ ત્રિપુટી દેવ આનંદ, રાજ કપૂર અને દિલિપકુમાર આ ત્રણે કરતાં સુરૈયાની ફી વધારે હતી. તે હિંદી સિનેમાની પહેલી મેગાસ્ટાર હતી. તેણે ‘વારિસ’માં તલત મહેમૂદ સાથે અને ‘માશુકા’માં મુકેશ સાથે અભિનય કર્યો હતો.
દિલિપકુમાર સાથે ‘જાનવર’ ફિલ્મના શૂટિંગમાં ઝઘડો થવાથી સુરૈયાએ એ ફિલ્મ પડતી મૂકી હતી. રાજ કપૂર સાથે ચાર ફિલ્મ કરી અને દેવ આનંદ સાથે સાત. ‘મનમોર હુઆ મતવાલા’ અને ‘નૈન દિવાને’ જેવાં સુંદર ગીતોવાળી ફિલ્મ ‘અફસર’ના શૂટિંગ દરમ્યાન દેવ આનંદે સુરૈયાને પ્રોપોઝ કર્યું અને હીરાની વીંટી પહેરાવી. સુરૈયાના નાનીએ વીંટી દરિયામાં ફેંકી સોનાની મરઘીને બચાવી લીધી. એમની વિરુદ્ધ જવાની હિંમત સુરૈયાએ કરી નહીં અને સંબંધનો અંત આવી ગયો એ બધી જાણીતી વાત છે. આ ઘટના પછી સુરૈયાને જિંદગીમાં કે કારકિર્દીમાં રસ રહ્યો નહીં. ‘રૂસ્તમ સોહરાબ’ પછી તેણે ફિલ્મો છોડી. ત્યાર પછી ૪૦ વર્ષ તે એકલવાયું જીવન જીવી. તેણે હુસ્નલાલ ભગતરામ સાથે સૌથી વધારે કામ કર્યું હતું.

સજ્જાદ હુસૈન
‘રૂસ્તમ સોહરાબ’ના સંગીતકાર સજ્જાદ હુસૈન એક જુદી ખોપરી હતા. નાની ઉંમરથી સિતાર, વીણા, વાયોલિન પિયાનો અને બંસરી વગાડતા સજ્જાદ મેન્ડોલિનના નિષ્ણાત અને અરેબિક સંગીતના પ્રેમી હતા. ૧૯૪૪માં સોહરાબ મોદીના મિનરવા સ્ટુડિયોમાં ૩૦ રૂપિયાના પગારથી એમણે શરૂઆત કરી, ઝડપથી સફ્ળતાનાં શિખરો સર કર્યાં. સંગીતમાં અવ્વલ હોવાથી ઘણું માન મેળવ્યું પણ અહંકારને કારણે દુ:શ્મનો પણ એટલા જ ઊભા કર્યા. નૌશાદ પ્રત્યે તેમણે એટલો અણગમો કે પોતાના કૂતરાનું નામ નૌશાદ રાખ્યું. લતા મંગેશકર સાથે એવો વાંધો પડ્યો કે માત્ર ૨૨ ગીત કર્યા પછી એને આવજો કહી દીધું. તલત મહેમુદને ‘સંગદિલ’ માટે ‘યે હવા યે રાત યે ચાંદની’ જેવુ ઉમદા ગીત આપ્યું પણ પછી કઈં તકરાર થતાં તેને ‘ગલત મહેમૂદ’ કહેવાનું શરૂ કર્યું. કિશોરકુમારને ‘શોરકુમાર’ કહેતા. શશધર મુખર્જી જેવા સફળ ફિલ્મસર્જક અને ‘મુગલે આઝમ’ જેવી ફિલ્મને નકાર્યાં. સ્વભાવને કારણે વીસેક ફિલ્મો ગુમાવી. ૧૯૯૫માં માહિમમાં તેમનું મૃત્યુ થયું ત્યારે ફિલ્મજગતમાંથી ખય્યામ અને પંકજ ઉધાસ બે જ હાજર હતા. તેમના પાંચે દીકરા સંગીતક્ષેત્રે કામ કરી રહ્યા છે. એમાંનો એક પંકજ ઉધાસ સાથે મેન્ડોલિન વગાડતો.
‘રૂસ્તમ સોહરાબ’ અને ‘સંગદિલ’ એમના માસ્ટરપીસ. ‘રૂસ્તમ સોહરાબ’નાં ‘એ દિલરુબા’ અને ‘ફિર તુમ્હારી યાદ આઈ એ સનમ’ આજે પણ ભુલાયાં નથી અને જાં નિસાર અખ્તરના શબ્દો પણ – ‘ક્યા લુત્ફ આ રહા થા દિલબર કી દિલ્લગી સે, નજરેં ભી થી મુઝી પર પરદા ભી થા મુઝી સે, કિતને પ્યારે હૈ મુહબ્બત કે સિતમ, ફિર તુમ્હારી યાદ આઈ એ સનમ’ એમની એક પંક્તિ યાદ આવે છે, ‘તુમ કહતે હો કિ મૈં ગૈર હૂં ફિર ભી શાયદ, કોઈ પહચાન નિકલ આયે જરા દેખ તો લો’.
‘રૂસ્તમ સોહરાબ’નાં ગીતો વરસાદની રાતે સાંભળવા જેવાં ખરાં.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 12 જૂન 2026
![]()

