આમ તો રાષ્ટ્રવાદીઓની સરકાર છે એટલે રાષ્ટ્રને નુકસાન પહોંચે એવું તો તેઓ કરે નહીં, પરંતુ પ્રમાણો અને પુરાવાઓ તેની વિરુદ્ધ આવે છે. આપણને વિચારતા કરી મૂકે કે જો દેશપ્રેમીઓ આવા હોય તો દેશદ્રોહી કેવા હશે! પ્રશાંત મહાસાગરમાં આવેલા પોણા ત્રણ લાખની વસ્તી ધરાવતા ટાપુના શાસકોએ નીરવ મોદી નાસી ગયો એના ત્રણ મહિના પહેલાં શોધી કાઢ્યું હતું કે આ માણસ ઠગ છે અને તેને નાગરિકત્વ ન અપાય. ભારતમાં આવીને એ લોકો સત્ય જાણી ગયા અને ભારતના શાસકોને તેની જાણ નહોતી. ઊલટું નીરવ મોદી નાસી ગયો એના થોડા દિવસો પહેલાં સ્વિત્ઝરલૅન્ડમાં દાવોસ ખાતે નીરવ મોદી વડા પ્રધાન સાથે ગ્રુપ ફોટોમાં જોવા મળે છે.
જ્યારે આ સમાચાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત થયા એ જ દિવસે કિંગફિશર એરલાઇન્સના સ્થાપક વિજય માલ્યાએ લંડનમાં ધડાકો કર્યો હતો કે હું ક્યાં નાસી ગયો છું. ભારત છોડતા પહેલાં હું (વિજય માલ્યા) નાણા પ્રધાન અરુણ જેટલીને મળ્યો હતો અને તેમને બેન્કોના દેવાંનું સેટલમેન્ટ કરવાની તૈયારી બતાવી હતી અને જણાવ્યું હતું કે હું આવતીકાલે લંડન જઈ રહ્યો છું. નાણા પ્રધાન કહે છે કે એ તો સંસદભવનની લૉબીમાં વાત થઈ હતી, કોઈ સત્તાવાર મુલાકાત નહોતી યોજાઈ. સંસદની લૉબીમાં કોઈ ચાલતા-ચાલતા માહિતી આપે કે ફલાણી જગ્યાએ ત્રાસવાદીઓ હુમલો કરવાના છે તો આપણા નાણા પ્રધાન તેને ગંભીરતાથી ન લે કારણ કે એ લૉબીમાં કહેવાયેલી વાત છે.
હવે ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ વધુ એક હકીકત ખોળી કાઢી છે. આમ તો ૯૮ ટકા મીડિયાને લીલોછમ ચારો આપીને વાડામાં પૂરી દીધાં છે, પરંતુ પાંચ-દસ બચ્યા છે જે ત્રાસ આપે છે. એ લીલું ઘાસ ખાતાં નથી અને લીલું-લીલું જોતાં નથી. કાંઈને કાંઈ શોધી કાઢે છે અને દેશભક્તિનો મૂડ બગાડી નાખે છે. જુઓ વિજય માલ્યાના નાસી જવા વિષે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ શું કહે છે. પુરાવાઓ સાથેની સ્ટોરી છે, ગળે ઊતરે તો ઠીક છે; નહીં તો ભક્તિ કરતાં ક્યાં કોઈ રોકે છે. પહેલાં ટૂંકમાં કેસ હિસ્ટરી.
વિજય માલ્યાએ ૨૦૦૩માં કિંગફિશર એરલાઇન્સની સ્થાપના કરી હતી. આવક કરતાં ખર્ચા વધુ હોવાના કારણે એરલાઇન્સ નુકસાન કરવા લાગી હતી અને ૨૦૧૨માં બંધ પડી ગઈ હતી. ભારતમાં હંમેશાં બને છે એમ જ્યારે કોઈનો કોઈ ધંધો પડી ભાંગે ત્યારે સાદી સમજ મુજબ તો એ ધંધાદારી ઊઠી જવો જોઈએ, પરંતુ આપણે ત્યાં સરકારી માલિકીની બેન્કો ઊઠી જાય છે. વિજયભાઈની એરલાઇન્સ ફડચામાં ગઈ એમાં વિજયભાઈની જગ્યાએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બીજી બેન્કો સાત હજાર કરોડ રૂપિયાના નુકસાનમાં આવી ગઈ.
આ બધું જ યુ.પી.એ. સરકારના સમયમાં બન્યું હતું. નરેન્દ્ર મોદી કહે છે એમ એક ફોન કોલ ઉપર લોન આપવામાં આવી હોય એ પણ શક્ય છે. યુ.પી.એ. સરકારના કાળાં કામોથી થાકી ગયેલી પ્રજાએ ૨૦૧૪માં તેને લાત મારીને પ્રામાણિકતા અને પારદર્શકતાનો દાવો કરનારા નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવ્યા હતા. શું અપેક્ષા હતી અને છે નરેન્દ્ર મોદી પાસેથી? એકેએક કૌભાંડીઓને જેલભેલા કરે. તેને મદદ કરનારા શાસકો અને સરકારી અધિકારીઓને પણ છોડવામાં ન આવે. તેમની સામે ઝડપથી મુકદમા ચાલે અને સજા કરવામાં આવે. સૌથી મોટી વાત; વ્યવસ્થામાં જેટલાં છીંડા છે એને વીણી-વીણીને બુરવામાં આવે.
નરેન્દ્રભાઈની મુદત પૂરી થવામાં છે, પણ આમાનું કાંઈ થયું? નથી કોઈ કૌભાંડીને પકડવામાં આવ્યો કે નથી કોઈ ભ્રષ્ટ ભૂતપૂર્વ શાસકને પકડવામાં આવ્યો. નથી કોઈ પર આરોપનામું ઘડવામાં આવ્યું કે નથી મુકદમો ચલાવવામાં આવ્યો. એક પણ છીંડુ બતાવો જે છેલ્લાં સાડા ચાર વરસમાં બુરવામાં આવ્યું હોય. ઊલટું ઊઠેલી બેન્કો વધારે મુશ્કેલીમાં આવી ગઈ છે અને ઉઠાડનારાઓમાંથી અડધો ડઝન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં નાસી ગયા છે. આમાનું કાંઈ પણ કર્યા વિના દેશમાં રામરાજ્ય આવી જવાનું છે? માત્ર વાતો કરવાથી અને કૉન્ગ્રેસને ગાળો દેવાથી દેશમાં પરિવર્તન થવાનું છે?
તો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના મંગળવારના અંકમાં પ્રકાશિત થયેલી સ્ટોરી એમ કહે છે કે સી.બી.આઈ.એ ૧૬મી ઓકટોબર ૨૦૧૫ના રોજ લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો જેમાં દેશભરના વિમાનમથકોને કહેવામાં આવ્યું હતું કે “પ્રિવેન્ટ સબજેકટ (ધેટ ઈઝ વિજય માલ્યા) ફ્રોમ લીવિંગ ઇન્ડિયા”. એ પછી ૨૪મી નવેમ્બર ૨૦૧૫ના રોજ વિજય માલ્યા દિલ્હી જાય છે અને એ જ દિવસે સી.બી.આઈ. લુક આઉટ સર્ક્યુલરમાં સુધારો કરે છે. શું કહેવામાં આવ્યું હતું નવા સુધારેલા લુક આઉટ સર્ક્યુલરમાં? “ઇન્ફોર્મ અસ ડાયરેક્ટલી. ડિટેન્શન ઓફ સબજેક્ટ (ધેટ ઈઝ વિજય માલ્યા) ઈઝ નોટ રિકવાયર્ડ.” વિજય માલ્યા દેશમાં પ્રવેશતા હોય અથવા દેશની બહાર જતા હોય તો અમને (સી.બી.આઈ.ને) જાણકારી આપવામાં આવે તેને આવતો-જતો રોકવામાં ન આવે.
૨૦૧૫ના નવેમ્બર મહિના સુધીમાં બેન્કોનું દેવું વ્યાજ સાથે નવ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું અને કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મહિનાઓથી પગાર ચુકવવામાં નહોતો આવ્યો. એ દિવસોમાં એવો એક પણ દિવસ નહોતો જતો કે અખબારોમાં વિજય માલ્યા અને તેમની એરલાઇન્સ સમાચારોમાં ન હોય. કર્મચારીઓને પગાર નહીં ચૂકવનારા વિજય માલ્યા વૈભવી જીવન જીવે છે એ વિષે દેશમાં ચર્ચા થતી હતી ત્યારે માલ્યાએ વૈભવી જીવનશૈલીનો બચાવ કરનારું બેશરમ નિવેદન કર્યું હતું. આવી સ્થિતિમાં સી.બી.આઈ.એ તેનો લુક આઉટ સર્ક્યુલર હજુ વધારે સખ્ત કરવો જોઈતો હતો કે હળવો? કોના કહેવાથી એ સર્ક્યુલર માલ્યાને ફાયદો થાય એ રીતનો હળવો કરવામાં આવ્યો હતો અને એ પણ એ જ દિવસની રાતે જ્યારે માલ્યા દિલ્હીમાં હતો.
આ બાજુ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ દેણદાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને કાનૂની સલાહ આપવામાં આવે છે કે માલ્યાને વિદેશ નાસી જતો રોકવા માટે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવવામાં આવે. ત્રણ મહિના પહેલાં સી.બી.આઈ. લુક આઉટ સર્ક્યુલર હળવો કરે છે અને વિમાન મથકોને સ્પષ્ટ જણાવવામાં આવે છે કે માલ્યાને વિદેશ જતો રોકવામાં ન આવે. સવાલ એ છે કે શા માટે બેન્કે લુક આઉટ નોટિસ હળવી કરાઈ એની સામે વહેલાસર વાંધો ન લીધો? ૨૪ નવેમ્બરથી ૨૮મી ફેબ્રુઆરી વચ્ચે ૯૬ દિવસ બેન્કના અધિકારીઓ પાસે હતા. શું નવ હજાર કરોડ રૂપિયાની કોઈ કિંમત નહોતી?
પણ કલાઇમેકસ હવે આવે છે. ૨૮મી ફેબ્રુઆરીની કાનૂની સલાહ પર બેન્કના અધિકારીઓ અમલ નથી કરતા. બીજી માર્ચ ૨૦૧૬ના રોજ વિજય માલ્યા દિલ્હી જાય છે. સંસદભવન જાય છે, રાજ્યસભાના સભ્ય તરીકે મસ્ટરમાં સહી કરે છે અને સેન્ટ્રલ હોલમાં બીજા સંસદસભ્યો સાથે ચા પીવે છે. એ પછી માલ્યા નાણા પ્રધાન અરુણ જેટલીને મળે છે. (જેટલીના કહેવા મુજબ લૉબીમાં) અને પોતે લંડન જઈ રહ્યો છે એમ કહીને એ જ રાતે વિમાન પકડે છે. માલ્યા લંડન પહોંચી ગયો એ પછી સ્ટેટ બેન્ક તેને મળેલી કાનૂની સલાહ પર અમલ કરે છે. પૂરા ત્રણ દિવસ પછી. સર્વોચ્ચ અદાલત સરકારી વકીલને માલ્યાને વિદેશ જતો રોકવા માટે સરકાર શું કરી શકે એમ છે એવો સવાલ પૂછે છે ત્યારે સરકારી વકીલ અદાલતને કહે છે કે અમને એવા ખબર મળ્યા છે કે માલ્યા દેશ છોડીને નાસી ગયો છે.
એ ખબર અદાલતને નહોતી અપાઈ દેશને અપાઈ હતી. કોના કહેવાથી લુક આઉટ સર્ક્યુલર હળવો કરવામાં આવ્યો હતો? એ પણ એક દિવસ બહાર આવશે. દેશદ્રોહી મીડિયા શોધી કાઢશે. ત્યાં સુધી ચાલો આપણે દેશપ્રેમી મીડિયા સાથે ભારત માતા કી જયનો નાદ કરીએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 સપ્ટેમ્બર 2018