ભારતના એક વિશ્વવિખ્યાત વિજ્ઞાનીનો ૨૪ વરસે છુટકારો થયો અને એ પણ સર્વોચ્ચ અદાલત સુધી લડત આપી ત્યારે. શરમાવું પડે એવી કેટલી બધી ચીજો આપણે ત્યાં બની રહી છે. પરંતુ આપણને કોઈ શરમ આવતી નથી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વિજ્ઞાની નામ્બી નારાયણન સાથે બનેલી ઘટના આવી અનેક ઘટનાઓમાંની એક છે.
એક દિવસ દુશ્મન દેશ માટે જાસુસી કરતા હોવાનું પ્રકરણ બહાર આવે. એ પછી એકથી એક દિલધડક વિગતો બહાર આવે. મીડિયા રિપોર્ટ કરવાનું છોડીને ફરિયાદી, તપાસકર્તા અને અદાલત એમ ત્રણેય ભૂમિકા અપનાવી લે. થોડા અઠવાડિયાં સુધી દેશપ્રેમનો દેકારો બોલાવવામાં આવે અને એ પછી એ ઘટનાને ભૂલી જવામાં આવે તે ત્યાં સુધી કે બીજી એવી કોઈ ઘટના હાથ લાગે. જાસૂસીની બીજી ઘટના બને ત્યારે આગળની ઘટનાઓને યાદ કરવામાં આવે અને ત્યારે આપણને ખબર પડે કે જેમાં ભૂત ધુણાવવામાં આવ્યાં હતાં એમાં તો કોઈ પુરાવાઓ જ નથી. સાંબા જાસૂસી કેસ આનું શરમજનક ઉદાહરણ છે. એ ઘટનાને આજે ચાર દાયકા થવા આવ્યા છે અને હજુ સુધી આરોપીઓનો છૂટકારો થયો નથી. નથી પુરાવાઓ મળતા, નથી કોઈને સજા કરવામાં આવી કે નથી કેસ ક્લોઝ્ડ કરવામાં આવતો.
આવતા વર્ષે સાંબા જાસૂસી કેસને ચાલીસ વર્ષ થશે. જે લશ્કરી જવાનોને કલંકિત કરીને ધરપકડ કરવામાં આવી હતી એ બધા અત્યારે ૮૦ વટાવી ચુક્યા છે. તેમને ખાતરી નથી કે તેમને તેમની હયાતીમાં ન્યાય મળશે કે નહીં. દેશસેવા કરતા કોણ આવી હેરાનગતી અને કલંક રળવા આગળ આવવાનું? આવતીકાલે જવાનો લશ્કરમાં કે વિજ્ઞાનીઓ વિજ્ઞાનસંસ્થામાં જોડવાથી દૂર ભાગશે તો એને માટે ભારત સરકાર અને ન્યાયતંત્ર જવાબદાર હશે અને એક દિવસ એવું અવશ્ય બનવાનું છે એ લખી રાખજો. ચાર દાયકાની હેરાનગતી અને ઉપરથી કલંક એ કોઈ મામુલી કિંમત નથી. મારી સાંભરણમાં એક ડઝન જેટલા જાસૂસી કેસો બહાર આવ્યા હતા અને ચકચાર જગાવી હતી, પરંતુ એમાં ખટલો ચાલીને સજા થઈ હોય એવી એક જ ઘટના છે. રશિયા માટે જાસૂસી કરનારા એસ.એલ.એમ. માણેકલાલ નામની કંપનીના માલિક યોગેશ ટી. માણેકલાલને સજા કરવામાં આવી છે. એ પણ જાસૂસીની ઘટના બહાર આવી એ પછી ૧૭ વરસે.
બીજા છેડે ગુપ્તચર સંસ્થાઓએ અને એમાં પણ ખાસ કરીને રિસર્ચ એન્ડ એનેલિસીસ વિંગે (રૉ) કેટલાક ખુલાસાઓ કરવા પડે એમ છે. ૨૦૦૪ની સાલમાં રૉનો અધિકારી રબીન્દર સિંહ અમેરિકા ગયો હતો અને પાછો આવ્યો જ નથી. તેણે અમેરિકાના પક્ષે પક્ષાંતર કરીને દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે. આવા વિશ્વાસઘાતી પક્ષાંતરના તાજેતરના વરસોમાં નવ કિસ્સાઓ બન્યા છે અને ભારત કાંઈ જ કરી શકતી નથી. પ્રમાણ જોઈએ છે? એમ.એસ. સેહગલ, એન.વાય. ભાસ્કર, બી.આર. બચ્ચર, મેજર આર.એસ. સોની, શમશેર સિંહ મહારાજકુમાર, અશોક સાઠે અને આર. વાધવા. (જુઓ અંગ્રેજી સામયિક ‘આઉટલૂક’ ૨ ઓગસ્ટ ૨૦૦૪નો અંક) એક બાજુ નિર્દોષ ઉપર તૂટી પડવાનું, તેમને બદનામ કરવાના, વરસો સુધી અદાલતોમાં હેરાન કરવાના અને બીજી બાજુ વિશ્વાસઘાતી પક્ષાંતર કરનારાઓનો વાળ પણ વાંકો ન થાય.
જે દેશ પોતાના જવાનોને અને વિજ્ઞાનીઓને રક્ષણ પૂરું પાડી ન શકે, તેમની પ્રતિષ્ઠા જાળવી ન શકે અને ખરેખર વિશ્વાઘાત કરનારાઓને સજા પણ ન કરી શકે એ શું જોઇને પોરસાય છે? રૉના નવ દેશદ્રોહી અધિકારીઓ વિદેશમાં લહેર કરે છે અને સરકાર કાંઈ કરી શકતી નથી તો એ શું નીરવ મોદીને પાછો લાવશે? ઉપર જે નામ ગણાવ્યા એમાંથી એક પણ ગદ્દાર અધિકારીને આજ સુધી ભારત સરકાર પાછો લાવી શકી નથી કે ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદની જેમ વિદેશમાં જઇને જેર કરી શકી નથી.
જાસૂસી આખા જગતમાં થાય છે અને તેનાં અનેક પ્રકાર અને સ્વરૂપ છે. હવે તો કોર્પોરેટ ઈન્ટેલિજન્સનો પ્રકાર પણ ઉમેરાયો છે. એક કંપની બીજી કંપની પર નજર રાખે અને જાસૂસી કરાવે. પરિવારનો એક સભ્ય બીજા ઉપર જાસૂસી કરાવે એવું પણ બને છે અને ખાસ એ પ્રકારનું કામ કરનારી એજન્સીઓ અસ્તિત્વ ધરાવે છે. મુંબઈના એક પ્રતિષ્ઠિત બિલ્ડરે જાસૂસી કરવી તો ધ્યાનમાં આવ્યું કે તેમની જ બહેન પરિવારના વ્યવસાયિક હિતોની વિરુદ્ધ કામ કરતી હતી, કારણ કે ભાઈ-બહેન વચ્ચે ઝઘડો હતો. પૈસાની લાલચ અને સેક્સ મોટું પ્રલોભન છે. આવું તો બનતું જ રહેવાનું. જ્યારે રાષ્ટ્રીય સલામતીનો પ્રશ્ન આવે ત્યારે જાસૂસીની ઘટનામાં મીડિયા ટ્રાયલ વિના વ્યવસ્થિત બાંધી મુદ્દતે તપાસ થવી જોઈએ અને ન્યાય થવો જોઈએ. કોઈને કલંકિત કરવાનો અને હેરાન કરવાનો આપણને અધિકાર નથી.
નામ્બી નારાયણન તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિજ્ઞાની છે. ૧૯૯૪માં થીરુવનંતપુરમ વિમાનમથકે મરિયમ રશીદા નામની એક માલદીવની યુવતી ઈસરોના કહેવાતા ક્રાયોજેનિક રોકેટના એન્જિનના નકશાઓ સાથે પકડાઈ હતી. એ યુવતી પાકિસ્તાન માટે જાસૂસી કરતી હતી અને તેમાં તેને નામ્બી નારાયણને મદદ કરી હતી એમ ત્યારે કહેવામાં આવ્યું હતું. નામ્બી નારાયણન ઈસરોના ક્રાયોજેનિક પ્રોજેક્ટના ડાયરેક્ટર હતા એટલે પછી તો પૂછવું જ શું? દેશપ્રેમનો દેકારો બોલ્યો હતો. કઈ રીતે આપણી ઈસરો, બી.એ.આર.સી., ડી.આર.ડી.ઓ. જેવી સંસ્થાઓ મોટાં છીંડા ધરાવે છે એ વિષે ઊહાપોહ થયો હતો. સંસદમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને હોબાળો મચ્યો હતો. સભ્યોની માગણી હતી કે જાસૂસીના કેસની તપાસ સી.બી.આઈ. દ્વારા કરવામાં આવે. બે વરસ પછી સી.બી.આઈ.એ અદાલતમાં રજૂઆત કરી હતી કે જાસૂસીના આરોપમાં કોઈ તથ્ય નથી તે ત્યાં સુધી કે માલદીવની છોકરી પણ નિર્દોષ છે. કેરળની અદાલતે દરેકને નિર્દોષ છોડી મુક્યા હતા. કેરળની સરકારે સી.બી.આઈ.ના અહેવાલને નકારી કાઢ્યો હતો નવેસરથી પોલીસ તપાસ કરાવી હતી.
એ પછી સતામણી શરૂ થઈ હતી. પોલીસ કાંઈ પણ સાબિત કરી શકી નહોતી અને કલંકમુક્ત પણ થવા દેતી નહોતી. છેવટે જ્યારે ગુનો સાબિત નથી થતો ત્યારે નામ્બી નારાયણન કેરળ સરકાર સામે બદનક્ષી કરવાનો અને વળતરનો કેસ કરે છે. દેશમાં કાયદાના રાજની સ્થિતિ જુઓ: નિર્દોધ છુટેલા માણસે પુન:પ્રતિષ્ઠા પામવા માટે પણ પંદર વરસ લડવું પડ્યું હતું. નિર્દોષ છૂટવું એટલું પૂરતું નથી, ખોટા કેસમાં બદનામ કરનારાઓને સજા થવી જોઈએ અને કમસેકમ વળતર તો જરૂર મળવું જોઈએ. પ્રતિષ્ઠા ત્યારે જ પુન:સ્થાપિત થઈ કહેવાય. ૧૯૯૮માં સર્વોચ્ચ અદાલતે નારાયણન અને બીજા આરોપીઓને એક એક લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો જે પણ કેરળ સરકાર ચુકવવા તૈયાર નહોતી. ખૂબ લાંબી લડત પછી પંદર વરસે ગુસ્સે ભરાયેલી સર્વોચ્ચ અદાલતે કેરળ સરકારને આદેશ આપ્યો છે કે હવે એક લાખ નહીં, પચાસ લાખ આબરુ નુકસાનીના વળતર તરીકે ચુકવવામાં આવે. આ પચાસ લાખ પણ ઓછા છે. પાંચ કરોડ અપાવવા જોઈએ અને એ પણ આબરુ નુકસાનીના વળતર ઉપરાંત બદનામી કરવાના દંડ તરીકે.
નામ્બી નારાયણને ન્યાય એટલા માટે મળ્યો કે તેઓ ઉચ્ચશિક્ષિત સાધન-સંપન્ન માણસ છે. શિખા બાંધીને તેઓ પાછળ પડી ગયા હતા, પરંતુ સાંબા કેસના આરોપી? તેઓ અલ્પશિક્ષિત લાંસ નાયકની કક્ષાના જવાન છે. દેશપ્રેમના દુંદુભિ વગાડનારાઓ આ તરફ પણ થોડી નજર કરે તો કેમ?