સરદાર પ્રતિમાના લોકાર્પણનાં પાનાં ભરીને આવેલા અહેવાલોની વચ્ચે, આદિવાસીઓએ તેમ જ કર્મશીલોએ કરેલા વિરોધના અને સરકારે લોખંડી બંદોબસ્તથી કરેલા એના દમનના પણ સમાચાર હતા.
સરદાર વલ્લભભાઈ પટેલે સાદગી અને ત્યાગથી અકિંચન રહીને દેશની સેવા કરી. ખેતમજૂરોના નેતા, અત્યંજોના ભેરુ, ધરતીના છોરુ એવા આ લોકનેતાના જીવનકાર્યમાં ક્યાં ય ઐયાષી અને ઐશ્વર્ય, જલસા અને જશ્નનો અણસાર પણ ન હતો (સિવાય કે યુવાન વકીલ તરીકેનો ટૂંકો ગાળો). આ વાત સરદાર પરનાં અનેક લખાણોમાંથી સહજ રીતે તારવી શકાય. એ પણ જાણીતી વાત છે કે સરદારને એમનું કોઈ સ્મારક મંજૂર ન હતું, અને એ સામાન્ય માણસની જેમ જ એમના જીવનનો અંત આવે એમ ઇચ્છતા હતા. તેમના વરસદારોમાંથી સહુથી વડીલ એવા એકાણું વર્ષના ધીરુભાઈએ સરદાર જયંતીને દિવસે જ વડોદરામાં પત્રકારોને કહ્યું કે : ‘સરદાર જીવતા હોત તો તેમણે આ પ્રતિમા ક્યારે ય ન બનવા દીધી હોત.’ અલબત્ત, ભારતના અત્યારના વડા પ્રધાનને સરદાર સાહેબની આ સાદગી બહુ માફક આવે તેમ ન હતી. એટલે એમણે સરદારનું સ્મારક તેમની પ્રચંડ પ્રતિમા તરીકે ઊભું કર્યું. વડા પ્રધાનની આ ઇચ્છાપૂર્તિ અનેક આદિવાસીઓની જિંદગી ખતમ કરી રહી છે.
એ જીવનનાશક પગલાંના વિરોધ તરફ પણ ધ્યાન જવું જોઈએ. સરદાર પ્રતિમાના લોકાર્પણના પાનાં ભરીને આવેલા અહેવાલોની વચ્ચે આદિવાસીઓએ કરેલા પ્રતિમા-યોજનાના વિરોધના અને સરકારે એના લોખંડી બંદોબસ્તથી કરેલા દમનના પણ સમાચાર હતા. સરદાર જયંતીના સમારંભનો દક્ષિણ ગુજરાત અને આદિવાસીઓની પૂર્વપટ્ટીમાં અનેક જગ્યાએ વ્યાપક વિરોધ થયો. આ વિસ્તારના આદિવાસીઓએ એ દિવસને કાળા દિવસ તરીકે પાળ્યો. શોક પ્રદર્શન તરીકે હજારો આદિવાસી ઘરોમાં ચૂલો પણ ન સળગ્યો. આ વિરોધનું સ્વરૂપ પૂરા કે આંશિક બંધનું હતું, ક્યાંક કાળા ફુગ્ગા ઊડાડવામાં આવ્યા, રેલી અને દેખાવોની કોશિશો કરવામાં આવી, ટાયરો બાળવામાં આવ્યાં તો ક્યાંક સમારંભના પોસ્ટરો ફાડવામાં આવ્યા. નર્મદા અને તાપી જિલ્લામાંથી પોલીસે બસો જેટલા વિરોધીઓની ધરપકડ કરી, તેમાં ભિલીસ્તાન ટાઇગર સેના (બી.ટી.એસ.) અને ભિલીસ્તાન ટાઇગર પાર્ટી(બી.ટી.પી.)ના યુવા કાર્યકર્તાઓનો પણ સમાવેશ હતો. તદુપરાંત વલસાડ, ભરૂચ, નવસારીમાં પણ વિરોધીઓની ધરપકડો થઈ. દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ આ બન્યું. સંખ્યાબંધ ગામોએ અનાવરણ સમારંભનો બહિષ્કાર કર્યો હતો. અલબત્ત, જો કે જે વિરોધ થયો તેના કરતાં વધુ કંઈ થઈ શકે એમ ન હતું. દિવસોથી લગભગ પોલીસરાજ લાદવામાં આવ્યું હતું.
ઓછું હોય તેમ ત્રીસમી તારીખે પોલીસે નર્મદા જિલ્લાના ગામોમાંથી સંખ્યાબંધ કાર્યકર્તાઓ અને કર્મશીલોને અટકાયતમાં લઈને તેમને સમારંભ પછી છોડ્યા. અટકાયત પામેલાનો આ આંકડો જુદા જુદા અહેવાલો મુજબ સોળથી સો જેટલો છે. આ બધાં સમારંભનો વિરોધ કરવાનું આયોજન કરી રહ્યાં હતાં એટલે તેમની પોલીસે અટકાયત કરી એમ જણાવવામાં આવ્યું છે. બી.ટી.એસ.ના હોદ્દેદારો મહેશ ગગુભાઈ વસાવા, મહેન્દ્ર વસાવા અને સંગઠનના સભ્યોને અટકાયતમાં લેવામાં આવ્યા. તદુપરાંત વડોદરાની પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ, સર્વોદય કાર્યકર આનંદ માઝગાવકર, સ્થાનિક આદિવાસી કર્મશીલ લખન મુસાફિર અને ગુજરાત લોકસમિતિનાં નીતાબહેન અને મુદિતા વિદ્રોહીનો સમાવેશ થતો હતો. માત્ર આમંત્રિતો માટેના આ કાર્યક્રમના ભલે ઉત્સવનો માહોલ હોય, તેની બહાર આખા વિસ્તારમાં સામાન્ય અજંપા અને આક્રોશની વ્યાપક લાગણી વાતાવરણમાં અનુભવી શકાતી હતી એમ જાણવા મળે છે. કાર્યક્રમ જાહેર જનતા માટે કરી ન શકાયો, સરદારને ચાહનારા બે-ત્રણ લાખ લોકો જ્યાં હોઈ શકે, ત્યાં માત્ર થોડાક હજાર સરકારી આમંત્રિતો જ હતા. લોકોના સરદાર તેમનાં લોક – આદિજનો, ગિરીજનો, ખેડૂતો અને ખેતમજૂરો – વચ્ચે ન હતા. સેંકડો દેશી રજવાડાને એક કરનાર સરદારને સરકારે તેમના વહાલા ધરતીના લોકથી દૂર કરી દીધા. તેમની ભોમકા છિનવી લીધી. હજ્જારો ઘેઘૂર ઝાડ કાપ્યાં. તેમનાં જંગલ, નદી-નાળાં, ખેતરો, દેવો, સંસ્કૃિત બધું છિનવીને તેમને વિસ્થાપિત કરી નાખ્યા.
બોંતેર ગામોનાં પંચોતેર હજાર જેટલાં લોકો વિસ્થાપિત થઈ ચૂક્યાં છે કે થવાની તૈયારીમાં છે એમ સરદાર પ્રતિમા યોજનાનો વિરોધ કરનારા જણાવે છે. આગેવાન પ્રફુલ વસાવાના કહેવા મુજબ આદિવાસીઓનો વિરોધ સરદાર કે તેમની વિશાળકાય પ્રતિમાની સામે નથી જ, પણ એને કારણે એમનું આખું ય અસ્તિત્વ જોખમાયું છે તેની સામે છે. તેમની માગણી હતી કે પહેલાં અનુસૂચિત વિસ્તારો અને આદિવાસી વિસ્તારોને લગતા બંધારણના આર્ટિકલ 244(1)નો અમલ કરવામાં આવે. અને પછી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે. તેમના માનવા મુજબ સરકાર એમ કહે છે કે આદિવાસીઓને આ યોજનાથી ફાયદો થશે, નોકરીઓ મળશે, પણ તે કોઈ સાફ અને સમજાય તેવી વાત કરી રહી નથી.
આનંદ, લખન અને સાથી કર્મશીલો વર્ષોથી આ વિસ્તારનાં ગામડાં ખૂંદતા રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ સરદાર સરોવર સ્ટાફ કૉલોનીઓ માટે પહેલાં તબક્કામાં જે ગામો સંપાદિત કરવામાં આવ્યાં, તેમને તો અસરગ્રસ્ત ગામો તરીકે ગણવામાં જ ન આવ્યાં એટલે તે ગામોનો સંઘર્ષ ચાલુ છે. પ્રોજેક્ટ-ઍફેક્ટેડ તરીકે સ્વીકારાયેલાં ઓગણીસ ગામોને વારંવાર વચન આપવામાં આવ્યાં પણ તે પાળવામાં જ આવ્યાં નથી. ગરુડેશ્વર વિઅરથી અસર પામેલાં સાત ગામો તેમના અધિકારો માટે લડી રહ્યાં છે. મુખ્ય નહેરની બિલકુલ કિનારે આવેલાં 28 ગામોને એક ટીપું પાણી લેવા દેવામાં આવતું નથી. આદિવાસીઓની સાથે આમ થાય છે કારણ કે તેઓ આજ્ઞાંકિત છે, ભોળા છે, અભણ છે. બીજું કારણ એ કે સરદાર સરોવર માટેનો જે પૈસો પાણીની અછતવાળા મુલકના ખેડૂતો માટેના કૅનલ નેટવર્ક માટે વપરાવો જોઈતો હતો તે સત્તાવાળાઓના મિથ્યાભિમાનને પોષવાના પ્રોજેક્ટોમાં વપરાઈ રહ્યો છે. સ્ટૅચ્યૂ ઑફ યુનિટી તેનો જ એક હિસ્સો છે.
પ્રતિમા-યોજનામાં સ્ટાર હૉટેલો, નૌકાવિહાર માટેનાં જળાશય, ટેન્ટસિટી, જુદાં જુદાં પ્રદેશોના સત્તાવાળા માટે સદનો, રંગબેરંગી ફૂલવાડીઓ બનશે. નર્મદા બંધ અને સરદાર સરોવરની યોજના નદીનાં પાણીનો પીવા માટે અને ખેતી માટે માટે ઉપયોગ કરવાની હતી. પણ તેમાં સરકારની કામગીરી વિવાદાસ્પદ રહી, કૅનાલ નેટવર્ક કાચું થયું અથવા તો અધૂરું રહ્યું. હવે સરકાર નર્મદાનાં પાણીનો ઉપયોગ ટુરિઝમ દ્વારા પૈસો ઊભો કરવા માટે અને સરદાર પ્રતિમાઓનો ઉપયોગ રાજકીય લાભ મેળવવા માટે કરી રહી છે. આ બધું આદિવાસીઓની જમીન પર થશે. અને એમાંથી એમને ભાગ્યે જ કશું મળશે.
અમદાવાદમાં કાંકરિયા તળાવની ફરતે કોટ બન્યો પછી મૂળ તળાવની પાળે અનેક પ્રકારના વ્યવસાયો કરતાં લોકોની રોજી છિનવાઈ ગઈ. કારણ કે ટિકિટ અને બંદોબસ્તને કારણે તળાવ તેમના માટે લગભગ પ્રતિબંધિત થઈ ગયું. સ્ટૅચ્યુ ઑફ યુનિટી થકી આદિવાસીઓનું પણ કંઈક આવું બનવાજોગ છે. એક દૃષ્ટિબિંદુ એવું પણ છે કે સરકાર અહીંનું આખું ટુરિઝમ કૉર્પોરેટ કે પ્રાઇવેટ સેક્ટરને પધરાવી દેશે. પણ તેમાં ઊભી થયેલી નોકરીઓમાં ઇન્ડિજેનસ સ્કિલ્સ, સૂઝ અને કાર્યશક્તિ ધરાવતાં આદિવાસીને અનુકૂળ નોકરી હોવાની સંભાવના નહીંવત રહેશે.
દેશ ગરીબી, કુપોષણ, નિરક્ષરતા, બેરોજગારી, આર્થિક અસમાનતા, સામાજિક ભેદભાવ, મહિલા અત્યાચાર જેવી સમસ્યાઓથી ઘેરાયેલો છે. તેને રાહ ચીંધવાના રસ્તા ત્રણ હજાર કરોડના ખરચે ઊભી કરવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવનકાર્યમાં છે, તેના અભ્યાસમાં છે. પણ એ તેમના નામે થનારા ટુરિઝમમાં નથી જ. ટુરિસ્ટો ટુરિસ્ટો હોય છે, દેશને તંદુરસ્ત અને ભણેલાં નાગરિકોની જરૂર છે. તે શેના થકી તૈયાર થાય તે સરકાર બરાબર જાણે છે.
*********
1 નવેમ્બર 2018
સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 02 નવેમ્બર 2018