પોલીસ કોને જવાબદાર? કાયદાને કે રાજકીય નેતાઓને?
તાજેતરમાં વિકાસ દુબે નામના એક ગુંડાનું ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા એન્કાઉન્ટર થયું. એ સાચું એન્કાઉન્ટર છે કે નકલી તે તો સાચી ન્યાયિક તપાસ થાય તો જ ખબર પડે. પણ ભારતમાં નકલી એન્કાઉન્ટર થવાના અનેક કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. કૉન્ગ્રેસની સિદ્ધાર્થ શંકર રેની સરકારે પશ્ચિમ બંગાળમાં નક્સલવાદને ખતમ કરવા માટે નકલી એન્કાઉન્ટરની રીત અપનાવી હતી. સલામતીને નામે અને આતંકવાદને કે ગુંડાગીરીને ખતમ કરવાને નામે પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર અને બીજાં અનેક રાજ્યોમાં પોલીસ નકલી એન્કાઉન્ટરનો માર્ગ અપનાવતી રહી છે. જે સત્તાનશીન છે તે રાજકીય નેતાગીરીના આશીર્વાદ વિના તો નકલી એનકાઉન્ટર થવાનું શક્ય નથી, પછી ભલે તે નેતાગીરી કોઈ પણ રાજકીય પક્ષની હોય.
રાજકીય નેતાઓને પણ ઘણી વાર સાચી રીતે એમ લાગે છે કે એન્કાઉન્ટર જ એક રસ્તો છે ગુંડાઓને કે આતંકવાદીઓને ખતમ કરવાનો. એનું કારણ પણ એ છે કે ભારતમાં ફોજદારી ન્યાયની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને વિલંબકારી છે. એટલે ન્યાય ક્યારે થશે એ સમજાતું જ નથી. પરિણામ એ આવે છે કે જ્યારે પોલીસ રાજકીય નેતાઓના સહારે કે તેમના ઈશારે, સમાજના લાભ માટે કે પછી રાજકીય નેતાઓના જ લાભ માટે, નકલી એન્કાઉન્ટર કરીને કોઈ આતંકવાદીને કે ગુંડાને મારી નાખે છે ત્યારે લોકો પણ તેને સમર્થન આપે છે અને કહે છે કે, “બરાબર છે, આવાને તો મારી જ નાખવા જોઈએ”, “એમને વળી શાની અદાલત અને શાનો કાયદો?”
આ બાબત દેશની લોકશાહી માટે ખતરનાક છે. જો આમ જ હોય તો પછી કાયદાની અને અદાલતોની જરૂર જ શી છે? બધું કામ પોલીસ પતાવી દે અને ન્યાય પણ એ જ કરે! ધારાગૃહ કાયદો ઘડે, પ્રધાનમંડળ કાયદા મુજબ વહીવટ કરે અને ન્યાયતંત્ર ન્યાય તોલે એવું સત્તાનું વિભાજન કરવામાં આવ્યું, તે જ લોકશાહીનો પાયો છે. બાકી રાજાશાહીમાં આ બધી સત્તા રાજા પાસે કેન્દ્રિત થયેલી હતી. નકલી એન્કાઉન્ટર રાજાશાહી જરા જુદા સ્વરૂપે પાછી લાવવા માટેનું એક સાધન છે.
બંધારણની જોગવાઈઓ અને ભંગ
ભારતના બંધારણમાં કલમ-12થી કલમ-35માં ભારતના નાગરિકોના જે મૂળભૂત અધિકારો જણાવવામાં આવ્યા છે, તેમાં કલમ-21 કહે છે કે, “કાયદાથી સ્થાપિત એવી કાર્યવાહી સિવાયની રીતે કોઈ પણ વ્યક્તિનો જાન લઈ શકાય નહીં કે તેનું શરીરનું સ્વાતંત્ર્ય છીનવી લઇ શકાય નહીં.” એનો સ્પષ્ટ અર્થ એ છે કે કાયદા મુજબ જ કોઈ પણ ગુનેગારને સજા થાય. કાયદા મુજબ ગુનેગારની ધરપકડ થાય, તેની સામે પોલીસ આરોપનામું ઘડે, પછી અદાલતમાં કેસ ચાલે અને અદાલત જે ઠરાવે તે સજા થાય. આ બધામાં વિલંબ થાય તો થાય, પણ તેથી કંઈ નિશ્ચિત કાર્યવાહીને ઉવેખાય નહિ. જો એમ જ કરવું હોય તો પછી કાયદો અને તે મુજબની કાર્યવાહી લખવાની પળોજણ શા માટે? આ રીતે જોતાં નકલી એન્કાઉન્ટર બંધારણની આ કલમનો સરેઆમ ભંગ છે.
આમ, કોઈ પણ નકલી એન્કાઉન્ટર એ શુદ્ધ કાનૂની અર્થમાં પોલીસ કે જેના દ્વારા પણ કરવામાં આવ્યું હોય તેના દ્વારા થયેલી હત્યા જ કહેવાય. લોકો જો એને માન્ય ઠરાવતા હોય તો એ બાબતમાં લોકમાનસ રાજાશાહીમાં માને છે એમ કહેવાય, ઘણાખરા લોકોને તો બસ પાંચ વર્ષે ચૂંટણી થાય એટલે લોકશાહી. સાચી લોકશાહીનો એક અગત્યનો સિદ્ધાંત એ છે કે કાયદાનું શાસન હોય. કાયદાના શાસનનો અર્થ એ છે કે કોઈ પણ ગુનાના કિસ્સામાં ન્યાય તોળવા માટે કાયદા મુજબ નિશ્ચિત કાર્યવાહી થાય. એમ કહી શકાય કે પાકિસ્તાની આતંકવાદી કસાબને ફાંસી આપવામાં દસ વર્ષ જેટલો સમય વીતી ગયો હતો અને તેને જેલમાં સાચવવામાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો. તે તો થાય, કારણ કે કાર્યવાહી એ પ્રકારની નક્કી થયેલી છે. ઝડપથી કેસ ચાલે અને સજા થાય એમ ઈચ્છતા હો તો એ મુજબની કાર્યવાહી નક્કી કરો અને કાયદામાં કે નિયમોમાં લખી નાખો. પણ થવું તો એ જ જોઈએ કે જે નિયમો અને કાયદામાં લખેલું હોય. નહિ તો લોકશાહી ટકી શકે નહીં.
જીવંત લોકશાહી માટે જરૂરી
એક કિસ્સો નોંધવા જેવો છે. 1990ના દાયકામાં બાર્કલેઝ બેન્કનું ઉઠમણું થઈ ગયું. એ બેંક હતી બ્રિટનની. એનું ઉઠમણું કર્યું સિંગાપોરના એક નીક લિસન નામના યુવાને. ઉઠમણું થયું ઇન્ડોનેશિયા અને બીજા દૂર પૂર્વના દેશોમાં. નીક લિસન ભાગીને ગયો જર્મનીમાં. જર્મન પોલીસે તેને પકડ્યો. ત્યાંથી સિંગાપોરની પોલીસ તેને પકડીને જે દિવસે સવારે તેને સિંગાપોર લઈ આવી તે જ દિવસે કેસ ચાલ્યો અને અદાલતે તેને કેદની સજા પણ કરી નાખી. આટલી ઝડપ પણ થઈ શકે. પણ એ ઝડપી કાર્યવાહી કાયદામાં અને નિયમોમાં લખેલી હોવી જોઈએ. જો કોઈ લખેલી કાર્યવાહી ના હોય અને તે મુજબ વર્તન થાય તો સમજવાનું કે લોકશાહીનું સત્યાનાશ થઈ જઈ રહ્યું છે.
આજે તો વિકાસ દુબેનો વારો છે. આવા ઘણાના વારા આવી ગયા, હૈદરાબાદમાં થોડા સમય પહેલાં ચાર બળાત્કારીઓની હત્યા એન્કાઉન્ટરમાં જ થઈ હતી. ભલે વિકાસ દુબે ગુંડો હતો, પણ તેને કાયદામાં લખેલી કાર્યવાહી મુજબ કામ ચાલે તેનો અધિકાર તો હતો જ. કાલે કોઈ ગુંડો ના હોય કે આતંકવાદી ના હોય કે બળાત્કારી ના હોય, પણ તેવી વ્યક્તિને પણ ગુંડો કે બળાત્કારી ગણાવીને કે આતંકવાદી તરીકે ખપાવીને તેનું એન્કાઉન્ટર પણ પોલીસ દ્વારા થઈ શકે. આ ખતરો ભયાનક છે અને આજે ભારતમાં એ સર્વવ્યાપક થઈ ગયો છે. એટલે જ જ્યારે બંધારણનો કે કાયદાનો કે નિયમોનો ભંગ થતો હોય ત્યારે બધાએ એ વિષે બોલવું પડે. આજે કોઈ છે, કાલે આપણામાંથી કોઈ પણ સરકારની આ ગેરકાયદે પ્રવૃત્તિના શિકાર બની શકે. કયો રાજકીય પક્ષ સત્તા પર છે તે મહત્ત્વનું છે જ નહીં. સત્તા પરનો પક્ષ બંધારણમાં-કાયદામાં-નિયમોમાં જે લોકશાહી રીતરસમ લખેલી છે તે મુજબ વર્તે છે કે નહીં તે અગત્યનું છે.
તેથી વિકાસ દુબે નામના ગુંડા કહેવાતા શખ્સનું પોલીસ દ્વારા થયેલું એન્કાઉન્ટર પોલીસની કામગીરી પર મોટા સવાલો ઊભા કરે છે. આ ગુંડો અત્યાર સુધી કોણે પાળ્યો-પોષ્યો એ પણ શું સવાલ નથી? એને પોષનારું પોલીસતંત્ર હતું કે રાજકીય નેતાઓ હતા? પોલીસ અને ન્યાયતંત્ર કાર્યક્ષમ રીતે કામ કરતાં હોત તો વિકાસ દુબે જેવા ગુંડા જેલની બહાર હોત ખરા? બંધારણની અનુસૂચિ-7 મુજબ પોલીસ એ રાજ્ય સરકારોનો વિષય છે, કેન્દ્ર સરકારનો નહિ. એટલે રાજ્ય સરકારમાં જે લોકો બેઠા હોય તેમની મનમાની પર પોલીસ ચાલતી હોય તેવી છાપ ભારતમાં ઊભી થયેલી છે. પરિણામે ન્યાયતંત્રમાં અને પોલીસમાં આ બાબતે ઝાઝો વિશ્વાસ રહ્યો નથી. પ્રશ્ન એ છે કે કહેવાતાં એન્કાઉન્ટર બંધ કેવી રીતે થાય અને દીવાની બાબતોની સાથે સાથે ન્યાય ઝડપથી કેવી રીતે મળે? તેનાથી પણ મોટો અને મહત્ત્વનો સવાલ એ પણ છે કે પોલીસતંત્ર કોને જવાબદાર રહેવું જોઈએ, રાજકીય નેતાઓને કે પછી લિખિત કાયદા અને નિયમોને?
અંધેરનો આભાસ કરાવતી ન્યાયતંત્રની દેર
દેશમાં નવેમ્બર-2019ની સ્થિતિએ ૩.14 કરોડ કેસ અદાલતોમાં બાકી બોલે છે. એમાં લાખો ફોજદારી કેસો પણ છે. એટલે પછી લોકો એમ સમજવા માંડે છે કે ખૂની, બળાત્કારી, ગુંડા અને આતંકવાદી જેવાઓને તો એન્કાઉન્ટરમાં પોલીસ મારી નાખે તે બરાબર જ છે. કારણ કે તેમના કિસ્સામાં અદાલતો એ જાહેર નાણાંની અને સમયની બરબાદી છે; અને તેમાં પણ ન્યાય મળશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. સલમાનખાનના કાળિયાર કેસમાં અદાલત રાતે બાર વાગ્યે પણ કામ કરતી હોય તો લોકોને પોલીસ અને ન્યાયતંત્ર પર વિશ્વાસ કેવી રીતે બેસે? આજે તો ફોજદારી ન્યાય તો ઠીક, દીવાની કેસોમાં અને ખાસ કરીને સરકારો જેમાં સંડોવાયેલી હોય તેવા કિસ્સામાં ન્યાયતંત્ર પાસેથી ન્યાયની અપેક્ષા રાખવી અઘરી થઈ ગઈ છે. તાજેતરમાં લૉક ડાઉન દરમિયાન કરોડો સ્થળાંતરિત મજૂરોની સ્થિતિ વિષે સર્વોચ્ચ અદાલત કેટલી બધી મોડી જાગી હતી! તેથી લોકોને એન્કાઉન્ટર ગમે છે અને લોકો એન્કાઉન્ટરનો વિરોધ બિલકુલ નહીં કરે એવી માન્યતા સાથે તદ્દન ગેરકાયદે એન્કાઉન્ટરને રાજકીય નેતાઓ પ્રોત્સાહન પણ આપે છે.
ઉત્તર પ્રદેશના [તત્કાલીન] મુખ્ય પ્રધાન કલ્યાણસિંહે તા.૩૦-04-1998ના રોજ રાજ્યના પોલીસ અધિકારીઓ સમક્ષ કરેલા ભાષણમાં એમ કહેલું કે, “હું તમારી કામગીરીમાં પરિણામ ઈચ્છું છું. હું ઈચ્છું છું કે તમે એવી પ્રતિજ્ઞા લો કે તમે રાજ્યમાં ધમાકા કરશો. જો મોટા ગુનેગારોને એન્કાઉન્ટરમાં સાફ કરી નાખવા હોય, તો એમ કરો. જેણે 10 જણને મારી નાખ્યા છે તેને જો તમે મારી નાખશો તો લોકો તમારી પ્રશંસા કરશે અને હું તમારું રક્ષણ કરીશ.” આને જંગલ રાજ કહેવાય કે લોકશાહી? આ તો મનુષ્ય ગુફાઓમાં જીવતો હતો તે દશામાં પાછા જવાની વાત થઈ. દેશના સૌથી વધુ વસતિ ધરાવતા રાજ્યના મુખ્ય પ્રધાન આવું બોલે એ કેટલું ભયંકર કહેવાય? આવી ખાતરી પછી અને ઉત્તર પ્રદેશમાં સંખ્યાબંધ એન્કાઉન્ટર થયા પછી પણ ગુનાખોરી બંધ થઈ ગઈ કે પછી એકદમ ઘટી ગઈ? ના, કારણ કે નકલી એન્કાઉન્ટરમાં રાજકારણ હોય છે, ફોજદારી ન્યાય હોતો નથી. સવાલ તેથી જ પોલીસતંત્રમાં સુધારા માટેનો ઊભો થાય છે.
પોલીસતંત્રમાં પડતર સુધારા
ભારતની સર્વોચ્ચ અદાલતે 2006માં પ્રકાશસિંઘ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં પોલીસનું ઉત્તરદાયિત્વ નક્કી કરતા અને પોલીસતંત્રમાં સુધારા માટે આવા કેટલાક મહત્ત્વના નિર્દેશો આપ્યા હતા :
1. પોલીસ ઉપર દેખરેખ રાખવા માટે સ્વતંત્ર બોર્ડની રચના કરવી.
2. પોલીસ જો બંધારણીય અધિકારોનો ભંગ કરે તો તેનો અદાલતી ઉકેલ લાવવો.
3. પોલીસના ગેરવર્તન અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને રાજ્યોનાં માનવ અધિકાર પંચો પગલાં લે.
4. ગેરકાનૂની રાજકીય દખલગીરીથી પોલીસને રક્ષણ મળે તે માટે દરેક રાજ્યમાં ‘રાજ્ય સલામતી પંચ’ની રચના કરવી.
2018માં કોમનવેલ્થ હ્યુમન રાઈટ્સ ઇનિશ્યેટિવ (CHRI) દ્વારા કરાયેલા એક અભ્યાસમાં એ હકીકત બહાર આવી છે કે સર્વોચ્ચ અદાલતે ઉપર મુજબ જે આદેશો પોલીસતંત્રમાં સુધારા માટે આપ્યા તેમાંના મોટા ભાગના સુધારા મોટા ભાગનાં રાજ્યોએ કર્યા જ નથી. સૌથી મહત્ત્વનો મુદ્દો તો દરેક રાજ્યમાં રાજ્ય સલામતી પંચની નિમણૂક અને તેની કામગીરીનો છે. કુલ 27 રાજ્યોમાં આવું પંચ રચાયું છે, પણ ગુજરાત સહિતનાં છ રાજ્યોમાં અદાલતના આદેશ મુજબ તેમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતાનો સમાવેશ કરાયો નથી. આ સલામતી પંચનો અહેવાલ દર વર્ષે વિધાનસભામાં રજૂ થાય અને તેની ભલામણો રાજ્ય સરકારને માટે બંધનકર્તા રહે તેવો અદાલતી આદેશ છે. પરંતુ એવું કશું ભાગ્યે જ થાય છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાનના અધ્યક્ષપદે રાજ્ય સલામતી પંચની રચના જાન્યુઆરી 2009માં કરવામાં આવી. પણ તેની કોઈ જ વિગત ડિજિટલ ઇન્ડિયામાં ગુજરાત સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ પર તા.11-07-2020ના રોજ મળતી નથી!!
અગત્યનો મુદ્દો તો એ પણ છે કે રાજ્ય સલામતી પંચનો એક મહત્ત્વનો હેતુ પોલીસને રાજકારણથી પર બનાવવા માટેનો છે અને તેના અધ્યક્ષપદે તો મુખ્ય પ્રધાન જ હોય છે! જેના પ્રભાવથી પોલીસતંત્ર બાકાત રહે તેમ ઈચ્છવામાં આવે તે જ રાજ્ય સલામતી પંચના અધ્યક્ષ બને તો પછી કેવી રીતે પોલીસતંત્રમાં સુધારા થાય!
મોરારજી દેસાઈની સરકારે 1977માં ભારત સરકારના ભૂતપૂર્વ કેબિનેટ સચિવ અને પંજાબ, કર્ણાટક તથા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહેલા ધર્મવીરના અધ્યક્ષપદે રાષ્ટ્રીય પોલીસ પંચની રચના કરી હતી. આ પંચે તેના આઠ અહેવાલો 1979-81 દરમિયાન ભારત સરકારને સુપરત કર્યા હતા. આ પંચના બીજા અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, “પોલીસની ભૂમિકા કાયદાનો અમલ કરનારી સંસ્થા તરીકે કામ કરવાની છે અને બંધારણમાં અથવા કાયદામાં લખાયેલી જોગવાઈઓ સાથે સુમેળ સાધે તેમ ના હોય કે તેમની સાથે સંઘર્ષમાં આવતાં હોય તેવાં સરકાર દ્વારા રજૂ કરાયેલાં ઈચ્છાઓ, નિર્દેશો કે ઈરાદાઓની સામે ધ્યાન આપ્યા વિના કાયદાની નિષ્પક્ષ સેવા તેણે કરવાની છે.”
આ જ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “રાજ્ય સરકારનું પોલીસ ઉપરનું નિયંત્રણ મર્યાદિત હોવું જોઈએ કે જેથી પોલીસની કામગીરી માત્ર કાયદા મુજબની જ રહે …… પોલીસની કામગીરીની બાબતમાં સરકારે કોઈ સૂચનાઓ આપવી જોઈએ નહિ. જ્યાં સુધી કોઈ કેસમાં તપાસને લાગેવળગે છે ત્યાં સુધી પોલીસ પ્રધાનમંડળ કે રાજકારણીઓની દખલગીરીથી પર રહેવી જોઈએ.” ધર્મવીર પંચના પાંચમા અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, “પોલીસની કામગીરીમાં ગુપ્તચર બાબતો, નાગરિકની અંગત બાબતો અને જરૂરી અદાલતી બાબતો સિવાયની પોલીસની તમામ પ્રવૃત્તિઓ પારદર્શક હોવી જોઈએ.” તેના આઠમા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “પોલીસને વ્યક્તિગત રીતે તેમ જ જૂથમાં લોકો પ્રત્યેના ઉત્તરદાયિત્વ અંગે સંવેદનશીલ બનાવવી જોઈએ.” આમ, ધર્મવીર પંચનો અહેવાલ પોલીસને રાજકારણથી પર બનાવવા પર ભાર મૂકે છે. કારણ કે તો જ પોલીસ વ્યાવસાયિક રીતે કામ કરી શકે, ન્યાયની પ્રક્રિયા સ્વતંત્ર અને સ્વાયત્ત રહી શકે અને લોકોને ન્યાયની પ્રક્રિયામાં વિશ્વાસ બેસી શકે.
આમ, ધર્મવીર પોલીસ પંચે તેના અહેવાલમાં કહેલું છે કે પોલીસ સૌ પ્રથમ તેના સંગઠનને જવાબદાર છે. એટલે કે પોલીસમાં જે છેક નીચેથી ઉપર સુધી જે હોદ્દાઓ છે તેમાં નીચલા હોદ્દા પરની પોલીસ ઉપલા હોદ્દા પરની પોલીસને કે પોલીસ અધિકારીને જવાબદાર છે. પછી પંચ કહે છે કે પોલીસ કાયદાને જવાબદાર છે. એટલે કે પોલીસે કાયદા મુજબ જ વર્તવાનું છે. અને પછી આ પંચ એમ કહે છે કે પોલીસ લોકોને પણ જવાબદાર છે. તો શું નકલી એન્કાઉન્ટર કરીને પોલીસ કાયદાને અને લોકોને બેજવાબદાર બની એમ ના કહેવાય?
આ રીતે જોતાં, ન્યાયતંત્ર અને પોલીસ બંનેમાં ધરખમ સુધારાની જરૂર છે. આ સુધારા માનવ અધિકારોના રક્ષણ, સુશાસનની પારદર્શિતા, ઉત્તરદાયિત્વ અને કાયદાના શાસનના સિદ્ધાંતોને સામે રાખીને થવા જોઈએ. એ બંનેને રાજકીય દખલગીરીથી મુક્ત કરવાં જોઈએ.
મુસીબત એ છે કે આ કામ એમણે જ કરવાનું છે કે જે રાજકારણીઓ પોલીસ અને ન્યાયતંત્ર પરનો પોતાનો પ્રભાવ છોડવા માગતા નથી બલકે, વધારવા માગે છે અને બંને પોતાના કહ્યાગરા બને તેમ ઈચ્છે છે.
e.mail : phema_nt58@yahoo.in
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 13 જુલાઈ 2020; પૃ. 08-11