“મૂડીવાદી અને વપરાશવાદી નૈતિકતા એ એક જ સિક્કાની બે બાજુ છે. એમાં બે આદેશોનું મિશ્રણ છે. સર્વોચ્ચ આદેશ ધનવાનો માટે છે : ‘રોકાણ કરો.’ બાકીના બીજા બધા માટેનો આદેશ એ છે કે, ‘ખરીદી કરો.’ મોટા ભાગે ભૂતકાળની નૈતિક વ્યવસ્થાઓએ લોકો સમક્ષ બહુ કઠિન બાબતો રજૂ કરી હતી. એમના દ્વારા લોકોને જો તેઓ કરુણા અને સહિષ્ણુતા કેળવે, ક્રોધ અને લોભને નાથે અને પોતાનાં સ્વાર્થી હિતોને સંયમિત કરે તો, સ્વર્ગનું વચન આપવામાં આવ્યું હતું. મોટા ભાગના લોકો માટે એ બહુ મુશ્કેલ હતું. નીતિશાસ્ત્રનો ઇતિહાસ એવા ઉત્તમ આદર્શોની નિરાશાજનક કહાણી છે કે જે આદર્શો મુજબ કોઈ જીવતું નથી. તેનાથી વિપરીત, મોટા ભાગના લોકો સફળ રીતે મૂડીવાદી-વપરાશવાદી આદર્શને જીવે છે. આ નવું નીતિશાસ્ત્ર તમને એ શરતે સ્વર્ગનું વચન આપે છે કે ધનવાન લોકો લોભી રહે અને તેઓ વધુ ને વધુ ધન કમાવામાં તેમનો સમય ખર્ચે. લોકોના લોભ તેમ જ તેમના આવેગોને છૂટો દોર મળે તથા વધુ ને વધુ ખરીદી કર્યા જ કરે. ઇતિહાસમાં આ પહેલો ‘ધર્મ’ છે, જેના ‘અનુયાયીઓ’ ખરેખર એ કરી રહ્યા છે કે જે કરવાનું તેમને કહેવામાં આવ્યું છે. તો પછી આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણને બદલામાં ખરેખર સ્વર્ગ પ્રાપ્ત થશે? આપણે એ ટી.વી. પર જોયું છે.”
ઇઝરાયેલના ઇતિહાસકાર યુવાલ હરારીનું કથન મૂડીવાદ અને તેને આધુનિક યુગમાં મળેલી સફળતા વિષે ઘણું બધું કહી જાય છે. એટલું જ નહીં, જગતના બધા ધર્મો મનુષ્યને નૈતિક બનાવવામાં કેટલા નિષ્ફળ ગયા છે તે પણ જણાવે છે.
કોરોના મહામારીથી જગતમાં કોઈ વ્યક્તિ કે કંપની કે સરકાર એવાં નથી કે જેમને સીધી કે આડકતરી રીતે અસર ન થઈ હોય. લગભગ દરેક વ્યક્તિને ભય તો લાગ્યો જ છે. સ્વચ્છ ટેક્નોલોજીના એક અમેરિકન પુરસ્કર્તા બિલ રોથ એમ કહે છે કે, “ભય એ આર્થિક કેન્સર છે.” ભારતમાં પણ કોરોનાના ભયને લીધે ખાસ કરીને મધ્યમ વર્ગના ગ્રાહકોનું વર્તન બદલાઈ ગયું છે. સંઘરાખોરીથી માંડીને ઓછી ચીજોથી ચલાવી લેવાનું વલણ વિકસ્યું છે, પણ જે ગરીબ છે અને રોજેરોજનું કમાઈને ખાય છે તેમના વપરાશમાં પરિવર્તન આવવું શક્ય જ નહોતું. કારણ કે તેમની વપરાશની તરહ સાવ સામાન્ય હતી.
લૉક ડાઉન દરમિયાન મધ્યમ વર્ગીય ગ્રાહકો જે ખરીદી કરે છે તેની તરાહમાં આ મુજબનું પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે : (1) ઘરની કરિયાણાની ખરીદીમાં વધારો થયો કારણ કે બહાર લારી-ગલ્લા ઉપર કે રેસ્ટોરાંમાં ભોજન લેવાનું કે નાસ્તા કરવાનું અને ચા-કોફી પીવાનું બંધ થઈ ગયું. (2) આરોગ્યની કાળજી રાખવા માટેનાં સાધનો અને દવાઓ વગેરેની ખરીદીમાં વધારો થયો. એટલે કે ચેપ ના લાગે અને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટેની દવાઓની ખરીદી વધી ગઈ. (3) લૉક ડાઉનને કારણે ઘરની બહાર જવાનું બંધ થયું. એટલે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના ખર્ચમાં ઘટાડો થયો. જો કે, આ ફરજિયાત રીતે થયેલો ઘટાડો છે. આ કંઈ સભાનપણે થયેલી પસંદગી નથી. (4) ચોક્કસ બ્રાન્ડ પ્રત્યેની વફાદારી બાજુ પર મૂકી દેવાઈ અને જે મળે તેનાથી ચલાવી લેવાનું વલણ વધી ગયું. (5) જે અનેક લોકો માસિક નિશ્ચિત આવક ધરાવતા નથી અથવા રોજેરોજનું કમાઈને ખાય છે તેમની પણ બચતવૃત્તિ થોડીઘણી વધી ગઈ. કારણ કે તેમને આગામી મહિનાઓમાં અનિશ્ચિતતા દેખાઈ.
ઉપરોક્ત ફેરફારોએ શું કોઈક નવા જ અર્થતંત્રને જન્મ આપ્યો છે? ઔદ્યોગિક ક્રાંતિ 18મી સદીમાં થઈ, તે પછી અનેક નવી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થતું જ ગયું. આ વસ્તુઓના વપરાશે મનુષ્યોની જિંદગી જીવવાની પદ્ધતિમાં જબરજસ્ત પરિવર્તન આણ્યું. વપરાશ વધતો ગયો અને જીવનધોરણ ઊંચું જતું જ ગયું. જીવનધોરણ ઊંચું જાય તેને સુખનો એક માપદંડ પણ ગણવામાં આવ્યો. કોરોના મહામારીએ પહેલી જ વાર પરિસ્થિતિ બદલી નાખી અને વસ્તુઓ-સેવાઓના વપરાશમાં એકદમ ઘટાડો થઈ ગયો. વધુ વપરાશનો કોઈ અંત નથી, એવા સિદ્ધાંત પર જ મૂડીવાદ ચાલે છે એ એક હકીકત છે. ભારતના મૂડીવાદી બજારમાં, ખાસ કરીને ગરીબ નાગરિકો પણ ગ્રાહકો બની ગયા છે, સરકાર જે કંઈ પીરસે તેના પર આધાર રાખતા પણ થઈ ગયા. કોરોના મહામારીને કારણે ગ્રાહકોની પસંદગીઓ વિસ્તરતી બંધ થઈ ગઈ અને જે વસ્તુઓ હાજર છે તેનાથી ચલાવી લેવાનું વલણ પણ વધ્યું.
બીજી તરફ, હવે આરોગ્ય સાચવનારી અને સફાઈ કે સ્વચ્છતા ઊભી કરનારી નવી નવી વસ્તુઓ બજારમાં મૂકવા માટે અનેક FMCG કંપનીઓ તૈયાર થઈ ગઈ છે. માત્ર આવશ્યક જરૂરિયાતોના સંદર્ભમાં જ આ સાચું છે તેવું નથી. વૈભવી ચીજો માટે પણ એ સાચું છે. લૉક ડાઉન હતું તે દરમિયાન જ 15મી એપ્રિલના રોજ અમેરિકાની એપલ કંપનીએ ભારતમાં પોતાનો નવો ‘આઈફોન એસ.ઇ.’ બજારમાં રમતો કર્યો! એટલે બજાર નવી નવી વસ્તુઓ કોરોના મહામારીના લૉક ડાઉન પછી રજૂ કરવા થનગની રહ્યું છે. કોઈ પણ આપત્તિને અવસરમાં ફેરવીને નફો સર્જવો એ મૂડીવાદી અર્થતંત્રની નોંધપાત્ર ખાસિયત છે.
લોકો પોતાની જિંદગીમાં બસ ખરીદી કર્યા જ કરે તે માટે ઉદ્યોગપતિઓ અને કંપનીઓ ભારે પ્રયત્નશીલ રહે છે. એટલે વધુને વધુ વસ્તુઓની ખરીદી કરવી એ જાણે કે જિંદગીનો નવો મંત્ર બની ગયો છે. કંપનીઓનાં કારખાનાં ચાલુ રહે તે માટે ગ્રાહકોના વર્તનને તેઓ અંકુશમાં લે છે. વસ્તુઓ સુખ આપે છે તેવો ખ્યાલ કંપનીઓ ગ્રાહકોના દિમાગમાં ઠસાવી દે છે. ગ્રાહકો વધુ ચીજો વાપરે તે માટે મોટે ભાગે કંપનીઓ ત્રણ રસ્તા અપનાવે છે :
1. તેઓ નવી નવી આકર્ષક વસ્તુઓ અને તેમની બ્રાન્ડ સતત શોધતા જ જાય છે કે જેથી ગ્રાહકોનો રસ જળવાઈ રહે અને ખરીદી કરવા પ્રેરાય. નવી વસ્તુઓ માટે નવી ટેક્નોલોજીની શોધ અનિવાર્ય છે.
2. તેઓ સતત જાહેરખબરો આપ્યા જ કરે છે કે જેથી ગ્રાહકો સુધી પહોંચી શકાય અને ગ્રાહકોને ખરીદી કરવા પ્રેરણા મળે. અમદાવાદનાં એક પ્રાધ્યાપક અમી શાહ થોડાં વર્ષો અગાઉ તેમના વિદ્યાર્થીઓને વર્ગમાં હળવાશમાં કહેતાં હતાં, “ટી.વી. પર શેમ્પૂની એટલી બધી જાહેરખબરો આવે છે કે મનમાં એમ સવાલ થાય છે કે ભારત ખેતીપ્રધાન દેશ છે કે શેમ્પૂપ્રધાન?”
3. ગ્રાહકો પાસે પૈસા ન હોય અને તેઓ સામાન્ય રીતે ખરીદી કરી શકે તેમ ન હોય તો તેમને વસ્તુઓની ખરીદી કરવા લોન મળે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ વ્યવસ્થાઓ ભારત જેવા દેશોમાં સરકારી બેંકો પણ ઊભી કરે છે.
આવી વપરાશવાદી સંસ્કૃતિનો વિરોધ સતત થતો જ રહ્યો છે. અમેરિકાની કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટના પ્રાધ્યાપક ફિલિપ કોટ્લર, જે મૂડીવાદી વપરાશવાદી સંસ્કૃતિના વિરોધી છે, આવા લોકોના પાંચ પ્રકાર પાડે છે :
a. કેટલાક લોકો વસ્તુઓનો ઓછો વપરાશ કરવા માગે છે અને તેથી ઓછી ખરીદી કરવા માગે છે. તેઓ પોતાની પાસેની ચીજોનો જથ્થો પણ ઓછો કરવા માગે છે. તેમને એમ લાગે છે કે ઘરમાં ઘણી બધી ચીજો એવી હોય છે, જે ખરેખર કામમાં પણ આવતી નથી. તેઓ સાદાઈથી જિંદગી જીવવા માંગે છે. જો કે, આવા લોકોની સંખ્યા જગતમાં બહુ ઓછી છે.
b. કેટલાક લોકો એવા છે કે તેઓ આર્થિક વૃદ્ધિ એટલે કે જી.ડી.પી.નો વૃદ્ધિ દર ઓછો કરવો જોઈએ એમ કહે છે. તેઓ એમ માને છે કે વસ્તુઓ અને સેવાઓ વાપરવામાં માત્ર નાણાં જ નહીં, લોકો બહુ સમય અને શક્તિ ખર્ચે છે. તેઓ એ બાબતની ચિંતા કરે છે કે જો બહુ વપરાશ થશે તો પૃથ્વીની વહનક્ષમતા (carrying capacity) ખલાસ થઈ જશે. કારણ કે વસતિ તો વધતી જ જાય છે. તેથી તેઓ કુદરતી સંસાધનોનું જતન કરવાનું કહે છે અને વપરાશ ઓછો કરવાનું કહે છે. તેઓ માને છે કે લોભી ઉત્પાદકો ખોટી અને બિનજરૂરી વપરાશ કરવા માટે ગ્રાહકોને પ્રેરે છે.
c. કેટલાક એમ કહે છે કે વપરાશ વધુ થાય છે, તેથી હવા અને પાણી પ્રદૂષિત થાય છે અને તેથી કાર્બન ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણ હવામાં વધે છે. આવા પર્યાવરણ-વાદીઓ કુદરતને ઘણો આદર આપે છે.
d. કેટલાક એવા છે કે જેઓ આપમેળે શાકાહારી અને દૂધ તથા દૂધની પેદાશો નહીં ખાનારા (vegan) બન્યા છે. તેઓ એમ કહે છે કે મનુષ્યો પોતાના ખોરાક માટે અનેક પ્રાણીઓ અને પક્ષીઓની જે હત્યા કરે છે તે વાજબી નથી. તેમને પણ આ પૃથ્વી પર જીવવાનો અધિકાર મનુષ્ય જેટલો જ છે. બધા જ લોકો વનસ્પતિ આહારથી પૂરતું પોષણ મેળવી શકે તેમ હોય, ત્યારે શા માટે પ્રાણીઓ અને પક્ષીઓની હત્યા કરવી જોઈએ, એવો સવાલ તેઓ ઉઠાવે છે.
e. કેટલાક લોકો જૂની વસ્તુઓને ફેંકી દેવાના મતના નથી. તેઓ માને છે કે જૂની વસ્તુઓનું જતન કરવું જોઈએ. જૂની, વપરાઈ ગયેલી કે ઘસાઈ ગયેલી વસ્તુઓનો ફરીથી જુદી રીતે ઉપયોગ થઈ શકે છે. તેઓ એમ પણ ઈચ્છે છે કે કંપનીઓ એવી વસ્તુઓ બનાવે, જે લાંબો સમય ચાલે. ટૂંકા ગાળામાં ખલાસ થઈ જાય કે નકામી થઈ જાય તેવી ચીજો કંપનીઓએ ના બનાવવી જોઈએ. વૈભવી ચીજોના પણ તેઓ વિરોધીઓ છે.
આ સંદર્ભમાં લૉક ડાઉન દરમિયાન ભારતમાં ઘણા મધ્યમ વર્ગીય લોકોએ સામાજિક માધ્યમો પર જે છૂટાછવાયા અભિપ્રાય કે ખ્યાલ વ્યક્ત કર્યા છે તે જોવા જેવા છે :
ક. જે ખાદ્ય ચીજોની સૌથી વધુ જરૂર શરીરનું અસ્તિત્વ ટકાવવા માટે છે, તેમના પર પરિવારના કુલ ખર્ચમાંથી ખૂબ જ ઓછો ખર્ચ કરવામાં આવતો હતો તેની ખબર પડી.
ખ. જે ચીજો જિંદગી માટે બહુ મહત્ત્વની નથી, તે ચીજો પાછળ સરકાર વધુ ખર્ચ કરે છે, જેમ કે, રૂ. 3,500 કરોડના ખર્ચે બનેલું સરદાર પટેલનું પૂતળું, અને આરોગ્ય માટે જે ખર્ચ કરવો જોઈએ તે ખર્ચ સરકાર કરતી નથી. એટલે સરકાર પણ આ રીતે બેફામ વપરાશ કરે છે.
ગ. જે કામો જાતે થઈ શકે તેમ હતાં, તે પણ બીજા પાસે કરાવવામાં આવતાં હતાં. એ કામો કરવા માટે સમય નથી, એમ કહીને જ એમ થતું હતું. વિખ્યાત બ્રિટિશ અર્થશાસ્ત્રી લાયોનેલ રોબિન્સ (1898-1984)ની અર્થશાસ્ત્રની વ્યાખ્યા અત્યારે સૌથી સ્વીકાર્ય વ્યાખ્યા ગણાય છે: “અર્થશાસ્ત્ર એવું વિજ્ઞાન છે, જે અમર્યાદિત જરૂરિયાતો અને તેને સંતોષવા માટેના વૈકલ્પિક ઉપયોગો ધરાવતાં અછતવાળાં સાધનોના સંદર્ભમાં માનવીની વર્તણૂકનો અભ્યાસ કરે છે.” આ જ વ્યાખ્યા શ્રેષ્ઠ છે, એમ આજે દુનિયાભરમાં ભણવામાં અને ભણાવવામાં આવે છે. આમ, જુઓ તો જ્યારે મનુષ્યની જરૂરિયાતોને અમર્યાદિત માનવામાં આવે છે ત્યારે જ વપરાશ બેફામ કરવાનો સૈદ્ધાંતિક પરવાનો મળી જાય છે. કોરોના મહામારીને કારણે વસ્તુઓ અને સેવાઓની વપરાશ જે મર્યાદિત બની છે તે તો લૉક ડાઉનને લીધે થઈ છે, લોકોની સભાન પસંદગીને કારણે નહીં. એટલે જ, કોરોના મહામારીએ જે પદાર્થપાઠ શીખવ્યા છે તે લોકોની જીવનશૈલીનો ભાગ બને છે કે તે મોટો સવાલ છે. યુરોપના જાણીતા ચિંતક ઇવાન ઈલિચે (1926-2002) કહેલું કે, “વધુ સારી જિંદગી જીવવા તરફ મીટ માંડતું સમગ્ર અર્થતંત્ર સારી જિંદગીનું જ દુશ્મન બની ગયું છે.” દુનિયાનો ધનવાન વર્ગ કોરોના મહામારી પછી શું ખરેખર સારી જિંદગી જીવવા માટે પ્રયત્નશીલ બનશે?
બેફામ વપરાશ કરનારા લોકોની સંખ્યા બહુ ઓછી છે. ભારતમાં આશરે 40 કરોડ લોકો ખાસ્સો બેફામ વપરાશ કરી રહ્યા છે અને પ્રાપ્ય સંસાધનોનો સૌથી વધુ લાભ ઉઠાવી રહ્યા છે. સમાજમાં જેઓ છેવાડે જીવે છે તેઓ તો બહુ ઓછાં સંસાધનો વાપરે છે અને પ્રદૂષણ પણ બહુ જ ઓછું ફેલાવે છે. તેઓ સૌથી વધુ પ્રમાણમાં પર્યાવરણ જાળવતું જીવન ફરજિયાતપણે જીવે છે. એટલે વપરાશની મર્યાદા ધનવાન લોકોએ બાંધવી પડે તેમ છે. અને જો તેઓ સ્વેચ્છાએ એ મર્યાદા નક્કી ના કરે તો સરકારે એ મર્યાદાઓ નક્કી કરવી પડે. કોરોના મહામારી સરકારોને નાગરિક સ્વાતંત્ર્ય અને માનવ અધિકારો બરકરાર રાખીને એટલું શીખવી શકે તેમ છે ખરી? જો એ સમાજવાદ કહેવાય તો ભલે કહેવાય, પણ તેની જરૂર નથી લાગતી?
ખરેખર તો, લૉક ડાઉન ને લીધે લોકો વંચિતતા અને ચિંતાના શિકાર બન્યા અને તેથી તેમની વપરાશની તરાહ બદલાઈ છે. ગ્રાહકોનાં વલણો અને વર્તનમાં આવેલા પરિવર્તનને લીધે આજે જે પ્રકારનો મૂડીવાદ છે, તેમાં ફેરફાર થવાની સંપૂર્ણ સંભાવના છે એમ લાગે છે. ગ્રાહકો પોતે શું વાપરી રહ્યા છે, કેટલું વાપરી રહ્યા છે, કેટલું ખરેખર વાપરવાની જરૂર છે અને વપરાશની બાબતમાં કેટલી અસમાનતા સમાજમાં પ્રવર્તે છે એને વિષે ચોક્કસ વિચારે એમ બની શકે છે. ગ્રાહકો અને ઉત્પાદકો બંને પોતાની મૂડીવાદી ધારણાઓ વિષે ફેરવિચારણા કરે તો જ નવા પ્રકારના અર્થતંત્રની શરૂઆત શક્ય બનશે. આનું માર્ગદર્શન મહાત્મા ગાંધીના સર્વોદયના એ ત્રણ સિદ્ધાંતોમાંથી મળી રહે છે કે જે તેમણે જ્હોન રસ્કિનનું ‘અન્ટુ ધિસ લાસ્ટ’ પુસ્તક વાંચીને તારવ્યા હતા : (1) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. (2) વકીલ અને વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે બંનેને આજીવિકા રળવાનો હક સરખો છે. (3) સાદું, મજૂરીનું અને ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.”
e.mail : hema_nt58@yahoo.in
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020