સરકારે રૂ. 20 લાખ કરોડ રૂપિયાનું પૅકેજ તો જાહેર કરી દીધું છે. કદાચ હજુ બીજાં પૅકેજ જાહેર થશે. આંકડા વાંચીને તમ્મર ચડી જાય છે; અધધ રૂપિયા ! પણ આ રૂપિયાની મદદ કોઈ બેરોજગાર શ્રમિકોને, હજારો કિલોમીટર પગે ચાલી રહેલા ગરીબોને, વિવશ ખેતમજૂરોને, ભાંગી પડેલ ખેડૂતોને મળવાની છે પૅકેજમાં કોઈ જગ્યાએ પ્રત્યક્ષ મદદ કે રાહતની વાત નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય સુવિધાઓ) મજબૂત બનશે, જેનો આડકતરો લાભ મળશે !
ગણિત એ છે કે આ મદદ કે રાહત છેક નીચે સુધી ગરીબો, શ્રમિકો, ખેતમજૂરો, ખેડૂતો સુધી પર્કોલેટ થશે એટલે કે લાભો છેક નીચે સુધી ઝમશે! આ લોન આધારિત પૅકેજ છે; શ્રમિકો માટે તત્કાળ રાહતની વાત નથી ! લાંબે ગાળે ફાયદાની થિયરી છે. અત્યારે ભયંકર હાલાકી ભોગવી રહ્યા છે, તેમને મદદ મળવાની નથી ! લૉક ડાઉનમાં સ્થળાંતરિત શ્રમિકો, લારી-ગલ્લાવાળા, ખેતમજૂર-ખેડૂતોએ સૌથી વધુ સહન કર્યું છે. તેમને આત્મનિર્ભરતાનો ઉપદેશ આપવાનો અર્થ ખરો?
2 એપ્રિલ, 2020ના રોજ વિશ્વ બેંક પાસેથી 100 કરોડ ડોલર તથા 15 મે, 2020ના રોજ 100 કરોડ ડોલરની લોન લેવામાં આવી છે. 13 મે, 2020ના રોજ ન્યૂ ડેવલપમૅન્ટ બૅન્ક-NDB પાસેથી 100 કરોડ ડોલરની લોન લેવામાં આવી છે. 8 મે, 2020ના રોજ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક-AIIBની 50 કરોડ ડોલરની લોન લેવામાં આવી છે. આ બેંકનું વડું મથક ચીનની રાજધાની બેજિંગમાં છે અને ચીનના ભારે નાણાકીય ટેકાથી ચાલતી આ બેંકે ભારતને લોન આપી છે. PMની પ્રશંસા કરનારા કહે છે કે ભારતે ચીનને મહાત કરી દીધું છે ! એક તરફ, વૈશ્વિક સંસ્થાઓ પાસેથી 350 કરોડ ડોલર એટલે કે રૂ. 26,950 કરોડની લોન લીધી છે, બીજી તરફ, આત્મનિર્ભરતાનો માત્ર ઉપદેશ ! હા, ભારતના શ્રમિકો બિલકુલ આત્મનિર્ભર છે; ત્યારે તો પગમાં છાલાં પડી ગયાં છે. તેમના માટે વાહનની વ્યવસ્થા કરવાનું ન સૂઝ્યું અને હવે લોન-પૅકેજ?
આ પહેલાં પણ કેટલાં ય પૅકેજ જાહેર કર્યાં હતાં, હજુ સુધી એના લાભો ઝમીને નીચે સુધી પહોંચ્યા નથી ! છેવાડાના માણસને સીધી મદદ મળે એવી વ્યવસ્થા ન ગોઠવી શકાય? પર્કોલેશનની થિયરી મુજબ ક્યારે રાહત મળે? ક્યારે અંત્યોદય થાય? જીવતો માણસ મરી જાય પછી યોજનાઓ-પૅકેજો શું કામનાં? ઘણા કહે છે, “20 લાખ કરોડનું પૅકેજ સમજવા કોશિશ કરું છું; કંઈ સમજાતું નથી !” હું કહું છું, ”પૅકેજ બહુ જ સરળ છે. એટલું સમજી લો કે તમને કોઈ રાહત મળવાની નથી!” કોરોના મહામારીને નાથવા લૉક ડાઉન કરવાથી દેશ આર્થિક રીતે તૂટી ગયો છે. શ્રમિકો ભૂખે મરી રહ્યા છે. પ્રધાનસેવકે 12 મે, 2020ના રોજ રૂ. 20 લાખ કરોડનું પૅકેજ જાહેર કર્યું. તેમાંથી ખેડૂતો, શ્રમિકો, લધુઉદ્યોગોને મદદ કરાશે. આખા દેશમાં એક આશાની લહેર ફરી વળી. પરંતુ વળતા દિવસોએ નાણામંત્રીએ ડુંગર ખોદી ઉંદર કાઢ્યો ત્યારે ખેડૂતો-શ્રમિકો નિરાશ થઈ ગયા ! પ્રત્યક્ષ મદદની વાત જ નથી. રાહત જ નથી. માત્ર લોન ગેરંટીની વાત છે. સૌથી આંચકારૂપ વાત એ છે કે રૂ. 20 લાખ કરોડના પૅકેજમાંથી અડધો ખર્ચ તો અગાઉ થઈ ગયેલો, એને ગણતરીમાં લઈ લીધો છે !
20 લાખ કરોડમાં RBIએ અગાઉ 8 લાખ કરોડની રાહતો આપી છે; તેનો સમાવેશ થઈ જાય છે; પરંતુ તેને પૅકેજ કહી શકાય નહીં, તે બેન્કો માટે નાણાનીતિ કહેવાય; રાજકોષીય નીતિ ન કહેવાય. પૅકેજ તો સરકાર ખર્ચ કરે તેને કહેવાય. આમ પ્રધાનસેવકે આંકડાની માયાજાળ ઊભી કરી દેશના ખેડૂતો-શ્રમિકોની મશ્કરી કરી છે — દાઝ્યા ઉપર ડામ અને પડતા ઉપર પાટુની નીતિ અપનાવી છે ! ખેડૂતોની લોન ઉપરનું વ્યાજ અગાઉ બે મહિના માટે માફ કરાયું હતું; હવે વધુ બે મહિના માટે માફ કરવામાં આવ્યું છે — તે પણ માત્ર 3 કરોડ ખેડૂતો માટે, જ્યારે દેશમાં ખેડૂતોની સંખ્યા 11.87 કરોડ છે. કોરોનાસંકટના કારણે ખેડૂતોની સ્થિતિ ભારે ખરાબ થઈ ગઈ છે; ત્યારે તેમનું દેવું માફ કરવાની જરૂર હતી. તેને બદલે માત્ર લોનની વાત છે; નવી લોન લઈ લો અને જૂની લોન ચૂકવો ! ખેડૂતોની હાલત ખરાબ થાય ત્યારે ખેતમજૂરોની દશા બેસી જાય છે. એમના માટે કોઈ રાહત નથી. દેશમાં દોઢ કરોડથી વધુ લારી-ગલ્લાવાળા છે. તે પૈકી માત્ર 50 લાખ લોકોને રૂ. 10,000ની લોન આપવામાં આવશે. મદદ નહી, રાહત નહીં, લોન. રેશનિંગની દુકાનેથી 8 કરોડ સ્થળાંતરિત શ્રમિકોને વધુ બે મહિના સુધી વિના મૂલ્યે અનાજ અપાશે; પરંતુ 2011ની વસતિ ગણતરી મુજબ દેશમાં સ્થળાંતરિત શ્રમિકોની સંખ્યા 13.9 કરોડની હતી; તો બાકીના શ્રમિકો શું કરશે?
નાણામંત્રીએ રૂ. 4.4 લાખ કરોડની ઘોષણા કરી તેમાં 3 લાખ કરોડનો હિસ્સો તો લઘુઉદ્યોગોને લોન આપવામાં વપરાશે. 90,000 કરોડ વીજકંપનીઓ માટે વપરાશે. બાકી 50,000 કરોડ TDSમાં 25 ટકા રાહતમાં વપરાશે. 20 લાખ કરોડમાંથી 70 ટકા ક્યાં વપરાશે તે દર્શાવી દીધું. પૅકેજનાં નાણાની જોગવાઈ કઈ રીતે થશે તે પ્રશ્ન નાણામંત્રીએ ટાળી દીધો ! કોરોનાસંકટમાં પોતાની આજીવિકા ગુમાવનાર અસંઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કોઈ રાહતની જોગવાઈ ન કરી ! પછી ડૅમેજ કંટ્રોલ માટે ‘PM કેર્સ ફંડ’માંથી રૂ. 1,000 કરોડની જોગવાઈની જાહેરાત કરી. ટૂંકમાં, આ પૅકેજને સમજવું બહુ જ સરળ છેઃ ખેડૂતો, શ્રમિકો, ખેતમજૂરો, લારી-ગલ્લાવાળાને રૂ. 20 લાખ કરોડના પૅકેજમાંથી એક રૂપિયાની પણ રોકડ રાહત મળવાની નથી !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020