સ્થળાંતરિત કામદાર ધારાની જોગવાઈનો સરેઆમ ભંગ
કેટલાક પત્રકારો અને વિદ્વાન ભાજપી લેખકો અત્યારે એવું જૂઠાણું ચલાવી રહ્યા છે કે રેલવેએ તો મફતમાં જ સ્થળાંતરિત મજૂરોને તેમના રાજ્યમાં લઈ જવા માટેની વ્યવસ્થા કરેલી હતી. હકીકત એ છે કે રેલવે બોર્ડ દ્વારા જે પરિપત્ર બહાર પડાયેલો છે, તેમાં જ લખેલું છે કે રાજ્ય સરકારે ઉતારુઓ પાસેથી ભાડું લઈને રેલવેને આપવું. આ પરિપત્ર રેલવે બોર્ડની વેબસાઇટ પર તા. 04-05-2020ના રોજ રાતે ૯.૩૫ વાગ્યે ઉપલબ્ધ હતો. ખૂબ હોબાળો થયો પછી રેલવેએ કેન્દ્ર સરકાર ૮૫ ટકા અને રાજ્ય સરકાર ૧૫ ટકા ભાડું ભોગવશે એવું નક્કી થયું. આ સંદર્ભમાં હકીકત આ મુજબ છે :
રેલવે બોર્ડ દ્વારા તા. 02-05-2020ના રોજ બે પાનાંનો એક પરિપત્ર નં. ડી.ટી.પી./2020/05/17 જાહેર કરવામાં આવ્યો અને તેની નકલ રેલવેના જનરલ મેનેજરોને અને રાજ્યોના મુખ્ય સચિવોને અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવી. કુલ 19 મુદ્દાના આ અંગ્રેજી પરિપત્રમાં જે 11મો મુદ્દો છે તેનો ગુજરાતી અનુવાદ આ મુજબ છે :
(11) ટિકિટોનું વેચાણ : શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો રેલવે દ્વારા માત્ર એવી વ્યક્તિઓ માટે જ ચલાવવામાં આવી રહી છે કે, જેમને ટ્રેન જ્યાંથી ઉપાડવાની છે તે રાજ્યે જ્યાં ટ્રેન પહોંચવાની છે તે રાજ્ય સાથે મસલતો કરીને, મંજૂરી આપી છે, સામાન્ય લોકો માટે નહીં. તેમાં ટિકિટોના વેચાણ માટેની પદ્ધતિ નીચે મુજબ રહેશે :
(a) જ્યાંથી ટ્રેન ઉપડવાની છે તે રાજ્ય ટ્રેનમાં પ્રવાસ કરનારા ઉતારુઓની સંખ્યા જણાવશે, જે લગભગ 1,200 રહેશે, અથવા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનની ક્ષમતાના કમ સે કમ 90 ટકા રહેશે.
(b) ટ્રેન ઉપડવાની છે તે રાજ્ય દ્વારા જણાવવામાં આવેલા ઉતારુઓની સંખ્યા માટે રેલવે ગંતવ્ય સ્થાનો માટે ટિકિટો છાપશે અને તે ટિકિટો રેલવે રાજ્ય સરકારના સ્થાનિક સત્તાવાળાને આપશે.
(c) રાજ્ય સરકારના સ્થાનિક સત્તાવાળા એ ટિકિટ તેમણે મંજૂર કરેલા ઉતારુઓને આપશે અને તેમની પાસેથી ભાડું લઈને કુલ રકમ રેલવેને આપશે.”
વાસ્તવમાં, સ્થળાંતરિત મજૂરને પોતાના રાજ્યમાં જવા-આવવાનું ભાડું આપવાની જવાબદારી કાયદા મુજબ માલિક કે કૉન્ટ્રાક્ટરની છે. પણ તેવું કેમ થયું નહીં? કોરોના મહામારીના સંદર્ભમાં અત્યારે દેશમાં સ્થળાંતરિત મજૂરોની સમસ્યાઓ અને તેમના વતનના રાજ્યમાં રેલવે દ્વારા મફત લઈ જવા અંગે ભારે હોબાળો મચ્યો છે. આવા સ્થળાંતરિત મજૂરોના કલ્યાણ માટે ‘આંતરરાજ્ય સ્થળાંતરિત કામદાર ધારો’ 1979માં ઘડાયો છે. તેના અમલ માટે ગુજરાતમાં 1981માં નિયમો ઘડાયા છે. કાયદામાં અને નિયમોમાં કરાયેલી જોગવાઈઓનો અમલ થાય છે કે કેમ તે મહત્ત્વનો મુદ્દો છે.
યાદ રાખવાની જરૂર છે કે જે પ્રકારે કોરોના લૉક ડાઉન દરમ્યાન અને વતન જવા માટે આ મજૂરોને જે ભયંકર પરેશાનીનો ભોગ બનવું પડ્યું છે, તે જોતાં તેઓ જો વહેલી તકે પાછા ગુજરાતમાં નહીં આવે તો વાઇબ્રન્ટ ગુજરાત એકદમ ધ્રૂજતું થઈ જશે! ભલે ને લૉક ડાઉન પતી જાય તો પણ તેમના વિના ઉત્પાદન થશે કેવી રીતે? હવે કારખાનાં, રેસ્ટોરાં, દુકાન કે ઓફિસના માલિકોને સમજણ પડવી જોઈએ કે તેઓ તુલનાત્મક રીતે જે સમૃદ્ધિમાં આળોટે છે તે આ ગરીબ મજૂરોનાં ખૂન-પસીનાને આભારી છે.
ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવેલા મજૂરોની સંખ્યા 2001માં 11.26 લાખ હતી. એટલે અત્યારે એ આશરે 15 લાખ તો હશે જ, કારણ કે પછી વાઇબ્રન્ટ, ગતિશીલ અને અડીખમ ગુજરાતનો વિકાસ બહુ થયો છે! ગુજરાતની કુલ વસ્તીના તે 2.46 ટકા થયા. આ મજૂરોના કલ્યાણની જવાબદારી હાલના કપરા કાળમાં કોણે કેટલી નિભાવવાની તે માટેની આ કાયદાની અને નિયમોની કેટલીક જોગવાઈઓ જોઈએ :
(1) કાયદાની કલમ-14 એમ કહે છે કે, “જે કામદાર બીજા રાજ્યમાંથી આવે તેને કારખાનાના માલિકે માસિક વેતનના 50 ટકા રકમ અથવા રૂ. 75 વિસ્થાપન ભથ્થું આપવાનું છે.” હવે રૂ.75ની રકમ તો 1981માં નક્કી કરવામાં આવી હતી. અત્યારે 40 વર્ષે આ રકમ ખરેખર કેટલી હોવી જોઈએ? કેટલા કૉન્ટ્રાક્ટર આ રકમ આપે છે? સરકારને એમાં સુધારો કરવાનું કેમ સૂઝતું નથી?
(2) કાયદાની કલમ-15 એમ કહે છે કે, “કામદારને પોતાના રાજ્યમાં જવા-આવવા માટેનું ભાડું કૉન્ટ્રાક્ટરે આપવાનું રહેશે. વળી, પ્રવાસના જે દિવસો થાય તે દિવસો માટેનું વેતન ચૂકવવાનું રહેશે.” કોરોના મહામારીના કિસ્સામાં જે મજૂરો બીજાં રાજ્યોમાં ગયા તેમાંના કેટલા મજૂરોને માલિકે કે કૉન્ટ્રાક્ટરે અત્યારે ટ્રેનભાડું આપ્યું? શું સરકારને ખબર નથી કે આવો કોઈ કાયદો છે? તો પછી રેલવે બોર્ડ શા માટે કારખાનાં કે દુકાનમાલિકો પાસેથી ભાડું વસૂલ કરવાનું રાજ્ય સરકારને કહેતી નથી? શા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ટ્રેનભાડાની રકમનો બોજો ઉઠાવે છે? શું આ કારખાનાં અને દુકાન કે રેસ્ટોરાં વગેરેના માલિકોને આડકતરી રીતે આપવામાં આવેલી સરકારી સબસિડી ના કહેવાય? વળી, માની લો કે બિહાર જતાં મજૂરને બે દિવસ ટ્રેનમાં ગયા. તે બે દિવસનું વેતન માલિકે આપવાનું છે, એમ પણ કાયદો કહે છે. તે આપ્યું ખરું? ગુજરાત સરકારના મજૂર કમિશનરે તેની તપાસ કરી કે નહીં?
(3) કાયદાની કલમ-16 એમ કહે છે કે, “રોજગારીના સમય દરમ્યાન કૉન્ટ્રાક્ટરે તેમના રહેઠાણની વ્યવસ્થા કરવી અને તબીબી રાહત વિના મૂલ્યે આપવી.” આવી કોઈ વ્યવસ્થા ગુજરાતમાં સુરત કે અમદાવાદ કે રાજકોટમાં કે બીજે કોઈ સ્થળે કોન્ટ્રેક્ટરે કરી છે ખરી?
(4) રાજ્ય સરકારનો નિયમ-37 એમ કહે છે કે, “કોન્ટ્રેક્ટરે વિના મૂલ્યે માંદગીની સારવાર માટે” તથા “રોગચાળો કે ચેપી રોગ સામે નિવારક પગલાંને પહોંચી વળવા માટે જોગવાઈ” કરવાની રહેશે અને “દવાનો ખર્ચ સાત દિવસમાં કૉન્ટ્રાક્ટરે ભરપાઈ કરી આપવાનો રહેશે.” જો કામદારને કે તેના પરિવારના કોઈ સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તે અંગનો બધો ખર્ચ માલિક કે કૉન્ટ્રાક્ટર ઉઠાવશે તેવી પણ જોગવાઈ છે. કેટલા માલિકોએ કે કૉન્ટ્રાક્ટરોએ આ વ્યવસ્થાઓ તેમના કામદારો માટે કરી?
ગુજરાત સરકારે વિકાસ માટે મજૂરોનું આર્થિક શોષણ થાય તેવાં જે પગલાં ભર્યાં છે તેમાંના કેટલાક આ સાથે જોવા જેવાં છે :
(1) SEZમાં સરકારની મંજૂરી વિના કામદારની છટણી કરી શકાય છે.
(2) મજૂર કાયદાનો ભંગ કરવા બદલ માલિકો સામે ફોજદારી ગુનો દાખલ થતો હતો, પણ 2015માં આ જોગવાઈ કાઢી નખાઈ. આથી માલિકોને મજૂરોનું શોષણ કરવાનો લગભગ પરવાનો મળી ગયો.
(3) ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે તા.31-03-2016ના રોજ એક ઠરાવ બહાર પાડીને એમ કહ્યું છે કે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ માટે પાંચ મજૂર કાયદાની જુદી જુદી કલમોનો અમલ પોતે કરે છે, એવું કારખાના માલિકે જાતે પ્રમાણપત્ર આપવાનું છે. આવું પ્રમાણપત્ર આવી જાય પછી સરકાર વર્ષમાં ગમે ત્યારે એક વાર તપાસ કરશે, એમ પણ આ યોજનામાં કહેવાયું છે. ઈરાદો એ છે કે એક વાર એવું પ્રમાણપત્ર આવે પછી સરકારની ચિંતા પતી. વેપાર કરવાની સરળતા(ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ)માં ગુજરાત આગળ છે તેનું એક કારણ આ પણ છે. વિકાસ કરવા માટે મજૂરોએ આટલો ભોગ તો આપવો જ પડે!
ગુજરાતમાં 2015ના ફેબ્રુઆરીમાં કરાયેલી આ અને આવી બીજી કાનૂની જોગવાઈઓ મજૂરોનું શોષણ કરવા માટે માલિકોને લગભગ છૂટો દોર આપે છે. એટલે સરકાર અને ઉદ્યોગપતિઓ કે ઉદ્યોગસાહસિકો મજૂરોનું શોષણ કરવામાં સાથે મળીને કામ કરે છે તે દેખાઈ આવે છે. ટ્રેનનું ભાડું માલિકોએ કે કૉન્ટ્રાક્ટરોએ આપવાનું છે એવી આંતરરાજ્ય સ્થળાંતરિત કામદાર ધારાની જોગવાઈ એમ જ તો ભારત સરકાર અને ગુજરાત સરકાર ન ભૂલી જાય ને! ટ્રેનનું ભાડું સ્થળાંતરિત મજૂરો પાસેથી વસૂલવાનો નિર્ણય ભારતીય રેલવે અને મોદી સરકારની બેહદ નિર્દયતા અને બેશરમીનો પુરાવો છે. યાદ રહે, જ્યારે ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો ત્યારે વડા પ્રધાન અટલબિહારી વાજપેયી હતા ને રેલવેપ્રધાન મમતા બેનરજી હતાં. તે સમયે મુંબઈથી કચ્છની ટ્રેન મુંબઈમાં રહેતા કચ્છવાસીઓ માટે દોડાવી હતી. આ અપેક્ષા મોદી સરકાર પાસે રાખવાનું જ મુશ્કેલ લાગે છે!
e.mail : hema_nt58@yahoo.in
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 06 મે 2020