વેંચાયેલા લોકો, ના વેંચાયેલા લોકોને દરેક યુગમાં ગાળો આપે છે
મલ્હાર રાગથી કોઇ વરસાદ વરસાવી શકે, દીપક રાગથી દીવા પ્રગટાવી શકે પણ એક ગીતને કારણે કોઇ જેલમાં જતાં બચી શકે? જી હાં, જો એ ગીત 'ખૈયામ'નું હોય તો! 1997નો સમય હતો. મારી લખેલી ફિલ્મ 'રંગીલા' સુપરહિટ થઇ ગયેલી અને નિર્દેશક રામગોપાલવર્મા (રામુ) સાથે હું બીજી ફિલ્મ 'દૌડ' લખી રહ્યો હતો. જો કે 'દૌડ', 'રંગીલા' જેટલી હિટ નહોતી પણ એના મેડ સંવાદો-પાત્રો આજે ય લોકોને યાદ છે! એ 'દૌડ' ફિલ્મનું શૂટીંગ રાજસ્થાનના રણથંભોર જંગલમાં થઇ રહ્યું હતું ને હું ત્યાં પર હાજર હતો. એક દિવસ જંગલની વચ્ચોવચ્ચ ઝરણામાં ઊર્મિલા-સંજય દત્તનું દૃશ્ય ફિલ્માવાઇ રહ્યું હતું. અચાનક બે ત્રણ પોલીસની જીપ અને ફોરેસ્ટ ઓફિસરો આવ્યા અને શુટિંગની પરમિશન અંગે રામુને અને મને પણ પોલિસે હિરાસતમાં લીધો. આગળ પોલીસની જીપ અને પાછળ રામુની કારમાં હું, રામુ અને ફોરેસ્ટ ઓફિસર. થોડીવાર તો અમને ટેંશન થયું પણ પછી મેં કાર સ્ટીરિયો પર 'ઉમરાવ જાન'નાં ગીતો વગાડ્યા. રામુને ઉર્દૂ-હિંદી બહુ આવડે નહીં, એટલે હું ''દિલ ચીઝ ક્યા હૈ, આપ મેરી જાન લીજીયે'' કે પછી ''યે ક્યા જગહ હૈ દોસ્તો ..'' જેવી ગઝલોના શેર રામુને સમજાવી રહ્યો હતો. ગીતોની બંદિશ, એમાં તબલાંની થાપ, આશાજીની મુરકીઓ, સારંગીના શાર્પ ઉપયોગ વિશે હું રામુને કહેવા માંડ્યો. રામુ પણ નિર્માતા તરીકે ઘડી ભર ભૂલી ગયા કે શૂટીંગ અટકવાથી લાખોનું નુકસાન થઇ રહ્યું છે, કલાકારોની તારીખો વેડફાઇ રહી છે, 200 લોકોનું યુનિટ નવરું બેઠું છે! પણ પછી રામુએ ખૈયામના ગીતો અને એ.આર. રહેમાનનાં 'રોજા'નાં ગીતો વચ્ચે સરખામણી શરૂ કરી. મારી ને રામુ વચ્ચે જામી ગઇ.
એ બધામાં 40-50 કિલોમીટરનો રસ્તો કપાઇ ગયો હતો. પેલો ફોરેસ્ટ ઓફિસર અમને બેઉને ચુપચાપ જોઇ રહ્યો હતો. ના તો અમે અમને છોડી દેવા માટે વિનંતિ કરી કે ના તો ફિલ્મના હિરો સંજય દત્તને કહીને એના મિનિસ્ટર પિતા સુનીલ દત્ત દ્વારા, દિલ્લીમાંથી કોઇ પાસે ફોન કરાવ્યો કે ના તો એ ફોરેસ્ટ ઓફિસરને 10-15 હજાર આપીને છૂટી જવાનો પ્રયત્ન કર્યો! આખરે પેલા ફોરેસ્ટ ઓફિસરથી રહેવાયું નહીં ને એણે ડ્રાઇવરને કહ્યું, ‘ઓયે .. ગાડી રોક. મુઝે ઊતરના હૈ.’ મેં પૂછ્યું, ''ક્યા હુઆ, સાબ?’' ત્યારે ફોરેસ્ટ ઓફિસરે ફિક્કું હસીને કહ્યું,''કૈસે પાગલ લોગ હો! તુમ દોનોં કો પુલીસ પકડ કે લે જા રહી હૈ, લાખોં કા નુકસાન હો રહા હૈ ઔર આપ જૈં કિ ઢોલક-તબલે મેં લગે હુએ હો? અબ તુમ કો સઝા ભી ક્યા દેં? સાલે હમ તો ઐસે હી જંગલકી ખાક છાનતે રહેંગે ઝિંદગી ભર, કમ સે કમ આપ લોગ તો મસ્ત રહો અપને પાગલપન મેં. ચલો જાઓ – અપની ફિલ્મ બનાઓ.’’ ફોરેસ્ટ ઓફિસર કારમાંથી ઊતરીને પોલીસ વેનમાં બેસીને જતો રહ્યો. એ દિવસે ખૈયામના 'ઉમરાવ જાન'વાળાં ગીતો જો ના હોત તો ખબર નહીં અજાણ્યાં રાજસ્થાનમાં અમારી સાથે શું થાત! આખી વાતમાં જાદૂ 'ઉમરાવ જાન'નાં સંગીતનો તો છે જ પણ સરકારી નોકરીના રૂટિન-રાગથી કંટાળેલ પેલો દયાળુ ઓફિસર અમારી ઘેલછા જોઇને કેવો હલી ગયો હશે એ વાત મહત્ત્વની છે.
'ઉમરાવ જાન', 'બાઝાર', 'કભી કભી’, 'રઝિયા સુલ્તાન' કે 'નૂરી' જેવી અનેક યાદગાર ફિલ્મોના સંગીતકાર ખૈયામ 92 વર્ષે હમણાં જતા રહ્યાં. થેંક ગોડ કે બીજાઓની જેમ ઉછીની માહિતી પીરસવાની મને પુરસ્કાર વાંચ્છું જરૂરત નથી પણ ખૈયામ વિશે અમુક જાણી-અજાણી વાતો જરૂરર શેર કરવી છે. શંકર-જયકિશન, લક્ષ્મી પ્યારે, કલ્યાણજી આંણંદજી, ઓ.પી. નૈયર, આર.ડી. બર્મનથી લઇને બપ્પી લહરીના જમાના સુધી ખૈયામ પોતાના મખમલી મુલાયમ સંગીત સાથે ટકી ગયા કારણ કે તેઓ બીજા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે લડેલા અને એ લડાકૂ લોહી જ એમને બોલિવુડમાં લડવાની શક્તિ આપતું.
કિતાબો મેં છપતે હૈં ચાહત કે કિસ્સે
હકીકત કી દુનિયા મેં ચાહત નહીં હૈ
(સાહિર – ખૈયામ)
ખૈયામે, 1980-83માં 'ઉમરાવજાન' અને 'બાઝાર' જેવી ફિલ્મોમાં શુદ્ધ ગઝલો આપીને હિટ કરાવી (1980-84 સુધી સળંગ ફિલ્મફેર એવોર્ડ જીત્યા) એ ખરેખર સિદ્ધિ જ કહેવાય કારણ કે 80ના દાયકામાં 'રંભા હો – સંભા હો' ટાઇપનાં ડિસ્કો-ગીતો છવાયેલાં હતાં. બોક્સિંગ રિંગમાં કોઇ મોરપિચ્છ લઈને જીતી જાય એવી અદ્ભુત વાત હતી. એનું કારણ? ખૈયામની કવિતાની ઊંડી સમજ. 50ના દાયકામાં સાહિર નામનો નવો શાયર આવ્યો હતો અને એનો પહેલો સંગ્રહ 'તલ્ખિયાં' લોકપ્રિય થયેલો પણ ''ઉર્દૂ મેં આ ગઇ હૈ 'પસ્તીયાં' બહુત, કહતેં હૈ કિ ચલતી હૈ કિતાબ 'તલ્ખિયાં બહુત'.'' જેવા જોડકણાં બનાવીને વિદ્વાનો સાહિરની મજાક કરતાં. (હા,ત્યારે પણ વાતે વાતે બાઝણાં કરીને કેરીઅર બનાવનારા સ્મોલ ટાઉન વાંકદેખાઓ ઓછા નહોતાં!)
એક દિવસ કૈફી આઝમીના ઘરે સાહિર સામે ખૈયામે 'તલ્ખિયાં'માંથી ''કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ'' અને ''મૈં પલ દો પલ કા શાયર હૂં'' જેવી રચના ગાઈ સંભળાવી ત્યારે સાહિરે ખૈયામને કહ્યું, “લગતા હૈ કિ યે નઝમ મૈંને નહીં આપને હી લિખી હૈ!’' પછી તો સાહિર અને ખૈયામે અનેક ફિલ્મો કરી. આઝાદી બાદ દેશ, બેકારી અને નિરાશાના દૌરમાં હતો, ત્યારે 'ફિર સુબ્હ હોગી' નામની ફિલ્મ માટે હિરો રાજકપૂરે શરત મૂકી કે ફિલ્મનું સંગીત એ જ આપી શકે જેણે દોસ્તોવસ્કીની નવલકથા 'વોર એંડ પીસ' વાંચી હોય! ખૈયામે વાંચી હતી અને ખૈયામને ચાન્સ મળ્યો. એ જમાનામાં 'સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા' લોકપ્રિય હતું પણ લેપ્ટિસ્ટ વિદ્રોહી કવિ સાહિરે 'સારે જહાં સે અચ્છા'નું પ્રતિકાવ્ય ''ચીનો અરબ હમારા, હિંદોસ્તા હમારા, રહને કો ઘર નહીં હૈ સારા જહાં હમારા'' લખ્યું અને ખૈયામે ધૂન બનાવી. પછી સેંસર ર્બોડને અને નિર્માતાઓને પણ લાગ્યું કે ગીત બહુ નિરાશાજનક છે અને માટે બે પોઝિટીવ લાઈનો પણ ઉમેરાવી. એ જ ફિલ્મમાં 'વો સુબ્હ કભી તો આયેગી' ગીતમાં ઉદ્દાત, લિબરલ હિંદુસ્તાનનો અદ્ભુત આશાવાદ છે જે આજે તો હવે અતિ અસંભવ ભાસે છે.
પછી 1975ની આસપાસ કવિ સાહિરની કેરિયર ઢળાણ પર હતી, ત્યારે એમણે યશ ચોપરાને 'કભી કભી' જેવી રોમેંટિક ફિલ્મ માટે ખૈયામનું નામ સૂચવ્યું. સૌએ ના પાડી કે ખૈયામનું મ્યુઝિક હિટ થાય છે, પણ ફિલ્મો ચાલતી નથી! પણ યશજી એ વ્હેમમાં ના પડ્યા અને 'કભી કભી' ગોલ્ડન જ્યુબિલી હીટ થઈ! 'કભી કભી' ગીત સાંભળીને અમિતાભ, જૂહુના બંગલેથી ચાલીને અડધી રાત્રે ખૈયામને ભેટવા ગયેલા એ કિસ્સો પણ ફિલ્મ જગતમાં મશહૂર છે!
ખૈયામ અનોખા સંગીતકાર તો હતા, માણસ પણ એટલા જ સંવેદનશીલ. પોતે મુસ્લિમ, પત્ની શીખ ગાયિકા જગજીતકૌર અને દીકરાનું નામ રાખ્યું પ્રદીપ ! પ્રદીપે સમજણા થતા પૂછ્યું, ''હું હિંદુ ધર્મ પાળું?’' ખૈયામે તરત જ હા પાડી. પ્રદીપ ક્રિસમસને દિવસે જન્મેલો, માટે ખૈયામના ઘરના મંદિરમાં ગુરુબાની, ગીતા, કુરાન સાથે બાઇબલ પણ રાખવામાં આવ્યું – જ્યાં રોજ બે વખતની આરતી થતી અને રાત્રે બાઇબલને ચૂમવામાં આવતું! પછી એ પ્રદીપ ખૈયામ 2012માં નાની વયે ગુજરી ગયો … અને ખૈયામે આખી જિંદગીની બચત રૂ.10 કરોડ, નવા કલાકારો અને ટેક્નીશિયનો માટે 'ખૈયામ જગજીત કૌર ટ્રસ્ટ' બનાવીને સમાજને આપી દીધી. થેંક ગોડ, દેશપ્રેમની ઠાલી વાતો ઓકનારાં, ચવન્ની છાપ લોકો વચ્ચે પણ એકાદ ''ખૈયામ'' ભૂલથી આવી જાય છે!
એંડ ટાઇટલ્સ:
આદમ : સા..રે.ગ..
ઇવ : બ,સ,ક,ર
https://www.facebook.com/sanjay.chhel/posts/10156268906546034