સાવ ખાલી અને બહુ ભરેલું પેટ અવાજ કરે જ! (છેલવાણી)
રોમન સમ્રાટ નીરોના અતિભ્રષ્ટ શાસનમાં લોકો ભૂખે મરતા હતા. ભ્રષ્ટાચારને કારણે જન્મેલ અરાજકતાવાળી હિંસાએ માઝામૂકેલી .. લોકો સડક પર ઊતરી આવીને બ્રેડનાં એક ટુકડા માટે ખૂનામરકી કરતાં હતાં .. આખું શાસનતંત્ર, રાજ્ય લગભગ ખત્મ થઇ ગયેલું. તેવામાં નફફટ નીરો મોટી મોટી પાર્ટીઓ, રથોની રેસ, નગ્નનૃત્યો, સંગીતના જલસા ગોઠવતો અને શહેરનાં મહાનુભાવો, લેખકો, કવિઓ, સમાજશાસ્ત્રીઓ, ચિત્રકારો અને શેઠિયાઓ નીરોનાં દરબારમાં બેશરમીથી જતાં અને આ બધું માણતાં! આવા પ્રજાવિદ્રોહના સમયમાં વહાણવટાનો મંત્રી નીરો પાસે આવ્યો અને કહ્યું, ‘સમ્રાટ, દેશમાં હાલત બહુ ખરાબ છે, અન્નનાં દાણાદાણા માટે લોકો મરી રહ્યાં છે’.
નીરોએ પૂછયું, ‘તો હું શું કરું?’
મંત્રી બોલ્યો, ‘પરદેશથી આયાત બંધ થઇ છે કારણ કે બંદરગાહ પર જહાજોને લૂંટવા લોકો તલવારો લઇને ઉભા છે. એવામાં આપણે માત્ર એક જ વહાણને લાંગરી શકીએ એવી જેમ તેમ મેં વ્યવસ્થા કરી છે. પણ સમસ્યા એ છે કે અત્યારે બે વહાણો કિનારા તરફ આવી રહ્યાં છે. એક વહાણમાં અનાજ છે અને બીજામાં મુલાયમ રેતી. એ રેતી જે ધોડાના રથોની રેસમાં મેદાનમાં પાથરવા માટે તમે મંગાવી છે. તો શું કરું? કોઇ એક જ વહાણને ઉતારી શકાય એમ છે. તો રેતીવાળાં વહાણને આવવા દઉં કે અનાજવાળાં વહાણને?’
નીરો હસ્યો અને કહ્યું ‘બેવકૂફ, તને મંત્રી કોણે બનાવ્યો કે આવો સવાલ પૂછે છે? અનાજનાં વહાણને લાવીને શું કરીશું?’
મંત્રી બોલ્યો, ‘..પણ પ્રજા ભૂખી છે!’
નીરોએ સમજાવ્યું, ‘અરે, પ્રજા ભૂખી છે એટલે અનાજ આપવાનું? ગાંડા, રેતીના વહાણને બોલાવ. એ મુલાયમ રેતીને સ્ટેિડયમમાં પાથરશું. ઘોડાની ખતરનાક રેસ થશે. લોકો હજારોની સંખ્યામાં આવશે. નાચશે કૂદશે. હર્ષોલ્લાસ કરશે અને ભૂખનું દુ:ખ ભૂલી જશે. પ્રજાને આવા તમાશાઓમાં રચ્યાપચ્યા રાખ, બીઝી રાખ!’
નીરો ખંધો રાજકારણી હતો. એ જાણતો હતો કે પ્રજાને અફીણ જોઇએ છે: ઉન્માદનું અફીણ, ઉત્સાહનું અફીણ, દુશ્મનો સામે વિજયનો નશો, નાનીમોટી ઉજવણીનો કૈફ! લોકોની માત્ર ભૂખ દૂર કરવાથી કાંઇ નહીં વળે, પણ એમને સુખની ભ્રાંતિ પણ આપવી પડશે.
આપણે ત્યાં પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં લાચાર ખેડૂતો આંદોલનો ભૂખ હડતાળો કરી રહ્યા હતા, પણ આપણા માટે એની કોઇ ખાસ ન્યૂઝ વેલ્યૂ નહોતી! હમણાં લંડનમાં રમાયેલ ભારત-પાક વન-ડે મેચના નશામાં આપણે ઘડીભર ભૂલી ગયાં સમાજના, દેશના પ્રશ્નોને. આપણાં ઘરોમાં કે હોટેલો કે બિયરબારોમાં ચારેકોર હતો એક રોમાંચ, ભારતમાતા કી જય, ટોળાંઓનાં હાથમાં ધજા, પાક-પ્લેયરો સામે જીતવાની મજા, બીયરની ખાલી બાટલીઓ, ચીખતી પોકારતી પીપૂડીઓ, ચહેરાં પર તિરંગાનાં નિશાનો સ્ટેિડયમની ચિચિયારીઓનાં કોરસગાનમાં આખો દેશ ડૂબી ગયો. હજી થોડા સમય પહેલાં જે પાકિસ્તાની કલાકારો કે ખેલાડીઓને ભારતમાં ના ઘૂસવા દેવા માટે સૌ દેશદાઝ દેખાડતા હતાં એ પાકિસ્તાનીઓની જ સામે રમાતી મેચ સૌ ચૂપચાપ માણી રહ્યાં હતાં!
કારણ? કારણ એ જ જેમ એક સંસ્કૃત સુભાષિત કહે છે કે લોકોને ઉત્સવ, તમાશા ગમે છે! ચેંપિયન ટ્રોફીની સિરીઝ ગઇ, હવે બીજી કોઇ સિરીઝ આવશે, પછી પંદરમી ઓગસ્ટ, પછી ગણેશોત્સવ, પછી નવરાત્રી, દિવાળી, ક્રિસમસ, ઇદ કે સરકારી ખેલાઓનાં અફીણમાં આપણે સૌ મસ્ત થઇ જશું! ખેડૂતની લાચારી હોય તો હોય – આપણે બધું આસાનીથી ભૂલી જઇએ છીએ! અને રાજકારણીઓને આની એ બરોબર ખબર છે. જેમ પેલા નીરોને ખબર હતી કે ભૂખ સાથે સુખનાં આભાસી ફૂડ પેકેટો મૂર્ખ જનતાને કઇ રીતે ફેંકતા રહેવું. ખેલ, ઉત્સવ, સરકારી તમાશાઓને લીધે ‘આપણું રાષ્ટ્ર જ મહાન છે’ એવા ખયાલોની હૂંફાળી બ્લેન્કેટ ઓઢીને આપણે સૌ ૬૮ વરસોથી સૂઇ જવાનું શીખી ગયાં છીએ. ગન અને સ્લોગનથી આપણે ખુશ છીએ!
ઇન્ટરવલ:
ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે,
ખંડેરની ભસ્મકણી ન લાધશે! (ઉમાશંકર જોષી)
મધ્યપ્રદેશના માંદસૌરમાં આદોલન કરતાં ખેડૂત પર પોલિસે ગોળી ચલાવી અને ૪ કે ૬ ખેડૂત ગુજરી ગયા! એક જમાનામાં ભારત ખેતીપ્રધાન દેશ હતો આજે બુલેટપ્રધાન છે! જે ખેડૂત આપણને સૌને કોળિયા ખવડાવે છે એને સરકારો ગોળી ખવડાવે છે! અને મધ્યપ્રદેશની સરકારે કહ્યું એ આંદોલનમાં અસામાજિક તત્ત્વો હતાં! કયા અસામાજિક તત્ત્વને ખેડૂત માટે લડવાની ઇચ્છા થાય એ રિસર્ચનો વિષય છે! શાસકોને કિસાન આંદોલનોમાં હમણાં વિપક્ષની સાઝિશ દેખાય છે કાલે કદાચ પાકિસ્તાનનો હાથ પણ દેખાઇ શકે! હમણાં થોડા સમય પહેલાં સાઉથના ખેડૂતો જંતરમંતર પર માથાનાં વાળ ઉતારીને કે પોતાનું પેશાબ પીને આંદોલન કરી રહ્યા હતા! અન્નદાતા કિસાન, અન્નજળ ત્યાગીને પોતાની જ સરકાર સામે લડે એવા લાચાર કલાઇમેકસની જરૂર શા માટે પડે છે? ક્યારેક ગન તો ક્યારેક સ્લોગનથી આપણે ચૂપ થઇ જઇએ છીએ!
શહેરના સ્વાર્થી મિડલક્સને આ બધાની કોઇ જ પડી નથી. એમને તો માત્ર લાંબા હાઇવે, મોટા ઉદ્યોગો અને સિમેંટ કોંક્રીટનો વિકાસ જ દેખાય છે. ‘ખેડૂતો તો ટેક્સ આપ્યાં વિના લાખો રૂપિયા કમાય છે’ – એવી ભ્રમણાંમાં મોટાભાગના લોકો રહે છે! અમુક સરકારી લેખકો તો ત્યાં સુધી લખવા પર ઊતરી આવ્યાં છે કે ખેડૂતો દારૂની આદત કે ઘરેલુ ઝગડા કે પેમલાપેમલીના પર્સનલ કારણે જ આત્મહત્યા કરે છે! ખેડૂત પરનું દેવું, એમની લાચારી વગેરે તો મીડિયાએ ફેલાવેલી મિથ છે! એવામાં હિંદી કવિ ‘ધૂમિલ’ની એક અજરામર કવિતા યાદ આવે છે-
‘એક આદમી હૈ જો રોટી બેલતા હૈ.
દૂસરા આદમી હૈ જો રોટી સેકતા હૈ.
એક તીસરા આદમી હૈ જો ના રોટી બેલતા હૈ ના હી સેકતા હૈ,
વો રોટી સે ખેલતા હૈ ..
વો તીસરા આદમી કૌન હૈ? મેરે દેશકી સંસદ મૌન હૈ!’
આ દેશની સંસદ એટલે માત્ર રાજકારણીઓ નહીં પણ આપણે સૌ, જેણે અત્યાર સુધીની સરકારો રચી છે!
ગુજરાતી સાહિત્યના ચેખોવ ગણાતા વાર્તાકાર ‘ધૂમકેતૂ’એ એમની પરાધિન ગુજરાત – નામની ઐતિહાસિક નવલકથામાં સુંદર ઘટના લખેલી કે રાજ્યને દુશ્મનોથી બચાવવા એક શૂરવીર ગુર્જર સ્ત્રી પતિની જોડે યુદ્ધમાં ઊતરે છે. રાજ્યનો રાજા મરી જાય છે, એ સ્ત્રીનો પતિ પણ શહીદ થાય છે. દુશ્મનો રાજ્યને કબજે કરી લે છે..પેલી સ્ત્રી તો બચી જાય છે અને એનાં પેટમાં બાળક છે. દુશ્મનોથી એ બાળકને બચાવવાં સ્ત્રી પોતાનું નામ-ઠામ-કામ-વેષ બદલીને જંગલોમાં છૂપાઇને બાળકને મોટું કરે છે. બાળક જ્યારે જુવાન થાય છે ત્યારે માતાને લાગવા માંડે છે કે એના દીકરામાં એક યોદ્ધાનાં સંતાનના હોય એવાં શૂરત્વનાં લક્ષણ નથી રહ્યાં. કદાચ એનાં ઉછેરને લીધે એને એ છોકરાંને એ વાતની જાણ નથી કે એ એક શૂરવીરનું સંતાન છે. એક દિવસ જુવાન દીકરાને ખૂબ આનંદ હસતો ગાતો જોઇને પેલી માતાથી રહેવાતું નથી અને પૂછી બેસે છે: ‘બેટા, તને ક્યારે ય સપનાં આવે છે?’ તો દીકરો કહે છે, ‘હાં, મા સપના તો સૌને આવે, મને ય આવે છે, રોજ રાત્રે આવે છે!’ ત્યારે માતાએ કહ્યું, ‘બેટા, રાતનાં સપનાં નહીં .. દિવસનાં સપનાં આવે છે કે નહિ? એની વાત કરું છું. દિવસે તને કોઇ વખત એમ થાય છે કે હું કોણ છું .. કોણ હોઇશ? મારે કેવો બનવું જોઇએ?’
દીકરાએ પૂછ્યું, ‘એટલે? કોઇને દિવસે સપનાં થોડા આવે? ના મા, મને દિવસે તો કોઇ સ્વપ્નાં નથી આવતા .. દિવસે તો આપણે જાગતાં જ હોઇએ છીએને!’
ત્યારે મા બોલી, ‘બેટા, જેને દિવસે સપનાં નથી આવતા, એવો જુવાન કાંઇ કરી શકતો નથી. જેને દિવસે સપનાં ના આવે એવી જુવાની વૃદ્ધાવસ્થા કરતાં ય વધારે નમાલી સમજવી.’
કદાચ આપણે સૌ ૧૨૦ કરોડ લોકોએ પણ હવે સમાનતાવાળાં સમાજના કે અન્યાય વિનાના વાતાવરણનાં કે આદર્શ લોકશાહીવાળા દેશ વિશે સ્વપ્નો જોવાનાં છોડી દીધાં છે!
એન્ડ ટાઇટલ્સ:
ઇવ: મૂરખ અને વિદ્વાનમાં શું સામાનતા છે?
આદમ: બેઉ એમ જ માને છે કે પોતે બધું જ જાણે છે!
સૌજન્ય : ‘મિજાજ મસ્તી’ નામક લેખકની કોલમ, ‘રવિવારસમય’ પૂર્તિ, “નવગુજરાત સમય”, 11 જૂન 2017