અમારા વિસ્તારનાં લોકો આજથી ઘણુંખરું
રાબેતા મુજબ જીવવા લાગ્યા છે.
ખાસ્સા લોકો કમ્પાઉન્ડમાં ચાલવા નીકળ્યા
ને અમુકે માસ્ક વગર નજીકથી ગપ્પા માર્યા.
અરે ભૂલકાંઓ પણ મન મૂકીને કૉરિડૉરમાં
રોડ સર્ફીંગ બોર્ડથી ને બીજી રીતે રમ્યા.
સજોડે ખરીદી કરવા નહીં જવાની સલાહ
બેપરવાહીથી ફગાવી ધાર્યું જ કરતાં રહ્યાં.
"હવે માસ્ક ના પહેરીએ તો ચાલે
આટલે જ જવું છે, કોણ પકડવાનું છે".
અમુક માસ્ક જરૂર પહેરે છે પણ નાક ઢંકાય
તે રીતે નહીં, એનો કોઈ અર્થ ખરો?
કેટલાંક તો રસ્તે જતાં માસ્ક ઊંચું કરી
ગળફો થૂંકવામાં હજુ કશું ખોટું સમજતા નથી.
ક્વૉરૅન્ટીનમાં હોય તો ય પગમાં ચળ ઊપડે
એવાનાં વાહનની ચાવી જપ્ત કરવી પડે છે.
દુશ્મન અદૃશ્ય છે એ મોટી તકલીફ છે
દૃશ્યમાન હોત તો પરિસ્થિતિ જુદી હોત.
કંકોત્રી મોકલાવ્યાથી નથી ચાલતું, ભાઈ
આ સમાજ અંગત આગ્રહથી ટેવાયેલો છે.
જાહેર સૂચનાઓ એટલે જ કારગર નથી નીવડતી
આ તો એક સાંધોને તેર તૂટે એવો ઘાટ છે.
૯ એપ્રિલ, ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 13 ઍપ્રિલ 2020
![]()


યુવા કવિ ઉમેશ સોલંકી નવલકથાકાર અને કવિ છે. આ અવલોકન લખાઈ રહ્યું છે ત્યારે રેખાચિત્રોનું એમનું પુસ્તક ‘માટી’ પ્રકાશિત થઈ ચૂક્યું છે. ‘ફેરફાર’ નવલકથા બાદ ‘૨૮ પ્રેમકાવ્યો’ એમનું બીજું પુસ્તક છે. પારંપરિક રીતે લખાતાં આવતાં અને એવા નામાભિધાનથી અપેક્ષિત પ્રેમકાવ્યોનો છેદ ઊડાડી દઈને શીર્ષક જેટલું ચોંકાવનારું પુરવાર થાય છે એટલાં જ કાવ્યો ચોંકાવનારાં પુરવાર થાય છે. નથી અહીં પ્રેમની સુંવાળપનું સ્થૂળ આલેખન કે એને વર્ણવતી પુષ્પિતા વાણી. કાવ્યોમાં કવિએ ’ઑબજૅક્ટિવ કૉરીલેટિવ’નો જાણતા-અજાણતા વધતા-ઓછા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. સઘળું કહી દેવાને બદલે ઇંગિત કરે છે અને ભાવકો પર છોડી દે છે. ક્યારેક, એથી ‘કોઠી’ જેવું કાવ્ય કોયડો બની રહે છે.
સૌપ્રથમ તો ફળીભૂત થતા અટકી જતાં પ્રેમના મૂળમાં વર્ણભેદ બતાવી દલિત કવિઓની આગલી પેઢી કરતાં સાવ નોખો અને નવો ચીલો ચાતર્યો છે ઉમેશ સોલંકીએ. આ અગાઉ લખાયેલી દલિત કવિતામાં અને ગદ્યમાં ભારતીય સમાજની જ્ઞાતિપ્રથાના પરિણામે ઉદ્ભવતા બિનદલિત સમાજ દ્વારા થતાં દમન અને શોષણ, તિરસ્કાર અને આભડછેટને જેટલા વણી લેવાયાં છે એટલી હદે દલિત સમુદાયમાં પ્રવર્તતા જાતિભેદને આલેખવામાં આવ્યો નથી. દલિત ગદ્યમાં જ્ઞાતિપ્રથાના પરિણામે દલિત મહિલા પર આચરવામાં આવતાં યૌન શોષણનું પણ આલેખન થયેલું છે પરંતુ આંતરજાતીય અને આંતરપેટાજાતીય પ્રેમ કે લગ્નના મુદ્દાને સ્પર્ષવામાં આવ્યો નથી.
દલિત સાહિત્ય સમાજ અને સામાજિક વ્યવસ્થા સાથે ગાઢ નિસ્બત ધરાવે છે. અશ્વેત સાહિત્યની માફક દલિત સાહિત્યને એટલે જ સાંસ્કૃતિક ચળવળ કહેવામાં આવે છે. ભેદભાવથી ખદબદતો સમાજ બીમાર હોય છે. બીમાર સમાજની નાડી તપાસી, નિદાન કરી, સામાજિક વ્યાધિઓનો ઉપચાર કરવા માટે, એટલે કે સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિ-જાતિ (જાતિ-પેટાજાતિ) આધારિત ભેદભાવને નેસ્તનાબૂદ કરવાનો દલિત યુવા કવિનો નિર્ધાર આ કાવ્યસંગ્રહમાં પ્રબળ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે એ ખૂબ આવકારદાયક છે. કવિ ઉમેશને આ બદલ અભિનંદન!