એક ભાષામાંથી બીજી ભાષામાં સાહિત્ય સહિત તમામ જ્ઞાનશાખાઓ વચ્ચે આદાન-પ્રદાનને અનુવાદ થકી માનવસંસ્કૃિતને સમૃદ્ધ બનાવવાનું અતિ મહત્ત્વનું અને અતિ કઠિન કર્મ અનુવાદકો સદીઓથી ખૂબ ખંતપૂર્વક કરતા આવ્યા છે. આ તમામ પ્રક્રિયામાં અનુવાદકો એક ભાષામાં કેદ/સીમિત ગ્રંથને આઝાદ કરી બીજી ભાષામાં તેનું પુનરુત્થાન કરે છે. આમ, અનુવાદ ભાષાસમાજો અને સંસ્કૃિતઓ વચ્ચેનો અમૂલ્ય સેતુ છે અને અનુવાદકો એ સેતુને બાંધવાનું ભગીરથ કાર્ય કરે છે. કોઈ પણ દેશ/પ્રદેશ પોતાનો ઇતિહાસ તપાસશે, તો આ બાબત પુરવાર થયા વિના નહીં રહે. અનુવાદોના પરિણામે માનસિક ક્ષિતિજોનો ઉઘાડ થાય છે, પોતાના સિવાયના સમાજોમાં કેવું સાહિત્ય/જ્ઞાન સર્જાય છે, તે જાણવા મળે છે અને સૌથી અગત્યનું કે પોતાના સમાજના સાહિત્ય/જ્ઞાનવારસાને બીજા સુધી પહોંચાડી શકાય છે. બીજા ભાષાસમાજોમાંથી પોતાના ભાષાસમાજમાં અને પોતાના ભાષાસમાજમાંથી અન્ય ભાષાસમાજ વચ્ચેના અનુવાદોની માત્રા થકી જે-તે ભાષાસમાજનું આદાન-પ્રદાન કરવાનું વલણ માપી શકાય છે.
અનુવાદનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે અને તેના અનેક પ્રકારો/શાખાઓ છે. મુખ્યત્વે અનુવાદ બે ભાગમાં વહેંચી શકાય : સાહિત્યિક અને બિનસાહિત્યિક. વળી, બન્નેમાં કેટલા ય પેટા વિભાગો છે, જે મુજબ અલગ-અલગ પ્રકારની સંવેદનશીલતા અને સજ્જતાની જરૂર પડે છે. સાહિત્યિક અનુવાદમાં કવિતાનો અનુવાદ વાર્તાના અનુવાદ કરતાં જુદી કુશળતા માગી લે છે. બિનસાહિત્યિક અનુવાદમાં સમાજશાસ્ત્રના પુસ્તક માટે જોઈએ, એના કરતાં જુદી સજ્જતા કાનૂની પુસ્તકના અનુવાદ માટે જરૂરી હોય છે. આ વાત લોકોને સમજાતી નથી, એટલે જાણે કે તમે ‘અનુવાદક’ છો, તો કુંડલિનીને લગતાં પુસ્તકનો અનુવાદ કરી આપવાનું કહે પણ સમજે નહીં કે આવું પુસ્તક હાથમાં લેતાં અનુવાદક યા તો બિનસાહિત્યિક અનુવાદ કરતા જ ના હોય અથવા આવા વિષયના જાણકાર ના હોય અને સૌથી મહત્ત્વનું કે એમને આવા વિષયમાં રુચિ ના હોય.
વળી, આ તો અનુવાદક્ષેત્રને લગતી ગુજરાતમાં છવાયેલી અજ્ઞાનતાની હિમશીલાની ટોચ જેટલી જ ઝલક માત્ર છે. અનુવાદ વિશે જોઈએ તેટલી જાગૃતિ ગુજરાતમાં પ્રવર્તતી નથી. અને ના તો આ વ્યાવસાયિક નિપુણતાની કદર છે. આ વિશે વિગતવાર લખવા બેસીએ, તો પુસ્તકોનાં પુસ્તકો લખાય. પ્રસ્તુત લેખનો હેતુ, ખાસ કરીને ગુજરાતમાં થતી અનુવાદકોની અવહેલના વિશે વાત કરવાનો છે.
હાડકાંની બીમારી હોય, તો આંખના સ્પેશ્યાલિસ્ટ પાસે ના જવાય એવું સમજાય પણ અનુવાદકોમાં પણ એવું હોય એ વાત ગળે ના ઊતરે. અને અનુવાદકને નાણાં ચૂકવવા જોઈએ, ચૂકવવા પડે, એની તો વાત જ ક્યાં? વકીલ પાસે કે ડૉક્ટર પાસે ‘ઍપોઇન્ટમૅન્ટ’ લીધા વગર કે ‘ચાર્જ’ ચૂકવ્યા વગર જેમ જવાનો વિચાર પણ ન કરાય એમ અનુવાદક પણ વ્યાવસાયિક છે, તે યાદ રાખવું જોઈએ. અુનવાદકોનો એક આખો વર્ગ એવો છે (કમર્શિયલ અનુવાદકો) જે સંપૂર્ણપણે વ્યાપારી ધોરણે કાર્ય કરે છે અને નાણાંની ચોખ્ખી વાત, એડવાન્સ પૅમેન્ટ સહિત, કર્યા સિવાય કામ હાથમાં લેતા નથી. એવા પણ અનુવાદકો છે, જે કોઈને પુસ્તક કે થીસિસ નાણાં લઈને (‘ઘોસ્ટ ટ્રાન્સલેટર’) અનુવાદ કરી આપતા હોય છે પણ એ અનુવાદકોની જમાત સાવ જુદી છે. આવા અનુવાદકો માટે અંગત રુચિ કે નૈતિક સિદ્ધાંત કે આવા અનુવાદથી સમાજને થતાં સામાજિક-સાંસ્કૃિતક લાભ કે નુકસાન જેવી બાબતો ગૌણ હોય છે.
ગંભીર અથવા તો સાચા અને સારા અનુવાદો સંદર્ભે આપણે જાણીએ જ છીએ કે ગુજરાતમાં જરૂરી પ્રોત્સાહન મળે તેવા પ્રયત્ન હજુ થવાના બાકી છે. જે થાય છે તે છૂટાછવાયા પ્રયાસો છે અને વ્યક્તિગત ધોરણે થાય છે. સંસ્થાકીય ધોરણે ખાસ કંઈ થતું નથી. આ ક્ષેત્રમાં એટલી તો આંટીઘૂંટીઓ છે કે ના પૂછો વાત. લેખકો કરતાં અનુવાદકો ઊતરતા, અનુવાદ કરવો એ બચ્ચાંનો ખેલ છે, અનુવાદકોને ક્યાં કોઈ મહેનત પડે છે? અનુદિત પુસ્તકના મુખપૃષ્ઠ પરથી, પુસ્તક-વિમોચનના કાર્યક્રમની આમંત્રણ-પત્રિકા તથા કાર્યક્રમ દરમિયાન અનુવાદકોનાં નામની બાદબાકી એ જાણીબુઝીને કરવામાં આવતું અનુવાદકનું શોષણ, હાંસિયાકરણ નથી, તો શું છે? અચાનક કોઈ પરિચિત કે અપરિચિત લેખકનો ફોન આવે અને સમય છે કે નહીં, ઇચ્છા છે કે નહીં, એની દરકાર કર્યા વગર (નાણાકીય વ્યવહારનો તો ઉલ્લેખમાત્ર નહિ) તમે એમના પગારદાર હોવ એવા ઠસ્સાથી એકાદ વાર્તા કે બે-પાંચ કવિતા કે એકાદ એકાંકીનો અને ક્યારેક તો આખા સંગ્રહનો અનુવાદ કરી નાંખવાનું કહી દે. ત્યાર બાદ કૃતિ પ્રકાશિત થાય, તો જણાવે પણ નહીં, નકલ આપવાનો તો વિવેક જ નહીં. એવા પણ કિસ્સા બન્યા છે, જ્યારે કવિના નામ સાથે એ નામ ઘેર-ઘેર બોલાતું નામ છે, એવી નોંધ હોય ને અનુવાદક તરીકે મારું નામ ગાયબ હોય! બચાવમાં લેખક મહાશય દલીલ એવી કરે કે અનુવાદકનું નામ લખીને મોકલાવેલું પણ શું ખબર કેમ છપાયું નહીં. મારી ભૂલ એટલી કે ફલાણા રાજ્યના એક સામયિકમાં મોકલવા અંગ્રેજી અનુવાદ જોઈએ છે તો કરી આપોને એવી લેખક મહાશયની માંગણીને સાવ સાલસતા અને સજ્જનતાથી સ્વીકારતા પહેલાં જરૂરી તકેદારી લીધી ન હોય. અનુવાદક તરીકેના બે દાયકા ઉપરનાં મારા કાર્ય દરમિયાન આ મારો જાતઅનુભવ રહેલો છે, તેથી આવી ચેષ્ટાઓના પુરાવા પણ છે. કહેવાતા સુસંસ્કૃત સમાજ અને સાહિત્યજગત તરફથી આવા અનેક દુઃખદ અનુભવો થવાને કારણે નર્યા સેવાભાવથી અનુવાદ કરી આપવાની ઇચ્છા જાણે મૂર્ખતા લાગે છે.
હાલ ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ માટે સાહિત્યિક અનુવાદોનું સંપાદન કરતા સુશ્રી મીની ક્રિષ્નન (સંપાદનકાર્ય ઉપરાંત દાયકાઓથી તેઓ અનુવાદ અને અનુવાદકોને લગતાં વિવિધ નૈતિક, કાનૂની, સાંસ્કૃિતક, વગેરે પાસાંઓ/સમસ્યાઓ/જોખમો અંગે મોટા ભાગે ‘ધ હિન્દુ’માં એકધાર્યું લખીને વાચકો, લેખકો, પ્રકાશકો, સાહિત્યિક સંસ્થાઓને શિક્ષિત-દીક્ષિત કરવાનું અજોડ કાર્ય કરી રહ્યાં છે.) એમના એક લેખમાંથી નીચે આપેલાં મારા અનુવાદ દ્વારા સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં પરિસ્થિતિ આથી જુદી નથી :
“બહુ પૈસા ના લેતા હોય એવા કોઈ અનુવાદકને જાણો છો? કામ બહુ નથી . . . માત્ર ૫૦ પાનાં છે. મારે ત્રણ દિવસમાં જોઈએ છે.” અવાજમાં બેદરકારી, ઊડતી હવા જેવી દરખાસ્ત, ‘જૉબ-વર્ક’ હાથમાં લેતાં અનુવાદકને પડનારા અથાગ શ્રમ પ્રત્યે લગીરે ય માન કે દરકાર વિના. કારણ કે આ કાર્યને આ રીતે જોવાય છે. ભલે તે સાહિત્ય કે કવિતા ન હોય, માનવજાતે શોધેલા સૌથી થકવી દેનારા વ્યાયામમાંનું એક છે, જેમાં મગજના એક ભાગમાંથી બીજા ભાગમાં ઊર્જા-સ્થળાંતરનો ઉતાર-ચઢાવ એમાં થતો હોય છે. અજ્ઞાનતા પર આધારિત આ માનભંગનો અંત આણવા હું કટિબદ્ધ છું.”
૨૪મી ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ અનુવાદક તરીકે મને થયેલા એક માઠા અનુભવે છેવટે મારી આંખ ખોલી નાખી અને મને કડવું સત્ય સમજાયું છે કે સાંપ્રત સંજોગોમાં અનુવાદકો પોતાનું મૂલ્ય નહીં કરે, પોતાના હક પ્રત્યે સભાન નહીં રહે, વ્યવહારું નહીં બને, તો અનુવાદક દાક્ષિણ્ય ન ધરાવતા સમાજમાં અવહેલના જ વહોરવાની આવશે. પણ સૌથી અગત્યની બાબત કે ગાંધીજીએ કહ્યું છે તેમ – વિશ્વમાં જે બદલાવ આપણે ઇચ્છીએ છીએ, તે બદલાવ આપણે પોતે બનવું જોઈએ, એ શિખામણને ધ્યાનમાં રાખીને આવનારા અનુવાદકો માટે માર્ગ સુલભ બનાવવા સંઘર્ષ કરીને સકારાત્મક ઝુંબેશ ઉપાડવાનો નિર્ણય કર્યો છે. જોગાનુજોગ એ જ ગાળામાં PEN Internationalનો ન્યુઝલેટર ઇ-મેઇલથી મળ્યો. આ સંસ્થાને આવું પગલું લેવાની ફરજ પડી, એટલી અધૂરપ વિશ્વભરમાં આ ક્ષેત્રે પ્રવર્તે છે, તેનો ગુજરાતી વાંચકોને ખ્યાલ આવે તે હેતુથી નીચે ગુજરાતી અનુવાદ આપું છું :
સાહિત્યિક અનુવાદ અને અનુવાદકો અંગેનું PEN International ક્યુબૅક જાહેરનામું (શૅરી સાયમનનાં અંગ્રેજી અનુવાદ પરથી)
ઑકટૉબર, ૨૦૧૫માં મળેલી PEN Internationalની ૮૧મી કૉંગ્રેસમાં હાજર પ્રતિનિધિઓએ, PEN ક્યુબૅકની પહેલથી પ્રેરિત, PEN Internationalની અનુવાદ અને ભાષાકીય હક સમિતિ દ્વારા સમર્થન કરેલા ‘સાહિત્યિક અનુવાદ અને અનુવાદકો અંગેનું ક્યુબૅક જાહેરનામું’ સ્વીકાર્યું છે.
નીચે દર્શાવેલા દસ્તાવેજોમાં આલેખાયેલા સિદ્ધાંતો પર ક્યુબૅક જાહેરનામા આધારિત છે : ‘સાહિત્યિક અને કલાત્મક કૃતિઓના રક્ષણ માટેનું બર્ન-કન્વેન્શન (૧૮૮૬-૧૯૭૯)’, ‘યુનિવર્સલ કૉપીરાઇટ કન્વેન્શન (૧૯૫૨)’, ‘અનુવાદકો તથા અુનવાદોના કાયદાકીય રક્ષણ અંગેની અને અનુવાદકોનો દરજ્જો સુધારવાનાં વાસ્તવિક માધ્યમો અંગેની ભલામણો (૧૯૭૬)’. જાહેરનામાનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી ક્યુબૅકની લવેલ યુનિવર્સિટીના લૂઈ જોલીકુઅર, મોન્ટ્રિયલની કૉનકૉરડ્યા યુનિવર્સિટીના શૅરી સાયમન અને PENના ક્યુબૅક કેન્દ્રના પ્રમુખ ઍમિલી માર્ટલને સોંપવામાં આવી હતી, જેમાં ન્યુયૉર્કની કૉલમ્બિયા યુનિવર્સિટીની બરુચ કૉલેજના એસ્થર ઍલન, મોન્ટૃિયલની કૉનકૉરડ્યા યુનિવર્સિટીના હ્યુ હેઝલટન અને યુનિવર્સિટી ઑફ બરગેમોના ફૅબ્યો સ્કોટોએ પણ યોગદાન આપ્યું હતું.
સિમોના સ્ક્રેબૅકના વડપણ હેઠળની અનુવાદ અને ભાષાકીય હક સમિતિ સાથે સંકળાયેલાં PEN કેન્દ્રોને ક્યુબૅક જાહેરનામાનો પ્રાથમિક મુસદ્દો સુપ્રત કરવામાં આવ્યો હતો. PEN કેન્દ્રોના પ્રતિનિધિઓને જાહેરનામાનાં વિવિધ પાસાંઓ પર ચર્ચા કરવાનો મોકો આપવામાં આવ્યો હતો, જેના આધારે સમિતિની બે સભાઓ દરમિયાન ફ્રેંચ, અંગ્રેજી અને સ્પૅનિશ ભાષાઓમાં આખરી મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. પ્રથમ સભા એપ્રિલ ૨૦૧૫માં બાર્સેલોનામાં ભરાઈ અને બીજી સભા ઑક્ટોબર, ૨૦૧૫માં ક્યુબૅક શહેરમાં ૮૧મી PEN કૉંગ્રેસ દરમિયાન ભરાઈ. વિશ્વભરમાંથી ૫૦થી વધુ પ્રતિનિધિઓએ ચર્ચામાં ભાગ લઈને પોતાના દેશો તથા પ્રાંતોની સાહિત્ય અને ભાષાકીય વાસ્તવિકતાનું ઝીણવટભર્યું જ્ઞાન પૂરું પાડ્યું હતું.
બહોળા ફલક પરની સલાહમસલતની આવી પ્રક્રિયા બાદ સાહિત્યિક અનુવાદ સંદર્ભે PEN International જે સિદ્ધાંતો અને લક્ષ્યોને પ્રોત્સાહન આપવા માગે છે, તેનો છ મુદ્દાનો સંક્ષિપ્ત મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. આ સિદ્ધાંતોમાં તમામ સંસ્કૃિતઓ અને ભાષાઓનું ગૌરવ વધારવામાં અનુવાદનું મહત્ત્વ, આ કાર્યમાં જોડાવવા માટે જરૂરી પરિસ્થિતિ અંગે ધ્યાન દોરવું અને સૌથી અગત્યનું, પ્રત્યાયન શક્ય બનાવતી વ્યક્તિઓને એટલે કે સાહિત્યિક અનુવાદકોના રક્ષણને મહત્ત્વ આપવું.
૧૫ ઑક્ટોબર, ૨૦૧૫ના દિવસે ક્યુબૅક જાહેરનામાને PEN Internationalએ સર્વસંમતિથી બહાલી આપી. ક્યુબૅક કૉંગ્રેસ દરમિયાન ફ્રેંચ, અંગ્રેજી અને સ્પૅનિશ ભાષાઓમાં મુસદ્દાને આખરી ઓપ આપવામાં આવ્યા અને બાકી બધા અનુવાદો PEN-કેન્દ્રો અને તેમના ટેકેદારો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં વધુ ભાષાઓમાં આ જાહેરનામું વંચાય તેની ખાતરી કરવાનો અમારો હેતુ છે અને અમને આશા છે કે બીજી સંસ્થાઓ અને સંગઠનો આ સિદ્ધાંતોને અપનાવશે અને તેનું રક્ષણ અને પ્રચાર-પ્રસાર કરવામાં અમને સહયોગ આપશે. ક્યુબૅક જાહેરનામું PEN Internationalની સાહિત્યિક સર્જનાત્મકતા અને સંસ્કૃિતઓ વચ્ચે અનુસંધાન સંબંધી વ્યાપક વ્યૂહરચનાનો હિસ્સો છે.
સાહિત્યિક અનુવાદ અને અનુવાદકો અંગેનું ક્યુબૅક જાહેરનામું
૧. સાહિત્યિક અનુવાદ જોશ-જુસ્સામય કળા છે. મોકળાશનાં મૂલ્યોને પ્રોત્સાહિત કરતું, શાંતિ અને સ્વતંત્રતા માટે પ્રયત્નશીલ અને અન્યાય, અસહિષ્ણુતા તથા પ્રકાશન-નિયંત્રણનો વિરોધ કરતું અનુવાદવિશ્વ સંવાદને આહ્વાન આપે છે.
૨. અનુવાદના સંદર્ભમાં તમામ સંસ્કૃિતઓ સમાન નથી. અમુક સંસ્કૃિતઓ મરજીથી અનુવાદ કરે છે, તો અમુક ફરજથી કરે છે. અનુવાદ એ ભાષાઓ અને સંસ્કૃિતઓની રક્ષણની ચાવી છે.
૩. મૂળ લેખકો અને કૃતિઓ પ્રત્યે માન દાખવતા, અનુવાદકો પોતે સર્જકો છે. તેમનો આશય માત્ર સાહિત્યિક કૃતિને પુનઃપ્રસ્તુિત જ નહીં, પરંતુ તેને આગળ ધપાવવી, વિશ્વમાં તેની હાજરીનો પ્રસાર કરવાનો હોય છે. અનુવાદકો માત્ર સંદેશાવાહકો નથી હોતા : બીજાનો અવાજ બનતાં હોવા છતાં, તેમનો અવાજ તેમનો પોતાનો હોય છે. ખાસ કરીને, તેઓ હાંસિયાકૃત લેખકો, સાહિત્યિક શૈલીઓ અને સામાજિક જૂથોને વફાદાર રહીને સાંસ્કૃિતક વિવિધતાની તરફેણમાં કાર્ય કરે છે.
૪. અનુવાદકોનાં હકોનું રક્ષણ અનિવાર્ય છે. સરકારો, પ્રકાશકો, પ્રચાર-પ્રસાર-માધ્યમો, નિયોજકો – તમામે અનુવાદકોના દરજ્જા તથા જરૂરિયાતોનું સન્માન કરવું જોઈએ, તેમના નામને પ્રાધાન્ય આપવું જોઈએ અને ન્યાયોચિત પુરસ્કાર તથા તેમનું સન્માન સચવાય એવી કાર્ય કરવાની પરિસ્થિતિની (પ્રિન્ટ અને ડિજિટલ માધ્યમોના તમામ પ્રકારોમાં) ખાતરી આપવી જોઈએ.
૫. અનુવાદકોની દૈહિક સલામતી અને વાણી-સ્વતંત્રતાની સતત ખાતરી કરવી જોઈએ.
૬. વિશિષ્ટ કુશળતા અને જ્ઞાન ધરાવતા સર્જનાત્મક લેખકો તરીકે અનુવાદકોનું સન્માન જાળવવું જોઈએ અને તેમના કાર્યને લગતા તમામ પ્રશ્નો અંગે તેમનો સંપર્ક કરવો જોઈએ.
(નોંધઃ આપણા રાજ્યમાં સાહિત્યિક અનુવાદકોનાં બૌદ્ધિક-આર્થિક-માનવીય શોષણ નિવારવા, તેમનું હાંસિયાકરણ અટકાવવા, સંબંધિત વ્યક્તિઓ-સંસ્થાઓને આ ક્ષેત્ર અંગે ઉજાગર કરવા, સંવેદનશીલ બનાવવા, આ ક્ષેત્રમાં પ્રોફેશનલ અભિગમ ઊભો કરવાના હેતુથી PEN Internationalના The Quebec Declaration on Literary Translation and Translatorsનો અનુવાદ કરેલ છે.)
e.mail : rupaleeburke@yahoo.co.in
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ. 18-19