આપણે મૂંગા અને વિભાજિત રહીશું, તો આપણી નિષ્ફળતાઓનો ભોગ આવી બીજી અનેક ગૌરીઓ બનતી રહેશે
મુંબઈ માટે 1993નું વર્ષ ભારે ભયાનક વીત્યું: બાબરી ધ્વંસ પછી થયેલા રમખાણોની પાછળ ગમખ્વાર બોમ્બ બ્લાસ્ટ પણ થયા. એ વર્ષે કદાચ સૌથી ઓછી જાણીતી ઘટના બની હોય, તો તે હતી કે શિવસેના દ્વારા અમુક પત્રકારો પર હુમલા કરીને તેમને ઑફિસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તેની સામે મૂકપ્રેક્ષક બનીને બેઠા રહેવાના બદલે મુંબઈના પત્રકારોએ સારી હિંમત દર્શાવી અને એકજૂથ થઈને શિવસેનાના મુખ્યાલયની સામે ધરણાં કર્યાં. તેમાં રાષ્ટ્રીય કક્ષાના કેટલાક તંત્રીઓ પણ જોડાયા, જ્યારે જેઓ આ ધરણાંમાં ન જોડાયા એવા લોકોને સત્તાધીશો દ્વારા ખૂબ સારા શિરપાવ પણ આપવામાં આવ્યા (તેમાંના કેટલાક પછીથી સેના કે ભાજપના સાંસદ પણ બન્યા). આમ છતાં, અનેક અનામી રિપોર્ટર્સ, તમામ વૈચારિક મતભેદોને બાજુ પર મૂકીને સેનાસુપ્રીમો બાલ ઠાકરે અને તેમના કાર્યકરોના હુમલા કે ધાકધમકીઓથી ડર્યા વિના દૃઢતાપૂર્વક ઊભા રહ્યા.
પત્રકારો દ્વારા એ સમયે દર્શાવવામાં આવેલી એકતાથી તદ્દન સામા છેડે પત્રકારોમાં થયેલા ભાગલા આજે સપાટી પર આવી ગયા છે — ખાસ કરીને પત્રકાર અને એક્ટિવિસ્ટ ગૌરી લંકેશની હત્યા પછી. આ એવી વાત છે જાણે સમાજમાં ખેંચાયેલી યુદ્ધરેખા હવે પત્રકારોમાં પણ પ્રતિબિંબિત થઈ રહી છે: ડાબેરી વિરુદ્ધ જમણેરી, હિન્દુત્વ વિરુદ્ધ બિનસાંપ્રદાયિકો, મુક્ત વિચારકો વિરુદ્ધ સંઘીઓ, ઉપરાંત, ‘નેશનલિસ્ટ્સ’ વિરુદ્ધ ‘એન્ટિ-નેશનલ્સ’. આ એવું લાગે છે જાણે નિરપેક્ષ વ્યક્તિગત રાજકીય એજન્ડાના પ્રભાવમાં ન આવી રહ્યું હોય! ગૌરીનું મોત દુ:ખદ અને અંદરથી હચમચાવનારી ઘટના છે, પણ બીજી તરફ તેમના ટેકેદારોની કેટલીક વર્તણૂકો સામે આંગળી ચીંધવા સમાન છે. એક ન્યૂઝ ચેનલ ગૌરીની હત્યા નક્સલવાદીઓનું કાવતરું ગણાવે છે, તો બીજી જમણેરી હિન્દુવાદીઓના કૃત્ય તરીકે દર્શાવે છે. દેશની એક અસુરક્ષિત મહિલા નાગરિક માટે સાથે મળીને ન્યાય માગવાની આ ઘટના એકબીજા સામે આંગળી ચીંધવાનો અને ‘બીજાના’ ચરિત્રહનનનો મુદ્દો બની ગઈ છે.
ગયા અઠવાડિયે પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા અને અન્ય મીડિયા સમૂહો દ્વારા તેની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે મોટા ભાગના જમણેરી વિચારધારાવાળા પત્રકારોએ તેનાથી દૂર રહેવાનું પસંદ કર્યું. એટલું જ નહીં, જે રાજકારણીઓ પોતાનો શોક વ્યક્ત કરવા આવ્યા હતા, તેઓ પણ ડાબેરી પક્ષોના હતા. આયોજકો દ્વારા આ સભા જાહેર હોવા છતાં સત્તાધારી ભાજપ જૂથમાંથી કોઈ પણ હાજર રહ્યું નહોતું. જ્યારે એક ‘રાષ્ટ્રવાદી’ ચેનલના પત્રકાર દ્વારા બાઇટ લેવાનો પ્રયત્ન કરાયો, ત્યારે પણ ડાબેરી કાર્યકરોએ તેનાથી દૂર રહેવાનું જ સ્વીકાર્યું. પત્રકારોને વિવિધ ચોકામાં રહેવા માટે ધકેલવામાં આવતા હતા, પોતાનો મત વ્યક્ત કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવતું હતું, જ્યારે ખરેખર કરવા જેવું કામ એક જ હતું: એક થઈને ક્રૂર તાકાતોની સામે ઍક્શન લેવાનો અવાજ ઉઠાવવાનો હતો.
હા, એ હકીકત છે કે ગૌરી ડાબેરી રાજકીય વિચારધારા ધરાવતી હતી અને હિન્દુત્વના રાજકારણની સખત ટીકાકાર હતી. પરંતુ જ્યારે એક સ્ત્રીને આવી સંવેદનહીનતાથી નિશાન બનાવવામાં આવે, ત્યારે તે કઈ રાજકીય વિચારધારાને અનુસરતી એ બાબત તદ્દન ગૌણ બની જાય છે. અને કદાચ તે સંઘ પરિવારની આકરી ટીકાકાર હતી, તો શું તેનાથી રાષ્ટ્રવિરોધી બની જાય છે? અથવા મીડિયાનો એક હિસ્સો એટલો નિયંત્રિત થઈ ગયો છે કે રોજ રાત્રે પ્રાઇમ ટાઇમ ટેલિવિઝન શોમાં બરાડા પાડીને રાષ્ટ્રવાદની વ્યાખ્યા કરે છે, શું તેઓ સાચા-ખોટા વચ્ચેનું પ્રમાણભાન ભૂલી ગયા છે કે આપણી જ એક સહપત્રકારના બચાવમાં અવાજ ઉઠાવવા માટે આપણે અક્ષમ થઈ ગયા છીએ? શામાટે અમુક ચેનલો આવો મુદ્દો ઉઠાવવાના બદલે જાણીબૂઝીને આ મુદ્દાને પડતો મૂકવાનું પસંદ કરી રહી છે?
ખેદજનક કહી શકાય કે, સૈદ્ધાંતિક નાદારી નોંધાવી ચૂકેલા, ‘આપણા’ વિરુદ્ધ ‘તેમના’માં માનનારા રાજકીય વર્ગો દ્વારા મીડિયા દોરવાઈ રહ્યું છે: આ જાણે ધિક્કારનું એક સુઆયોજિત ષડયંત્ર છે, જે અસહિષ્ણુતા અને વિરોધી મત દ્વારા સતત દુશ્મનો ઊભા કરતું રહે છે તેમ જ તેમને નિશાન બનાવતું રહે છે — ટીવી પર નહીં, તો સોશિયલ મીડિયા પર અને છેલ્લે રસ્તા પર. જો તમે સરકારના ટીકાકાર છો, તો તમે ‘પેઇડ’ અથવા ‘પ્રેસિટ્યુટ’ કહેવાઓ છો અને જો તમે ભાજપના ટેકેદાર છો, તો તમને ‘ભક્ત’ ગણાવવામાં આવે છે. આ કડવાશભર્યા બનતા જતા વાતાવરણમાં સ્વતંત્ર રીતે સત્ય સાથે તાલ મેળવવાની શક્યતાઓ ઝડપથી નાબૂદ થઈ રહી છે. સત્તાધીશોના ચીયરલીડર્સ માટે ગૌરી એક ‘પ્રેસિટ્યુટ’ હતી — એક એવી વ્યક્તિ જેની ડાબેરી રાજકીય વિચારધારાને કારણે તેને ઉતારી પાડવી જોઈએ. નક્સલવાદીઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતી એટલે તે દ્રોહી હતી. આ એવું છે, જાણે ભાજપના એક સાંસદે એક જાણીતી લેખિકાને તેના કાશ્મીરને લગતા વિચાર વ્યક્ત કરવા બદલ જીપ સાથેબાંધી દેવાનું જાહેરમાં કહ્યું હતું. કોઈ પણ પ્રકારની ઉદ્દંડતાને યોગ્ય ઠેરવવી એ કોઈ ટોળાને પ્રોત્સાહન આપવા સમાન છે.
ગૌરી એક એવી પત્રકાર હતી, જે પોતાની ઇચ્છા મુજબ લખતી અને કદાચ એટલે જ તેના પર હુમલો કરવાનું વધારે સરળ બન્યું. અંગ્રેજીભાષી પત્રકારો પણ અમુક અંશે તેમના મર્યાદિત વિશ્વના કોશેટામાં બંધાયેલા છે, જ્યારે તેનાથી ઉલટા, પ્રાદેશિકભાષી પત્રકારો પાયાની હકીકતો સાથે જોડાયેલા હોય છે અને વધારે લોકો સુધી પહોંચી શકે છે. મીડિયામાં એક એવું નાનકડું જૂથ છે, જે પ્રાદેશિક સ્તરે ડાબેરી પત્રકારો ધરાવે છે, તેમને વધારે ધમકીઓ મળતી રહે છે, પણ તેમના પર થતા હુમલાઓના સમાચારો ક્યારેક જ મથાળામાં ચમકે છે. જ્યારે બિહાર કે ઉત્તર પ્રદેશના છેવાડાના ગામડામાં કોઈ પત્રકારને નિશાન બનાવવામાં આવે છે અથવા અરુણાચલમાં તે ગોળીનો શિકાર બને છે, ત્યારે તેમને તાત્કાલિક મળવું જોઈએ એટલું મહત્ત્વ મળતું નથી.
ગૌરી એક હાઇપ્રોફાઇલ દ્વિભાષી પત્રકાર હતી, જેણે અંગ્રેજી અને કન્નડ ભાષાના સીમાડાઓ તોડ્યા હતા. એ અર્થમાં તેનું મૃત્યુ આદર્શ રીતે એક મહત્ત્વના વળાંકરૂપ સાબિત થવું જોઈએ. મીડિયામાં રહેવા છતાં અને સારા હેતુઓ છતાં આપણે એટલી અસરકારકતાથી આપણો અવાજ નથી ઉઠાવી શકતા, જેટલો આપણે ઓછાં જાણીતાં છાપાં કે ચેનલોના પત્રકારો સામે થતા અત્યાચારો મુદ્દે ઉઠાવવા જોઈએ. અત્યારે સમય બદલવાનો અવસર છે: જો આપણે મૂંગા અને વિભાજિત રહીશું, તો આપણી નોંધપાત્ર નિષ્ફળતાઓનો ભોગ આવી બીજી અનેક ગૌરીઓ બનતી રહેશે.
અને છેલ્લે, હમણાંની વાતચીતમાં ગૌરીએ મને કહ્યું કે તે કેવી રીતે પેટમાં ઉપડતા શૂળની જેમ એક ટીવી ડિબેટ છોડીને ચાલી નીકળી. તેણે કહ્યું, ‘મને એવું લાગતું હતું મારા વિચારોના કારણે જાણે કોઈએ મારા પર હુમલો કરી રહ્યું હોય અને મને વારેવારે દેશદ્રોહી ગણાવાતી હતી.’ જ્યારે શિષ્ટ સંવાદોનું સ્થાન માનસિક ક્રૂરતા લઈ લે છે, શાર્પ-સૂટેડ એન્કર ટેલિવિઝનના પડદે ઝેર ઓકતા રહે છે, આવી ઘટનાઓ એક ગનમેનના હાથમાં હથિયાર આપી શકે છે! આ આપણા સૌ માટે એક ગર્ભિત ધમકી છે.
સૌજન્ય : ‘ચેતવણી’, “દિવ્ય ભાસ્કર”, 13 સપ્ટેમ્બર 2017