કમનસીબે વાતાવરણ એવું બની રહ્યું છે કે જવાબદાર લોકોને પ્રશ્ન પૂછવાને ‘રાષ્ટૃવિરોધ’ તરીકે જોવામાં આવે છે
મીડિયા અથવા વિરોધપક્ષ અમને ન કહે કે ખેડૂતો માટે અમારે શું કરવાની જરૂર છે. અમે છીંડા શોધનારાઓ, નકારાત્મક વિરોધીઓ અથવા ‘બધું જાણનારાં મીડિયા’ જેમને વાસ્તવિકતાઓનો સહેજ પણ ખ્યાલ નથી, તેમની સાથે વાત કરવાના બદલે ખેડૂતો સાથે વાત કરવાનું પસંદ કરીશું.’ ભાજપના પ્રવક્તા જી.વી.એલ. નરસિંહા રાવે 12મી જૂને ટીવીની ચર્ચામાં કહ્યું. અત્યંત સરળ પ્રશ્ન હતો કે શું નોટબંધીએ ગ્રામ્ય અર્થતંત્રને અસર પહોંચાડી છે? અને શું ખેડૂતોમાં વધતી ચિંતાનું કારણ એ છે? તો સત્તાધારી પક્ષના મીઠાબોલા અને હંમેશાં સરળતાથી ઉપલબ્ધ રહેતા નેતાઓમાંથી એક મીડિયાની વિરુદ્ધનુ઼ વલણ અપનાવી લે, એટલે તમે સરળતાથી સમજી શકો છો કે સત્તા અહંકારી બનાવી દે છે, અસંમતિનો દૃષ્ટિકોણ સાંભળતા રોકે છે.
રાવને દોષ શા માટે આપીએ? તેમનું કામ જ પ્રાઇમ ટાઇમ ટીવી પર સરકારનો બચાવ કરવાનું છે. વડાપ્રધાને તો મુખ્ય પ્રવાહના મીડિયાને કોરાણે મૂકીને ટ્વિટરને, સોશિયલ મીડિયા મેસેજને અને રેડિયોના માસિક વાર્તાલાપ ‘મનકી બાત’ના એકપક્ષીય સંવાદને મહત્ત્વ આપ્યું છે. જાહેર પત્રકાર પરિષદ નહીં, વિદેશયાત્રાઓમાં પત્રકારોને સાથે લઈ જવાના નહીં, જો કંઈ શક્ય છે તો એ માત્ર અપવાદરૂપ કિસ્સામાં, અગાઉથી નક્કી કરેલી પટકથા પ્રમાણેના ઇન્ટરવ્યૂ. એક સમયે અત્યંત લોકપ્રિય અને સંવાદપ્રિય ભાજપી પ્રવક્તા રહી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પોતાની અને મોટા ભાગના મીડિયા(જેને તેમણે તિરસ્કારથી ‘સમાચારોના વેપારી’ કહ્યાં છે)ની વચ્ચે અંતર વધારવાનું પસંદ કર્યું છે.
પરિણામે આજ સુધી તેમની સરકાર દ્વારા લેવાયેલાં મહત્ત્વનાં પગલાં પર ક્યારે ય ગંભીર સવાલો નથી ઉઠાવી શકાયા. દેશના નેતૃત્વને નોટબંધીની નકારાત્મક અસરો વિશેના આકરા પ્રશ્નોના જવાબ આપવાની જરૂર ન જણાઈ. જેમ કે, આપણે હજી પણ ખબર નથી કે નોટબંધીવાળાં કેટલાં નાણાં બૅંકના માધ્યમથી પરત આવ્યાં? કાળાં નાણાં અથવા નકલી નોટોની સામેના ‘યુદ્ધ’નું શું થયું? શું નોટબંધી અંગે શ્વેતપત્રની માગણી વ્યાજબી નહોતી? કમનસીબે વાતાવરણ એવું બની રહ્યું છે કે જવાબદાર લોકોને પ્રશ્ન પૂછવાને ‘રાષ્ટ્રવિરોધ’ તરીકે જોવામાં આવે છે. મીડિયાને બચાવનો માર્ગ અપનાવવા માટે મજબૂર કરી દીધું છે. તેને સેલ્ફ-સેન્સરશિપના અથવા શાસકોના ચીઅરલીડર્સની ભૂમિકાની વચ્ચે ઝૂલવા માટે મજબૂર કરી દેવામાં આવ્યું છે.
પરંતુ ફક્ત વડાપ્રધાનને જ શા માટે દોષ દેવો? કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી આશરે બે દાયકાથી જાહેર જીવનમાં છે, પરંતુ તેમણે બોફોર્સ અથવા કૉંગ્રેસને પરેશાન કરનારાં બીજાં અનેક કાંભાંડો પર અકળાવતા પ્રશ્નોના જવાબ આપવાની ઇચ્છા ક્યારે ય દર્શાવી નથી. ગયા નવેમ્બર મહિનામાં મને સોનિયા ગાંધીનો ઇન્ટરવ્યૂ લેવાની દુર્લભ તક મળી. ઇન્ટરવ્યૂ પહેલાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે ઇંદિરા ગાંધીની જન્મશતાબ્દી સમારોહના અનુસંધાને માત્ર તેને લગતા સવાલો જ પૂછવાના છે. તદ્દન સ્પષ્ટ હતું કે, ‘કોઈ રાજકીય પ્રશ્ન નહીં!’ દેશના ટોચના નેતાઓમાંથી એક જ્યારે ‘રાજકીય પ્રશ્ન નહીં’ એમ કહે, તે સાંભળીને શું તેઓ આપણી લોકશાહીના વિકૃત સ્વરૂપને ઉજાગર નથી કરતા?
જાહેર જીવનમાં રહેલા લોકોની જવાબદારી સ્વીકારવા પ્રત્યેની આ અનિચ્છા હવે વાઇરસની જેમ સમગ્ર રાજકીય પ્રણાલીમાં ફેલાઈ ચૂકી છે. 2015માં જ્યારે હું મમતા બેનર્જીનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો, ત્યારે તેઓ વચ્ચેથી જ ઊઠીને ચાલ્યાં ગયાં, કારણ કે મેં શારદા ચિટ ફંડ કૌભાંડ મુદ્દે પ્રશ્ન પૂછી નાખ્યો હતો. પણ મમતા કમ સે કમ ઇન્ટરવ્યૂ માટે તો તૈયાર થયાં. માયાવતીએ તો એક દસકા સુધી એક પણ ઇન્ટરવ્યૂ નહોતો આપ્યો, એટલા માટે તેમની પાસે બેહિસાબી સંપત્તિ હોવાના આરોપોનો કોઈ પણ જવાબ આજ દિન સુધી નથી. મહારાણીની જેવાં અભિમાની જયલલિતાએ પોતાના કિલ્લા પોએસ ગાર્ડનની બહાર આવીને પ્રેસને મળવાનો ઇન્કાર કરી દીધો હતો, નવીન પટનાયક પણ ઓરિસ્સામાં આવી જ પદ્ધતિને અનુસરે છે, જ્યારે કેરળમાં પિનારાયી વિજયને મીડિયા પ્રત્યેનો દ્વેષ ક્યારે ય છુપાવ્યો નથી.
આના પરથી હવે હું મૂળ પ્રશ્ન પર આવું છું: શું આપણે એવા યુગમાં આવી ગયા છીએ, જ્યાં ‘લોકશાહી સત્તાધીશો’એ લોકશાહીના ચોથા સ્તંભને બાજુ પર રાખીને મતદારો સાથે વાત કરવાનું નક્કી કરી લીધું છે? સત્તાધીશોને સાચેસાચું કહી દેવાની પત્રકારની મહત્ત્વની ભૂમિકા માટે કોઈ ગુંજાશ જ ક્યાં રહી છે? એવું જાણીને કે રોજિંદા પત્રકારત્વને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે નેતાઓ સુધી પહોંચી શકવાની નિર્ણયાક ભૂમિકા છે સત્તાના બારણે કડક સુરક્ષાનો ચોકીપહેરો છે. આ માત્ર દિલ્હીની વાત નથી. અનેક રાજ્યોનાં પાટનગરોમાં પણ આ જ હાલત છે.
રાજ્ય સચિવાલય પત્રકારોને પ્રવેશ જ નથી આપતાં. અનેક વખત તો રાજ્યમાન્ય પત્રકારોને પણ હાંકી કાઢવામાં આવતા હતા. દુ:ખની વાત એ છે કે મીડિયાના વ્યાવસાયિક અધિકારોને બચાવવાના બદલે વાચકો અને દર્શકોનો એક મોટો વર્ગ આ અપારદર્શી, એકાધિકારવાદી નેતૃત્વને તાળીઓ પાડીને પ્રોત્સાહન આપી રહ્યો છે. પહેલેથી આવું નહોતું. 1970ના દાયકામાં ઇંદિરા ગાંધીએ માધ્યમો પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે જે લોકો વિરોધમાં ઊભા થયા તેમની પ્રશંસા કરવામાં આવી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા. 1980ના દાયકામાં જ્યારે રાજીવ ગાંધી મીડિયાનું મોં બંધ કરવા બદનક્ષીના કાયદાની વાત લાવ્યા ત્યારે મીડિયાએ એક અવાજે તેનો વિરોધ કર્યો હતો.
માધ્યમોની વિરુદ્ધમાં સત્તાના મનસ્વી ઉપયોગની લગભગ દરેક ઘટનામાં આમજનતા અમારી સાથે રહેતી. પણ, હવે એ વાત નથી રહી: હવે જ્યારે કોઈ નેતા મીડિયા પર ગુસ્સે ભરાય છે, તો ખૂબ મોટો શ્રોતાવર્ગ એવો હોય છે, જે રાજી થઈને તાળીઓ પાડે છે. કદાચ મીડિયામાં અમારે લોકોએ પણ આત્મ-પરીક્ષણ કરવાની જરૂર છે કે અમે આવું શા માટે થવા દીધું. જ્યારે ટેલિવિઝનમાં ‘સેન્સ’(સમજ)ની જગ્યા ‘સેન્સેશન’ (સનસનાટી) લઈ લે છે, જ્યારે રાજકારણ અને વિચારધારાકીય જોડાણના આધારે સમાચારોને પ્રાથમિકતા નક્કી કરવામાં આવે છે, માલિકીપણાનો પ્રકાર સ્પષ્ટ નથી હોતો, ત્યારે રાજકીય વર્ગ અને તેમના ભાડૂતી લશ્કરો માટે અમને ‘પેઇડ મીડિયા’ કહીને ધક્કે ચઢાવવાનું સરળ બની જાય છે. હકીકત તો એ છે કે રાવે ભલે કહ્યું, અમે ‘બધું જાણનારા મીડિયા’ નથી, બનવાજોગ છે કે અમે કરોડરજ્જુ ગુમાવી બેઠેલા મીડિયા બનીને રહી ગયાં હોઈએ.
છેલ્લે, આ મહિનાની શરૂઆતમાં બીબીસી પ્રમુખે બ્રિટનના વડાપ્રધાનપદની સામાન્ય ચૂંટણીના બંને ઉમેદવારોને કોઈ પૂર્વનિર્ધારિત પ્રશ્નો વિના લોકોનો સામનો કરવા માટે આમંત્રિત કર્યા. આપણે ત્યાં આવા કેટલા નેતાઓ છે જે આ પ્રકારની સ્વતંત્ર પૂછપરછનો સામનો કરવા તૈયાર હશે?
e.mail : rajdeepsardesai52@gmail.com
સૌજન્ય : ‘સ્તંભમાં તિરાડો’, “દિવ્ય ભાસ્કર”, 24 જૂન 2017