ઉત્તર પ્રદેશ જેવા વિશાળ અને જટિલ રાજ્ય પર શાસન ચલાવવું ગુજરાતને સંભાળવા કરતાં ક્યાં ય અઘરું છે.
યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવાયા પછી તેમના ઉદયની નરેન્દ્ર મોદી સાથે સરખામણી થઈ રહી છે. મોદીની જેમ આદિત્યનાથ પણ ગરીબ પરિવારમાં જન્મ્યા છે અને પરિણીત છે, નાની ઉંમરે ઘરેથી નીકળી ગયા છે અને તેમણે હિન્દુત્વના રાજકારણમાં કુશળતા મેળવી છે. મોદીની જેમ જ તેઓ ચમત્કારિક અને વિવાદાસ્પદ છે. અને વડાપ્રધાનની જેમ જ આદિત્યનાથને પણ અંગ્રેજી બોલનારા શંકા અને ડરથી જુએ છે. હવે તો એવું પણ કહેવાઈ રહ્યું છે કે યોગી જ ભાવિ વડાપ્રધાન છે.
આ બધું ઠીક છે, પરંતુ તદ્દન આવું પણ નથી. નિ:શંકપણે બંનેના ઉછેર અને ભગવાબ્રિગેડમાં બંનેના મૂળમાં સમાનતા છે, પરંતુ તેમનાં રાજકીય ઉત્થાનમાં પણ એટલો જ સ્પષ્ટ ફરક છે. મોદીની દીક્ષા આર.એસ.એસ.ની શાખાઓમાં થઈ. તેઓ પ્રચારક બન્યા અને પછી તેમણે ખાસ્સો સમય પડદા પાછળ રહીને ભા.જ.પ.માં સંગઠક તરીકેની ભૂમિકા નિભાવી, જેનાથી તેઓ ભા.જ.પ.ની નિર્ણયપ્રક્રિયાના કેન્દ્રમાં આવી ગયા. ઑક્ટોબર, 2001માં તેમને કોઈ પણ પ્રકારની ચૂંટણી લડાવ્યા વિના ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમણે રાજ્યમાં ભા.જ.પ.ના ઘડવૈયા તરીકેની પ્રતિષ્ઠા મેળવી લીધી હતી.
આનાથી ઉલટું આદિત્યનાથ હંમેશાંથી ‘બહાર’ના જ રહ્યા છે અને પોતાની વ્યક્તિગત લોકપ્રિયતા અને ગોરખપુરમાં પાંચ વખત સાંસદ રહેવા છતાં પણ તેઓ ઉત્તર પ્રદેશ ભા.જ.પ.ના નેતૃત્વમાં હાંસિયામાં જ રહ્યા છે. 2017ની ચૂંટણીમાં પણ, ભા.જ.પ.ના પ્રચાર સાહિત્યમાં તેમનું ખાસ કોઈ સ્થાન નહોતું. આદિત્યનાથની આગેકૂચ રામમંદિર આંદોલનથી શરૂ થઈ અને તેમને પોતાના સંરક્ષક ગોરખનાથ મંદિરના મહંત અવૈદ્યનાથના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા. એ સમયે તેઓ ઉંમરના ત્રીજા દસકામાં જ હતા. અવૈદ્યનાથ હિન્દુ મહાસભાના સભ્ય હતા અને અયોધ્યામાં મંદિરનિર્માણ પર ભાર આપનારા સંતસાધુ સમાજના અભિન્ન અંગ હતા. તેમણે ક્યારે ય આક્રમક હિન્દુ રાષ્ટ્રવાદ પ્રત્યે પ્રતિબદ્ધતા છુપાવી નહીં.
ઉગ્ર હિન્દુત્વ પ્રત્યે એવી જ પ્રતિબદ્ધતાએ આદિત્યનાથની રાજનીતિને આકાર આપ્યો હતોે. તેમની હિન્દુ યુવાવાહિની હિન્દુ બહુમતી સમાજના વિચારોને પ્રોત્સાહન આપવામાં અગ્રણી છે, જેમાં મુસ્લિમોએ બીજો દરજ્જો સ્વીકારવો પડશે. પછી ભલે ગોવધનો વિરોધ હોય, ઘરવાપસી હોય કે લવજેહાદ, તેમના માટે ‘દુશ્મન’ મુસ્લિમ રહ્યા છે. ત્યાં સુધી કે 16મી લોકસભામાં તેઓ હિન્દુ મુદ્દાઓ પર કેન્દ્રિત રહ્યા. ખાસ કરીને ગોવધ બાબતે. મોદીમાં માત્ર હિન્દુત્વ હીરોથી આગળ વધવાની ઇચ્છા દેખાય છે.
2002નાં ગુજરાત રમખાણો અને ત્યાર પછીની ઘટનાઓએ તેમને હિન્દુ રાષ્ટ્રવાદી હીરો બનાવી દીધા હતા, આ છબિનો ઉપયોગ તેમણે અત્યંત કુશળતાથી રાજકીય મૂડી ભેગી કરવામાં કર્યો. આ એ સમય હતો, જ્યારે તેમના પર સાંપ્રદાયિક રીતે ભડકાવનારાં નિવેદનો આપવા (યાદ કરો, ‘હમ પાંચ, ઉનકે પચ્ચીસ’) અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓની ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા અને હુલ્લડો કરાવવાની છૂટ આપવાના આરોપ લાગ્યા.
2007માં બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા પછી તેઓ એટલા જ પ્રયાસોથી વિકાસપુરુષની છબિ ઊભી કરવામાં લાગી ગયા, જેના થકી તેમનો રાજકીય ઉદય જળવાઈ રહ્યો છે. તેમણે તોગડિયાથી અંતર કરી લીધું, નિયમ વિરુદ્ધ રસ્તાની કોરે બનેલાં મંદિરોને તોડવાનો આદેશ આપ્યો અને વિ.હિ.પ.નો ગુસ્સો પણ સહન કર્યો. આ રણનીતિપૂર્વકનું હતું કે નહીં, પરંતુ આનાથી પોતાને નવું રૂપ આપવાની ઇચ્છા અથવા ઓછામાં ઓછું સમાવેશક રાજકીય મહોરું પહેરવાની ઇચ્છા તો દેખાય જ છે.
આનાથી ઉલટુ આદિત્યનાથની રાજકીય યાત્રામાં ન તો ખુદની પુનર્ખોજ છે કે ન તો કોઈ મહોરું છે. બે દાયકાથી તેમની જાહેર ટિપ્પણીઓમાં સતત લાગણીઓને ઉશ્કેરવી, લઘુમતીઓને ડરાવવા-ધમકાવવાના પ્રયત્નો અને હિસા ભડકાવવાના પ્રયત્નો જ રહ્યા છે. રમખાણોથી માંડીને ધિક્કાર ફેલાવનારાં ભાષણો સુધી તેમની વિરુદ્ધમાં ગુનાઇત આરોપોમાં બંધારણીય મર્યાદા અને રાજકીય સ્તરે નૈતિક વ્યવહાર પ્રત્યે તિરસ્કાર જ જોવા મળે છે. તેમના સમર્થકો ગોરખપુરમાં વારેવારે ચૂંટાઈ આવવાને તેમના લોકસમર્થનની સાબિતી ગણાવશે. પરંતુ તેઓ એ નથી સમજતા કે ચૂંટણીની જીતથી ગુનાઇત વ્યવહાર કાયદેસર નથી થઈ જતો.
નિ:શંકપણે ઉગ્ર હિન્દુત્વને બેધડક પ્રોત્સાહન આપવાથી આદિત્યનાથ નરેન્દ્ર મોદીના બદલે બાલ ઠાકરે વધારે લાગે છે. એ શિવસેના જ હતી, જેણે રાજકીય અને બંધારણીય મર્યાદાઓને તડકે મૂકીને વિરોધીઓને પાઠ ભણાવવા માટે ટેકેદારોને ઉશ્કેર્યા હતા — વિરોધીઓ ‘બહાર’ના પ્રવાસીઓ હોય કે ‘રાષ્ટ્રવિરોધી મુસ્લિમ’. ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શક્યા હોત, પણ તેમણે ‘રિમોટ કંટ્રોલ’ તરીકે રહેવાનું સ્વીકાર્યું. હવે મોદીની જેમ તેમણે પણ સખત, બિનજરૂરી વાતો ન કરનારા શાસક અને કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ મજબૂત નેતાની જેમ રજૂ કરવામાં આવે છે. અલબત્ત, ઉત્તર પ્રદેશ જેવા વિશાળ અને જટિલ રાજ્ય પર શાસન ચલાવવું ગુજરાતને સંભાળવા કરતાં ક્યાં ય વધારે અઘરું છે.
બીજી તરફ, આદિત્યનાથ પર મોદીની સરખામણીએ અનેક ગણું વધારે ભારણ છે. ખાસ કરીને યોગી પોતાના પાયદળના એ સૈનિકોને કેવી રીતે કાબૂમાં રાખશે, જેમને લાગતું હકે કે હવે તેમનો સમય આવી ગયો છે. યોગીના રાજમાં એન્ટી રોમિયો સ્ક્વોડનું જોખમ એટલું જ વાસ્તવિક છે, જેટલું હિન્દુત્વમાં બંધ ન બેસતા સમૂહોની આજીવિકાનું. એટલો જ ખતરો લાગણી ભડકાવવાનો અને રામમંદિર આંદોલન અંગેનો છે. વર્ષ 2001માં મોદીને ગુજરાત મોકલતી વખતે આર.એસ.એસ.ને ખબર હતી કે તે જોખમ લે છે, પરંતુ તે ચાલી ગયું અને ગુજરાત રાજકીય હિન્દુત્વની પ્રયોગશાળા બન્યું. યોગીને મુખ્યમંત્રી નિયુક્ત કરીને વધારે મોટું જોખમ લેવાયું છે, પરંતુ સંઘ પરિવાર માટે મોટા સંભવિત ફાયદા તરીકે ભારતના રાજકીય દૃષ્ટિએ સૌથી નિર્ણાયક રાજ્યમાં હિન્દુ મતબૅંકને મજબૂત કરવાનું કામ છે.
તા.ક.:
મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા પછી તરત યોગી આદિત્યનાથને સંસદમાં બોલતા સાંભળીને ભા.જ.પ.ના એક વરિષ્ઠ સાંસદે મારી તરફ ફરીને કહ્યું, ‘જુઓ, કેટલી સૌમ્યતાથી બોલે છે. ચોક્કસપણે વડાપ્રધાન મોદીમાં જોવા મળે છે એ બધી બાબતોમાં યોગી તમને ચકિત કરી દેશે.’ પ્રશંસાની આ લઢણ દર્શાવે છે કે હિન્દુ જમણેરી જૂથો માટે એક નવા રાજકીય પ્રતીકનો ઉદય જોઈ લીધો છે: કહેવાતો ‘હાંસિયો’ આખરે હવે મુખ્ય પ્રવાહ બની ગયો છે.
સૌજન્ય : ‘યોગી સામે પડકાર’, “દિવ્ય ભાસ્કર”, 13 અૅપ્રિલ 2017