અરુણ શૌરી સરખા અભ્યાસીના કિસ્સામાં આમ કેમ થયું હશે, વારુ? ગુજરાત લૉ સોસાયટીના ઉપક્રમે વ્યાખ્યાન આપતાં એમણે મુદ્દો તો દેખંતો ઠીક કીધો કે નાગરિક સ્વાધીનતા અને રાષ્ટ્રીય સલામતી વચ્ચે આપણી બંધારણીય લોકશાહીએ સંતુલન જાળવવાનો અભિગમ લીધો છે. આ મુદ્દો કર્યા પછી એ સહસા આગળ વધ્યા અને એમણે ઉમેર્યું કે આતંકવાદીઓ સાથે કામ પાડવાનો સવાલ ઊભો થાય ત્યારે કાનૂનબાજીમાં અટવાયા વગર રાષ્ટ્રીય સલામતીને અગ્રતા આપવાપણું છે. કબૂલ. પણ પછી એમણે કહેતાં શું એવુંયે કહી નાખ્યું કે સર્વોચ્ચ અદાલતે તે સબબ આપેલ માર્ગદર્શક રૂપરેખામાં આવી કાળજી લેવાઇ નથી. તો શૌરીના આ અંગેના ઉદ્ગારો એમના કાકુ અને અંગભંગી સાથે આપણે ક્યાંથી ઉતારી શકવાના હતા, પણ એક સંવાદદાતાએ નોંધ્યા પ્રમાણે આ સંદર્ભમાં એમણે સર્વોચ્ચ અદાલતની લગભગ હાંસી ઉડાવવાની રીતે બોલી રહ્યાની છાપ આપી હતી. સદ્બાગ્યે, શ્રોતાગણમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એમ. એસ. શાહ હાજર હતા, અને એમણે સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શક નોંધના એક ચોક્કસ ફકરાનો હવાલો આપી સમજાવ્યું હતું કે આતંકવાદી કિસ્સામાં નાગરિક સ્વાધીનતા ને વ્યક્તિસ્વાતંત્ર્યને ધોરણે છટકબારીની શક્યતા અહીં નથી.
શૌરીએ અલબત્ત વિવેકસર ( સાંભળ્યા પ્રમાણે કંઈક છોભીલા પડીને) કહ્યું પણ ખરું કે એ હું ફકરો ચૂકી ગયો હોઈશ. ખરું જોતાં, અમારે વાતે વાત અહીં પૂરી નથી થતી, પણ અહીંથી જ શરૂ થાય છે. કડક કાયદો અને લોખંડી હાથ, એ એક મંત્ર અને તે ધોરણે રાષ્ટ્રીયસુરક્ષા તે અમારો અગ્ર અધિકાર બલકે એકાધિકાર, એ અરુણ શૌરી જે રાજકીય મંડળીના બૌદ્ધિક બ્રેઈન ટ્રસ્ટ પૈકી છે એનો ખાસંખાસ ઓળખમુદ્દો છે. પ્રિવેન્શન ઑફ ટેરર ઍક્ટ ( પોટા) પાછો આણો કે હજુ ઓર કડક કાનૂન કરો એ એનો ધ્રુવમંત્ર છે. એટલે એને વ્યક્તિસ્વાતંત્ર્ય કે નાગરિક સ્વાધીનતાની વાત કેવળ ને કેવળ ઠાલી લાગે છે. આ વસ્તુ એ હદે એના બ્રેઈન ટ્રસ્ટનાય મગજનો કબજો લઈ બેઠી છે કે સર્વોચ્ચ અદાલતે આતંકવાદીઓ સાથે કામ પાડવામાં કાનૂનબાજીમાં ન અટવાઈ જવાય તે માટે આપેલું માર્ગદર્શન એના જોવાસાંભળવામાં આવતું જ નથી.
જોતે છતે નહીં જોઈ શકવાનો, લગભગ નિયતિ શો આ અભિશાપ કટોકટી સામેની લડાઈમાં દેશના બૌદ્ધિકે વચ્ચે કોઈક તબક્કે મેટિની આઈડોલ શા ઉભરેલા અરુણ શૌરી સરખાઓની કરપીણ કારુણિકા છે. જોગાનુજોગ જુઓ કે શૌરી ગુજરાત લૉ સોસાયટીના ઉપક્રમે એક પ્રકારે એલાને જંગ મુદ્દામાં વાત કરી રહ્યા હતા ત્યારે જ ગુજરાત સરકાર પર ગોધરા પ્રકરણમાં પોટાના અકારણ પ્રયોગ ઉપર હાઈકોર્ટમાં પસ્તાળ પડી રહી હતી. ગોધરાની નિઘૃણ ઘટના એક કોમવાદી કારવાઈ હતી અને નસિયતપાત્ર છે તેમજ રહેશે; પણ એ કોઈ આતંકવાદી ઉત્પાત નહોતો કે ત્યાં પોટાસ્ત્ર પ્રયોજવામાં કશું ઔચિત્ય હોય. આ વાત છેક માર્ચ ૨૦૦૨માં જ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાજ્ય સરકારને કહી હતી, પણ –
આપણી પરંપરામાં, ગીતાની મદદ લઈને જેને ‘શુચિર્દક્ષ’ કહી શકીએ – આજકાલ અમેરિકામાં જેને ‘સ્માર્ટ’ અભિગમ કહેવાય છે – તે રીતે વ્યક્તિસ્વાતંત્ર્ય અને રાષ્ટ્રીય સલામતી વચ્ચેનું સંતુલન કેવી રીતે બનાવી શકાય એ જતીઆવતી સૌ સરકારો માટે વખતોવખત વણભેદ્યો કોઠો રહ્યો છે એ સાચું છે. કૉંગ્રેસે અને ભાજપે અનુક્રમે ટાડા તેમજ પોટાના મોઈદાંડિયે ખેલી આ બાબતે કોઈ રાસ રચી જાણ્યો નથી એ પણ સાચું છે. પણ કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં સૈકાઓ પહેલાં જે એક એકદમ એકદમ ‘સ્માર્ટ’ વાત કરાઈ હતી કે રાજ્યે ન તો તીક્ષ્ણદંડ રહેવું જોઈએ, ન મૃદુદંડ રહેવું જોઇએ; પણ યથાર્હદંડ અવશ્ય હોવું જોઈએ તેમાં ભાગ્યે જ બેમત હોઈ શકે. માત્ર, એટલું જ કહીશું આપણે કે કાયદાના શાસનની રગ હોય તો એમાં ‘સ્માર્ટ’ કારવાઈને પૂરતો અવકાશ હતો, છે અને રહેશે.
અહીં લાંબા ઇતિહાસમાં નહીં જતાં એ એક વિગત અંકે કરી લઈએ કે નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન ( પિયુસિએલ) સાથેનો સંબંધ શૌરીએ પંજાબમાં આતંકવાદે ઉપાડો લીધો ત્યારથી છોડ્યાનું સ્મરણ છે. પછી તો એ શાસનમાંયે રહ્યા છે, પણ પેલું સંતુલન હજુ એમણે શોધવું રહે છે. પંજાબમાં કે બીજે ચમકેલા ઍન્કાઉન્ટર માર્તંડ સુપરકોપ ગિલને ૨૦૦૨માં ગુજરાતની જવાબદારી સોંપાઈ અને તેઓ બધું થાળે પાડી રવાના થયા ત્યારેય એમની લાગણી હતી કે ગુજરાતના મુખ્ય પ્રજાવર્ગને સમ્રાટ અશોકને થયો હતો તેવો કોઈ કલિંગબોધ થયો નથી. અરુણ શૌરીની હેડીના બૌદ્ધિકને, ગિલ જેટલી પણ સુધબુધ ન રહે ત્યારે શું કહેવું. જોતે છતે ન જોવું, એ જ નિયતિ હશે?