સેંગોલની સ્થાપનાનું કોઈ લૉજિક દેખાતું નથી
લાગે છે, એમને નેહરુ શાસનની કળ હજુ વળી નથી. સુવાંગ પોત્તીકી, બિલકુલ પદરની એટલે કે પદરની જ સરકારનાં નવ નવ વરસે પણ કશુંક કરવા (અને કશુંક ન કરવા) એમને જવાહરલાલની જરૂર પડ્યા જ કરે છે.
કદાચ, જે નવું કથાનક (નેરેટિવ) એમને રચવું છે એને માટે આગલાને અહીંતહીં અન્યથા ઝૂડવા બાબતે તેઓ બંધાણી હશે ?
ગમે તેમ પણ, વાર્તામુદ્દોય એમને મહાભારતના એકાદા ઉપાખ્યાન શો આ આઝાદીના અમૃતવર્ષોમાં રૂડો જડી આવ્યો – સેંગોલનો સ્તો. અને એકવાર આવું કશુંક વાનું હાથ લાગ્યું પછી ઝાલ્યા રહે એ બીજા. લાગ મળ્યો નથી કે મૌસમ હૈ ઇવેન્ટાના.
2014માં આપણે વડા પ્રધાનને સંસદભવનની પહેલી પાયરીએ ઝૂકી, સ્પર્શી પ્રવેશતા જોયા જ હતા. વેપારી માણસના દુકાન પ્રવેશ કરતાં વધારે સારી સરખામણી જો કે, રંગભૂમિના કલાકાર સાથેની છે. રંગદેવતાને નમ્યા વગર તે મંચ પર ચઢતો નથી. આ વખતે સેંગોલ નામની જે નવઘટના બની આવી એમાંયે વડા પ્રધાનને સાષ્ટાંગ પ્રણિયાત મુદ્રાની જે સંધિ આવી મળી એનો કસ એમણે કાઢ્યો તે કાઢ્યો.
હવે ઝાઝું ન વહી જતાં થોડું સેંગોલને વિશે ને મિશે. ઉપરાછાપરી બે દિવસે, 24મી અને 25મી મે ના રોજ, ગૃહ પ્રધાન અમિત શાહે અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પત્રકાર પરિષદો યોજી સેંગોલ ઉપાખ્યાન વ્યાસ કરતાં થોડીક જ ઓછી વિગતે આપ્યું. દક્ષિણની પ્રાચીન રાજવટમાં પેઢાનપેઢી ઉત્તરાધિકારીને અપાતો રાજદંડ તે સેંગોલ. 1947ના ઓગસ્ટની 14મીએ, 15મીની ઉંબરમિનિટોમાં જવાહરલાલને પણ સેંગોલ અપાયો હતો. પૂરા પાંચ ફૂટનો, ચાંદી પર સોનાના ઢોળનો સાથે નંદી સમેતનો એ દંડ હતો. વાર્તા પ્રમાણે, માઉન્ટબેટનની પૃચ્છાથી જવાહરલાલે ચક્રવર્તી રાજગોપાલાચારીના પરામર્શપૂર્વક સેંગોલનું આયોજન કર્યું અને દક્ષિણથી ધર્મપુરુષો ઊડીને આવ્યા. માઉન્ટબેટન કને, પછી પવિત્ર જળછાંટણા સાથે મધરાતની મિનિટો પૂર્વે નાદસ્વરમની સંનિધિમાં વિધિવિધાનપૂર્વક જવાહરલાલને સેંગોલ સુપરત કર્યો અને એ રીતે સત્તાંતરણ પાર પડ્યું. અહીં સુધી તો ઉપાખ્યાન મારા ભૈ ઠીક ચાલ્યું, પણ પછી પાઘડીનો વળ છેડે અગર તો ‘મૉરલ ઓફ ધ સ્ટોરી’ આવી પડ્યું : આવો મહત્ત્વનો રાજદંડ સંસદને બદલે અલાહાબાદમાં (પદરના ગરાસ પેઠે) મ્યુઝિયમ ભેગો થઈ ગયો અને પંચોતેર પંચોતેર વરસ ગુમનામીમાં રહ્યો. નેહરુને આપણી સંસ્કૃતિ સામે આટલી ‘દાઝ’ શા સારું.
જોવાનું એ છે કે આ આખી વારતા, વિશ્વવાયરલ થઈ ગઈ અને જેમાં હાલના નટોએ નેહરુ-રાજાજી વગેરેની ભૂમિકા કરી હોય એવા થયેલા નહીં થયેલા સંવાદો સાથે વીડિયો સુદર્શન ચક્ર કરતાં સહેજ વધારે વેગે વાચકની જેમ ફરી વળ્યા. યુ.પી.એસ.સી. અને આઈ.એ.એસ.ના પરીક્ષા લક્ષી ફોરમો પર પણ બધું અંકિત થઈ ગયું. માઉન્ટબેટન આર્કાઇવ્ઝ, નેહરુ પેપર્સ, રાજાજી પેપર્સ કશે પણ પાછોતરી અસરથી 24-25 મેના જે કથાનકો રચાયાં એના આધિકારિક પુરાવા નથી.
સઘળી સ્રોતસામગ્રીની તપસીલ તો અહીં નથી આપતો. વાત માત્ર એટલી જ છે કે, સ્વરાજ હરખને સૌને હોય તેમ ચોક્કસ મઠને ય થયો હતો. જવાહરલાલે જેમ સૌના તેમ એનાં પણ વધામણાં સ્વીકાર્યાં હતા. પણ તે કોઈ સત્તાવાર સત્તાંતર વિધિ નહોતો, કેમ કે રાજગાદીએ આવતા વારસનો અહીં કોઈ સવાલ નહોતો. તેથી હવે સેંગોલને મ્યુઝિયમમાંથી ઉપાડી સ્પીકરના આસન જોડે સ્થાપવાનું કોઈ લૉજિક નથી.
સત્ય અને પુરાવા બેઉ એકબીજાથી નિરપેક્ષપણે, રાજદ્વારોની સર્વોચ્ચ પાયરીએથી ચાલે એને વિશે શું કહેવું, સિવાય કે ન્યૂ નોર્મલ. વિકલ્પે, અનુસત્ય પણ, એમ તો, કહી શકીએ હજુ હમણે જ સોલ્ઝેનિત્સિન વિશે લખતાં કહ્યું હતું તે સાંભરે છે : આજે જે ઉદ્યમ ચાલે છે તે સત્તાવાર ધોરણે એક ચોક્કસ રાજકીય કથાનક ખડું કરવાનો છે. આ સત્તાવાર કથાતન સાથે પ્રચારતંત્રવશ નાગરિકમાત્ર તેને પાયેલી પાણી પોવે છે અને દેખાડ્યું દેખે છે …
અને હા, પાયેલું પીવું ને દેખાડ્યુ દેખવું, એ એને પોતાનો ‘નિર્ણય’ લાગે છે. ચોમ્સ્કી કહેશે કે ‘મેન્યુફેક્ચર્ડ કન્સેન્ટ.’
e.mail : prakash.nireekshak@gmail.com