ગુજરાત રાજ્યના સુવર્ણજયંતી વર્ષમાં ઇન્દુચાચાનું સ્મરણ ઉત્કટપણે થઈ આવે છે
સમવાયી ભારતમાં એક અલગ રાજકીય એકમ તરીકે ગુજરાતની રચનાનું આ સુવર્ણજયંતી વર્ષ છે. સામાન્યપણે દર પહેલી મે વખતે, આ રાજ્યનું મંગળાચરણ કરનાર રવિશંકર મહારાજને યાદ કરવાનો ચાલ છે, અને એ ઠીક જ છે.
પણ મહાગુજરાત આંદોલનના ઝંડાધારી અને પર્યાયપુરુષ તો ઇન્દુચાચા હતા: ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકને ગયે કાલે (૧૭ જુલાઈ) સાડત્રીસ વર્ષ પૂરાં થયાં. પણ ગુજરાતના જાહેર જીવનમાં, ખાસ કરીને આમ જનતાની રાજનીતિના સંદર્ભમાં એમનો સ્લોટ તો કેવળ અને કેવળ વણપુરાયેલો રહ્યો છે.
સ્વાતંત્ર્યસંગ્રામ અને સાર્વજનિક જીવનને અનુલક્ષીને વિચારીએ તો વીસમી સદીનાં બીજાંત્રીજાં ચરણોમાં ખેડા જિલ્લાની જે એક ત્રિપુટી વિના આપણું ગાડું હાંકી શકાતું નથી એ છે-મહારાજ, સરદાર અને ઇન્દુચાચા.
રવિશંકર મહારાજ આ રાજ્યનું મંગળાચરણ કરનાર હતા તો હતા, પણ એમની ખરી ને પૂરી ઓળખ તો છેવાડાના જણની મુકિત માટેના સંઘર્ષમાં ખૂંપેલા જણ તરીકેની હતી અને છે. સરદારે રજવાડાંના વિલીનીકરણનો વિક્રમ સ્થાપ્યો તો સ્થાપ્યો, પણ એમનું સરદારપણું કિસાનને નાગરિકમાં સ્થાપતો સ્વરાજસૈનિક બનાવવામાં હતું.
ઇન્દુલાલ મહાગુજરાત આંદોલનના આગેડુ હતા તો હતા, પણ એમની ખરી પહેચાન તો વીસમી સદીના ગુજરાતમાં સહેજે પચાસ વર્ષના પટ ઉપર એકોએક મહત્ત્વના પરિવર્તનમાં સાથી ને સાક્ષી લેખે, એકોએક પડકારને પોતાને છેડેથી ઝીલી જાણનાર લેખે, આરંભશૂરા એટલા જ સંઘર્ષવીર તરીકે હતી અને છે: કબૂલ કે ગાંધીજીએ હાથમાં લીધું અને ‘નવજીવન’ ગુજરાતમાં છાઈ ગયું. પણ તે શરૂ કરી એમને સોંપનાર તો તરુણ ઇન્દુલાલ હતા. જેમ શાંતિનિકેતન તેમ રાષ્ટ્રીય શિક્ષણના એક મહદ્ પ્રયાસ તરીકે ઊભરેલી ગુજરાત વિધાપીઠ માટેના પ્રારંભિક ઝુંબેશકારોમાં પણ આપણા ઇન્દુલાલ હતા જ.
ગુજરાતમાં કિસાન સભાનાં પગરણ કહો, ઉદ્દામ વિચારોનાં સંચલન કહો, ઇન્દુલાલ કયારે અને કયાં નહોતા તે કહેવું મુશ્કેલ છે. સરખામણીની મર્યાદાઓ સ્વીકારતે છતે કહેવું હોય તો કહી શકાય કે જેમ જયપ્રકાશને કેવળ બિહાર આંદોલનની રીતે જોવામૂલવવામાં એમના સમર્પિત ને સમૃદ્ધ જાહેરજીવનને અન્યાય થાય છે તેમ ઇન્દુલાલને કેવળ મહાગુજરાત આંદોલનમાં સીમિત રાખીએ તે પણ એક ઊણું ઊતરતું આકલન છે.
રોમન સરકસની યાદ આપતાં ને પ્રજાને ઘેનગાફેલ કરતાં સ્વર્ણિમ ઉજવણાં થશે, જરૂર થશે. પણ આજના માહોલમાં ઇન્દુલાલ સરખાની સાર્થક સાંભરણ વગર એ બધું પ્રકાશ વગરની ગરમી જેવું બની રહેશે.તમે જુઓ કે ગુજરાતના અલગ એકમની રચના થતી થતી અટકી ગઈ અને અસમંજસમાં ધૂંધવાયેલા- અટવાયેલા ગુજરાતી યુવજનને એની પૃચ્છાના ઉત્તરમાં સરનામાં વગરની ગોળી મળી ત્યારે, ૧૯૫૬ના ઓગસ્ટમાં જયન્તિ દલાલ અને બીજા ઇન્દુલાલને આંદોલનને મોખરે ખેંચી લાવ્યા. આ આંદોલન, સ્મરણ રહે, સ્વરાજની લડતના અનુસંધાનમાં એટલું જ સમવાયી બંધારણની મર્યાદામાં હતું. ગુજરાતને અમેરિકાનું બાવનમું (કે ત્રેપનમું) રાજય જોવા ઇચ્છતા અગર તો કેમ જાણે તે ભારતીય સંઘરાજયનો નહીં પણ સ્વતંત્ર ભૂભાગ હોય તેમ ગાજતા જે બધા માથાબંધ ને મૂળિયાં વગરના ગર્જનધેલા થનગનભૂષણો આપણે વચલાં વરસોથી આજ લગી જોતા આવ્યા છીએ, એના કરતાં આ આંદોલનનો રાહ અને એની તરાહ નિરાળાં હતાં.
રતિલાલ ખુશાલદાસના શબ્દોમાં મહાગુજરાત આંદોલનને ટોપી જોઈતી હતી, અને તે માટે ઇન્દુલાલ જડી રહ્યા. પણ એમની ખુદની લાક્ષણિક ટોપી તળે એક વિલક્ષણ એવું માથું પણ હતું. એ માથું જીર્ણમતથી મુક્ત અને નવયુગી ઉદ્દામ વિચારણાથી યુક્ત હતું, કેમ કે તે ગાંધી અને માકર્સથી સેવાયેલું હતું. સ્વરાજ એટલે સ્વભાષામાં રાજ, એટલા સારુ ભાષાવાર પ્રાંતરચના એ સાદો હિસાબ હતો.
કોની કોની છે ગુજરાત, એ પ્રશ્ન પૂછી નર્મદે એનો જે વ્યાપક ઉત્તર આપ્યો હતો તેમ સૌની ગુજરાતનો એક બિનસાંપ્રદાયિક-બિનવર્ણય એવો સીધોસાદો વિવેક એમાં હતો. સ્વરાજ એટલે સુશાસન, નહીં કે સરનામા વગરની ગોળી અગર તો આમ જનતાને કેન્દ્રમાં રાખ્યા વગર ચાલતી રાજવટ, એવી એક સીધીસાદી એટલી જ બુનિયાદી સમજ એમાં હતી.
જ્યારે ગુજરાત રચાયું ત્યારે ગુજરાતની અસ્મિતાનો શંખઘ્વનિ પોકારનાર કનૈયાલાલ મુનશી અને લડતના ઝંડાધારી એવા ઇન્દુલાલ યાજ્ઞિક કયાં હતા? એક, હું ધારું છું, લખનૌના રાજભવનમાં (કે ભારતીય વિદ્યાભવનમાં) ખોવાયેલા/ રોકાયેલા હતા, બીજા જનતા મોઝાર ને સત્તાસ્થાનથી છેટા હતા. ઇન્દુલાલ માટે એમ હોવું સ્વાભાવિક હતું, કેમ કે ત્યારે તેઓ કોંગ્રેસમાં નહોતા- અને એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ તો એ કોંગ્રેસમાં હોય ત્યારે પણ હતા.
એમની ષષ્ટિપૂર્તિ ઊજવાઈ ત્યારે હજુ મહાગુજરાત આંદોલન ઊપડયું નહોતું અને એક અર્થમાં એમનો રાજકીય અરણ્યવાસ ચાલતો હતો. એમણે ત્યારે જે વળતું ભાષણ કર્યું હતું તે ઉમાશંકરે ‘સંસ્કૃતિ’માં ચહીને છાપ્યું હતું. શું સચોટ ને ભરીબંદૂક કહ્યું હતું એ જવાન ડોસલાએ કે ઊચા લોક સાથે મને સોરવાતું નથી કેમ કે હું ફૂટપાથનો માણસ છું. દેખીતી રીતે જ, રોમ રોમ સત્તાસાહ્બી અને દોમ દોમ સિકયોરિટીના હાલના વેશનમૂનાથી એ એક જુદી જણસ હતી.
૧૯૫૭થી ૧૯૭૨માં અવસાન થયું ત્યાં સુધી ઇન્દુલાલ અમદાવાદના અપક્ષ સાંસદ તરીકે અઢારે આલમ અને અઢારે વરણ એટલે કે લોકસમસ્તના પ્રતિનિધિ તરીકે અણનમ રહ્યા.તેઓ જે છેલ્લી ચૂંટણી લડયા, ૧૯૭૧માં, એમાં એમની અપક્ષ ઉમેદવારીને કોંગ્રેસે ટેકો આપ્યો હતો. ઇન્દિરા ગાંધીના ગરીબી હટાવો અને નઈ રોશનીના રાજકારણમાં એમ બનવું કદાચ દુર્નિવાર હશે. પણ અવસાન પૂર્વે એમણે લોકસભામાં કરેલું ભાષણ જોતાં સમજાય છે કે એમનો એ અંજાપો ઓસરવા લાગ્યો હતો. મૂળે આમજનતાલક્ષી અજંપાનો જીવ ખરા ને! હકીકતે, એમનાં છેલ્લાં વર્ષોવિશેષપણે ગાંધીરંગી બનવા લાગ્યાં હતાં અને એક તબક્કે જયપ્રકાશ સાથે સહવિચારની દ્રષ્ટિએ એમણે વિગતે નોંધ પણ તૈયાર કરી હતી.
૧૯૭૨માં એકાસીમે વર્ષે એ ગયા. પાકટ પાનનું ખરવું સહજ હતું. પણ એ એક અજંપાની માધુરી રણઝણતી મૂકી ગયા કે ૧૯૭૪-૭૫-૭૬-૭૭નાં વાસંતી સંઘર્ષવર્ષોમાં તેઓ આપણી વચ્ચે નહોતા. જયન્તિ દલાલ પણ નહોતા. નહીં તો, ગુજરાતની રાજનીતિને સારુ લોકપરક વિકલ્પની ભાવઠ ભાંગવામાં એમની કીમતી કૂમક મળી રહી હોત. એ વિકલ્પના આવરણ તળે, ત્યારે, સાંપ્રદાયિક માનસિકતાને અને આમ આદમીને હાંસિયામાં હડસેલતા વૈશ્વિકીકરણને સારુ આવી ને આટલી સોઈ મળી ન રહી હોત…
ગમે તેમ પણ, સ્વર્ણિમ ગુજરાતને ‘સેઝ’ જેવા કળણમાં નહીં ખૂંપી જતા અને વૈશ્વિકીકરણમાં નહીં ખોવાઈ જતા નવા રાજકારણની અને નવી રાજવટની જરૂર સાફ છે. માટે સ્તો સુવર્ણજયંતી ઇન્દુલાલનું સ્મરણ.