દર વર્ષે જગન્નાથજીની યાત્રા સમયે વસંત હેગિપ્ટે અને રજબઅલી લાખાણીનું તીવ્ર સ્મરણ થઈ આવે. આજના સમયમાં આવા રાષ્ટ્રભક્તોનું હોવું એ જ વિચારી શકાતું નથી. આ બંનેના સ્મરણાર્થે આપણે ત્યાં ગુજરાત કે દેશમાં શું થઈ રહ્યું છે?
આ બંને કોઈ પક્ષના કે ધર્મના ન હતા. માનવધર્મ તેમનો ધર્મ હતો અને અન્યને નહીં, પણ પોતાની જાતને વફાદાર હતા અને આત્માના અવાજને જ અનુસરતા હતા. પોતે અન્યને અંતરાયરૂપ બને છે કે તેવું જરા પણ વાતાવરણમાંથી જણાય તો પોતાનું કાર્યક્ષેત્ર બદલાવી નાખતા. રજબઅલી તો ૧૯૩૦ના સમયમાં કરાંચીથી કાઠિયાવાડના લીંબડી ગામે આવ્યા અને કૉલેજના અભ્યાસ માટે ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાયા. સ્વાતંત્ર્યની પ્રવૃત્તિઓ માટે ભાવનગર રાજ્યના તત્કાલીન દીવાન અનંતરાય પટ્ટણીનો પૂરો સાથ હતો. ઉંમરના પ્રમાણમાં તેમની દેહ્યદ્રષ્ટિ ખૂબ જ સરસ હતી. ભાવનગરના સુપ્રસિદ્ધ બોરતળાવમાં સાથે બોટિંગ કરતાં અનંતરાયે આશ્ચર્ય વ્યક્ત કરતાં રજબઅલી માત્ર ૧૬ વર્ષના છે, તે માનવા તૈયાર નહતા, પણ કમનસીબે તે વખતના ભાવનગરના કેટલાક રાજકારણીઓ રજબઅલીના વધતા જતા પ્રભાવથી ખિન્ન હતા. તેથી રજબઅલીએ તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર ભાવનગરથી અમદાવાદ કરી નાખ્યું. ભાવનગરમાં હતા, ત્યારે રજબઅલી અને તેમના મિત્રોની પ્રવૃત્તિઓનું સ્થળ ભાવનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર હાલમાં આવેલા કલાક્ષેત્રના મકાનમાં રહેલું, જેમાં ઝવેરચંદ મેઘાણીના જમાઈ અનિલભાઈ શાહ અને ચિત્તરંજન પાઠક, પ્રેમશંકરભાઈ ન. ભટ્ટ અને મહેન્દ્રભાઈ મેઘાણી સાથે જોડાયેલા રહેતા. આ બધા જ સ્વાતંત્ર્યસેનાનીઓ હતા, પણ દેશ સ્વતંત્ર થયા પછી આવા સેનાનીઓને અપાતું માસિક પેન્શન કોઈ લેતા હતા, તેવું યાદ નથી. મહેન્દ્રભાઈ મેઘાણીની વય ૯૬ વર્ષની છે. પ્રેમશંકરભાઈએ શાન્તિનિકેતનમાં ભાવનગર રાજ્યની સ્કૉલરશિપથી અભ્યાસ કર્યાનું જાણમાં છે.
રજબઅલી ભાવનગર હતા, ત્યારે તેમના અનુયાયીઓની સંખ્યા ખૂબ જ મોટી રહેતી અને તેમને કોઈ સામે મળે તો તે વ્યક્તિ તેમને પ્રણામ કરતી. તેમના મોટાભાઈએ (આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં) ગાંધીજીના આદેશને માથે ચડાવીને પોસ્ટ ઑફિસની સરકારી નોકરીનો ત્યાગ કરેલો. પણ ભાવનગરમાં આજે તેમનું કોઈ સ્મારક હોય, તો ધ્યાનમાં નથી, સિવાય કે શહેરની શામળદાસ કૉલેજમાં યોગ્ય જગ્યાએ ગાંધીજી, (ગાંધીજી શામળદાસના છ મહિના માટે વિદ્યાર્થી હતા.) બળવંતરાય મહેતા અને રજબઅલીનું સ્મારક છે. કૉલેજકાળના અભ્યાસ દરમિયાન કૉલેજના પ્રિન્સિપાલ માનનીય ટી.કે. શહાણી પણ રજબઅલીના રંગે રંગાયેલા અને રજબઅલીની જેમ ખાદીનાં અને રો-સિલ્કનાં વસ્ત્રો પહેરતા. નિવૃત્તિના સમય પછી લાંબા સમય સુધી તેઓ ભાવનગર રહેલા અને મેં તેમને આ વસ્ત્રોમાં જોયા છે.
મજાની વાત એ છે કે જૂન ૧૯૪૬માં વસંતરજબની ઘાતકી રીતે હત્યા થયા પછી માત્ર એક જ વર્ષમાં ૧૯૪૭માં તેમના અંગેનો સ્મૃતિગ્રંથ ઝવેરચંદ મેઘાણીના સંપાદનમાં પ્રકાશિત થયો અને આજથી પાંચેક વર્ષ પહેલાં ઇતિહાસવિદ્ ડૉ. રિઝવાન કાદરીના પ્રયત્નોથી તે ગ્રંથનું પુનઃપ્રકાશન થયું. આ પુસ્તક હાલમાં અમદાવાદના પોલીસ વિભાગ દ્વારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થાનું જાણમાં છે. અમદાવાદના રાયખડ વિભાગમાં એનું નાનુંશું મ્યૂઝિયમ પણ મુકાયું છે. અમદાવાદ, ગુજરાતમાં આવતા સહેલાણીઓને જેમ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના દર્શન કરાવવાનો આગ્રહ થાય છે, તેમ આ સ્થળના દર્શનનો યોગ થાય તેવું પણ કરવું જરૂરી છે. ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાનું આ તીર્થસ્થળ છે. દરેક ભારતીયના ડી.એન.એ. ટેસ્ટમાં બધા જ સરખા છે, તેવા મોહન ભાગવતના વિધાનને અનુરૂપ આ એક ઘટના બની હતી. મોહન ભાગવત પોતે મહારાષ્ટી્રયન છે, તેવું જાણમાં છે. પણ વસંત હેગિષ્ટે પણ એક મહારાષ્ટી્રયન હતા, તે અંગે મોહન ભાગવત કે ચંદ્રકાન્ત પાટીલને કેટલી માહિતી છે? ચંદ્રકાન્ત પાટીલે રજબઅલીની કબર ઉપર કે રાયખડમાં આવેલા મ્યૂઝિયમમાં માથું ટેકવ્યું છે? કે વસંતનાં પરિવારજનો (ત્રીજી પેઢીના)ના સંપર્કમાં છે? અમદાવાદના મહારાષ્ટ્ર સમાજનું પણ દિશાસૂચન કરું છું. બરાબરને સંજય શ્રીપાદ ભાવે?
માહિતીનો અભાવ કે પ્રજાની નિસ્તેજતા, જે કહો તે પણ દર વર્ષે આ પ્રસંગે બિરાદરી કે તેવી ઘટના કે આદર્શો સાથે નિસબત ધરાવતા સેવાદળ, સેક્યુલર, લોકશાહી આંદોલન અને પ્રકાશભાઈ જેવા થોડા માણસોથી વધારે લોકો પાવન દિવસને યાદ નથી કરતા, સરકારશ્રીએ અને સમાજવાદ તરફ ઝોક ધરાવતી સંસ્થાઓ કે મહાનુભાવોએ દર વર્ષે એક મંચ પર ભેગા થઈને આ ઘટનાનું પવિત્ર સ્મરણ કરવું જોઈએ. સાચો ઇતિહાસ લખવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે આ સાચી ઘટનાના મજબૂત પુરાવાઓ (ઇતિ હાસ = ઇતિહાસ = આમ હતું, તો આ સત્ય ઘટના જ છે.)
સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 11