પહેલી જુલાઈનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોમી એકતા માટે બલિદાન આપનાર બેલડી વસંત-રજબની યાદ તીવ્ર રીતે મનનો કબજો લઈ રહી છે. માત્ર ૬૯ વર્ષમાં જ આ દેશે જે પરિવર્તન અને બરબાદી જોયાં છે એવાં ભાગ્યે જ અન્ય કોઈ દેશે જોયાં હશે. વૈશ્વિક શાંતિ માટે ગાંધીજી આપણા સમગ્ર દેશ માટે એક આદર્શ રહ્યા અને શાંતિના પ્રચાર માટે અને આધ્યાત્મિક શાંતિ માટે મોટી અપેક્ષા સાથે ભારત દેશ તરફ સહુ જોતાં રહ્યાં છે.
પણ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ ઍન્ડ પીસ’ના તાજેતરનાં તારણો પ્રમાણે અને તેણે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે શાંતિના સૂચિતાંકમાં વિશ્વના ૧૬૨ દેશોમાં ભારત છેક ૧૪૩માં સ્થાને છે. અહીં શાંતિ અને સુરક્ષાનો સ્તર ખૂબ જ નીચો છે અને દક્ષિણ એશિયાના સાત દેશોમાં ભારત પાંચમાં સ્થાને છે. બ્રિટનની ઉત્તર પશ્ચિમે આવેલો આયર્લેન્ડ સૌથી વધુ શાંતિમય દેશ છે. તો સીરિયા આ યાદીમાં છેલ્લા, ૧૬૨માં ક્રમાંકે છે.
ગાંધીજીએ કલ્પેલા અખંડ ભારતના સીમાડાઓ તો ક્યાં ક્યાં સુધી વિસ્તરેલા હતા! આજનું પાકિસ્તાન, બાંગ્લાદેશ તો ભારતનો જ ભાગ હોત અને તેમાં પડોશનો દેશો પણ ભળ્યા હોત, એવા અખંડ ભારતના દેશની કુલ વસતીનો વિચાર કરીએ તો સહેજે તે આજે ૧૮૦થી ૧૯૦ કરોડની વસતી ધરાવતો દેશ બની જાત. વર્ષ ૨૦૧૪ દરમિયાન વિશ્વમાં છ કરોડ લોકો વિસ્થાપિત થયા પણ ધર્મના આધારે એકબીજાને ધિક્કારતા રહેવાની અને ઝનૂનપૂર્વક લડવાની વૃત્તિએ એવું નથી થવા દીધું, એ એક વાત.
પણ રજબઅલી લાખાણીની વાત જ્યારે મારા વડીલ મિત્ર યોગેન્દ્રભાઈ વાસા (જેમને ૮ જૂનના દિવસે ૯૪મું વર્ષ બેઠું.) પાસેથી જાણું છું ત્યારે થાય છે કે આદર્શવાદી અને ગાંધીજીના આદર્શો ઉપર જીવનભર નિષ્ઠાથી ચાલનારા રજબઅલી લાખાણી અને તેમના કુટુંબીજનોની લોકપ્રિયતા કેટલી અનન્ય હતી! પરમ શ્રદ્ધેય એવા યોગેન્દ્રભાઈ કહે છે કે ભાવનગરના રસ્તા ઉપર રજબઅલી ચાલ્યા જતા હોય અને સામે કોઈ ઓળખીતો સાયકલ સવાર નીકળે તો તે તરત ઊતરી જઈને રજબઅલીને વંદન કરતો. સરકારી નોકરીનો ત્યાગ કરવાની ગાંધીજીની એક જ હાકલને માન આપીને પોસ્ટ ઑફિસમાં નોકરીનો ત્યાગ કરેલો. ઘરની આર્થિક સ્થિતિનો વિચાર પણ તેમણે નહોતો કર્યો. તે પછી રજબઅલી અમદાવાદ સ્થાયી થયા, મોટા ફલક ઉપર કોમી એકતા સ્થાપવાના ઉચ્ચ આદર્શો લઈને જીવ્યા અને શહાદત વહોરી લીધી. રજબઅલી જ્યારે ભાવનગરમાં હતા ત્યારે તેમને ભાવનગર રાજ્યનું પૂરું રક્ષણ હતું. જેવી રીતે સરદાર પૃથ્વીસિંહ આઝાદને ભાવનગરમાં આશ્રર્ય આપીને રક્ષા-કવચ પૂરું પાડવામાં આવ્યું હતું તેવી જ રીતે ભાવનગર રાજ્યે બ્રિટિશ સરકારોને જણાવી દીધું હતું કે ભાવનગર રાજ્યમાં સરકાર વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી રહી નથી. તેથી સરકારે ભાવનગર રાજ્યમાં કોઈ તપાસ કરવાની જરૂર જ નથી. યુવાનોનું શરીર સૌષ્ઠવ સુધારવાનું અને ચારિત્ર્ય ઘડતર કરવાનું કામ ક્રાંતિવીર પૃથ્વીસિંહને સોંપાયું. જે ભાવનગરના શ્રીગણેશ ક્રીડા મંડળમાં ૧૯૨૪થી રહીને જીવનના અંતિમ શ્વાસ સુધી તેમણે ચાલુ રાખ્યું. સ્વામીરાવના છદ્મનામે રહ્યા.
તેવી જ રીતે રજબઅલી લાખાણી અને તેમના સાથીદાર મિત્રો ચિંતનરંજનભાઈ પાઠક, અનિલભાઈ શાહ, પુષ્પેન્દ્રભાઈ ત્રિવેદી, રાવતભાઈ મહેતા, મહેન્દ્રભાઈ મહેતા તથા અન્ય મિત્રો ભાવનગરમાં સત્યના રાયકા રોડ ઉપર આવેલા દક્ષિણામૂર્તિના મકાનમાં (જ્યાં આજે ‘કલાક્ષેત્ર’ નામની નૃત્યસંસ્થા ધરમશીભાઈ શાહના – વય ૯૫ વર્ષ – માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીયનૃત્યશૈલીની તાલીમ આપે છે) રાષ્ટ્રીય ચળવળ અંગેની પત્રિકાઓ તૈયાર કરતા અને ત્યાં જ છાપતાં. પત્રિકાઓનું વિતરણ પણ સારી રીતે પાર પડાતું.
યોગેન્દ્રભાઈ વાસા કરતાં વયમાં રજબઅલી મોટા હતા. રાષ્ટ્રીય ચળવળના સમયમાં સરકારી જીપ નીચે બૉંબ ફોડેલો, પકડાયા નહોતા, જેલ પણ નહોતી થઈ, સરકારી દફતરે શંકાસ્પદ વ્યક્તિ તરીકે નામ નોંધાયેલું એટલે તે પછી સ્વાયંત્ર્ય સેનાનીના ખિતાબથી પણ દૂર રહ્યા જે વાતનું તેમને ગૌરવ આજે પણ છે. ભાવનગરમાં દેના બૅંકમાં યોગેન્દ્રભાઈ કલાર્ક તરીકે નોકરી કરતા હતા ત્યારે ૧૯૪૬માં તેમના એક મિત્રે મુંબઈથી તેમને પત્ર લખ્યો કે ગાંધીજીનું પ્રવચન મુંબઈમાં જુહુ ઉપર યોજાયું અને એ સ્થળ મારા ઘરની સાવ નજીક છે. ગાંધીજીને તારે નજીકથી જોવા હોય તો મુંબઈ આવ. યોગેન્દ્રભાઈએ રજાનો રિપોર્ટ મૂક્યો અને તેમાં મુંબઈ જવા પાછળનું સાચું કારણ લખ્યું. રજા મંજૂર થઈ એ કારણથી કે રજાના રિપોર્ટમાં ગાંધીજીને રૂબરૂ જોવા માટે જવું છે તેવું સાચું કારણ જણાવેલું. દેના બૅંકના શેઠ પ્રાણાલાલભાઈએ આ વાતને ખૂબ જ બિરદાવેલી.
યોગેન્દ્રભાઈ આજે ભાડાના મકાનમાં એકાકીજીવન વ્યક્તિ કરે છે, આધારકાર્ડ નથી, રાંધણગેસથી વંચિત છે. ગાંધીમૂલ્યોને વરેલા યોગેન્દ્રભાઈ, ગાંધીયુગના એ સુવર્ણ દિવસોને યાદ કરે છે, રજબઅલી જેવા સન્માન્ય શહીદને યાદ કરે છે, પોતે તેમની સાથે જીવ્યા છે તેના સંતોષ વ્યક્ત કરે છે. રજબઅલીના એક સમકાલીન આજે પણ ગાંધીમૂલ્યોને કેવાં જતનપૂર્વક યાદ કરે છે અને નિષ્ઠાપૂર્વક આજે પણ એ રીતે જીવનમાં સંતોષ માને છે. પોતે કોઈ રાષ્ટ્રીયપક્ષની કંઠી પણ પહેરી નથી. ધન્ય છે વસંત-રજબ અને ગાંધીમૂલ્યોને વરેલા આવા થોડાએક બચેલા સત્પુરુષોને.
વસંત-રજબ ! આ ક્ષણે તમને શત્ શત્ પ્રણામ. પણ વિશાળફલક ઉપર તમારી વિરાસતને અમે જતનપૂર્વક જાળવી નથી શક્યા, માફ કરશો.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 16