આ હત્યા પાછળ યુ.એસ.એ.નો કાંકરી ચાળો છે કે પછી ઇઝરાયલે કંઇ કર્યું છે, એ હજી સ્પષ્ટ નથી પણ બન્ને થિયરીઝ જાણવા જેવી તો ખરી
વાઇરસ, ખેડૂતોની સમસ્યા અને કંગનાના બેસૂરા ખણકાટ વચ્ચે, એક નામ પડઘાઇને શાંત પડે છે અને ફરી ક્યાંકથી તેની ચર્ચા ઊઠે છે. એ નામ છે મોહસિન ફખરીઝાહેદ. ઇરાનના આ ન્યુક્લિયર સાયન્ટિસ્ટની ધોળે દહાડે હત્યા થઇ છે. ઇરાની પ્રસાર માધ્યમોએ તેમને વૈજ્ઞાનિક અને સંશોધન ગણાવ્યા જે કોરોનાવાઇરસની ઘરેલુ ટેસ્ટ બનાવવામાં બિઝી હતા. પણ મોહસિનની હત્યા થઇ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો હિસ્સો છે. તેની પૃષ્ઠભૂમિ, તેના તાણાવાણા બધું જ કોઇ જાસૂસી નવલકથાની કાચી સામગ્રી સમું છે. ગયા શુક્રવારે [27 નવેમ્બર 2020] આ હત્યા થઇ અને પશ્ચિમ એશિયામાં નવી આફતના એંધાણ પણ આ હત્યાથી જ સળવળ્યા. આ હત્યા પાછળ યુ.એસ.એ.નો કાંકરી ચાળો છે કે પછી ઇઝરાયલે કંઇ કર્યું છે એ હજી સ્પષ્ટ નથી પણ બંન્ને થિયરીઝ જાણવા જેવી તો છે જ.
મોહસિન ફખરીઝાહેદ ઇરાનના સૌથી વરિષ્ઠ ગણાતા ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા અને ઇરાનની રિસર્ચ એન્ડ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન ઑફ ધી મિનિસ્ટ્રી ઑફ ડિફેન્સના વડા હતા. હાઇ-ફાઇ રિસોર્ટમાં, ગોળીઓથી તેમનું શરીર ચારણી કરી દેવાયું અને આ થયું ત્યારે તે બૉડી ગાર્ડ્ઝથી ઘેરાયેલા હતા. આ હત્યાની જવાબદારી આ લખાઇ રહ્યું છે ત્યા સુધી કોઇએ લીધી નથી. કદાચ કોઇ તે સ્વીકારશે પણ નહીં. પણ ઇઝરાયલના એક અધિકારીએ પોતાની ઓળખ છતી ન થાય તે રીતે ટિપ્પણી કરી કે દુનિયાએ આ રાજકીય હત્યા બદલ કૃતજ્ઞતા અનુભવવી જોઇએ. આ ટિપ્પણી સ્પષ્ટ ઇશારો કરે છે કે આ હત્યામાં ઇઝરાયલનો હાથ હોઇ શકે.
આ હત્યામાં ઇઝરાયલનો હાથ હોવાની વાત ટાળવી મુશ્કેલ છે કારણ કે ૨૦૧૮માં ઇઝરાયલના વડા પ્રધાન નેત્યાન્હૂએ ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામમાં ફખરીઝાહેદની ભૂમિકાની નોંધ લેવાવી જોઇએ તેમ કહ્યું હતું. ઇરાનના અધિકારીઓ આ હુમલો રિમોટ કન્ટ્રોલ સંચાલિત મશીન ગનથી થયો છે એવું કંઇ પણ કહી રહ્યા છે. મૂળ પોતાના વૈજ્ઞાનિકની હત્યાથી તેઓ ખળભળી ઉઠ્યા છે અને અપમાનની લાગણીથી પિડાઇ રહ્યા છે. તેમણે આ હત્યાનો બદલો લેવાની જાહેરાત કરી છે. પણ શું આ ઇરાનની પહેલી હાઇ પ્રોફાઇલ હત્યા છે? આ વર્ષે ઇરાનમાં ચાર હાઇ પ્રોફાઇલ હત્યાઓ થઇ છે, જેની શરૂઆત અમેરિકન ડ્રોને સુલેમાની પર કરેલા હુમલાથી થઇ હતી. વળી રિમોટ સંચાલિત મશીન ગનનો ઉપયોગ નથી જ થયો તેવું તદ્દન નકારી શકાય એમ પણ નથી. ઇઝરાયલ પાસે આવાં શસ્ત્રો છે. ઇરાનમાંથી જ આ હુમલા અંગે એકબીજાને વિરોધી હોય તેવા રિપોર્ટ્સ આવ્યા છે.
વૈજ્ઞાનિકોની હત્યા આ પહેલાં પણ થઇ છે. મનાય છે કે ઇઝરાયલે અત્યાર સુધીમાં ઇરાનના લગભગ પાંચ વૈજ્ઞાનિકોની હત્યા કરી છે. આ હત્યાઓ ૨૦૦૭થી ૨૦૧૨ની વચ્ચે થઇ છે અને તમામની પાછળ ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને પાટેથી ઊતારી દેવાનો જ આશય રહ્યો છે, કારણ કે ઇઝરાયલને તે પોતાના અસ્તિત્વ પર તોળાતી તલવાર સમું જોખમ લાગે છે. આ સંજોગોમાં ઇરાને તો હજી સુધી માત્ર એક જ જણની ધરપકડ કરી છે જેણે પોતે ઇઝરાયલમાં તાલીમ લીધી હોવાનું કબૂલ્યું હતું અને પછી ઇરાની વૈજ્ઞાનિકને મારવા તેની મોટરસાયકલમાં બોમ્બ ફિટ કર્યો હોવાની વાત પણ કબૂલી હતી.
આ તરફ યુ.એસ.એ.ને કેન્દ્રમાં રાખી સમીકરણ માણીએ તો ઇઝરાયલ અને સાઉદી અરેબિયાને જો બાઇડનની સત્તાને પગલે મિડલ ઇસ્ટના રાજકારણમાં જે ફેરફાર થશે તે અંગે તણાવ છે. ૨૦૧૫માં બરાક ઓબામાએ ઇરાન સાથે ન્યુક્લિયર કરાર કર્યા અને ટ્રમ્પે ૨૦૧૮માં એ રદ્દ કરી નાખ્યા. ટ્રમ્પ પોતે સત્તાને અલવિદા કહે તે પહેલાં ઇરાનને ખળભળાવવા માગે છે, તે ત્યાં પરિસ્થિતિ તંગ થાય અને સબંધો બગડે તેની લાલચ ધરાવે છે.
‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના એક રિપોર્ટ અનુસાર મોહસિન ફખરીઝાહેદની હત્યા ઇરાનને ન્યુક્લિયર શસ્ત્રને મામલે આગળ વધતા અટકાવનારું પગલું બની શકે છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં યુ.એસ.એ. દ્વારા જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરાઇ હતી, જે ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ્ઝ કમાન્ડર હતા, સુલેમાનીનો જે પ્રભાવ હતો તે જોતાં તેમની હત્યા થવી એટલે કે જાણે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટની હત્યા થવી, એમ વિશેષજ્ઞોનું કહેવું હતું. ટ્રમ્પે તો એ હદે કહ્યું હતું કે આ હુમલો તેમના નિર્દેશને આધારે થયો હતો પણ યુ.એન.ના પ્રતિનિધિએ આ હુમલાને ગેરકાયદે ગણાવ્યો. ઇરાની અગ્રણીઓની હત્યાથી ટ્રમ્પને જરા ય ફરક નથી પડતો એવું તો એક યા બીજી રીતે છતું થયું જ છે. ઇઝાયલ ઇરાનના તંગ સંબંધો તો વાસ્તવિકતા છે જ પણ આ તરફ હજી બાઇડનને સત્તા પર આવવામાં દોઢેક મહિના જેટલો સમય છે. ઇરાની અર્થતંત્ર હજી પૂરતું સશક્ત નથી અને ટ્રમ્પ તો ‘યુદ્ધ ઉત્સાહી’ જીવ છે જ અને માટે જ ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ અને પેન્ટાગોન કોઇ પણ જોખમી પગલાં ન ઊઠાવે તેવી આશા ઘણાં સેવી રહ્યા છે. ટ્રમ્પ કેટલા ઝેરીલા છે, વેરની ભાવના ધરાવે છે અને તેમને બતાડી દઉં અને દેખાડી દઉં એટલું કેટકેટલું ય થાય છે એ તો જગજાહેર છે. ટ્રમ્પે ઇરાનના સૌથી મોટા શત્રુ સાઉદી અરેબિયાને ન્યુક્લિયર ટેક્નોલૉજી વેચી એ પણ ઇરાન સાથેના સબંધોને વધુ બગાડનારું જ પગલું હતું. ટ્રમ્પના રાજમાં એકેય લખ્ખણ એવા તો હતા જ નહીં કે ઇરાનને યુ.એસ.એ. પર જરાક સરખો ય વિશ્વાસ બેસે. ઇરાન પણ યુ.એસ.એ.નો વિશ્વાસઘાત મૂગા મ્હોંએ સાંખી લે તેમ નથી એટલે એ પણ પોતાની રીતે ધાર્યું કરે છે. જો બાઇડનનું વ્હાઇટ હાઉસમાં આવવું સારા સમાચાર ચોક્કસ છે પણ સત્તા છોડતા પહેલાં ટ્રમ્પ કેટલું નુકસાન કરે છે, એનો ક્યાસ કાઢવો આસાન નથી. આ હત્યા પાછળ બે સંભવિત આશય હોઇ શકે છે. અમેરિકામાં શાસક તરીકે આવનારા જો બાઇડન સાથે ઇરાનના સંબંધો સુધરે એવી બધી જ શક્યતાઓનો છેદ ઉડાડવો અને ઇરાનને સામો હુમલો કરવા ઉશ્કેરણી કરવી.
યુ.એસ.એ.ના અધિકારીઓએ કહ્યું છે કે ઇઝરાયલે જ આ વૈજ્ઞાનિકની હત્યા કરાવી છે. ઇરાને પણ ઇઝરાયલની ફોરેન ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદની શૈલીમાં હત્યા થઇ હોવાનું કહ્યું છે પણ ઇઝરાયલ આ મામલે હજી સુધી તો ચૂપ છે.
બાય ધ વેઃ
અમેરિકન્સ, ઇરાન પરના પ્રતિબંધ હટાવવાને મામલે બાઇડનને પૂરો ટેકો આપે એવા ય કોઇ એંધાણ નથી, અને જો ઇરાન કંઇ નહીં કરે તો તેની ધમકીઓ પોકળ સાબિત થશે. અહીં સાપે છછુંદર ગળ્યા જેવા સંજોગો છે, ઇરાન પગલું ભરે કે ન ભરે બન્ને સંજોગોમાં તેની સ્થિતિ મુશ્કેલ છે. આમ તો સાંઇઠે પહોંચેલા વૈજ્ઞાનિકની હત્યાથી જે રાજકીય ઘટનાઓ ઘટશે તેમાં કોઇ ફેર નથી પડવાનો. જે દેશને જેમ કરવું હશે તેમ કરશે જ પણ અહીં ઇરાદાઓ જાહેર કરવાની વાત છે, મેસેજ આપવાની વાત છે જેમાં રાજકીય હત્યા કરનાર રાષ્ટ્રએ ધાર્યું મેળવ્યું છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ડિસેમ્બર 2020