કાઁગ્રેસ પાસે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરનો એકે ય નેતા પ્રચાર ટાણે ન હોવાની વાત જનતાને આંખે ઊડીને વળગી. ગાંધી પરિવારમાં લોકોને રસ નથી પણ છતાં ય રાહુલ ગાંધી કાઁગ્રેસ માટે જરૂરી તો છે જ પણ ભારત જોડો યાત્રામાં એક પોઇન્ટ પછી ગુજરાતનો છેદ ઊડી ગયો.
ગયા અઠવાડિયે જ્યારથી એક્ઝિટ પોલ શરૂ થયા ત્યારથી લઇને અત્યારે તમે અત્યારે ચ્હા પીઓ છો ત્યાં સુધીમાં માધવસિંહ સોલંકીને જેટલા યાદ કરાયા છે, એટલા તો આ પહેલા ભાગ્યે જ કોઇએ યાદ કર્યા હશે. ભા.જ.પા. આ વખતે વિધાનસભાની ચૂંટણી દરમિયાન માધવસિંહ સોલંકીનો ૧૯૮૫નો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડશે કે કેમ ત્યાંથી શરૂ થયેલી વાત ભા.જ.પા.એ ૧૫૬ બેઠકો પર ગુજરાતમાં જીત મેળવીને એ રેકોર્ડ તોડ્યો એ પછી પણ ચાલુ રહી.
ભા.જ.પા.ની વ્યૂહરચના જાણે દર ચૂંટણી પછી ધારદાર થઇ રહી છે. ભા.જ.પા.નો ચહેરો એટલે કે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્તરે સત્તા મેળવ્યા પછી પણ રાજ્યની ચૂંટણી ટાણે માઇક્રોમેનેજમેન્ટ કરવામાં કોઇ કસર નથી છોડી. ‘સાહેબ’ના બોલે પક્ષના મોટા માથાઓથી માંડીને નાનામાં નાના કાર્યકરે મતદારોને બાંધી રાખવામાં જે કરવું પડ્યું તે કર્યું. ૨૭ વર્ષથી જે સત્તા હાથમાં છે જતી થોડી કરાય? નરેન્દ્ર મોદી માટે અંગ્રેજીનું પેલું બહુ વપરાયેલું વાક્ય, ‘લવ હિમ હેટ હીમ, યુ કાન્ટ ઇગ્નોર હિમ’ અચૂક યાદ આવે. ભા.જ.પા.એ ગુજરાતમાં જે સપાટો બોલાવ્યો એમાં નરેન્દ્ર મોદીની ગુજરાતમાં લોકપ્રિયતા સૌથી મોટું કારણ છે.
એક તરફ હિમાચલમાં ભા.જ.પા.ને કાઁગ્રેસે પાછળ છોડી દીધી, તો બીજી તરફ ગુજરાત જે મોદીની હોમ પીચ છે ત્યાં ભા.જ.પે. સપાટો બોલાવી દીધો. રાજકીય સમીક્ષક તથા ભારજતીય જનતા પાર્ટી – સૌથી મોટા રાજકીય પક્ષની વિકાસગાથાના લેખક તેવા શાંતનુ ગુપ્તાને જ્યારે ભા.જ.પા.ની ગુજરાતની વ્યૂહરચના વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, “૨૦૧૭માં ભા.જ.પા.ની ૧૮૨માંથી ૯૯ બેઠક જીતી શકી. કાઁગ્રેસ ત્યારે ૭૭ બેઠકો મેળવી શકી હતી. આ પુરાવો હતો કે કાઁગ્રેસે બહુ ચિવટથી આ જંગ ખેલ્યો હતો અને ભા.જ.પા.ને અમુક બેઠકથી આગળ નહોતી વધવા દીધી. ૨૦૧૭ના એ બોધ પછી ભા.જ.પા. માટે જરૂરી હતું કે કાઁગ્રેસે જે યુવા ચહેરાઓ પર દાવ ખેલ્યો હતો તેની સામે કોઇ વ્યૂહરચના મુકવી. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી ૨૦૧૭માં કાઁગ્રેસ માટે અગત્યના ચહેરા હતા. આ રીતે તેમણે દલિત, પાટીદાર અને ઓ.બી.સી. આંદોલનની ત્રિરાશી પર જ આખું કેમ્પેઇન પ્લાન કરાયુ હતું. કાઁગ્રેસે ગુજરાતમાં હાર્દિક પટેલને તો કાર્યકારી પ્રમુખની પદવી પણ આપી. ભા.જ.પા.એ એ પછી જે ખેલ ઘડ્યો તેમાં ૨૦૨૨ની ચૂંટણી પહેલાના પાંચ વર્ષના ગાળામાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પોતાની તરફ કરી લીધા અને તેઓ ઠીકઠાક માર્જીનથી જીત્યા પણ ખરા. એક માત્ર જિજ્ઞેશ મેવાણીને ભા.જ.પા. પોતાની તરફ ન કરી શકી.”
કાઁગ્રેસની અને તેમાં ય ખાસ કરીને માધવસિંહ સોલંકીની જૂની અને જાણીતી ખામ (KHAM) થિયરી જેમાં કોળી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસલમાનને ફરી જીવંત કરવાનું કાઁગ્રેસને યાદ તો આવ્યું પણ એ લાગુ કરવામાં જરા મોડું થઇ ગયું; વળી; હવે અહેમદ પટેલ જેવો ચહેરો કાઁગ્રેસ પાસે ન હોવાની અસર પણ પડે જ. જાતિવાદની ચાલ ગોઠવવામાં ભા.જ.પા.ની મુત્સદ્દીગીરી ફાવી ગઇ.
ભા.જ.પા.ની બીજી વ્યૂહરચનાની ચર્ચા કરતાં શાંતનુ ગુપ્તા કહે છે “ભા.જ.પા.ની સરકાર અને ધારા સભ્યો સામે સત્તા વિરોધનું લેબલ ન લાગવું જોઇએ તેની પૂરી તકેદારી રાખી. અડધી ટર્મ પતી અને સરકારને માથે રાજ્ય સ્તરે માછલાં ધોવાયા તો ભા.જ.પા.એ ગુજરાતમાં મુખ્ય મંત્રી તો બદલ્યા જ પણ કેબિનેટમાં ય ફેરફાર કરી નાખ્યો. આખો કારસો એવી રીતે ઘડાયો કે કોઇને વાંકુ પણ ન પડ્યું અને કોઇ હોહા ન કરી, સરળતાથી આ ફેરફાર કરવાની ભા.જ.પા.ની રણનીતિએ સત્તા વિરોધ રોકી લીધો. ૨૭ વર્ષથી રાજ કરતી ભા.જ.પા.ને ખબર હતી કે જરા સરખો વિરોધ પણ ભારે પડી શકે છે. વળી એક બે નહીં પણ ૪૦થી વધુ નવા લોકોને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અપાઇ. ભા.જ.પા.એ જ્યાં જ્યાં ૨૦૧૭માં બેઠકો ખોઇ હતી ત્યાં કઇ રીતે આદિવાસીઓ, દલિત અને પાટીદારો સહિતના અન્ય સૌરાષ્ટ્રવાસીઓને પોતાની તરફ કરવા તેનું વિગતવાર પ્લાનિંગ કરાયું અને એ જ પ્રમાણે કામગારી પણ કરાઇ.” આ આખી ગોઠવણમાં ભૂપેન્દ્ર પટેલનું સત્તા પર આવવું પણ બહુ ગણતરી પૂર્વકનો મૂવ હતો. સાફ છબી, મૈત્રીપૂર્ણ વહેવાર આ બધું ભૂપેન્દ્ર પટેલની તરફેણમાં રહ્યું અને આમાં પટેલો પણ સચવાયા.
માણસોને કામે લગાડવા અને કામના માણસોને મહત્ત્વ આપવાનું નરેન્દ્ર મોદીને સુપેરે આવડે છે. આ વાતનું ઉદાહરણ છે સુરતના સી.આર. પાટીલ. સી.આર. પાટીલની નરેન્દ્ર મોદી સાથેની નિકટતા તો ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ત્યારે જ આંખે ઊડીને વળગે તેમ હતી, જ્યારે તેમને બનારસમાં અનૌપચારિક પ્રભારી તો હતા જ પણ ૨૦૨૨ નજીક આવતા સુધીમાં તેમને પક્ષના રાજ્ય પ્રમુખ બનાવાયા. સી.આર. પાટીલે એકે એક બેઠક પર, એકે એક બુથ પર, ફરી વળવાનું નક્કી કર્યું, જાણે પક્ષના આખા માળખાને ઠમઠોરવાનું કામ કર્યું. ભા.જ.પા.ના મતદારોને કેન્દ્ર અને રાજ્ય સ્તરે એક કરાયા, પક્ષના પ્રમુખનું તંત્ર ખડું કરી મતદાનના દિવસે લોકો મથક સુધી આવે તેની પણ પૂરી તકેદારી રખાઇ. વળી જે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વડા પ્રધાન ખુદ ૩૦થી વધુ રેલીઓમાં હાજરી આપતા હોય, રોડ શોઝમાં હાજરી આપતા હોય ત્યારે તે વડા પ્રધાન પછી પણ રાજ્યના પનોતા પુત્ર અને પક્ષના કાર્યકર્તા હોવાની પોતાની છબી મતદારો સામે આગળ ધરતા હોય છે.
વળી ભા.જ.પા.એ એ પણ ધ્યાન રાખ્યું કે જ્યાં પ્રચાર કરવા ગયા ત્યાં જે પ્રકારનુ ટી.જી. એટલે કે ટાર્ગેટ ગ્રૂપ છે તે પ્રકારના એટલે કે ખાસ કરીને તે ભાષા-જ્ઞાતિના રાષ્ટ્રીય અને અન્ય રાજ્યોના રાજકીય સ્તરના નેતાઓ પણ હાજરી આપે. ભા.જ.પા.એ ગુજરાતમાં આખી બ્રિગેડ ઉતારી અને જરૂર પડ્યે યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઇરાની, જે.પી. નડ્ડા, અમિત શાહ જેવાં નેતાઓએ પણ હાજરી આપી. નાના વિસ્તારોમાં સાંસદો અને ધારાશાસ્ત્રીને ખડા કરાયા જે તે વિસ્તારના લોકો સાથે કનેક્ટ સ્થાપી શકે. વળી આમ આદમી પાર્ટીનું ઝાડુ પણ કાઁગ્રેસનો વૉટ શૅર લઇ ગયું જેનો ફાયદો ભા.જ.પા.ને આડકતરી રીતે એ દિશામા એક આંગળી હલાવ્યા વિના મળી ગયો.
ભા.જ.પા.એ શું કર્યું અને તેને શું ફળ્યું એ સાથે રાહુલ ગાંધીએ જે રીતે ગુજરાતમાં પ્રચાર કરવાની આખી વાતને વખારે નાખી તેનો ફાયદો પણ તો ભા.જ.પા.ને જ થયો. આમે ય કાઁગ્રેસની વલે થઇ હતી એમાં કાઁગ્રેસ પાસે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરનો એકે ય નેતા પ્રચાર ટાણે ન હોવાની વાત જનતાને આંખે ઊડીને વળગી. ગાંધી પરિવારમાં લોકોને રસ નથી પણ છતાં ય રાહુલ ગાંધી કાઁગ્રેસ માટે જરૂરી તો છે જ પણ ભારત જોડો યાત્રામાં એક પોઇન્ટ પછી ગુજરાતનો છેદ ઊડી ગયો અને એમાં ગુજરાતમાં કાઁગ્રેસ સાવ ખૂણામાં ધકેલાઇ ગઇ. કાઁગ્રેસ આ હળવાશથી લેતે તો ગુજરાતમાંથી તેના પૂરી રીતે અદૃશ્ય થવાનો વખત ભા.જ.પા.એ ધાર્યું હશે તે પહેલાં જ આવી જશે.
બાય ધી વેઃ
આપણે ત્યાં ત્રણમાંથી બે સરકારો ફેંકાઇ જાયનો ઘાટ રહ્યો છે પણ નરેન્દ્ર મોદી અપવાદ સાબિત થયા છે અને ભા.જ.પા.ને તેમણે રાષ્ટ્રીય સ્તરે તથા હોમ પીચમાં પાછળ નથી પડવા દીધી. વળી હિંદુત્વ અને વિકાસ આ બે એવા પાસાં છે જે ભા.જ.પા. માટે કાયમ પોબાર પડે છે. ભા.જ.પા.ના વિકાસના વચન સામે ‘આપ’ની રેવડી દાણાદાણ થઇ ગઇ તો ગરીબો માટે મફત રાશનની વાત સાથે ગુજરાતની સોલારના ક્ષેત્રની સફળતા પણ પ્રચારમાં વપરાઇ. હિંદુત્વનું કાર્ડ વાપરી અમિત શાહે ગોધરાનો દાખલો આપ્યો. સત્તાનું અભિમાન કોઇને સદતું નથી, અને નરેન્દ્ર મોદી તથા ભા.જ.પા. બન્નેએ આ સાવ સાદી વાત યાદ રાખવી જ પડશે. નરેન્દ્ર મોદીને ગુજરાતમાં છબી ખરડાય તે કોઇ કાળે પોસાય તેમ નથી એટલે એ માટે તે બધું જ કરી છૂટે છે. અરવિંદ કેજરીવાલને પણ હળવાશથી લેવા જેવા નથી એ પણ નરેન્દ્ર મોદીને સમજાય છે. હવે ગુજરાતમાં ભા.જ.પા.ના શાસનને સીધા ૨૯ વર્ષ થશે, આ પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાએ પશ્ચિમ બંગાળમાં ૩૪ વર્ષ આ રીતે શાસન કર્યું છે. ભા.જ.પા.ને લોકોની નસ પરખાઇ ગઇ છે અને રાજકારણમાં એ આવડતની સામે બીજું બધું આડવાત જ લાગે કારણકે જનતા અંતે તો ટોળું છે, ટોળાંને મેનેજ કરવા માટે જોઇએ નેરેટિવ – કથા અને એ મેનેજ કરતા નરેન્દ્ર મોદી અને અમિત શાહને ન આવડે તો જ નવાઇ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ડિસેમ્બર 2022