વિક્ટોરિયા ઓકામ્પો પરના એક પત્રમાં ટાગોર લખે છે, ‘હું જ્યારે એકસાથે યુવાની અને વૃદ્ધત્વ બન્નેનો અનુભવ કરી રહ્યો હતો ત્યારે એક માત્ર તું જ હતી જેણે આટલી નિકટતાથી મને જાણ્યો.’ સેલિબ્રેટી તરીકેની પોતાની વિરાટ એકલતાની અને પ્રેમની ઝંખનાની વાત ટાગોરે તેને કરી હતી. વિક્ટોરિયા હૃદય ઠાલવે છે, ‘હું તમને કેટલા ચાહું છું તે કદાચ તમે પૂરેપૂરું જાણવા નહીં પામો. ગુરુદેવ, તમે અહીં એ સ્ત્રીને છોડી ગયા છો જે અભિવ્યક્તિ માટે શબ્દો શોધી રહી છે.’ ટાગોર લખે છે, ‘મને લાગે છે કે તારામાં લેટિન અમેરિકાનો આત્મા વસે છે.’ અને વિક્ટોરિયા જવાબ આપે છે, ‘મારા માટે તમે જ ભારત છો.’
‘લેટિન અમેરિકન સ્ત્રીઓની પ્રેમ વ્યક્ત કરવાની એક ખાસ રીત છે.’ આ વાક્ય ટાગોરે જેને માટે કહ્યું હતું એ હતી વિક્ટોરિયા ઓકામ્પો. તેણે ટાગોરને એક આરામખુરશી ભેટ આપેલી. 1924માં ટાગોર વિક્ટોરિયા ઓકામ્પોના અતિથિ હતા ત્યારે આ આરામખુરશી પર બેસતા. આ ખુરશી ટાગોર બ્યુએનોસ એરિસથી ભારત લઈ જાય એવી વિક્ટોરિયાની ઈચ્છા હતી. પણ ખુરશી એટલી મોટી હતી કે ટાગોરની સ્ટીમર-કૅબિનમાં ગઈ નહીં. વિક્ટોરિયાએ કૅપ્ટનને બોલાવી કૅબિનનો દરવાજો તોડી મોટો બનાવવાનું ફરમાન કર્યું. એટલું જ નહીં, પોતાની વગનો ઉપયોગ કરી ટાગોર માટે બે બેડરૂમવાળી ખાસ કૅબિનની વ્યવસ્થા કરી. આ બધું જોઈ ટાગોરે ઉપરનું વાક્ય કહ્યું હતું.
આ ખુરશી હજી શાંતિનિકેતનમાં છે. મૃત્યુ પહેલા આ ખુરશી પર બેસીને ટાગોરે લખ્યું હતું,
શું એવું ન બને, કે ફરી વાર શોધી લઉં હું
મને આવરી લેતો દરિયાપારનો પ્રેમસ્પર્શ?
એની ભાષા હું જાણતો નહોતો, પણ એ આંખો બધું જ કહેતી હતી
ઉદાસીભર્યો એ સંદેશ આજે પણ જીવે છે …
ટાગોરના મૃત્યુનો સંદેશો મળ્યો ત્યારે વિક્ટોરિયાએ ટાગોરના પુત્ર પર તાર મૂક્યો. એમાં ત્રણ જ શબ્દો લખ્યા હતા, ‘થિંકિંગ ઑફ હીમ.’ ટાગોર અને વિક્ટોરિયા ઓકામ્પો પર બનેલી ફિલ્મ માટે આનાથી વધારે યોગ્ય નામ બીજું કયું હોઈ શકે? આ ફિલ્મ એક સાથે ચાર ભાષાઓમાં તૈયાર થઈ છે. તેનું દિગ્દર્શન આર્જેન્ટિનાના પ્રખ્યાત ફિલ્મસર્જક પાબ્લો સિઝરે કર્યું છે.
ટાગોર ત્યારે પેરુ જવા નીકળ્યા હતા. તબિયત બગડતાં તેમને બ્યુએનોસ એરિસ રોકાવાનું થયું. વિક્ટોરિયા ઓકામ્પોએ તેમની સંભાળ લેવાની જવાબદારી લીધી. તેણે ટાગોરની ‘ગીતાંજલિ’ વાંચી હતી. પોતાનાં ઘરેણાં ગિરવે મૂકી તેણે સેન અસીડ્રામાં એક ભવ્ય, બગીચાઓવાળું મકાન ભાડે લીધું અને ટાગોરને ત્યાં રાખ્યા. મકાનના ઝરુખામાંથી પ્લેટ નદીનો વિશાળ પટ દેખાતો. 1924ની 6 નવેમ્બરથી 1925ની 3 જાન્યુઆરી સુધી તેઓ ત્યાં હતા.
1922માં વિક્ટોરિયાએ પતિને છોડ્યો હતો. ટાગોર આવ્યા ત્યારે વિક્ટોરિયાના ઘા તાજા હતા. ટાગોર તેને પૂર્વથી આવેલા દેવદૂત સમા લાગ્યા. તે ટાગોરને અસાધારણ ઉત્કટ એવા પ્રેમભક્તિભાવે જોવા લાગી. એ દિવસોમાં ટાગોરે ‘શેષ બસંત’ નામનું કાવ્ય લખ્યું હતું,
મારા એકાંત માર્ગ પર
ઊતરતી રાત વેળાએ હું તને મળ્યો
હું કહેવા ગયો, ‘મારો હાથ પકડ’
પણ તારો ચહેરો જોઈ હું ભય પામ્યો
એ ચહેરા પર હૃદયના ઊંડાણમાં વસતા ગાઢ મૌનમાં રહેલા અગ્નિનો પ્રકાશ હતો …
ટાગોરની ઉંમર ત્યારે 63 વર્ષની. 34 વર્ષની વિકટોરિયાના સંપર્કથી તેમનામાં નવી ઊર્જાનો સંચાર થયો. તેમની સર્જકતા પ્રજ્વલિત થઈ ઊઠી. વિક્ટોરિયા ઓકામ્પો લેખિકા હતી, પિતૃસત્તાક આર્જેન્ટિનાની એકેડમી ઑફ લેટર્સની તે પ્રથમ સ્ત્રીસભ્ય હતી, એક સાહિત્યસામયિક ચલાવતી અને તેના વિચારો પોતાના સમયથી આગળ હતા. તે દુનિયાભરમાં ફરતી અને યુરોપના, ખાસ કરીને ફ્રાંસના કલાવિશ્વમાં પંકાતી. ‘ગીતાંજલિ’ વાંચીને તેને સળગતા હૃદય પર ઝાકળબિંદુઓનો છંટકાવ થયો હોય તેવી રાહત થઈ હતી. ટાગોરની રચનાઓને તે ‘મેજિકલ મિસ્ટિસિઝમ’ કહેતી. તે બાળપણથી જે ઈશ્વરને ઓળખતી હતી તે કઠોર માગણીઓ કરતો ને બદલો લેતો જાલિમ હતો. ટાગોરે વર્ણવેલું ઈશ્વરનું સૌમ્ય, પ્રેમપૂર્ણ, આનંદ અને પવિત્રતાનાં કિરણો પ્રસારતું કલ્યાણકારી રૂપ તેને ગમી ગયું. ટાગોરની બૌદ્ધિક અને આધ્યાત્મિક ઊચ્ચતાથી તે અભિભૂત હતી અને તેમની પાસે નાના બાળકની જેમ શરમાતી, ભાગ્યે જ બોલતી અને ચાતકની જેમ તેમની વાતો સાંભળ્યા કરતી. પછીથી તેણે ટાગોરના સેન અસીડ્રા નિવાસ પર એક લેખ અને એક પુસ્તક લખ્યાં હતાં. વિક્ટોરિયા ટાગોરના પૂરબી કાવ્યોની પ્રેરણા હતી, તેમાં તેમણે તેને ‘વિજયા’ કહી છે અને આ કાવ્યો તેને અર્પણ કર્યાં છે. એક કાવ્યમાં તેઓ કહે છે,
ઉદાત્ત રહસ્યમય પુષ્પ
તારા કાનમાં ફરી કોઈ ગુંજન કર્યું મેં
તારી ભાષા કઈ છે, પ્રિય?
તું સ્મિત કરે છે, ગરદન હલાવે છે, અને પર્ણો મર્મરધ્વનિ કરે છે.
ફિલ્મમાં સંવેદનશીલ પળોનું સુંદર આલેખન થયું છે. ટાગોર વિક્ટોરિયાને પહેલી વાર જોઈને વિચારે છે, ‘જૂના શબ્દો મૃત્યુ પામ્યા છે. હૃદયમાંથી નવી સૂરાવલી ફૂટી રહી છે.’ વિક્ટોરિયા અનુભવે છે, ‘હું કેટલી નજીક છું, ને દુ:ખી છું કે તમે મારી નિકટ નથી.’ ટાગોર લખે છે, ‘હું નિકટતાનો અનુભવ કરું છું. તું પીડાય છે, કારણ કે તને એની જાણ નથી.’
ટાગોર એક પત્રમાં લખે છે, ‘હું જ્યારે એક સાથે યુવાની અને વૃદ્ધત્વ બન્નેનો અનુભવ કરી રહ્યો હતો ત્યારે એક માત્ર તું જ હતી જેણે આટલી નિકટતાથી મને જાણ્યો.’ સેલિબ્રેટી તરીકેની પોતાની વિરાટ એકલતાની અને પ્રેમની ઝંખનાની વાત ટાગોરે તેને કરી હતી. વિક્ટોરિયા હૃદય ઠાલવે છે, ‘હું તમને કેટલા ચાહું છું તે કદાચ તમે પૂરેપૂરું જાણવા નહીં પામો. ગુરુદેવ, તમે અહીં એ સ્ત્રીને છોડી ગયા છો જે પ્રેમની અભિવ્યક્તિ માટે શબ્દો શોધી રહી છે.’ ટાગોર લખે છે, ‘મને લાગે છે કે તારામાં લેટિન અમેરિકાનો આત્મા વસે છે.’ અને વિક્ટોરિયા જવાબ આપે છે, ‘મારા માટે તમે જ ભારત છો.’
ટાગોરની ભૂમિકા વિકટર બેનર્જીએ અને વિક્ટોરોયાની ભૂમિકા આર્જેન્ટિનાની અભિનેત્રી એલેન્યોરા વેક્સલરે કરી છે. ફિલ્મમાં બે કથાઓ સમાંતર ચાલે છે. એક કથામાં પ્રોફેસર ફેલિક્સ અને તેની વિદ્યાર્થિની કમલીની કહાણી છે. આ ભાગ રંગીન છે અને ટાગોર-વિક્ટોરિયાની કહાણી શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં છે.
ફિલ્મ 2017માં ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવાઈ અને 2018માં આર્જેંન્ટિનામાં રિલિઝ થઈ. ફિલ્મનો રિવ્યૂ વાંચ્યા પછી ઘણાંને કુતૂહલ થયું કે આ આધ્યાત્મિક પ્રેમનો કોઈ શારીરિક આવિર્ભાવ હતો ખરો ? સ્ત્રીએ એક રેખા દોરી, પુરુષે તેનું ઉલ્લંઘન ન કર્યું. પણ તે ઈચ્છતો હતો કોઈ સ્પર્શ, રેખા ઓળંગ્યા વિના?
હવે વિક્ટોરિયા ઓકામ્પોની આત્મકથા ખોલવી પડે. તેણે લખ્યું છે, ‘એક બપોરે હું એમના ખંડમાં ગઈ. તેઓ લખતા હતા. હું કુતૂહલથી ટેબલ પાસે ગઈ. માથું ઊંચું કર્યા વિના તેમણે હાથ લાંબો કર્યો. તેમની હથેળી, વૃક્ષ પરના ફળને સ્પર્શતી હોય તેમ મારા સ્તનને અડી. ચાબુક પડે અને ઘોડાની પીઠ થથરી ઊઠે એમ મારી અંદર આદિમ તરસ જાગી. પણ મારામાં રહેતી બીજી વિક્ટોરિયાએ મને રોકી, ચેતવી. હાથ ઊંચકાઈ ગયો. ફરી કદી એવું બન્યું નહીં.’ વિક્ટોરિયાએ ટાગોર માટેની પોતાની લાગણીને ‘અત્યંત કોમળ પવિત્ર સંવેદન’ એવા શબ્દોમાં વર્ણવી છે, જેનું માત્ર આત્મિક સ્તર હોઈ શકે. ટાગોરે તેના પ્રત્યેના પ્રેમ અને પ્રતીક્ષાને વ્યકત કરતાં જે કાવ્યો, જે પત્રો લખ્યાં છે તે ઘણું સૂચવે છે.
દક્ષિણ અમેરિકાના પ્રવાસ વખતે ટાગોરે એક સેક્રેટરી રાખ્યો હતો, લિયોનાર્ડ એલ્મહર્સ્ટ. આ એલ્મહર્સ્ટ અને વિકટોરિયા વચ્ચે મૈત્રી હતી. વિક્ટોરિયાએ ટાગોર પર લખેલું પુસ્તક એલ્મહર્સ્ટને અર્પણ કર્યું હતું, ‘એ મિત્રને, જે ટાગોરનો અને ભારતનો મિત્ર છે’.
વિક્ટોરિયા પહેલા અને પછી અનેક ભારતીય અને વિદેશી સ્ત્રીઓ ટાગોરના જીવનમાં આવી. ટાગોરને પણ એમનામાં ઓછો-વધારે રસ પડ્યો. પણ વિક્ટોરિયા 1925થી માંડીને 1941માં તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેમની મુખ્ય પ્રેરણા બની રહી. પૂરબી કાવ્યો ઉપરાંત અન્ય કાવ્યો, વાર્તાઓ અને ચિત્રોના મૂળમાં વિક્ટોરિયા હતી. વિક્ટોરિયાની ત્યારના ઉચ્ચ બુધિમત્તા ધરાવતા પુરુષો સાથે મૈત્રી હતી. પણ ટાગોર જેટલા પ્રેમ-શ્રદ્ધાથી તેને બીજા કોઈને જોયા નથી.
ટાગોરમાં રહેલા ચિત્રકારને બહાર લાવનાર પણ વિક્ટોરિયા જ હતી. બ્યુએનોસ એરિસમાં ટાગોરના રેખાંકનો જોઈને તેણે ટાગોરને ગંભીરતાપૂર્વક ચિત્રો કરવા પ્રેર્યા. તેણે ટાગોરનાં ચિત્રોનું પહેલું પ્રદર્શન પેરિસમાં મે 1930માં પોતાના ખર્ચે દબદબાપૂર્વક યોજ્યું હતું. આ તેમની બીજી અને છેલ્લી મુલાકાત હતી. ત્યાર પછી બન્ને કદી મળ્યાં નહીં, પણ ટાગોરના મૃત્યુ સુધી બન્ને વચ્ચે પત્રવ્યવહાર ચાલુ હતો,
ટાગોર-વિકટોરિયાના સંબંધો વિશે વધારે જાણવું હોય તે કેતકી કુશારી ડાયસનનું ઘણા સંશોધન પછી લખાયેલું પુસ્તક ‘ઈન યૉર બ્લોસમિંગ ગાર્ડન’ વાંચી શકે છે. તેનું પ્રકાશન સાહિત્ય અકાદમીએ કર્યું છે. આર્જેન્ટિનાના એક વર્ગ માટે ટાગોર અને વિક્ટોરિયાના સંબંધો ‘ટેન્ગો ડાન્સ’ જેવા હતા – ધ મેન એન્ડ વુમન ટચ ઈચ અધર્સ બોડીઝ ‘ક્રિએટિંગ સ્પાર્ક્સ’ બટ ‘વિધાઉટ ગેટિંગ બર્ન્ટ’ …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 મે 2021