= = = = મૃત્યુ પછી સ્વર્ગ-નર્ક મળશે, એ ઘસાઈ ગયેલા નૅરેટિવથી બચવાના છે આ દિવસો = = = =
= = = = માણસ કબૂલે કે ન કબૂલે પણ જીવનમાં કો’ક તો હોય જ કે જેને પામી શકાયું ન હોય. તેની સાથેનો વિરહ પડછાયો બનીને જીવનભર જોડે ને જોડે રહે છે = = = =
= = = = માયા શૈલૂષી છે – જાદુગરણી. શું એ કારણે નાસી જવું? પણ એ તો વિચારો કે જાદુ વિનાનું જીવવું તે શું ! ધૂળરાખ ! એકાદ આંસુ કે એકાદ સ્મિતથી સ્તો જીવન ખટમીઠું લાગતું હોય છે = = = =
કોવિડ -૧૯ને કારણે રોજે રોજ આ ધરતી પર સૅંકડો મનુષ્યોનાં મૉત થઈ રહ્યાં છે. એમનાં સ્વજનો પ્રતિ સહાનુભૂતિ દાખવીએ ને ચાલો આજે કંઇક મૃત્યુ વિશે ને એ નિમિત્તે જીવન વિશે બે વાત કરીએ.
મૃત્યુ વિશેની એક વાત નક્કી છે ને બીજી નક્કી નથી : નક્કી વાત એ કે આપણામાંના દરેકનું મૃત્યુ અનિવાર્ય છે – ટાળ્યું ટળશે નહીં. પણ મજા જુઓ, આપણામાંનું કોઈ એ વાતે ડરતું નથી કે નથી કોઈ એની રાહ જોઈને બેસી રહેતું. સવારે સવારે જીવાકાકા હથેળીનું નેજવું કરી શેરીમાં તાકતા નથી કે એમનું કેટલે પૂગ્યું છે. ઇચ્છાકાકી છીંકણીનો સૈડકો ટૅસથી એવો લગાવે છે કે નાકમાં જાય, તમતમારે, છેક લગી. મલકીને આંગળી પાલવથી લૂછી નાખે છે. એમને કશી સભાનતા છે જ નહીં કે મૉત તે શી બલા છે. સાવ નક્કી છે પણ વાટ કોઈ જોતું નથી કેમ કે જવું તો કોઈને નથી.
નક્કી નથી તે વાત – એ કે મૃત્યુ અનિવાર્ય ખરું પણ ક્યારે, કઈ તારીખે, કેટલા વાગ્યે, કયા સ્થળે, નક્કી નથી. નથી સમય નક્કી, નથી સ્થળ નક્કી. પણ એની પણ મજા જુઓ, સમય નક્કી નથી એ વાતે આપણે કંઈ હમણાં નહીં ને પછી, કે, આજે નહીં ને કાલે, જેવી રકઝકમાં જીવવાનું બરબાદ નથી કરતાં. કશી પણ ફિકર વિના મિસિસ એબીસી ફેસ પ્રાઇમર, ફાઉન્ડેશન, કન્સીલર, હાઇલાઇનર, બ્રૉન્ઝર, સૅટિન્ગ સ્પ્રે એમ પોતાના મેક-અપનો બધો જ સામાન પોતાની કાયમી શોપ પરથી મંગાવી લે છે. એમના ચિત્તમાં એક જ વાત રમતી હોય છે, ને જો પતિશ્રી પૂછે તો તાડુકીને જણાવે પણ છે – કાલથી લૉકડાઉન ખૂલે છે તે મારે ઑફિસ તો જવું પડશે કે નહીં …
સ્થળ નક્કી નથી એ વાતે પણ આપણે, અહીં નહીં ને ત્યાં, જેવી ભાંજગડમાં અટવાયેલાં નથી રહેતાં. અમથાલાલ છેક કાલુપુર જઈને કેસર કૅરીની પેટી લેતો આવે છે – ડિસ્ટન્સિન્ગની ઍસીતૅસી ! ભનુમાસી બિગ-બાસ્કેટવાળાને ત્યાંથી ભીંડા પરવળ કૅપ્સીકમ રીંગણ ને ટીંડોળાં જેવાં બધાં જ ભાવતાં-ગમતાં શાક ઑનલાઈન મંગાવી લે છે. બાજુવાળી પડોશણને ટૉણો મારતી બોલે ય છે – તારા રમણભાઈ તો બેન, હાવ ચીકણા છે, ઘરમાં રહ્યાં છે તો રહ્યાં છે, શાકપાંદડા વિના કૉળિયો ગળે કેમનો ઊતરે છે તમાર લોકનો !
મૃત્યુની એક નક્કી અને બીજી ન-નક્કી વાતે આજે મને સુરેશ જોષીનું આ સુખ્યાત કાવ્ય યાદ આવી ગયું છે.
કાવ્ય આ પ્રમાણે છે :
કદાચ હું કાલે નહીં હોઉં / સુરેશ જોષી
કદાચ હું કાલે નહીં હોઉં
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાએલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે;
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;
કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;
કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રકટાવવી બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં.
* * *
મૃત્યુ અનિવાર્ય છે એ નક્કી વાતની કાવ્યનાયકને પણ ખબર છે. એટલે તો કહે છે કે કાલે પોતે નહીં હોય. પરન્તુ લાગે છે કે ઊંડે ઊંડે એને આશા હોવી જોઈએ – કે કદાચ એમ ન પણ બને, જીવી જવાય. એટલે તો એણે કહ્યું છે, ‘કદાચ’ હું કાલે નહીં હોઉં. પણ શું કાલે એટલે ‘આવતી’ કાલે? ના, કાલે એટલે કોઈપણ કાલે. કઈ કાલ તે નક્કી નથી. એટલે કે, સમય નક્કી નથી.
આમ, આપણી જેમ કાવ્યનાયક પણ મૃત્યુ વિશેની નક્કી અને ન-નક્કી બન્ને વાતોથી વાકેફ છે. તેમછતાં એ આપણા જેવો તો નથી લાગતો કેમ કે એના કહેવા પરથી એમ લાગે છે કે આપણે જીવીએ છીએ એનાથી એ તો ઘણું જુદું અને અદકેરું જીવે છે. જોઈએ, કેવી રીતે …
જુઓ, એવી કોઈ કાલે શું થશે તેની કલ્પનાએ ચડ્યો છે એ : આંખ બિડાઈ ગઈ હશે પણ એમાં એક આંસુ બચી ગયું છે અને તેને સૂકવવું બાકી છે. એની વાત સાચી છે. દરેક મનુષ્ય એકાદ આંસુ સાથે જ મરતો હોય છે. એકાદ કરુણ જીવનઘટના, એકાદ અધૂરો ઑરતો, એકાદ દૂઝતો વ્રણ, એકાદ અતૂટ યાદ, એકાદ દર્દ – જેવું કંઈક સાથે લઈને જ મરે છે. એ વસ્તુ ‘બાકી’ રહી ગઇ હોય છે. એનો કશો નિકાલ નથી થયો હોતો. એનું શમન નથી થયું હોતું. નાયકના અવાજમાં આ વાતનું દુ:ખ છે, ગ્લાનિ છે, અફસોસ છે. કાવ્ય પણ એ સૂરે વિકસ્યું છે.
નાયકને આંસુની જેમ ‘બાકી’ રહી ગયેલી અનેક વસ્તુઓ વિશે અફસોસ છે :
જેમ કે, કન્યાના ચોરી લીધેલા સ્મિતનું ફળ. એ ખેરવવું બાકી છે. કિશોર-વય હોય, કન્યા હોય, એનું સ્મિત હોય, એ સ્મિત મળ્યું તો હોય, પણ આગળ કશું થયું ન હોય, ને રાહ જોવામાં જ એ ફળ પાકી ગયું હોય. પણ જતું થોડું રહે? અસ્તિત્વ સાથે ચૉંટીને રહ્યું હોય. આંસુ પછીનું ‘બાકી’ એ સ્મિત છે. એને ખેરવ્યા વિના કેમ જવાય?
જેમ કે, ઈશ્વરની વાતે પણ એને અફસોસ છે. આપણે માણસોએ હૃદયપૂર્વક ભજી ભજીને ઈશ્વરને છેલ્લે ખડક જેવો કરી મેલ્યો, પણ એ તો કાળમીંઢ જ રહ્યો. માણસને ભજન કે ભક્તિનો કશો સાર હાથ ન આવ્યો. એટલે પોતાની કારકિર્દી દરમ્યાન નાયક ઈશ્વરના ચૂરા કરવા ચાહતો હશે, ઈશ્વર નામના પદાર્થને કે વિચારને નેસ્તનાબૂદ કરવા માગતો હશે. પણ એ કર્મ પણ એનાથી નથી થઈ શક્યું, ‘બાકી’ છે.
જેમ કે, ચન્દ્ર અને એના આંકડે ભેરવાયેલું મત્સ્ય, એટલે કે એ રમ્ય દૃશ્ય, નાયકથી પૂરું ભોગવાયું નથી, એ પણ ‘બાકી’ છે. એને એમ હશે કે પ્રકૃતિથી લાધતા કલાસૌન્દર્યભોગને અધૂરો મેલીને તો કેમ જવાય?
જેમ કે, વિરહની વાતે પણ એને અફસોસ છે. મરતી વખતે કો’કનો વિરહ તો કોને નથી થવાનો? માણસ કબૂલે કે ન કબૂલે પણ જીવનમાં કો’ક તો હોય જ કે જેને પામી શકાયું ન હોય. તેની સાથેનો વિરહ પડછાયો બનીને જીવનભર જોડે ને જોડે રહે છે. નાયકને થાય છે કે જાતને તો બાળી મુકાશે પણ સાથોસાથ એ પડછાયાને પણ બાળવાનો છે, એનું પણ શમન ‘બાકી’ છે.
સૂરજ તો રોજ જ ઊગવાનો છે; પવન તો વાવાનો જ છે; સાગર તો છલકાવાનો જ છે; ચન્દ્ર ઊગવાનો જ છે ને અગ્નિ યે પ્રગટવાનો જ છે. પોતાની ચિતા બળશે ત્યારે એ બધું જોવા એ નહીં બચ્યો હોય એનો પણ એને અફસોસ છે.
પહેલી નજરે લાગે કે કાવ્યનાયક મૃત્યુની વાત કરે છે, પણ ધ્યાનથી જોતાં લાગશે કે ના, એ તો જીવનને આશાભેર જીવી લેવાની વાત કરે છે. એ આપણને સીધું નથી કહેતો પણ પ્રશ્ન તો આટલો જ છે કે એવી ‘બાકી’ ‘બાકી’ વસ્તુઓ મૂકીને શી રીતે ચાલી જવાય? સીધું એ આપણને એમ પણ નથી કહેતો કે – તમે પણ શોધી કાઢો તમારાં એવાં બધાં ‘બાકી’.
મને પોતાને તો એમ જ છે કે માયાથી જિવાયેલું મૂકીને ચાલી જઉં તો જીવનને વિશે બેવફા ઠરું. માયા શૈલૂષી છે – જાદુગરણી. શું એ કારણે નાસી જવું? પણ એ તો વિચારો કે જાદુ વિનાનું જીવવું તે શું ! ધૂળરાખ ! એકાદ આંસુ કે એકાદ સ્મિતથી સ્તો જીવન ખટમીઠું લાગતું હોય છે. માયા આ સંસારનું પરમ સત્ય છે, એનો દ્રોહ ન કરાય, ઊલટું હું તો એમાં જ રસબસ રહેવામાં માનું છું. ભાગંભાગ શેને માટે કરવી છે? મને એ નથી સમજાતું કે છોડીને જવું છે ક્યાં. કોઈ કહે કે સ્વર્ગે જવું છે ને મોક્ષ પામવો છે. પણ એ માટે ય પહેલાં તો મરવું પડશે. તો ત્યાંલગી આશાભેર જીવી લેવામાં જ સર્વ સાર સમજીએ !
મૃત્યુ પછી સ્વર્ગ-નર્ક મળશે, એ ઘસાઈ ગયેલા નૅરેટિવથી બચવાના છે આ દિવસો.
= = =
(May 28, 2020: Ahmedabad)