ભીડ જ એટલી છે કે
દર્શન થવાનું અઘરું છે
પ્રસાદ લઈ લો
દર્શન તો પછી પણ થશે
ઘણા ભક્તો તો પ્રસાદ લઈને
બહારથી જ નીકળી જાય છે
ભગવાનની એટલી દયા તો છે કે
કોઈ ભક્ત પ્રસાદ વગર ન જાય
પણ ભક્તો ધરાતા નથી
એમાં વળી પ્રસાદને બહાને
નાસ્તિકો પણ ઘૂસી આવે
પણ ભગવાનને ન માને તેને તો ન અપાયને !
એ તો સેવકો સારા છે તો પ્રસાદ બચે છે, બાકી …
જો કે, ભગવાને તીર પણ એવાં ચલાવ્યાં છે કે
નાસ્તિકો જ ન રહે
એ પણ છે કે બધાં જ કૈં ભગવાનને પામતાં નથી
પણ ભક્તિ કોને કહી છે !
ભગવાન ન હોય તેથી કૈં
ભક્તો ય ન હોય એવું થોડું છે?
ઘણીવાર મૂંઝવણ થાય કે
ભગવાન ભક્તોને આધીન છે કે
ભક્તો ભગવાનને શરણે છે?
એ પણ છે કે વગર જોયે પણ ભક્તો
ભગવાનનું રક્ષણ કરે છે
તો ભગવાનને પણ ભક્તોમાં અપાર શ્રદ્ધા છે
ભગવાને પથરો નાખ્યો તો ડૂબી ગયો
પણ ભક્તે નાખ્યો તો તરી ગયો
જોયું ને !
રામને નામે રામ તો ના તર્યા
પણ પથરા તરી ગયા છે …
e.mail : ravindra21111946@gmail.com