સવ્યસાચી: સ્મરણદીપના પ્રકાશમાં / સંપાદન મણિલાલ હ. પટેલ, સહ સંપાદન નલિની દેસાઈ. ગુજરાત વિશ્વકોશ ટ્સ્ટ, અમદાવાદ. ૧ આવૃત્તિ, ૨૦૧૪. ૧૬ + ૨૪૦ પાનાં, સચિત્ર. રૂ. ૨૫૦
છન્નું વર્ષના આયુષ્યમાં ધીરુભાઈ ઠાકર માત્ર લાંબુ ન જીવ્યા, પણ હર્યું જીવ્યા, ભર્યું જીવ્યા, હર્યુભર્યુ જીવ્યા. આ વર્ષના જાન્યુઆરીની ચોવીસમીએ તેમનું અવસાન થયું અને તે પછીના એમના પહેલા જન્મ દિવસે (જૂન ૨૭) મોટા કદનાં ૨૪૦ પાનાંનું આ પુસ્તક. પૂરા એક સો લેખો. ના. વર્ષો પહેલાં લખાયેલા, અહીંતહીંથી ભેગા કરેલા નહિ. ઘણા આ પુસ્તક માટે લખાયેલા, કે પછી ધીરુભાઈના અવસાન વખતે લખાયેલા. આવાં સંપાદનો માટે લેખો મેળવવાનું કેટલું અઘરું હોય છે તે તો ઘાયલ કી ગત ઘાયલ જાને.
પણ ધીરુભાઈનાં જીવન અને કાર્યની સુવાસ અને સંપાદકો તથા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પુરુષાર્થ, એટલે આ શક્ય બન્યું. અને પુસ્તકનાં મુદ્રણ અને નિર્માણમાં પણ ક્યાં ય કચાશ શોધવી મુશ્કેલ. ધીરુભાઈ માટેના સાચા પ્રેમાદર વિના આમ કરવું શક્ય ન બને, અને કદાચ બને, તો ય આવું સુભગ પરિણામ ન આવે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને જે ખૂબ જાણીતી, ઓછી જાણીતી, અને કોઈક અજાણી વ્યક્તિઓએ અહીં જે લખ્યું છે તેમાં ધીરુભાઈરૂપી શતદલ કમલની એક એક પાંખડી આપણી સામે ખૂલતી આવે છે. પિતા ધીરુભાઈ, અધ્યાપક, આચાર્ય, નિયામક, મિત્ર, મુરબ્બી, માર્ગદર્શક, વિદ્વાન, સંશોધક, આયોજક, નાટકનો જીવ ધીરુભાઈ. પાસાં અનેક, કામ કર્યાં અનેક અને જાતજાતનાં, પણ તેમના જીવન અને કાર્યને એકસૂત્રે બાંધતી વાત તે તો શેક્સપિયરે કહેલી તે – ‘ધિસ અબાવ ઓલ, ટુ ધાઇન ઓન સેલ્ફ બી ટ્રુ.’ આપણી ભાષાના એક શબ્દમાં કહેવું હોય તો ‘ખુદવફાઈ.’ આ પુસ્તક માટે લખનારાઓમાં નારાયણ દેસાઈ છે, ધીરુબહેન પટેલ છે, પ્રવીણ લહેરી, લાભશંકર ઠાકર, ગુણવંત શાહ, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ, ભદ્રાયુ વછરાજાની, અમર ભટ્ટ, સુમન શાહ, પ્રદીપ ખાંડવાળા, રમણ સોની, શરીફા વીજળીવાળા, રાજેન્દ્ર પટેલ, હર્ષદ ત્રિવેદી, શ્યામલ-સૌમિલ-આરતી મુનશી, રાજેન્દ્ર ખીમાણી, જેવા જુદાં જુદાં ક્ષેત્રોના, જુદાં જુદાં વૃત્તિ-વલણ ધરાવતાં લેખકો જોવા મળે છે.
પુસ્તકના આમુખ જેવા ‘પ્રેરણા દાયક સ્મરણ-દર્શન’ મથાળા નીચેના લખાણમાં કહ્યું છે : “તેઓએ કશું પણ, નાનું કે મોટું કાર્ય, કરવા ખાતર કર્યું નહોતું, ને જે કાર્ય હાથમાં લીધું તેમાં પોતાનો પ્રાણ રેડયો. જે કાર્ય એમણે હાથમાં લીધું હોય તેને સંસિદ્ધ તો કરી બતાવ્યું હોય, પણ સાથે સાથે તેને ગરિમાપૂર્ણ પણ બનાવી દીધું હોય.” ધીરુભાઈ – જેમનું ઉપનામ ‘સવ્યસાચી’ હતું – વિષે કહેવાયેલા આ શબ્દો આ પુસ્તક અંગે પ્રકાશક સંસ્થા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, પુસ્તકના સંપાદક મણિલાલ હ. પટેલ, અને સહ સંપાદક નલિની દેસાઈ માટે પણ કહી શકાય તેમ છે.
સૌજન્ય : ‘બુકમાર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 04 અૉગસ્ટ 2014
![]()


ડિમાઈ કદનાં લગભગ ૪૬૦ પાનાં. તેમાં દોઢ સો જેટલાં ચિત્રો, ઘણાં તો બહુરંગી. ૧૮૬૬માં એ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ. બીજે જ વર્ષે, ૧૮૬૭માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. એ વખતે ‘ગુજરાતી ભાષા બચાવો’નું આંદોલન ચાલતું નહોતું, છતાં અંગ્રેજી અખબારો અને મેગેઝીનોમાં ગુજરાતી પુસ્તકોનાં અવલોકનો પણ પ્રગટ થતાં. ૧૮૬૬ના જુલાઈની ૧૬મી તારીખે “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા”માં અને અને ચોથી ઓગસ્ટના “બોમ્બે સેટરડે રિવ્યુ”ના અંકમાં એ પુસ્તકનું અવલોકન પ્રગટ થયેલું. “બોમ્બે સેટર ડે રિવ્યુ”એ લખેલું કે છાપકામની દૃષ્ટિએ આના કરતાં વધુ સુંદર હોય તેવું બીજું કોઈ પુસ્તક મુંબઈના કોઈ પણ છાપખાનામાં આજ સુધીમાં છપાયું નથી. આ પુસ્તકનો મરાઠી અનુવાદ પણ પ્રગટ થયેલો, ૧૮૬૬માં જ.
વંશપરંપરાની દૃષ્ટિએ એમની ઓળખાણ આપવી હોય તો તેઓ હતા ઝવેરચંદ મેઘાણીના પુત્ર. અભ્યાસની દૃષ્ટિએ ઓળખાણ આપવી હોય તો હતા સાયન્સના ગ્રેજ્યુએટ. વ્યવસાયની દૃષ્ટિએ ઓળખાણ આપવી હોય તો તેઓ હતા પુસ્તક વિક્રેતા. પણ વૃત્તિની દૃષ્ટિએ – અને સાચી દૃષ્ટિએ – તેમની ઓળખાણ આપવી હોય તો કહેવું જોઈએ કે તેઓ હતા એક અઠંગ પુસ્તકપ્રેમી. નામ હતું નાનક મેઘાણી. પુસ્તક વેચાય એના કરતાં વધુ આનંદ એમને કોઈ સાચા પુસ્તકપ્રેમી સાથે પોતાનો અને પુસ્તકનો મેળાપ થાય તેમાં આવતો. ૮૨ વર્ષના આયુષ્યમાંથી પાંચ દાયકા જેટલો લાંબો સમય તેઓ પુસ્તક વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા. ૧૯૬૧માં રાજકોટમાં ‘સાહિત્ય-મિલાપ’ની સ્થાપના કરી અને ૧૯૭૭માં અમદાવાદ ખાતે ‘ગ્રંથાગાર’ શરૂ કર્યું. ઉત્તમ પુસ્તકો વાચકો સુધી, અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે તે માટે તેઓ આજીવન કાર્યશીલ રહ્યા હતા. પુસ્તકો તેમને માટે આજીવિકાનું સાધન નહિ પણ તેમનું જીવન હતુ. પછીથી ગુજરાતી સાહિત્ય પરિષદના મકાનમાં ‘ગ્રંથાગાર’ ખસેડાયેલું. પણ બે-એક વર્ષ પહેલાં નબળી તબિયતને કારણે તેમ જ નબળા પ્રતિસાદને કારણે નાનકભાઈએ સ્વેચ્છાએ તેને સમેટી લીધું હતું. મોટા ભાઈ અને પુસ્તક-મહર્ષિ મહેન્દ્ર મેઘાણી સાથે મળીને નાનકભાઈએ ‘કોન-ટિકિ’ અને ‘તળાવડીને આરે’ જેવાં પુસ્તકોના અનુવાદ પણ આપ્યા હતા. મહેન્દ્રભાઈ, નાનકભાઈ અને જયંતભાઈ મેઘાણી જેવી પુસ્તકપ્રેમી ત્રિમૂર્તિ આપણી ભાષામાં જ નહિ, દેશની બીજી ભાષાઓમાં પણ વિરલ હશે.