![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2024/07/Karasandas-Moolji-200x300.jpg)
કરસનદાસ મૂળજી
કરસનદાસ મૂળજી એટલે 19 મી સદીના એક અગ્રણી સમાજ સુધારક, લેખક, પત્રકાર, અને આજે આપણે જેને સોશિયલ એક્ટિવિસ્ટ કહીએ છીએ એવી એક વિભૂતિ. ૧૮૩૨ના જુલાઈની ૨૫મીએ જન્મ, ૧૮૭૫ ના ઓગસ્ટની ૨૮મીએ અવસાન. પત્રકાર તરીકેની શરૂઆત તેમણે ‘રાસ્ત ગોફતાર’, ‘સ્ત્રીબોધ’, ‘બુદ્ધિવર્ધક’, ‘જ્ઞાન પ્રસારક’ વગેરે ‘ચોપાનિયાં’(સામયિકો માટે એ વખતે વપરાતો શબ્દ)માં લેખો લખવાથી કરી. પણ પછી એમને લાગ્યું કે પોતે જે કહેવા માગે છે, પોતે જે કરવા માંગે છે, તેને માટે પોતાનું ચોપાનિયું હોવું જોઈએ. આ માટેની ધગશ તેમનામાં ભરપૂર પણ આવું મેગેઝીન ચલાવવા માટે જે પૈસા જોઈએ એ તેમની પાસે નહીં. એટલે તેમણે વાત કરી એક નિકટના મિત્ર મંગળદાસ નથુભાઈને. એ જમાના મોટા વેપારી. પછીથી સર પણ બનેલા. પણ ખાસ તો કરસનદાસ જેવા સમાજ સુધારકોના મિત્ર અને તેમને સહાય કરનાર. આ મંગળદાસ નથ્થુભાઈએ આર્થિક જવાબદારી શરૂઆતનાં થોડાંક વર્ષો માટે ઉપાડી લેવાની ખાતરી આપી એટલે કરસનદાસે ૧૮૫૫માં શરૂ કર્યું ‘સત્યપ્રકાશ’ અઠવાડિક. તવારીખની સાચવણી કરવાનું આપણે લગભગ શીખ્યા જ નથી. ૧૮૫૫માં શરૂઆત તો થઈ ‘સત્યપ્રકાશ’ની, પણ કઈ તારીખથી થઈ એ મહેનત કરવા છતાં જાણી શકાયું નથી. મહિપતરામે લખેલા કરસનદાસના જીવનચરિત્રમાં પણ માત્ર વર્ષ આપ્યું છે, તારીખ નહિ. ૧૮૬૧ સુધી સ્વતંત્ર રીતે આ ‘સત્યપ્રકાશ’ ચાલુ હતું અને તે પછી એ ‘રાસ્ત ગોફતાર’ સાથે ભળી ગયું. ‘રાસ્ત ગોફતાર’ અને ‘સત્ય પ્રકાશ’ એ મેગેઝીન ૧૮૬૧થી ૧૯૨૧ સુધી પ્રગટ થતું હતું.
કરસનદાસ અને ‘સત્યપ્રકાશ’ એ બંને એ વખતે જે લાઈમ લાઈટમાં આવ્યાં એનું મુખ્ય કારણ મહારાજ લાઇબલ કેસ. તેની વિગતોમાં અત્યારે આપણે નથી જતા, પણ ‘સત્યપ્રકાશ’માં છપાયેલા લેખને કારણે આખો મામલો ઊભો થયેલો અને જદુનાથજી મહારાજે ૫0,000 રૂપિયાની નુકસાની માગતો દાવો માંડેલો. યાદ રાખજો ૧૮૬૧ના ૫0,000 એટલે આજે નહીં નહીં તો પાંચ કરોડ.
![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2024/07/Nanabhai-Rustamji-Ranina-219x300.jpg)
નાનાભાઈ રૂસ્તમજી રાણીના
![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2024/07/Handwriting-of-Karsandas-Moolji-218x300.jpg)
કરસનદાસના હસ્તાક્ષર
સાથે એક બીજી વાત કરવાનું પણ મન થાય છે કે આપણે અમુક જ રીતે ઘટનાઓને જોઈએ છીએ. આ મહારાજ લાઈબલ કેસ એ જાણે માત્ર કરસનદાસ પર જ થયો હોય, એકલે હાથે એ ઝઝુમ્યા હોય, એ રીતે વાત આપણે ત્યાં થાય છે. પણ હકીકતમાં આ કેસ ફક્ત કરસનદાસ સામે નહોતો માંડ્યો, પણ કરસનદાસ અને ‘સત્યપ્રકાશ’ના પ્રિન્ટર પબ્લિશર નાનાભાઈ રુસ્તમજી રાણીના પર પણ માંડ્યો હતો. નાનાભાઈએ ૧૮૫૭માં યુનિયન પ્રેસ શરૂ કરેલું જે હજી આજ સુધી ચાલુ છે. આ નાનાભાઈ એટલે કરસનદાસ અને બીજા ઘણા બધા સમાજ સુધારકો અને લેખકોના નિકટના મિત્ર. ‘ડાંડિયો’ શરૂઆતમાં નાનાભાઈના યુનિયન પ્રેસમાં છપાતું. નર્મદનાં ઘણાં પુસ્તકો પણ નાનાભાઈએ પોતાના પ્રેસમાં છાપ્યાં. પણ સૌથી વધુ મહત્ત્વની વાત છે તે એમના અંગ્રેજી જીવન ચરિત્રમાં નોંધાઈ છે, ગુજરાતીમાં ક્યાં ય નોંધાઈ હોય એવું અત્યાર સુધી મેં જોયું નથી.
ખટલો દાખલ કર્યા પછી જદુનાથજી મહારાજે પોતાના એક ખાસ શિષ્યને નાનાભાઈ રાણીના પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે આ તો અમારો હિન્દુઓનો ઝઘડો છે. તમે તો પારસી છો. તમે શું કામ નાહકના કેસમાં હેરાન થાવ છો? તમે એકવાર અમારી પાસે આવીને અમારી મૌખિક માફી માગી લો તો તમારું નામ અમે કેસમાંથી દૂર કરીએ. ત્યારે નાનાભાઈએ પેલા શિષ્યને જવાબ આપ્યો : તમારા મહારાજશ્રી ને કહેજો કે તમે કહો છો તેમ હું તો પારસી છું, હિન્દુ નથી એટલે હિન્દુ ધર્મ શું કહે છે એની મને ખબર નથી. પણ મારો જરથોસ્તી ધર્મ મને મિત્ર દ્રોહ કરવાનું શીખવતો નથી. અને નાનાભાઈ છેવટ સુધી કરસનદાસની સાથે ઊભા રહ્યા. આ કેસ લડવામાં જે કંઈ ખર્ચ થયો એનો અડધો હિસ્સો પણ તેમણે આપ્યો. 19મી સદીના આપણા લેખકો સુધારકો અગ્રણીઓની મનોદશા કેટલી ઉચ્ચ હતી એનો આ એક પુરાવો છે. અને એટલે જરાક ચાતરીને પણ આ વાત અહીં કરી છે.
e.mail : deepakbmehta@gmail.com