૧૪
એ જમાનાના ગુજરાતના સાહિત્ય અને સંસ્કારો ઉપર રાસમાળાનો જે પ્રભાવ પડ્યો હતો તેનો ખ્યાલ આજના વાચકને આવવો મુશ્કેલ છે. ૧૮૫૬ સુધી ગુજરાતનો સર્વગ્રાહી ઇતિહાસ લખવાનો ભાગ્યે જ કોઈ પ્રયત્ન થયો હતો. ન તો કોઈ અંગ્રેજ લેખકે આવો પ્રયત્ન કર્યો હતો, કે ન તો કોઈ સ્થાનિક અભ્યાસીએ આવો પ્રયત્ન કર્યો હતો. આજે આપણને રાસમાળામાં ઘણાં દોષો અને ઊણપો હોવાનું લાગે, પણ ગુજરાતનો ઇતિહાસ લખનાર ફાર્બસ પહેલા લેખક હતા, અને તે પણ મુખ્યત્વે સ્થાનિક સાધનોને આધારે. રાસમાળામાંથી પ્રેરણા લઈને ઘણા લેખકોએ ગુજરાતીમાં નવલકથા, વાર્તા, નાટક વગેરે લખ્યાં હતાં. મૂળ અંગ્રેજી પુસ્તક પ્રગટ થયું ત્યારે જ તેને એક સીમાચિહ્નરૂપ ગ્રંથ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. પણ તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો તે પછી તે વધુ બહોળા વર્ગ સુધી પહોંચી શક્યું હતું. ‘કરણઘેલો’ (૧૮૬૬) નવલકથા લખતી વખતે નંદશંકર મહેતા રાસમાળાના પ્રભાવ તળે આવ્યા હતા. જો કે આવા પ્રભાવની વાત નંદશંકરે પોતે કરી નથી, પણ તેમના સમકાલીન મહીપતરામ નીલકંઠે કરી છે. મહીપતરામે પોતે લખેલી બે ઐતિહાસિક નવલકથા ‘સધરા જેસંગ’ (૧૮૮૦) અને ‘વનરાજ ચાવડો’ (૧૮૮૧) પર પડેલા ‘રાસમાળા’ના પ્રભાવની નિખાલસતાથી કબૂલાત ‘વનરાજ ચાવડો’ને અંતે મૂકેલા લખાણમાં કરી છે. તેઓ કહે છે : “એ.કે. ફાર્બસસાહેબે મનોરંજક રાસમાળા રચી પ્રસિદ્ધ કરી ત્યાર પહેલાં ગુર્જર રાજ્યનો ઇતિહાસ વાંચવામાં આવતો નહિ … ભાટ લોક એ રાજાઓને છેક ભૂલી ગયા ન હતા, પણ આપણા કવિઓએ કશી તજવીજ કરેલી જણાતી નથી. અંતે ગુજરાતના મિત્ર ફાર્બસસાહેબે આપણા જૂના આર્ય, આપણા સ્વદેશી, સ્વજાતી રાજપૂત રાજ્યની ખોળ કરી આપણા ઉપર મોટો ઉપકાર કર્યો. આ ભલા વિદ્વાને આપણા દેશનું ધન ખોદી કાઢી ગુર્જરોને વાપરવા આપ્યું. કરણઘેલાના અને વીરમતી નાટકના કર્તાઓએ એમાંથી થોડું દ્રવ્ય લઈને તેમાં પોતાની કલ્પનામાંથી ઉમેરો કરી રસિક ગ્રંથો રચ્યા. આ પુસ્તકમાં પણ એમ કર્યું છે … ભૂવડ, જયશિખર, સુરપાળ, રૂપસુંદરી, વનરાજ, શીલગુણસુરી, વગેરે સંબંધી રાસમાળામાં છે તે લીધું છે, અને બાકીનું સઘળું કલ્પેલું છે.”
ફાર્બસની ‘રાસમાળા‘થી પ્રભાવિત બે નવલકથાકારો : નંદશંકર મહેતા અને મહીપતરામ નીલકંઠ
ઓગણીસમી સદીમાં પ્રગટ થયેલી બીજી કેટલીક ઐતિહાસિક નવલકથાઓ પર પણ વધતે ઓછે અંશે રાસમાળાનો પ્રભાવ જોવા મળે છે. આવી કેટલીક નવલકથા : રાજપૂત વીરરસ કથા (૧૮૭૮) લે. રુસ્તમ ઈરાની, રાણકદેવી (૧૮૭૮) લે. અનંતપ્રસાદ વૈષ્ણવ, શૂરવીર જયમલ (૧૮૮૭) લે. નારાયણ બારથી ગોસાઈ, જયદેવ પરમાર (૧૮૯૩) લે. હરિવલ્લભદાસ ભાઈદાસ, સોરઠી સોમનાથ (૧૮૯૩) લે. ભવાનીશંકર કવિ, યશસ્વી ખતરી પુત્ર જગદેવ પરમાર (૧૮૯૫) લે. મહાશંકર ભટ્ટ, મહારાજા રાવ નવઘણ (૧૮૯૭) લે. અમૃતલાલ વકીલ અને ડાહ્યાભાઈ દવે, સોમનાથની પવિત્ર મૂર્તિ (૧૮૯૮) લે. જીજીભાઈ કાપડિયા, અને સિદ્ધપુરની રાજકુમારી (૧૯૦૦) લે. રામચંદ્ર બલવન્તરાય. ઓગણીસમી સદીના અંત સુધીમાં તો ઐતિહાસિક નવલકથા એ લેખક-પ્રિય તેમ જ વાચક પ્રિય સાહિત્ય પ્રકાર બની ગયો. ઓગણીસમી સદીમાં આ બધી નવલકથાઓએ જે પાયો નાખ્યો તેના પર કનૈયાલાલ મુનશીએ પોતાની ઐતિહાસિક નવલકથાઓની ભવ્ય અને સમૃદ્ધ ઈમારત રચી. ‘વિરમતી’ નાટકના લેખક નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ પણ નિખાલસતાથી કહ્યું છે કે તેમનું નાટક રાસમાળામાંની જગદેવ પરમારની કથા પર આધારિત છે.
જર્નલ ઓફ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીના જે અંક (JBBA No. XXIII)માં ફાર્બસને અપાયેલી અંજલિઓ પ્રગટ થઇ હતી તે જ અંકમાં ફાર્બસનો Puttun Somnath (પાટણ સોમનાથ) નામનો ઠીક ઠીક લાંબો લેખ પણ પ્રગટ થયો હતો. અગાઉ ૧૮૬૪ના એપ્રિલની ૧૪મી તારીખે ફાર્બસે આ લેખ સોસાયટીના સભ્યો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો. સોમનાથ પાટણની મુલાકાત દરમ્યાન ફાર્બસે પોતે લીધેલા કેટલાક ફોટા પણ લેખને અંતે મૂકવામાં આવ્યા છે. પોતે પાટણની મુલાકાત દરમ્યાન મંદિર અને તેની આસપાસના પરિસરનો અભ્યાસ કર્યો હતો અને પછીથી તેને આધારે આ લેખ લખ્યો હતો. તેઓ કહે છે :
“થોડા વખત પહેલાં આ સ્થળની મુલાકાત લેવાની મને તક મળી હતી. અલબત્ત, તેના નિરીક્ષણ માટે હું પૂરતો સમય મેળવી શક્યો નહોતો, કારણ ડુંગરોમાંના (વાઘેરોના) બળવાને કારણે અને તળેટીમાંના (રાજાઓના) કાવાદાવાને કારણે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને નિરાંતનો ઝાઝો વખત મળે તેમ નહોતું. છતાં મારા બે પુરોગામીઓ (ટોડ અને કિટ્ટો)એ ત્યાંના સ્થાપત્યનો જેટલો અભ્યાસ કર્યો હતો તેના કરતાં વધુ અભ્યાસ હું કરી શક્યો હતો. આથી તેમણે જે કહ્યું છે તેમાં હું ભલે થોડો, પણ ઉમેરો કરી શકું એમ છું એમ કહું તો તેને આપવડાઈમાં નહિ ખપાવવામાં આવે એવી આશા રાખું છું.”૩૧
સોમનાથના મંદિરનો ફાર્બસે લીધેલો ફોટો
લેખની શરૂઆતમાં ફાર્બસ મંદિરની આસપાસના પરિસરનું વર્ણન કરે છે. પાટણ શહેર અને વેરાવળ બંદર પોતે જેવાં જોયાં તેવાં તેમણે વર્ણવ્યાં છે. સોમનાથ પાટણને તેમણે ખંડેરો અને કબરોના શહેર તરીકે ઓળખાવ્યું છે. શહેરને વિંટળાઈને રહેલા કિલ્લાનું પણ તેમણે વર્ણન કર્યું છે. (આજે એ કિલ્લો હયાત નથી.) ત્યાર બાદ તેમણે સોમનાથના મંદિરનું વિગતવાર વર્ણન આપ્યું છે. આ વર્ણન વધુ મહત્ત્વનું એટલે બની રહે છે કે આજે એ મંદિર રહ્યું નથી. ૧૯૫૦માં દેશ પ્રજાસત્તાક બન્યો તે પછી જે નવું મંદિર બંધાયું તેને માટે જગ્યા કરવા એ જૂના મંદિરને તોડી પાડવામાં આવેલું. હિંદુ તેમ જ મુસ્લિમ શિલ્પ-સ્થાપત્યની પરંપરા દર્શાવી તેના પ્રકાશમાં એ મંદિરને જોયા પછી ફાર્બસ આવા તારણ પર આવે છે :
“આજે ખંડેર રૂપે આ જે મંદિર હયાત છે તેની મહંમદે મુલાકાત લીધી હોય તે સંભવિત નથી. એ મંદિર અહીંના સ્થાનિક લોકો જે જગ્યાને હીરા કોટ તરીકે ઓળખે છે તે જગ્યાએ હોય એવો સંભવ વધુ છે. જો કે મને એ જગ્યા જોવાની તક મળી નહોતી.”૩૨
મંદિરના સ્થાપત્યની પણ ફાર્બસે વિગતવાર ચર્ચા કરી છે અને તેને આધારે પોતાના કેટલાક પુરોગામીઓના તારણોનું તેમણે ખંડન કર્યું છે. ફાર્બસ કહે છે :
“ગુજરાતમાંની હિંદુ કલાના સુવર્ણયુગ સમાન સોલંકી વંશના સમયનું આ મંદિર છે એમાં શક નથી. તેમાંનાં સુશોભનો સમૃદ્ધ તેમ જ નાજુક છે. અગાઉના સ્થાપત્યના નમૂનાઓની સાદાઈ અહીં જોવા મળતી નથી. તેમ જ આ શૈલીની અવદશા થઇ તે વખતે જે ખરબચડાપણું પ્રવેશ્યું હતું તે પણ અહીં જોવા મળતું નથી.”૩૩
આબુ અને કુંભારિયાનાં મંદિરોની મુલાકાત લઈને અને તેના ફોટા લઈને તેની સાથે સોમનાથના મંદિરના સ્થાપત્યની તુલના કરવાની ફાર્બસ હિમાયત કરે છે. તેવી જ રીતે સિદ્ધપુર, મોઢેરા, ડભોઇ વગેરેમાં જોવા મળતી ઇમારતો સાથે પણ આ મંદિરની તુલના કરવી જોઈએ એમ ફાર્બસ કહે છે. અંતે ફાર્બસ કહે છે :
“સુલતાન મહંમદે જે મંદિર ભાંગ્યું હતું તે આ મંદિર નથી. પણ એ મંદિર ભાંગ્યા પછી ભીમદેવ પહેલાએ જે મંદિર બંધાવ્યું હતું તે આ મંદિર. પાછળથી સુલતાન મુઝફ્ફર પહેલાએ આ મંદિર ભાંગ્યુ હતું.”૩૪
આ લેખ જેટલો મહત્ત્વનો છે તેટલા જ મહત્ત્વના તેને અંતે છપાયેલા આઠ ફોટા પણ છે. આ બધા ફોટા ફાર્બસે મુલાકાત દરમ્યાન લીધા હતા. પછીથી તોડી પડાયેલા એ મંદિરના બહુ ઓછા ફોટા આજે ઉપલબ્ધ છે તેથી આ આઠ ફોટા સવિશેષ મહત્ત્વના બની રહે છે. અહીં તેમાંનો એક ફોટો મૂક્યો છે.
(ક્રમશ:)
e.mail : deepakbmehta@hotmail.com