
રવીન્દ્ર પારેખ
સ્વર સમ્રાજ્ઞી આશા ભોંસલે ગયા રવિવારે ૧૨મી એપ્રિલ, ૨૦૨૬ને રોજ ચીર નિદ્રામાં પોઢી ગઈ ને આખું સંગીત જગત ગમગીન થઈ ગયું. ૯૨ વર્ષની આશા તાઈ હવે આપણી વચ્ચે નથી, પણ તેણે ગાયેલાં ૧૨,૦૦૦થી વધુ ગીતો ક્યારેક ને ક્યારેક તો સંગીત પ્રેમીઓનાં હૈયાંને ઉકેલતાં રહેશે. આશા તાઈએ તમામ પ્રકારનાં ગીતો, કોઈ પણ છોછ વિના, મનથી ગાયાં છે ને એ દ્વારા તેની ગાયકીનો જે વ્યાપ અનુભવાય છે, તે ગીત-સંગીતજ્ઞને હરહંમેશ આશ્ચર્યચકિત કરતો રહેશે.
૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ને રોજ મહારાષ્ટ્રનાં સાંગલીમાં પંડિત દીનાનાથ મંગેશકરને ત્યાં આશાનો જન્મ. નવ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા, તે પછી મોટી બહેન લતા સાથે ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું. આશાએ પહેલું ગીત મરાઠી ફિલ્મ ‘માઝા બાળ’માં ૧૯૪૩માં ગાયું. ૧૯૪૮માં ’ચુનરિયા’ નામની ફિલ્મમાં ‘સાવન આયા ..’ ગીતથી હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. પછી તો ભજન, પ્રાર્થના, ગઝલો, કેબ્રે, પોપ, શાસ્ત્રીય, કવ્વાલી, રવીન્દ્ર સંગીત એમ વૈવિધ્યપૂર્ણ એટલા પ્રકારોમાં ગાયું છે કે આટલી મોટી રેન્જની ગાયિકા શોધવી પડે. ‘માઈ’ નામની ફિલ્મમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી ને તેની ઊલટભેર પ્રશંસા પણ થઈ.
આશા તાઈને નામે અનેક માન અકરામ અને એવોર્ડ્સ ચડેલાં છે. કોઈ ભારતીયને વિદેશમાં મળેલાં એવોર્ડ્સમાં ગીનેસ બૂક અને ગ્રેમી એવોર્ડ સાથે આશા તાઈનું નામ સંકળાયેલું છે. આ ઉપરાંત ફિલ્મ જગતનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ ૨૦૦૦માં મળ્યો હતો અને બે રાષ્ટ્રીય એવોર્ડ ૧૯૮૧માં ‘ઉમરાવજાન’માં ‘ દિલ ચીઝ ક્યાં હૈ …’ માટે અને ૧૯૮૭માં ‘ઈજાઝત’ ફિલ્મનાં ગીત ’મેરા કુછ સામાન …’ માટે મળ્યા. આ ઉપરાંત ૨૦૦૮માં પદ્મવિભૂષણનું સન્માન પણ ભારત સરકાર તરફથી મળ્યું. આમ છતાં આશા તાઈ સરળ અને સહજ જીવનમાં માનતાં રહ્યાં. સાદગી જ તેમનું આભૂષણ હતું.

આશા ભોસલે
આટલી સન્માનિત વ્યક્તિએ, ૧૬ વર્ષની ઉંમરે ૩૧ વર્ષના ગણપતરાવ ભોંસલે સાથે ભાગીને લગ્ન કર્યાં હતાં ને તેમનું લગ્નજીવન સુખી ન હતું. આશા ભોંસલેને ઘરેલું હિંસાનો સામનો કરવાનું પણ આવ્યું ને ગર્ભાવસ્થામાં જ ઘર છોડવાની સ્થિતિમાં મુકાવું પડ્યું. આ લગ્નથી મોટી બહેન લતા બહુ નારાજ હતી અને બંને બહેનો વચ્ચે વર્ષો સુધી અબોલા રહ્યાં હતાં. એ પછી ગાયકીનો જુદો માહોલ ખડો થયો અને સંગીતકાર ઓ.પી. નય્યરના નિર્દેશનમાં આશા તાઈએ ઢગલો ગીતો ગાયાં. નય્યરે પણ આશાના અવાજનો મહત્તમ કસ કાઢીને વિશેષ વૈવિધ્ય અને લય બહાર આણ્યાં. બંને વચ્ચેનું ટ્યૂનિંગ એવું હતું કે ઓ.પી. નય્યર કહેતા કે આશા વગર તેમનું સંગીત અધૂરું છે. આ વાત આશા તાઈ પણ સ્વીકારતી કે ઓ.પી. નય્યરનો અવાજને નવો વળાંક આપવામાં તથા બેઝ મ્યુઝિક સર્જવામાં મોટો ફાળો હતો. નય્યરે પણ આશાના અવાજનું પ્રણયરંગી માધુર્ય પ્રગટાવીને ‘જાઈએ આપ કહાં જાયેંગે’ (મેરે સનમ), ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી (નયા દૌર), આઇએ મહેરબાં (હાવડા બ્રિજ) જેવાં સદાબહાર ગીતો આપ્યાં. પણ 14 વર્ષના સાંગીતિક સાથ પછી ૧૯૭૨માં કોઈ વાતે વાંકું પડતાં આ જોડી ખંડિત થઈ.
આશા ભોંસલેએ હિન્દી ઉપરાંત બંગાળી, મરાઠી, ગુજરાતી…માં પણ કેટલાંક ઉત્તમ ગીતો ગાયાં. એમાંનું અવિનાશ વ્યાસનું ગુજરાતી સર્જન ‘માડી તારું કંકું ખર્યુંને સૂરજ ઊગ્યો…’, આશા ભોંસલેએ ગાયેલું અદ્દભુત ભક્તિ ગીત છે. ‘માડી તારું’માં જે રીતે આલાપ, સ્વર માધુર્યથી, ચોક્કસ સ્થળે સ્વર લંબાવીને શબ્દની સાર્થકતા સિદ્ધ કરી છે, એ આ ભક્તિ ગીતને અમર બનાવે છે. ‘માડી તારું’-ની પહેલી જ પંક્તિમાં ‘કંકુ’માં ‘કુ’ને લંબાવીને હવામાં ઉડાડ્યું છે ને ‘ખર્યું’ ને એ રીતે ગાયું છે કે ‘કંકુના ખરવાની અનૂભૂતિ થઈને રહે. ‘જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો, એ પંક્તિમાં ‘પગ’ને એ રીતે ગાયું છે કે પ…ગ મુકાવાની મુદ્રા પ્રગટે. ‘સૂરજ ઊગ્યો’ શબ્દમાં ‘ઊઉઉગ્યો’શબ્દ એ રીતે ગાયો છે કે અનેક રૂપે સૂર્યના ઊગવાની કળાનો સાક્ષાત્કાર થાય. ‘નભનો ચંદરવો’માં આશા તાઈએ ‘ન…ભ‘ શબ્દ એમ ગાયો છે કે તારાઓનો ચંદરવો ખૂલતો દેખાય. ગીતમાં આગળ ‘પૂનમની’ જ્યોતિમાં ‘પૂઉઉઉનમ’ની જ્યોતિ ગાઈને ગીતમાં પૂનમનું અમૃત ફેલાવ્યું છે. આખા ગીતની વિશેષતાઓ તો અહીં બતાવવામાં લંબાણ થાય એટલે આટલાથી જ સંતોષ માનવો પડે, પણ અવિનાશ વ્યાસે જે રીતે એ સંગીતબદ્ધ કર્યું છે, તેમાં એક સાત્ત્વિક અનુભૂતિ થઈને રહે છે. ગીત ગુજરાતીમાં તો ખરું જ, પણ આશા તાઈનાં શ્રેષ્ઠ ગીતોમાં પણ અગ્રતા ક્રમે ગોઠવાઈ રહે એમ છે.
પછી તો આશા તાઈ ૧૯૮૦માં આર.ડી. બર્મન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. બંનેનાં આ બીજા લગ્ન હતાં. એમને જોડનારું તત્ત્વ સંગીત હતું. પંચમ દાના સંગીતમાં અનેક પ્રયોગો, યોગની કક્ષાએ થયા. કેટલાંક કમ્પોઝિશન્સ તો આશાજી જ ગાઈ શકે એવાં હતાં. પંચમ દા વિષે આશા તાઈનું કહેવું હતું કે તે ગાયકના ગળાની શક્તિનો પૂરો કસ કાઢી શકતા હતા. આશા તાઈ એવી સક્ષમ ગાયિકા હતી. આર.ડી. બર્મન પશ્ચિમી અને ભારતીય સંગીતનું સમન્વય સિદ્ધ કરતું નવું શિખર બની રહ્યા, એટલે આશા ભોંસલે પાસે ‘દમ મારો દમ’ (હરે રામ હરે કૃષ્ણ), ‘ઓ હસીના ઝૂલ્ફોં વાલી’ ‘આજા આજા મૈં હૂં પ્યાર તેરા’ (તીસરી મંઝિલ), ‘ચુરા લિયા હૈ તુમને જો દિલકો’, (યાદોં કી બારાત) જેવાં ગીતો ગવડાવ્યાં તો ‘સપના મેરા ટૂટ ગયા’ (ખેલ ખેલ મેં), ‘કતરા કતરા …’ ‘મેરા કુછ સામાન…’ (ઈજાઝત) જેવાં ગીતો પણ ઉત્તમ રીતે ગવડાવ્યાં.
જો કે, આજે વાત ‘મેરા કુછ સામાન…’ની કરવી છે. આર.ડી. બર્મને એ કમ્પોઝિશન કોઈ દિવ્ય અનુભૂતિમાંથી કર્યું હોવાનું લાગે છે. સુબોધ ઘોષની એક વાર્તા પર આધારિત ગુલઝારની ફિલ્મ ‘ઈજાઝત’ પ્રણય વિચ્છેદની ગંભીર કથા છે. મહેન્દ્ર (નસીરુદ્દીન શાહ), સુધા (રેખા), માયા (અનુરાધા પટેલ)ની ભૂમિકાવાળી આ ફિલ્મમાં પતિ-પત્ની વચ્ચે એક અલ્લડ યુવાન છોકરી આવે છે ને નસીરુદ્દીન, રેખા અલગ થઇ જાય છે. પત્ની તરીકે રેખા અનુરાધાથી નારાજ છે, પણ તેની કેટલીક વાતો, હરકતો રેખાને ગમે પણ છે.
રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં એકાએક નસીર-રેખા અલગ થયા પછી, પહેલી વાર મળે છે, ત્યાંથી ફિલ્મ શરૂ થાય છે. એમાં જ અનુરાધા(માયા)ની મુલાકાત ને વધતા સંબંધોની વાત પણ વણી લેવાઈ છે. માયા ને મહેન્દ્ર એકબીજાની નજીક આવે છે, પણ માયા કોઈક કારણસર મહેન્દ્રને છોડી જાય છે. જો કે, લાગણીનો તંતુ છૂટતો નથી. રેખા સાથે નસીરના લગ્ન થાય છે, ત્યારે માયા અલગ થઇ ગઈ છે. રેખાના આવ્યા પછી, તેને માયાનો કેટલોક સામાન જડે છે, તે તેને મોકલાવી દે છે. એ વાતે માયા ઘવાઈ હોય તેમ, એક રાત્રે મોટા કાગળ જેટલો ટેલિગ્રામ મોકલે છે ને પોતાનો થોડો સામાન હજી નસીર પાસે રહી ગયો છે, તે મંગાવે છે. એ શું માંગે છે? પત્રમાં લપેટાયેલી રાત, શાખ પરથી તૂટતું પાન, બિસ્તર પાસે રહી ગયેલું ભીનું મન … તે સંવેદન સભર એવી વસ્તુઓ માંગે છે, જે વસ્તુ નથી, પણ કેવળ અમૂર્ત ભાવ છે.
એ ગીત રૂપે આશા ભોંસલેના અવાજમાં આર.ડી.એ કમ્પોઝ કર્યું છે. માયાની માંગણીઓ જ સ્વયં કવિતા છે. ગુલઝારનું દિગ્દર્શન અને ગુલઝારનું જ કાવ્ય. એમાં છંદ નથી. એ કાવ્ય ગુલઝાર આર.ડી. બર્મનને આપીને તેને કમ્પોઝ કરવાનું કહે છે. આર.ડી. કહે છે કે કાલે તો તમે છાપામાંથી ગીત બનાવવાનું કહેશો, પણ બનાવે છે. સાધારણ રીતે ગીત કે ગઝલ છંદમાં હોય તો તે સંગીતબદ્ધ કરવાનું એટલું અઘરું નથી, પણ જે કવિતાની બધી જ પંક્તિઓ નાની મોટી હોય એને કમ્પોઝ કરવાનું અઘરું છે. ગુલઝારની આ કૃતિ કવિતા તરીકે ઉત્તમ છે, પણ તેની અનિયમિત નાજુક પંક્તિઓની તર્જ બનાવવાનું અશક્યવત હતું. ગુલઝારને લય, છંદનું સારું એવું જ્ઞાન છે, તો ય આ છંદ વગરની કૃતિ કમ્પોઝ કરવાનું કહ્યું, તેનું કારણ એ કૃતિમાં રહેલું ઉત્તમ કાવ્યત્વ છે. હિન્દી ફિલ્મ જગતમાં ‘મેરા કુછ સામાન’ એકમાત્ર અછાંદસ રચના છે, જે સંગીતબદ્ધ થઈ છે.
આર.ડી. બર્મને પણ આ કવિતાને ચેલેન્જ તરીકે સ્વીકારી ને લય ઊભો કરી અત્યંત હ્રદયસ્પર્શી કૃતિ પડદા પર અનુરાધા પટેલના સુંદર અભિનય દ્વારા પ્રસ્તુત કરી. એ કૃતિ આજે તો એક ઇતિહાસ છે. આવી કૃતિ પ્રેક્ષકોને બહુ માફક આવતી નથી, પણ ગુલઝારને નસીબે, દર્શકોને આ કવિતા પણ પસંદ પડી, એને માટે આખી ટીમને અભિનંદન આપીએ.
ફિલ્મમાં અનુરાધા પટેલ ટેલિગ્રામમાં ઉટપટાંગ રીતે, સંવેદનશીલ માંગણીઓ નસીર પાસે કરે છે. કાવ્ય આશા તાઈના આલાપ સાથે આમ ઊઘડે છે: સા(આઆ)માન શબ્દ આ રીતે આશા તાઈ ગાય છે તો અમૂર્ત સામાન મૂર્ત સ્વરૂપ ધારણ કરે છે. એ જ રીતે તુમ્હારે પાસ પડા હૈ-માંના ‘તુ(ઉઉઉ)મ્હા(આઆઆ)રે(એએએ)માં મુરકીની મજા છે તે કવિતાને વધારે અસરકારક બનાવે છે.
મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ (2)
સાવન કે કુછ ભીગે ભીગે દિન રખે હૈં
ઔર મેરે એક ખત મેં લિપટી રાત પડી હૈં
વો રાત બુઝા દો, મેરા વો સામાન લૌટા દો
પતઝડ મેં હૈ કુછ
હૈ ના
પતઝડ મેં કુછ પત્તોં કે ગિરને કી આહટ
કાનોં મેં એક બાર પહન કે લૌટ આયી થીં
પતઝડ કી વો શાખ અભી તક કાંપ રહી હૈ
વો શાખ ગિરા દો, મેરા કુછ સામાન લૌટા દો (2)
એક અકેલી છત્રી મૈં જબ આધે આધે ભીગ રહે થે (2)
આધે સૂખે આધે ગીલે,
સૂખા તો મૈં લે આયી થી
ગીલા મન શાયદ બિસ્તર કે પાસ પડા હો
વો ભીજવા દો,
મેરા વો સામાન લૌટા દો
એક સૌ સોલા ચાંદ કી રાતેં, એક તુમ્હારે કાંધે કા તિલ (2)
ગીલી મેંહદી કિ ખૂશ્બૂ, જૂઠ મૂઠ કે વાદે
શિકવે કુછ
જૂઠ મૂઠ કે વાદે સબ યાદ કરા દો
સબ ભીજવા દો, મેરા વો સામાન લૌટા દો (2)
એક ઈજાઝત દે દો બસ, જબ ઇસ કો દફનાઉંગી
મૈં ભી વહીં સો જાઉંગી
મૈં ભી વહીં સો જાઉંગી …
આખી કવિતા જોઈશું તો ખ્યાલ આવશે કે એને સંગીતબદ્ધ કરવાનું અશક્યવત હતું ને એટલું જ મુશ્કેલ હતું આશા તાઈ માટે ગાવાનું, પણ આખું સાહસ સફળ રહ્યું ને એને માટે ગાયકીનો રાષ્ટ્રીય પુરસ્કાર આશા તાઈને મળ્યો એ દરેક સંગીત ચાહક માટે ગૌરવપૂર્ણ ઘટના છે. એ આશા તાઈ બધી પીડાઓ દફનાવીને કહે છે –
મૈં ભી વહીં સો જાઉંગી
મૈં ભી વહીં સો જાઉંગી
આજે આશા તાઈ ચીર નિદ્રામાં પોઢી ગયાં છે.
એમને વિનમ્ર (સં)ગીતાંજલિ ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ઍપ્રિલ 2026
![]()

