પહેલી મેની સાંજે ટી.વી. પડદે ટૂંક સમયમાં સેના પ્રમુખોની પ્રેસ કૉન્ફરન્સની જાહેરાત જોઈ ત્યારે મહામારીના દિવસોમાં દેશ સમક્ષ કોઈ મોટું સંકટ તો નહીં આવ્યું હોય ને, એ વાતે ફિકર થઈ હતી. પણ પછી જ્યારે એમની પ્રેસ કૉન્ફરન્સનું પ્રયોજન સાંભળ્યું ત્યારે તો ચિંતા ઓર ઘેરી થઈ. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સાથે સેનાના ત્રણેય વડાઓએ, એક પણ મહિલા પત્રકાર વિનાની આ પ્રેસ કૉન્ફરન્સમાં કોરોના વૉરિયર્સ પ્રતિ આભાર પ્રગટ કરવા સેનાની ત્રણેય પાંખોએ કરેલા આયોજનની વિગતો આપી.
ત્રીજી મેના રવિવારે સવારથી સાંજ સુધી આ કાર્યક્રમોનું આયોજન થયું છે. વાયુસેનાનાં લડાકુ વિમાનો શ્રીનગરથી તિરુઅનંતપુરમ્ અને દિબ્રુગઢથી કચ્છ સુધીની કોવીડ હોસ્પિટલો પર વિમાનમાંથી પુષ્પવર્ષા કરે, ભૂમિસેના છેક જિલ્લા લેવલે કોવીડના દરદીઓની સારવાર કરતી હોસ્પિટલોની બહાર આર્મી બેન્ડની સૂરાવલિ રેલાવે અને સાંજે સમુદ્રકિનારે નૌકાદળનાં જહાજો પર રોશની કરવામાં આવે. આ આયોજનથી મહામારી સામેના પ્રયત્નોમાં શું લાભ? એવો પ્રશ્ન કરવાની જરૂર નથી. અગાઉ દેશે થાળી વગાડી, દીવા પ્રગટાવ્યા હતા ને? તો સેનાની પણ ફરજ બને છે ને કે તે કોરોના સામે દેશવાસીઓને સુરક્ષિત રાખવા સતત મહેનત કરતાં આરોગ્યકર્મીઓ, પોલીસ અને મીડિયા પ્રત્યે પોતાની લાગણી દર્શાવે. એક યોદ્ધા બીજા યોદ્ધા માટે આટલું તો કરે જ ને?
શ્વસનયંત્ર મારફત શ્વાસ લઈ રહેલા ગંભીર દરદીઓને સંગીતના સૂર રાહત પહોંચાડવાના છે. અને હા, લૉક ડાઉનમાં નેવીનું લાઈટિંગ જોવા કોણ જશે? એવો સવાલ નથી પૂછવાનો. યાદ છે ઘરે અંધારપટ કરી બહાર દીવા પ્રગટાવ્યા ત્યારે એ બધું દુનિયાને કોણે દેખાડ્યું હતું? ગોદી મીડિયા ભલે કોરોના પૉઝિટવ આવેલા દિલ્હીના ૧૬૮ વૉરિયર્સ કે ૧૨૨ સી.આર.પી.એફ. જવાનો સુધી ન પહોંચે, લાઈટિગ દેખાડવા આખા દેશના સમુદ્રકિનારે રિપોર્ટર્સ ગોઠવાઈ જશે. અને બાકીનું કામ આઈ.ટી. સેલ અને સેલિબ્રિટીસની ટ્વીટ કરી દેશે. પી.પી.ઇ. કીટ, આઈસોલેશન બેડ, વૅન્ટિલેટર, આઈ.સી.યુ.ની સગવડ, હોસ્પિટલ અને સ્ટાફની અછત જેવા સવાલો નહીં પૂછવાના. અને હા, પેલા પરપ્રાંતીય મજૂરોનું તો નામ પણ નહીં લેવાનું. સેના આકાશમાંથી પુષ્પવર્ષા કરશે તો રસ્તે ચાલતાં, બસમાં કે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં જતાં કે પોતાના ઘર-ગામના ક્વૉરન્ટીન સૅન્ટરમાં મોજ કરતાં મજૂરો પર પણ ફૂલોની થોડી પાંખડીઓ તો પડશે જ ને?
આ માટેનો ખર્ચ? એની ચિંતા ન કરો. આપણે ડિફેન્સ બજેટમાં કોઈ કાપ મુકવાના નથી. વળી દેશના દયાળુ દાતાઓએ પી.એમ. કેર્સ ફંડ છલકાવી દીધું છે અને દોઢ વરસ સુધી સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું પણ નથી આપવાનું. ચિંતા છોડો. સોગિયું મોં જરા હસતું રાખો. પોઝિટિવ કેસ ડબલિંગ થવાના રેટના દિવસો ઘટી રહ્યા છે. દર દસ લાખે ટેસ્ટિંગમાં દેશ દુનિયામાં આગળ છે, સાજા થનારા વધી રહ્યા છે અને હા, હવે ઘરે જ લોકો કોરોનાની સારવાર લેવાના છે. એટલે આ યુદ્ધ તો આપણે જીતવાના છીએ. આફતને પણ અવસર અને સંકટને સેલિબ્રેશનમાં ફેરવવામાં તો આપણે વિશ્વગુરુ ઠરવાના છીએ.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 મે 2020
![]()


જડ સમાજવ્યવસ્થા અને તેની રુઢિઓ સામે બંડખોર ફુલે દંપતી ભારોભાર કરુણા અને માનવીય સંવેદનાથી સભર હતું. ૧૮૯૦માં મહાત્મા ફુલેના અવસાન પછી તેમણે સ્થાપેલ “સત્યશોધક સમાજ” મારફત સાવિત્રી ફુલેએ તેમના સમાજસુધારણાના કાર્યોને આગળ વધાર્યા હતા. ૧૮૯૭માં મુંબઈ અને પુણેમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. અનેક લોકો તેમાં ટપોટપ મરવા માંડયાં હતાં. સાવિત્રીબાઈ ફુલેએ પ્લેગગ્રસ્તોની સારવાર અને સેવાનું કામ આરંભ્યું. તેમના ડોકટર દીકરા યશવંતે પુણેમાં દવાખાનું શરૂ કરી મરકીના ચેપગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા છતાં પ્લેગગ્રસ્તોને શોધી શોધીને સાવિત્રીબાઈ તેમને પુત્રના દવાખાને લઈ આવતાં હતાં. તેમની સેવાશુશ્રૂષાથી દરદી સાજા પણ થતાં હતાં. પુણેની સડક પર પડેલા એક પ્લેગગ્રસ્ત અસ્પૃશ્ય બાળકનો ઈલાજ કરવો તો દૂર, કોઈ તેની નજીક પણ ફરકતું નહોતું. સાવિત્રીબાઈને તેની ભાળ મળતાં તેઓ તે બાળકને ખભે ઊંચકી દવાખાને લાવ્યા. ઘણા વખતથી મરકીગ્રસ્તોની સેવા કરતાં સાવિત્રીબાઈને આખરે ચેપ લાગ્યો અને ૧૦મી માર્ચ ૧૮૯૭ના રોજ પ્લેગને કારણે તેમનું અવસાન થયું હતું. તે પછી સેનામાં ડોકટર તરીકે જોડાયેલા યશવંત ફુલેએ ૧૯૦૫ના પ્લેગ વખતે પુણે આવી ફરી પ્લેગગ્રસ્તોની સારવાર કરી હતી. એક દિવસ તેમને પણ ચેપ લાગ્યો અને મૃત્યુ પામ્યા. આજના કોરોના વોરિયર્સના સમયમાં ફુલે માતા-પુત્રનું આ બલિદાન પણ સંભારવાની જરૂર છે.
ગાંધીજીના જીવનમાં આવેલા મરકીના મુકાબલાના એકાધિક પ્રસંગો પણ આજે પ્રાસંગિક છે. વિલાયતમાં બેરિસ્ટર થઈ સ્વદેશ આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીનું પ્રામાણિકતાથી સત્યની વકીલાત કરવાનું વલણ રોટલા રળી આપે તેવું નહોતું. એ દરમિયાન દક્ષિણ આફ્રિકાથી દાદા અબ્દુલાનું કહેણ આવ્યું એટલે તે દક્ષિણ આફિકા ગયા. ત્યાં કુલીપણાનો અનુભવ થયો, તો ગિરમીટિયાની સમસ્યા સમજાઈ, તેની વિરુદ્ધમાં સત્યાગ્રહ કર્યો અને સફળતા મેળવી. મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં ન માત્ર વકીલ રહ્યા, જાહેર કામ કરતા પણ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં ગરીબ ગિરમીટમુક્ત હિંદીઓને ત્યાંના લોકો ‘કુલી’ તરીકે ઓળખતા અને તેમને શહેરોમાં નોખા રાખવામાં આવતા હતા. આવી જગ્યા “કુલી લોકેશન” કહેવાતી હતી. જોહાનિસબર્ગના હિદીઓ નવ્વાણું વરસના જમીનના ભાડાપટ્ટે ગંદકી અને ગીચતાથી ભરેલા કુલી લોકેશનમાં રહેતા હતા. એ વસાહતમાં ન સડક હતી, ન વીજળી હતી અને ગંદકીથી ભરેલાં પાયખાનાં હતાં. આ વસાહતમાં ગંદકી અને ખરાબી વધી તો સ્થાનિક મ્યુનિસિપાલિટીએ તેનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી. બેરિસ્ટર મોહનદાસ ગાંધી તેમાં વસતા હિંદીઓનો માલિકી હક અને વળતરનો કેસ “હાર થાય કે જીત, પટ્ટાદીઠ દસ પાઉન્ડ”ના હિસાબે લડ્યા અને જીત્યા.
નવતર કોરોના વિષાણુએ ૨૦૨૦ના જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસે ભારતમાં દેખા દીધી હતી. ૨૨મી માર્ચની સરકાર ઘોષિત સ્વંયસંચારબંધી અને ૨૪મી માર્ચથી શરૂ થયેલી દેશવ્યાપી ચાળીસ દિવસની ઘરબંધીના અંતિમ ચરણમાં, કોરોનાકાળની ભારતના દલિતોની દુનિયા વિશે વિચારતાં થતી લાગણી પીડા, દુ:ખ અને શરમની છે. શાં રૂઠ્યાં અમ ભાગ્ય કે ભારતમાં અમે જનમ લીધો—એવો પ્રશ્ન સતત પીડે છે.