અવસર
૫૦ કરતાં વધુ ભાષાના ૪૨૫ કરતાં વધુ સાહિત્યકારોનો જમાવડો
આઝાદીનાં પંચોતેરમા વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે કેન્દ્રિય સાહિત્ય અકાદમી અને ભારતના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય લિટરેચર ફૅસ્ટિવલ, ‘ઉન્મેષ’, શિમલા ખાતે ૧૬થી ૧૮ જૂન દરમિયાન યોજાઈ ગયો. લગભગ પંદર દેશોમાંથી આમંત્રિત પચાસ કરતાં વધુ ભાષાઓના ૪૨૫ કરતાં વધુ સાહિત્યકારો અને નામાંકિત હસ્તીઓનો આ સંગમ સાહિત્યજગત માટે યાદગાર ઘટના બની રહ્યો. કુદરત પણ જાણે હરખભેર સૌને વધાવતી હોય એમ શિમલાના મૉલ રોડ પર વાદળો ઊતરી આવ્યાં હતાં. ઘડીક ઝરમર વરસાદ તો ક્યારેક નમણા તડકામાં રમતું આ ગિરિમથક જાણે કવિઓ અને લેખકોની ચહલપહલથી રોમાંચિત થઈ ઊઠ્યું હતું.
૧૩૫ વર્ષ જૂના ગેઈટી થિયેટરનાં વિવિધ સભાગૃહોમાં સમાંતર કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ દિવસની શરૂઆતમાં જ ‘સિનેમા અને સાહિત્ય’ પરનો સંવાદ ખાસ્સો નાટ્યાત્મક અને ઉત્તેજનાપૂર્ણ બની રહ્યો. પીઢ ફિલ્મકાર સાંઈ પરાંજપે, નિરૂપમા અને પ્રબોધ પરીખ વચ્ચે રસપ્રદ ચર્ચાઓ થઈ. શ્રોતામાં બેઠેલાં ગુલઝારે અને મંચ પરથી પરાંજપેએ જૂના દિવસોના પ્રસંગો વાગોળી સૌને રસતરબોળ કરી દીધાં. સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પદ્મભૂષણ સોનલ માનસિંગ દ્વારા ભરતનાટ્યમ્ની પ્રસ્તુતિ મનમોહક રહી.
ફૅસ્ટિવલના બીજા દિવસની સવારે ઐતિહાસિક વાઇસરૉય સભાગૃહમાં બહુભાષી કવિસંમેલન યોજાયું. સાહિત્ય અકાદમી પુરસ્કૃત તેલુગુ કવિ એન. ગોપી, પંજાબી કવિ નિરૂપમા દત્તે અને અન્ય ભાષાનાં કવિઓ સાથે ગુજરાતી ભાષાના પ્રતિનિધિ કવિ તરીકે મારું કાવ્યપઠન યોજાયું હતું. ભરચક સભાગૃહમાં અનેક ભાષાઓના મૂર્ધન્ય સાહિત્યકારો અને નામાંકિત હસ્તીઓ સમક્ષ મારાં ગુજરાતી કાવ્યોના હિન્દી અને અંગ્રેજી અનુવાદોનું પઠન એક યાદગાર અનુભવ બની રહ્યો. સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ માધવ કૌશિકે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.
આ જ સભાગૃહમાં બપોર પછી ગીતકાર ગુલઝાર અને વિશાલ ભારદ્વાજની ‘ફિલ્મી ગીતોમાં સાહિત્યિક સૌંદર્ય’ વિષય પર રસપ્રદ ગુફ્તેગો યોજાઈ હતી. તો સાંજે વિવિધ દેશોમાંથી આવેલા કવિઓ અને લેખકો સાથે ડાયસ્પોરા સાહિત્ય અને અભિવ્યક્તિ વિશે અમેરિકન કવિ વિજય શેષાદ્રિની અધ્યક્ષતામાં સાહિત્યિક ચર્ચા અને કાવ્યપાઠ યોજાયાં. વિજય શેષાદ્રિ વિશ્વપ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ જીતનારા એશિયન મૂળના પ્રથમ કવિ છે. તેઓ પૅરિસ રિવ્યૂ મૅગેઝિનના પ્રથમ અશ્વેત સંપાદક પણ છે. વિજય સાથે કૉફી પીતાં-પીતાં સંવાદનો સેતુ રચાયો અને કવિતા વિશે લંબાણથી ઑફ સ્ટેજ વાતો થઈ.
માડાગાસ્કરમાં ભારતના રાજદૂત અને અંગ્રેજી કવિ અભયકુમાર સાથે ઑનલાઇન મિત્રતા તો ખરી, પરતુ રૂબરૂમાં પહેલી વાર મળવાનું બન્યું. ફૅસ્ટિવલના ત્રણે દિવસો તેમની સાથે સારી ગોઠડી જામી. જામિયા મિલિયા ઇસ્લામિયામાં અંગ્રેજીના પ્રાધ્યાપક અને કવિ રૂમિ નકવી સાથે શિમલા પહોંચતાં પહેલાં જ ચંડીગઢ ઍરપૉર્ટથી તે છેક ફૅસ્ટિવલ પતાવ્યા પછી પરત દિલ્હી ફરતાં સુધીનો સતત સાથ મળતો રહ્યો.
ફૅસ્ટિવલના બીજા દિવસે જ દીપ્તિ નવલે તેમની આત્મકથાના પ્રસંગોનું વાંચન કર્યું હતું. અમૃતસરમાં તેમનું બાળપણ વીત્યું છે ને જલિયાંવાલા બાગને સેલ્ફી-પોઇન્ટ બનાવી દેવા પર એમણે નારાજગી પ્રગટ કરી હતી.
કાર્યક્રમના અંતિમ દિવસે ‘ભારતીય ભાષાઓમાં મહિલાલેખન’ વિષય પર બોલતાં ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ વિજેતાં ગીતાંજલીશ્રીએ જણાવ્યું હતું કે હમણાં ટૉર્ચનો પ્રકાશ મારા પર પડ્યો છે, પરંતુ ટૉર્ચ તરફ જોવાને બદલે પ્રકાશ તરફ જોશો તો જણાશે કે બીજાં પણ ઘણાં સારા લેખકો આપણી ભાષાઓમાં કામ કરી રહ્યાં છે. ભારતીય ભાષાઓમાં પરસ્પર અનુવાદની પ્રક્રિયા વેગીલી બનવી જોઈએ એવો મત તેમણે પ્રગટ કર્યો હતો. મૃદુલા ગર્ગે સ્ત્રીલેખન વિશે આવા પરિસંવાદોના આયોજન તરફ અણગમો પ્રગટ કર્યો હતો. તેમણે ભાર દઈને કહ્યું હતું કે લેખકને સ્ત્રીપુરુષ એવા ચોકઠાંમાં બાંધી શકાય નહીં અને લેખિકા કે કવયિત્રી નહીં પણ લેખક અને કવિ શબ્દો જ પ્રયોજવા જોઈએ. આપણાં પોતીકાં વર્ષા અડાલજાએ પણ આ ચર્ચામાં પોતાનો મત મૂક્યો હતો. રઘુવીર ચૌધરીએ નવોદિત લેખકો, સિતાંશુ યશશ્ચંદ્રે સ્વતંત્રતા ચળવળમાં પુસ્તકોનું પ્રદાન અને કાનજી પટેલે આદિવાસી સાહિત્ય અંગેના કાર્યક્રમમાં અધ્યક્ષતા કરી હતી. વિનોદ જોષીએ કાવ્યપઠન કર્યું હતું.
ફૅસ્ટિવલ દરમિયાન, જ્ઞાનપીઠ પુરસ્કૃત કોંકણી ભાષાના લેખક અને મારા જૂના મિત્ર દામોદર માઉઝોને મળવાનું બન્યું. ઘણા જૂના મિત્રો કોવિડ પછીના કાળમાં પ્રથમ વાર મળ્યાં તો સાહિત્ય અકાદમી પુરસ્કૃત હિન્દી કવિ અનામિકા, ઓડિયાકવિ પ્રવાસિની મહાકુડ, અનુવાદક કલ્યાણ રમણ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચર્ચિત તમિળ લેખક સલમા જેવાં નવા મિત્રો પણ બન્યાં. શિમલા ખાતે યોજાયેલો આ અભૂતપૂર્વ ઇન્ટરનેશનલ લિટરેચર ફૅસ્ટિવલ આવનારા ઘણા સમય સુધી સાહિત્ય જગતમાં ચર્ચાતો રહેશે.
E-mail : mehul.41@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2022; પૃ. 08