એ જ આશ્વાસન લેવાનું રહે કે શિક્ષણ વિભાગમાં કોઈ માણસ પણ હશે, જે પરિસ્થિતિનો તાગ પામે ને ઘટતું કરે. કરુણતા એ છે કે શિક્ષણ વિભાગ રાક્ષસી રીતે સક્રિય છે અને શિક્ષકો તથા વાલીઓ શરમજનક હદે નિષ્ક્રિય છે. શિક્ષણ વિભાગને તુક્કાઓનું એવું વળગણ છે કે તઘલખ તો એની સામે પાણી ભરતો લાગે. જ્યાં લગ્ન માટે 22ની એક કન્યા જોઈએ, ત્યાં વિભાગ 10-10ની બેથી કામ ચલાવતો હોવાનું લાગે છે. સાદી વાત એટલી છે કે 2017થી ત્રીસેક હજાર કાયમી શિક્ષકોની ઘટ છે, તેની પૂરા પગારે નક્કી થયેલી સવલતો સાથે નિમણૂક કરવાની છે, તેને બદલે શિક્ષણ વિભાગ પ્રવાસી શિક્ષકો, વિદ્યાસહાયકો, જ્ઞાનસહાયકોથી કામ કાઢે છે ને તે પણ એવી રીતે કે વિભાગની માનસિકતા અંગે પ્રશ્નો થાય.
1997માં બાલગુરુ યોજના દાખલ કરાઇ, તે 1998માં વિદ્યાસહાયકનાં નવાં નામે ઓળખાઈ, તે બંધ કરીને હવે જ્ઞાનસહાયક યોજના દાખલ થઈ છે. શિક્ષકોની નિમણૂક માટેની આવી યોજનાઓમાં થાય છે એવું કે શાળામાં પૂરતી સંખ્યામાં શિક્ષકો ભાગ્યે જ પૂરા પડે છે. વિદ્યાસહાયકનું સુખ એ હતું કે 1998થી 2022 સુધીમાં 2 કે 5 વર્ષે 1,67,729નો નિયમિત મહેકમમાં સમાવેશ થયો, પણ જ્ઞાનસહાયકમાં ચાલાકી એ છે કે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની નિમણૂક તો થાય, પણ કોન્ટ્રાક્ટ પૂરો થતાં માસ્તરે ફરી નોકરી શોધવાની થાય ને એમ 11-11 મહિને લેવાયા કરે તો પણ એની નોકરીનું પાકું ન થાય અને માસ્તર એમ જ ઘરડો થઈ રહે. આ યોજના પૂરતી સરકાર નફાખોર વેપારીની ભૂમિકામાં છે, એટલે જ્ઞાનસહાયક યોજનાનો સખત વિરોધ થવો જોઈએ. સરકારની દાનત કોઈ પણ રીતે શિક્ષકની ઘટને પૂરી કરવાની નથી જ નથી. અત્યારે ટેટ-ટાટની પરીક્ષા પાસ કરનારા 40,000 શિક્ષકો તૈયાર બેઠા છે, પણ એમની નોકરીનાં કોઈ ઠેકાણાં નથી. જતે દિવસે માસ્તરો મજૂરની જેમ કલાક પર રખાય તો નવાઈ નહીં ! ધારો કે સરકાર કાયમી ધોરણે 30,000 શિક્ષકોની ઘટ પૂરી કરે તો પણ, ટેટ-ટાટ પાસ કરેલ 10,000 શિક્ષકો ફાજલ પડે એમ છે, આટલો ફુગાવો હોય ત્યાં શિક્ષકોની ભરતીમાં અખાડા થાય એમ બને ને એમાં નિર્દોષતા નહીં હોય એ પણ ખરું !
વારુ, સ્કૂલોમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો હોય તો ધૂળ નાખી, પણ ત્યાં શિક્ષકો નથી અને 2017થી શિક્ષકોની ઘટથી સ્કૂલો ચાલે છે. રાજ્યની 700 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે ને ઊનાની વાવરડાની એક સ્કૂલમાં તો બે વર્ષથી ધોરણ 11-12માં સમ ખાવા પૂરતો પણ એક શિક્ષક નથી. વિદ્યાર્થીઓ શાળાએ આવે છે ને ભણ્યા વગર જ સાંજે પાછા ફરે છે. આ બધું કોને કારણે છે તે કહેવાની જરૂર નથી, પણ કમાલ એ છે કે પૂરી ખંધાઈથી શિક્ષણ વિભાગ પરીક્ષા બોર્ડ પાસેથી એ વિગતો માંગે છે કે બોર્ડમાં નબળું પરિણામ કેટલી શાળાઓનું છે? આ વર્ષે ધોરણ 10-12ની 233 સ્કૂલો એવી છે, જેનો એક પણ વિદ્યાર્થી બોર્ડમાં પાસ થયો નથી. સૂરતની વાત કરીએ તો 10-12ની 20 શાળાઓ 30 ટકાથી ઓછું પરિણામ લાવી છે. તેમાં ચાર શાળાઓનું પરિણામ કેવળ શૂન્ય છે. બને કે DEO સ્કૂલોને તાળાં મરાવે કે આચાર્યનો ઇન્ક્રિમેન્ટ અટકાવે. 233માંની મોટાભાગની સ્કૂલો સરકારી છે. જે ગ્રાન્ટેડ સ્કૂલો છે તેમની ગ્રાન્ટ કપાવાની શક્યતા છે, તો સરકારી સ્કૂલોમાંથી જેનું પરિણામ શૂન્ય આવ્યું છે, એના શિક્ષકોને દંડવાની વાત પણ છે. શક્યતા તો એવી પણ છે કે શૂન્ય પરિણામ લાવનારી સ્કૂલો બંધ થાય. આ તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. સ્કૂલો બંધ કરવાની તો આમ પણ સરકારને નવાઈ નથી, ત્યાં શૂન્ય પરિણામ સ્કૂલો બંધ કરવાનું બહાનું આપે તો એનો લાભ લેવાનું કોણ ચૂકે? શૂન્ય પરિણામ આપતી સ્કૂલો ભલે બંધ થાય, પણ શૂન્ય પરિણામ આપતો શિક્ષણ વિભાગ ચાલુ રાખવો કે બંધ કરવો તેનો જવાબ કોણ આપશે?
માની લઇએ કે સ્કૂલો કે શિક્ષકો શૂન્ય પરિણામ માટે જવાબદાર હોય તો પણ, શિક્ષણ વિભાગ ઓછો જવાબદાર નથી. વરસોથી પૂરતી સંખ્યામાં શિક્ષકો ન હોય, હોય ત્યાં શિક્ષણ ઉપરાંતની જવાબદારીમાં, ડેટા પૂરા પાડવામાં, વર્ગશિક્ષણ નામ પૂરતું જ થયું હોય, તેનું પરિણામ નબળું આવે તો તેનું આશ્ચર્ય ન થવું જોઈએ કે પછી શિક્ષણ વિભાગ એમ સાબિત કરવા માંગે છે કે શિક્ષકો વગર પણ સ્કૂલો સારો દેખાવ કરી શકે એમ છે? એવું બને કે શિક્ષક ન હોય ને પછી તો સ્કૂલો પણ ન હોય ને એમાં ઉત્તમ પરિણામનો દાવો ભવિષ્યમાં શિક્ષણ વિભાગ કરે.
શિક્ષકોનાં ઠેકાણાં નથી, એટલું જ નહીં, સ્કૂલોનાં ય ઠેકાણાં નથી. 15 જુલાઇના જ સમાચાર છે કે વલસાડની 283 પ્રાથમિક શાળાઓ મરવાને વાંકે જીવી રહી છે. મંજૂર થયેલા ઓરડાઓ બનાવવામાં વિલંબ થઈ રહ્યો છે, એટલે બાળકો ઓટલા પર કે ખુલ્લા શેડમાં, મંદિરોમાં કે કોમ્યુનિટી હોલમાં ભણે છે. બન્યું એવું કે 914 ઓરડા જર્જરિત થઈ જતાં સક્ષમ અધિકારીએ તે તોડીને નવા કરવાનું કહ્યું, જેમાંથી 631 ઓરડા તોડી પડાયા ને 283 તોડવાના બાકી છે. ચોમાસામાં આવી કંગાળ સ્થિતિ હોય ત્યાં શિક્ષણકાર્ય કેવું અને કેટલું થતું હશે એ કલ્પવાનું અઘરું નથી. એક તરફ ઓરડાનાં ઠેકાણાં નથી, તો જ્યાં સગવડો છે ત્યાં સંચાલકો મનમાની કરતાં હોય તેવું પણ બને છે. નડિયાદના મહુધામાં આવેલી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ સ્કૂલ સામે જ વિરોધ કરતી જણાઈ છે ને તેમના વાલીઓ સુધી આ વાત પહોંચાડવાની સ્કૂલ પેરવી કરે છે. વિદ્યાર્થિનીઓને વાંધો એ વાતે પડ્યો છે કે સ્કૂલના સંચાલકોએ એકાએક જ સવારની પાળીમાં ચાલતી સ્કૂલનો સમય બપોરનો કરી નાખ્યો છે. આનો વાંધો પડતાં વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો ને સ્કૂલને પોલીસ બોલાવવાની ફરજ પડી. વિદ્યાર્થિનીઓનો વિરોધ એટલે વાજબી છે, કારણ એમાંની ઘણી ગામડેથી આવે છે ને સવારની પાળી હતી તો બપોર પછી ઘરે પહોંચી જતી હતી, જ્યારે દિવસનો સમય થતાં, ઘરે પહોંચતાં રાત પડી જાય છે. વિદ્યાર્થિનીઓએ વારંવાર આ અંગે અને પાણી, ગંદકી જેવી બાબતે રજૂઆત કરી, પણ શાળા સંચાલકોએ એમની વાતને કાને ધરી નથી. આમ તો કોઈએ પણ શાળાનો સમય બપોરનો કરવાનું કહ્યું નથી, તો સંચાલકોને એકાએક શાળાનો સમય બપોરનો કરવાનું કેમ થયું તે સમજાતું નથી.
કોણ જાણે કેમ પણ શિક્ષણ જગતમાં અરાજકતા એ સ્થાયિભાવ થઈ ગયો છે. બધાંએ બધું સારું જ કરવું છે, પણ સારું બહુ જ ઓછું થાય છે. 2020થી નવી શિક્ષણનીતિ લાગુ થઈ છે, તેનો હેતુ તો સારો જ છે, પણ પોલિસી ગમે એટલી સારી હોય, તો પણ તેને અમલમાં મૂકનારાં પરિબળો, તેને અનુરૂપ વાતાવરણ ન સર્જી શકે તો તે પોલિસીનો કોઈ અર્થ રહેતો નથી. બારણે અદ્દભુત કાર આવીને પડી હોય, પણ તેને ચલાવનાર જ કોઈ ન હોય કે હોય પણ અણઘડ રીતે જ ચલાવતાં હોય તો કારનો કોઈ મતલબ રહેશે? પોલિસી બહુ સરસ હોય, પણ વર્ગખંડોનાં ઠેકાણાં ન હોય, વિદ્યાર્થીઓને તે પોલિસી મુજબ યોગ્ય રીતે ભણાવનાર શિક્ષકો ન હોય, હોય તો તેને ભણાવવા સિવાયનાં કામોમાં જ જોતરી દેવાયા હોય તો એ પોલિસી ધૂળ જ ખાશે કે બીજું કૈં? આ બધું શિક્ષકો અને તેમનાં યુનિયનો જાણે છે, પણ તેમને ભય છે અથવા તો તેઓ મતલબી છે. પગાર વધારા ઉપરાંત પણ ઘણાં કામો શિક્ષકો અને યુનિયનોની સક્રિયતા ઈચ્છે છે. જો કે, કાયમી શિક્ષકોની ભરતીનો જ્ઞાનસહાયક યોજનાથી છેદ ઊડ્યો છે, એટલે હજારો વાલીઓ નારાજ છે, તો યોગ્ય લાયકાત ધરાવનારા શિક્ષકો પણ જ્ઞાનસહાયક યોજનાના વિરોધમાં 18મીથી ગાંધીનગરમાં આંદોલન છેડવાની ફિરાકમાં છે તે ય ખરું.
નવું સત્ર મહિના પર શરૂ થઈ ગયું હોવા છતાં, પ્રવાસી શિક્ષકોની કોઈ વ્યવસ્થા ન થઈ હોવાથી સંચાલકો અને આચાર્યોમાં પણ રોષ ભભૂકી ઊઠ્યો છે. શાળા સંચાલક મંડળની શુક્રવારે મળેલી સભામાં સત્વરે પ્રવાસી શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ન મળે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. એક વાત સ્પષ્ટ છે કે અનેક સરકારી સમારંભોમાં છૂટથી ખર્ચાઓ થાય છે ને એકથી વધુ પેન્શન ખાવાનો એક પણ સાંસદ કે ધારાસભ્યને વાંધો નથી તો બધી જ કંજૂસાઈ શિક્ષણ અને સંરક્ષણ ક્ષેત્રે જ કેમ? બીજે બધે કાયમી જગ્યાઓ છે, તો શિક્ષક જ કામચલાઉ કેમ? આ રીતે આંગળા ચાટીને પેટ ભરવાથી હાંસલ શું થશે તેનો સરકારે ખુલાસો કરવો જોઈએ. શિક્ષણ માટેની આટલી અનુદારતા જગત આખામાં ગુજરાત સિવાય બીજે ભાગ્યે જ હશે, ખરું કે કેમ?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જુલાઈ 2023