ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા આવ્યું. એમાં સુરતનું પરિણામ 87.52 ટકા આવ્યું. સુરતના A1, A2 ગ્રેડમાં પણ અનુક્રમે 643 અને 4,382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગોપી વઘાસિયા નામની રત્ન કલાકારની દીકરીએ 96.28 ટકા સાથે પ્રથમ રહી A1 ગ્રેડ મેળવ્યો છે. આ દીકરી સી.એ. બનવા ઈચ્છે છે. જેનાં માર્કસ 91-100ની રેન્જમાં છે તેને A1 અને 81-90ની રેન્જમાં છે તેને A2 ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. મતલબ કે સુરતમાં જ A1 ગ્રેડવાળા 643 વિદ્યાર્થીઓ એવા છે જેમના ઓછામાં ઓછા 91 ટકા તો આવ્યા જ છે ને એ જ રીતે A2 ગ્રેડવાળા 4,382 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 81 ટકા તો લાવ્યા જ છે. આ વખતે વિદ્યાર્થીઓ 84.67 ટકા પાસ થયા છે અને વિદ્યાર્થિનીઓ 89.23 ટકા સાથે 5 ટકા આગળ છે. પર્સન્ટાઇલ રેન્ક 99થી વધુ મેળવનાર 3,610 છે ને 98થી વધુ મેળવનાર 7,112 છે.
આ નમૂના દાખલ જ પરિણામ લીધું છે. વિદ્યાર્થીઓ હોંશિયાર છે ને ખૂબ મહેનત કરી A1 અને A2 ગ્રેડ મેળવે છે. વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે ને શિક્ષકો મહેનત કરાવે પણ છે ને સારી ટકાવારી મેળવે છે. 2021નું પરિણામ 100 ટકા આવ્યું તે માસ પ્રમોશનને કારણે, પણ છેલ્લા 12 વર્ષમાં સૌથી ઓછું પરિણામ 54.62 ટકા 2016માં આવ્યું. આ પરિણામ કેમ ઓછું આવ્યું તે નથી ખબર, કારણ પરીક્ષા પદ્ધતિ જ એવી છે કે પરિણામ ઉચ્ચ ટકાવારીમાં સહેલાઈથી મેળવી શકાય. સુરતમાં 38,551 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 643 વિદ્યાર્થીઓ 91થી 100 ટકા વચ્ચે માર્કસ લાવ્યા છે. એમાં પણ સૂરતની એક જ સ્કૂલના 209 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે, એટલું જ નહીં, એ જ સ્કૂલના 125 વિદ્યાર્થીઓ એવા છે જેમને જુદા જુદા વિષયમાં 100માંથી 100 માર્કસ મળ્યા છે. એ સૌને અભિનંદનો જ ઘટે છે, પણ આટલા બધા ટકા પરિણામ આપીને શિક્ષણ વિભાગ કરવા ને કહેવા શું માંગે છે તે નથી સમજાતું. આ ટકા ખરેખર જ આવ્યા છે કે અપાયા છે તે આ તબક્કે નક્કી કરવાનું મુશ્કેલ છે. મોટી ટકાવારી દેખાડવાથી, એ દેખાડાય છે કે વિદ્યાર્થીઓ ખરેખર જ પાત્રતા ધરાવે છે? આ શંકા એટલે પડે છે કે 2020ની 10માંની પરીક્ષામાં એવું પણ બન્યું છે કે 80માંથી 26 માર્કસ પાસ થવા જોઈએ ને વિદ્યાર્થીને ગણિતમાં પાસ કરવા 21 માર્કસ ગ્રેસિંગના અપાયા હોય. રિઝલ્ટ સારું આપવાનું, ઊંચું આપવાનું, વધારે આપવાનું દબાણ ન હોય તો 5 માર્કસવાળાને 21 ગ્રેસિંગના ન અપાય. ન જ અપાય, પણ અપાય છે. એ નથી ખબર કે 5 માર્કસ સાચા છે કે 100? કદાચ બંને સાચા છે અથવા તો બંને ખોટા છે.
એમ લાગે છે કે મૂળ પરિણામ એ નથી જે બતાવાય છે. જે પરિણામ આવે છે તે ઓછું હોય છે. એટલું ઓછું પરિણામ ખરેખર જાહેર થાય તો ઘણી કોલેજોને તાળાં લાગે એમ બને. કોલેજો ભરાય એટલે પરિણામની ટકાવારી વધારવી પડે છે. ગ્રેડ વધારાય તો એડ્મિશનમાં સ્પર્ધાઓ વધે ને ચોક્કસ સીટ માટેની રકમ પણ વધે. આ બધું મેનેજ થાય છે, ક્રિએટ થાય છે, આ કુદરતી નથી. એમાં કેટલુંક સાચું ને સારું પણ હશે, પણ સાચું તો એ છે કે જે દેખાડાય છે તે સાચું નથી.
આ બધું કેમ થાય છે? એનો સાદો જવાબ છે, ધંધા માટે. કોલેજો ચાલે એટલે. મોટું પરિણામ ન અપાય તો છાશવારે ખૂલતી કોલેજો ભરાય નહીં, એડમિશન માટે સ્પર્ધા ન થાય તો વાલીઓની દોડધામ ને ખર્ચ વધે નહીં. એ પણ તપાસવા જેવું છે કે જે બોર્ડમાં ફર્સ્ટ આવે છે તે યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવે છે? બધાં ન આવે તે ખરું, પણ કોઈ જ ન આવે એવું તો ન હોય ને ! કોઈ અપવાદ હશે, બાકી હાયર સેકંડરીમાં ફર્સ્ટ આવનારા યુનિવર્સિટીમાં ઘણા પાછળ રહી ગયાના ઢગલો દાખલાઓ છે. કહેવાનું એ છે કે હાયર સેકંડરીનાં પરિણામો અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. જે પરીક્ષકો પેપરો તપાસે છે એમાંના કેટલા ટકા 96. 28 ટકા માર્કસ પોતે લાવ્યા છે એ તપાસીએ તો અપવાદ પણ જડે એમ નથી. એમને એ સવાલ નથી થતો કે કેવી રીતે એ આટલા માર્કસ મૂકે છે? એ માર્કસ સાચા છે કે ઉપજાવેલા છે? બને કે પેપર જ એવાં સેટ થતાં હોય કે 100માંથી 100 મેળવવાનું સહેલું થઈ પડે. એવું હોય તો આ પ્રકારની પરીક્ષાનું માળખું બદલાવું જોઈએ એવું નથી લાગતું? આ પરિણામોમાંથી બુદ્ધિનું, હોંશિયારીનું સાચું માપ નીકળે છે?
સવાલ એટલે છે, કારણ, બોર્ડમાં ને આખા ય શિક્ષણ વિભાગમાં જે ઉચ્ચ સ્થાને બિરાજે છે ને નિર્ણયો લે છે તે સાહેબો કોણ છે? તેમને શિક્ષણ સાથે કોઈ સંબંધ છે કે તે શિક્ષણ સિવાયની અન્ય કોઈ લાયકાતને કારણે એ સ્થાને છે? સાચું તો એ છે કે તમામ ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દાઓ પર રાજકારણીઓ બિરાજે છે ને નિર્ણયો એવી વ્યક્તિઓ જ લે છે. આવડત ન હોય ને મંત્રી થયા હોય એવું ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે. શિક્ષણ જોડે લેવાદેવા ન હોય ને સાહેબ મંત્રી થઈ ગયા હોય તો સારું અકસ્માતે જ થાય એમ બને. કરુણતા એ છે કે એવી વ્યક્તિઓ પોલિસી નક્કી કરે છે ને પરિણામો આપે છે. એમાં ભલીવાર ન હોય તે સમજી શકાય એમ છે. યુનિવર્સિટીઓમાં નીમાતા કુલપતિઓ શિક્ષણને કારણે નહીં, પણ રાજકીય વગને કારણે જે તે પદ પર ગોઠવાયા હોય એ અશક્ય નથી. ગુજરાતની જ યુનિવર્સિટીના 11 કુલપતિઓ યોગ્યતા વગરના જ ઠઠાડી દેવાયાની વાત છાપે ચડી ચૂકી છે. આ પરિસ્થિતિએ અન્ય ક્ષેત્રોને કેટલું નુકસાન પહોંચાડ્યું તે તો નથી ખબર, પણ તેણે શિક્ષણની પથારી ફેરવી નાખી છે એમાં શંકા નથી. નવી શિક્ષણ નીતિમાં ઘણું જુદું છે ને સારું પણ છે, પણ એને અમલમાં લાવનારા લોકો રેઢિયાળ હોય તો તેનાથી શિક્ષણ નીતિમાં જે કૈં સારું છે તે જ્યાં પહોંચવું જોઈએ ત્યાં ન પહોંચે એમ બનવાનું ને એ સંજોગોમાં શિક્ષણ નીતિ સારી કે નબળી હોય તેનાથી કોઈ ફરક નથી પડતો.
યોગ્ય વ્યક્તિ યોગ્ય પદે ન હોય તો શું થાય તેનો એક દાખલો જોઈએ. અમદાવાદની એક યુનિવર્સિટીના કુલપતિએ તેનાં સ્ટાફને ચાલુ નોકરીએ ફિલ્મ જોવા મોકલ્યા. આ રીતે 300 લોકો એક સાથે ફિલ્મ જોવા ગયા. વાત આટલેથી અટકી નહીં, બીજી એક ગુજરાતી ફિલ્મ જોવા પણ સ્ટાફના 100 લોકોને એ જ કુલપતિએ મોકલ્યા. ફિલ્મમાં સ્ટાફને હજારો રૂપિયાનું કન્સેશન પણ મળ્યું. સ્ટાફ માટે કોઈ સ્પોન્સર મળી ગયો. કુલપતિનું કહેવું છે કે આ ખર્ચ યુનિવર્સિટીમાં પડ્યો નથી ને જે સ્ટાફ ફિલ્મ જોવા ગયો તેણે અડધી રજા મૂકેલી. આટલી વાત કહીને કુલપતિ એમ માને છે કે બધું બરાબર છે. તેમને કશું ખોટું થયાનું લાગતું નથી. યુનિવર્સિટીની નોકરીના સમય દરમિયાન 100 જણાં સાથે ફિલ્મ જોવા જાય એ કઇ રીતે યોગ્ય છે? ભલેને અડધી રજા મુકાઇ હોય, પણ એ કયા હેતુસર મુકાઇ છે એ કુલપતિ જાણે છે, બલકે, એમની જાણમાં આ બન્યું છે. આવી રીતે એક સાથે રજાઓ મંજૂર કરાય એ યોગ્ય છે? એ દુ:ખદ છે કે યુનિવર્સિટીનો સ્ટાફ ફિલ્મ જોવા મોકલાય છે ને તેમાં કુલપતિને કશું ખોટું નથી લાગતું ને આવું આ પહેલી વખત નથી બન્યું. અગાઉ સ્ટાફના 300 સભ્યો આ જ રીતે ફિલ્મ જોવા થિયેટરમાં મોકલાયેલા. આવા કુલપતિ શિક્ષણનું કોઈ હિત જુએ છે એવું કઇ રીતે માનવું? એવું ઘણું બધું શક્ય છે કે સાહેબ, કોઈ રાજકારણીની ગુડ બુકમાં હોય ને એમણે જ એમને કુલપતિ તરીકે ગોઠવી દીધા હોય. ઔપચારિક્તાઓ પૂરી થઈ હોય, પણ શિક્ષણશાસ્ત્રીનું તેજ શોધવું પડે તો કુલપતિ કે અન્ય અધ્યાપક વચ્ચે ઝાઝો ફરક ન રહે. યુનિવર્સિટીનો કુલપતિ કે કોલેજનો આચાર્ય, વહીવટી કુશળતા ધરાવવાની સાથોસાથ જ જ્ઞાન, શિક્ષણ અને સંચાલનનું સહજ તેજ ન ધરાવતો હોય તો કોઈને પણ ગોઠવી દો તો ફરક પડતો નથી. તો, પછી કુલપતિ અને ક્લાર્કમાં કોઈ ફરક રાખવાનો કે ચોક્કસ રાજકીય વગ, એટલી લાયકાત જ કોઈને પણ માટે પૂરતી થઈ પડે?
શિક્ષણને સરકારે બહુ હળવાશથી લીધું છે. યુનિવર્સિટી કે શિક્ષણ વિભાગ કે અન્ય ક્ષેત્રોમાં લાયકાત એટલે રાજકીય ખુશામત એમ જ સમજવાનું છે કે બીજી કોઈ પાત્રતા પણ અપેક્ષિત છે? આ સદીની સૌથી મોટી નબળાઈ, શિક્ષણ અને તબીબી ક્ષેત્રમાં ઉત્તમતાનો, ગુણવત્તાનો આગ્રહ જતો કરાયો છે તે છે. એને કારણે ઓછી પાત્રતાવાળો ને વધુ વગવાળો શિક્ષક, આચાર્ય કે અધ્યાપક જે તે ક્ષેત્રના હેડ તરીકે ખપી જાય છે. ઉત્તમ શિક્ષકો, અધ્યાપકો, કુલપતિઓ નથી એવું નથી, પણ તેમની પાસે રાજકીય વગ નથી ને તેનાં વગર પણ તેમણે સ્વમાનથી રહેવું છે. તેમને શોધીને માનભેર યોગ્ય જગ્યાએ મૂકવાનું થાય તો જે બહુ નથી જાણતા એવા રાજકીય વગવાળા માણસો તુક્કાઓથી કામ કાઢે છે તેમાં ફેર પડશે. જે પોલિસી નક્કી થશે તેમાં દીર્ઘ દૃષ્ટિ હશે ને દેખાડા ને અખાડા ચાલે છે, તેને બદલે નક્કર ને સાચાં પરિણામો મળશે. આખા શિક્ષણ વિભાગ પર નજર કરશું તો તેનું તેજ હણાઈ ગયેલું લાગશે. હવે એવાં બોર્ડનાં કે યુનિવર્સિટીનાં 100માંથી 200 ટકા પરિણામ આવે તો પણ તેનાં પર ભરોસો પડવાનું અઘરું છે. તમામ ક્ષેત્રોમાંથી વિશ્વસનીયતા વિદાય લઈ રહી છે ને અફસોસ છે તે એનો છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જૂન 2022