ડો. આંબેડકરે 14 ઓક્ટોબર 1956ના રોજ 22 પ્રતિજ્ઞાઓ પોતાના અનુયાયીઓને લેવડાવી હતી. તેમાં ‘બ્રહ્મા/વિષ્ણુ/મહેશ/રામ/કૃષ્ણ/ગૌરી/ગણપતિમાં આસ્થા નહીં રાખું કે પૂજા નહીં કરું’ – એવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. વર્ણવ્યવસ્થાના કારણે દલિતો સાથે અપમાનજનક વહેવાર અટકતો ન હતો, એટલે ડો. આંબેડકરે આ પગલું ભર્યું હતું.
ગોડસેવાદી સત્તાપક્ષે અનેક અપહરણો કર્યા છે. વિચારધારાનું નહીં, લોકપ્રિય ચહેરાઓનું અપહરણ કરવાની તેમની મોડસ ઓપરેન્ડી છે; બહુ જ સીફતપૂર્વક આ કામ કરે છે. વિવેકાનંદ/ભગતસિંહ/સુભાષચંદ્ર બોઝ/સરદાર પટેલ પછી ડો. આંબેડકરનું અપહરણ કરી નાંખ્યું છે ! જેમણે હિન્દુઓના દેવી-દેવતામાં આસ્થા નહીં રાખવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી; તેમના જન્મસ્થળ-મહૂમાં વિશ્વ હિન્દુ પરિષદે 21 એપ્રિલ 2022ના રોજ સંગીતમય ‘આંબેડકર-કથા’નું આયોજન કર્યું હતું ! સત્તાપક્ષનો અનુસૂચિત જાતિ મોરચો પણ આ કથામાં જોડાયો હતો. મહુના સત્તાપક્ષના MLA ઉષા ઠાકુર હાજર રહ્યા હતા. 13 માર્ચ 2022ના રોજ, વિશ્વ હિન્દુ પરિષદે આઝાદીનો 75મો અમૃત મહોત્સવ નિમિત્તે ઈન્દોરથી મહુ સુધી 25 કિલોમીટરની મોટરસાયકલ યાત્રા કાઢી હતી. આ યાત્રાનું નામ હતું – ‘સંવિધાન સન્માન યાત્રા !’ એક ખુલ્લી જીપમાં સંવિધાનની પ્રત રાખવાનાં આવી હતી અને જીપને તિરંગાને બદલે, ભગવા ધ્વજથી શણગારેલ હતી! સંવિધાન ઉપર ફૂલમાળાઓ હતી ! ‘જય સંવિધાન’ સાથે ‘જયશ્રી રામ’ના નારા લગાવ્યા હતા!
સવાલ એ છે કે RSS/સત્તાપક્ષને લોકપ્રિય ચહેરાઓના અપહરણ કરવાની જરૂર કેમ પડે છે? RSSની સ્થાપના 27 સપ્ટેમ્બર 1925ના રોજ થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી – 97 વરસમાં, લોકપ્રિય રાષ્ટ્રીય નેતાઓની અછત હોવાથી, રાષ્ટ્રીય લોકપ્રિય નેતાઓના અપહરણની યોજના તેમણે અમલમાં મૂકી છે. સરદાર પટેલે ગાંધીજીની હત્યા બાદ RSS ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ! છતાં સરદારનું વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવીને તેમનું અપહરણ કરી નાંખ્યું ! સરદારનું કદ વધારવા પાછળ ગાંધીજી/નેહરુનું કદ ઘટાડવાનો છૂપો એજન્ડા પણ ખરો !
ડો. આંબેડકર દલિતવર્ગ સિવાયના વર્ગોના પણ સ્વીકાર્ય નેતા છે; તેમણે કેટલાંક મુદ્દાઓ પર ગાંધીજી અને નેહરુની આલોચના કરી હતી; આ કારણે RSSને દોડવું હતું અને ઢાળ મળ્યો ! RSS ડો. આંબેડકર ઉપર ભગવો રંગ ચડાવી દે તો સંઘની/સત્તાપક્ષની સ્વીકાર્યતા અનેક ગણી વધી જાય ! આંબેડકરને ભગવા રંગે રંગવા સંધે બે કામ કર્યા; 1970માં, ડો. આંબેડકરના જન્મસ્થળ પર સ્મારક બનાવવાની માંગ કરી અને બૌદ્ધધર્મને હિન્દુધર્મનો ભાગ સાબિત કર્યો ! આ બન્ને કામમાં સંઘને સફળતા મળી છે. 1989 માં, વડા પ્રધાન વી.પી. સિંહે સ્મારક બનાવવા 22,500 ચોરસ ફૂટ આર્મીની જમીન લીઝ ઉપર ફાળવી હતી. સ્મારક 2007માં તૈયાર થયું હતું. હાલની સ્થિતિ એ છે કે મહુ સ્મારકનું સંચાલન સંધના હાથમાં છે. 2016માં, વડા પ્રધાન મહુ આવ્યા ત્યારે તેમણે બાબા સાહેબ સાથે જોડાયેલ પાંચ જગ્યાઓ – જન્મભૂમિ – મહુ / અભ્યાસભૂમિ-લંડન / ચૈત્યભૂમિ-મુંબઈ / દીક્ષાભૂમિ-નાગપુર / નિર્વાણભૂમિ-દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્મારક બનાવવાની – ‘પંચતીર્થ’ની ઘોષણા કરી તે આવકારદાયક પગલું હતું; પરંતુ પંચતીર્થના પ્રચાર-સાહિત્યમાં પાને-પાને વડા પ્રધાનના ફોટાઓ અને તેમના વિચારો મૂકવામાં આવે છે ! આ કેવું સન્માન? વડા પ્રધાને, ડો. આંબેડકરના વિચારોને તિલાંજલિ આપી દીધી છે ! આંબેડકર સાંપ્રદાયિકતાના સખ્ત વિરોધી હતા, જ્યારે વડા પ્રધાને સત્તા માટે સાંપ્રદાયિકતાને અતિ મહત્ત્વ આપ્યું છે ! હિન્દુ કોડ બિલ વેળાએ, ડો. આંબેડકરના પૂતળા સળગાવનાર સંધે, આંબેડકરનો ચહેરો અપનાવ્યો છે; પરંતુ તેમની વિચારધારા પ્રત્યે ભયંકર અછૂતપણું રાખી છેતરપિંડી કરી છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાદર