‘The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?’ જેને ‘વીર’ તરીકે સ્થાપવામાં આવે છે એ વિનાયક દામોદર સાવરકરની જેલમાંથી છૂટવા માટેની આ કાકલૂદી છે. કાકલૂદીનો આ પત્ર પહેલો નથી, પણ બીજો છે. પહેલો પત્ર તેમણે આંદામાનની જેલમાં પહોંચીને તરત જ લખ્યો હતો જેનો ઉલ્લેખ તેમણે બીજા પત્રમાં કર્યો છે. ના, આ છેલ્લો પત્ર પણ નથી.
બાવીસમી માર્ચ ૧૯૨૦ના રોજ ઇન્પીરિયલ લેજીસ્લેટિવ કાઉન્સિલમાં એ સમયના હિંદુવાદી નેતા જી.એસ. ખાપરડેએ (જે લોકો ગાંધીજીની અહિંસાને કાયરતા કહેતા હતા એ લોકો ગાંધીજીનાં આંદોલનોમાં ભાગ નહોતા લેતા, પણ સરકારી પ્રતિનિધિગૃહોમાં બેસીને હિંસક-ક્રાંતિ કરતા હતા. ખાપરડે, કેરકર વગેરે આનું ઉદાહરણ છે.) પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘શું એ વાત સાચી નથી કે સાવરકર અને તેમના ભાઈએ તેમને જેલમાંથી છોડવામાં આવે એ માટેની એક અરજી ૧૯૧૫માં અને બીજી અરજી ૧૯૧૮માં કરી હતી જેમાં તેમણે સરકારને ખાતરી આપી હતી કે યુદ્ધના દિવસોમાં તેઓ સૈન્યમાં ભરતી થઈને સરકારને મદદ કરશે, એટલું જ નહીં, સરકાર દ્વારા કરવામાં આવી રહેલા બંધારણીય સુધારાઓને સફળ બનાવવા માટે તેઓ સરકારને મદદ કરશે અને બ્રિટિશ કાયદાઓનું પાલન કરશે?’ સરકારે ખાપરડેના સવાલનો હકારાત્મક ઉત્તર આપ્યો હતો.
સાવરકરે દયા અને માફી માગતા કુલ મળીને છ પત્રો લખ્યા હતા જેના હવાલા સરકારી દસ્તાવેજોમાં મળે છે. પણ આઘાત એ વાતનો નથી. દયા અને માફી માગી એ વાત આઘાતજનક એટલા માટે નથી કે આ કોઈ નવું નથી. લંડનની અદાલતમાં પોતાને બચાવવા ઢીંગરા સામે હાથ ઊંચા કરી દીધા હતા. મુંબઈની અદાલતમાં પોતાને બચાવવા ક્ન્હેરે અને બીજા ક્રાંતિકારીઓને રઝળતા મૂકીને હાથ ઊંચા કરી દીધા હતા. જે માણસ સરકારને માઈબાપ, દયાળુ અને પોતાને પ્રોડીગલ સન તરીકે ઓળખાવી શકે એ બધું જ કરી શકે. આઘાત એ વાતનો છે કે આંદામાનની જેલમાં રહીને તેઓ સરકારને મદદ કરતા હતા. છૂટવાનો તરફડાટ એટલો હતો કે તેની કોઈ સીમા નહોતી. એનાં બે કારણ હતાં. એક તો તેઓ ડરપોક અને કાયર હતા, જે સાબિત થઈ ગયું છે અને હજુ સાબિત કરવા માટે પુષ્કળ પ્રમાણો છે. બીજું કારણ એ કે તેમને અંગ્રેજોએ ગુનો કરવા માટે સજા નહોતી કરી, ચાલાકીઓ માટે સજા કરી હતી એ સાવરકર જાણતા હતા. શાબ્દિક બહાદુરી બતાવવા માટે બ્રિટનની ભૂમિનો ઉપયોગ કરવો, રૂંવાડા ઊભા કરી દે એવા જાનફેસાનીના લેખો લખીને યુવાનોને ઉશ્કેરીને હત્યાઓ કરાવવી, પોતે હંમેશાં પાછળ રહે, ભીંસમાં આવે તો હાથ ઊંચા કરી દે, ગમે ત્યારે ગમે તેને છોડી દે, જીવનમૂલ્યોને અને નૈતિકતાને ‘સદ્ગુણવિકૃતિ’ તરીકે ઓળખાવે, ફ્રાંસની ખાડીમાં ઊડી મારીને ફ્રાંસમાં શરણાગતી મેળવવાનો પ્રયાસ કરે જેવી હરકતો જોઇને સરકારે કચકચાવીને સીધી પચાસ વરસની સજા કરીને આંદામાનની જેલમાં મોકલી આપ્યા હતા. સાવરકરને ખાતરી હતી કે સરકાર તેમના પ્રત્યે એટલો રોષ ધરાવે છે કે તે બીજા પ્રત્યક્ષ ગંભીર ગુનો કરનારાઓને છોડશે, પણ તેમને નહીં છોડે.
બન્યું પણ એમ જ. કાકલૂદી કરવા છતાં સરકાર મચક નહોતી આપતી એને કારણે સાવરકરે છૂટવા માટે હજુ વધુ નીચે આવવું પડતું હતું. તેઓ જેલરની ચાપલૂસી કરતા હતા. કેદીઓનો અસંતોષ દૂર કરીને જેલસત્તાવાળાઓને મદદ કરવાનો પ્રયાસ કરતા હતા. કેદીઓ ઉશ્કેરાઈ જાય અને ન્યાયી માગણીઓ માટે આંદોલન કરે તો સાવરકર તેમને રોકવાનો પ્રયાસ કરે અને જો રોકવામાં સફળતા ન મળે તો તેનાથી પીઠ બતાવીને દૂર થઈ જાય. બહાર તેમના નાનાભાઈ ડૉ. નારાયણ સાવરકરને પત્રો લખીને સલાહ આપે કે તેમને છોડાવવા માટે તેણે શું શું કરવું જોઈએ. આંદામાનની જેલમાં કેદીઓમાં હિંદુ-મુસ્લિમ ભેદ પાડીને રાજકીય કેદીઓના માનસમાં રાષ્ટ્રીય ભાવનાની જગ્યાએ કોમી ભાવના પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પણ સરકારને મદદરૂપ થવાનો એક પ્રયાસ હતો. કોમીભાવના રાષ્ટ્રભાવનાની જગ્યા લેતી હોય તો એનાથી વધારે રૂડું શું! જેલમાંથી છૂટ્યા પછી પણ તેમણે આ જ કામ કર્યું હતું.
અંગ્રેજોએ જાણીબૂજીને આકરી અને વિચિત્ર સજા કરીને સાવરકરની વીરતાને કસોટી ઉપર મૂકી હતી, જેમાં સાવરકર સરિયામ નિષ્ફળ નીવડ્યા હતા. બધાં જ વસ્ત્ર ઉતરી ગયાં એ પછી પણ અંગ્રેજો સાવરકરને નહોતા છોડતા. એનું કારણ સાવરકરની ચાલાકીઓ અને અંગ્રેજોનો રોષ હતાં. ૧૯૨૦માં સરકારે રાજકીય કેદીઓને સામૂહિક મુક્તિ આપી હતી. એ મુક્તિનો લાભ અરવિંદ ઘોષના ભાઈ બારીન ઘોષને મળ્યો ત્યારે ઈર્ષ્યાથી સમસમી ગયેલા સાવરકરે સરકારને લખ્યું હતું કે તેઓ (બારીન ઘોષ) તો અલીપોર બોમ્બકેસમાં પ્રત્યક્ષ ગુનો કરીને આવ્યા છે અને આંદામાનની જેલમાં પણ સરકાર સામે કાવતરાં કરતાં હતા અને છતાં ય તેમને છોડવામાં આવી રહ્યા છે અને મને છોડવામાં નથી આવી રહ્યો, જ્યારે કે મેં તો કોઈ પ્રત્યક્ષ ગુનો જ નથી કર્યો એટલું જ નહીં સરકારને મદદ કરવાની વખતોવખત તૈયારી બતાવી છે. કોઈ દેશભક્ત અને વીર આવું કરે? જો એ વીર સાવરકર હોય તો કરે. (પ્રમાણો માટે મરાઠીમાં સમગ્ર સાવરકર વાંગ્મય ભાગ ૨ અને પ્રોસીડીંગ ઓફ ધ હોમ ડીપાર્ટમેન્ટ ઓગસ્ટ ૧૯૨૦ અને આંદામાનની જેલના સત્તાવાળાઓએ ૩૦મી માર્ચ ૧૯૨૦નાં રોજ આંદામાન ચીફ કમિશનરને મોકલેલો રિપોર્ટ)
આટલી હદે નીચે ઉતરવા છતાં પણ સરકારે સાવરકરને છોડ્યા નહોતા. બધાને છોડ્યા, સાવરકર બંધુઓને નહીં છોડ્યા. સરકારે જાણે કે સાવરકરના વજૂદની કસોટી કરવાનું અને તેમના આત્મસમ્માનના ચૂરેચૂરા કરવાનું ઠરાવ્યું હતું. સરકારને તેમાં સફળતા મળી હતી અને સાવરકર હજુ વધુ નીચે ઉતર્યા હતા.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 જાન્યુઆરી 2022