બહુ ઓછાં પુસ્તકો એવાં હોય છે જે તમારા વિચારોની ધરીને ૧૮૦ ડિગ્રી ફેરવી શકતા હોય. તમે સડસડાટ તમારા વિચારોના હાઈ-વે પર જતા હોય, અને કોઈક એવું પુસ્તક આવે કે તમારે બ્રેક તો મારવી જ પડે, પણ યુ-ટર્ન ય મારવો પડે. મારા માટે આવું એક પુસ્તક એટલે મરાઠી દલિત સાહિત્યકાર શરણકુમાર લિમ્બાલેનું પુસ્તક ‘દલિત સાહિત્યાચે સૌંદર્યશાસ્ત્ર’. હું ૨૦૧૬માં કર્ણાટકમાં ભણતો હતો ત્યારે મારી યુનિવર્સિટીએ ભારતીય દલિત સાહિત્ય વિશે એક સેમીનાર યોજેલો. એ સેમીનાર માટે અમને ઘણાં દલિત સાહિત્યનાં પુસ્તકો વાંચવા માટે આપવામાં આવેલાં. એમાંનું એક આ પુસ્તક. અગાઉ લિમ્બાલેનું ‘અક્કરમાશી’ વાંચેલું, અને ધ્રૂજી ગયેલો. ઘણા દિવસો સુધી ઊંઘ હરામ થઈ ગયેલી. પછી આ પુસ્તક હાથમાં આવ્યું – દલિત સાહિત્યના સૌંદર્યશાસ્ત્ર વિશેનું. મારી એ વખત સુધી બંધાયેલી સૌંદર્યશાસ્ત્ર વિશેની બધી જ માન્યતાઓને આ પુસ્તકે પ્રશ્નાર્થ હેઠળ લાવી દીધેલી.
સૌંદર્યશાસ્ત્ર એટલે મૂળે તો કોઈ પણ કળાને સમજવાનું શાસ્ત્ર. કળાને સમજવાની, એના વિશે વિચારવાની ચાવી આપનારું શાસ્ત્ર. વળી, સારી કળાકૃતિ અને નબળી કળાકૃતિ વચ્ચે શો તફાવત હોય એ પણ આ શાસ્ત્ર જણાવે. પશ્ચિમમાં એરીસ્ટૉટલનું ‘પોએટીકસ’, અને ભારતમાં ભારતમુનિનું ‘નાટ્યશાસ્ત્ર’ આ સંદર્ભે સૌથી પ્રભાવશાળી ગ્રંથો રહ્યા છે. સૌંદર્યશાસ્ત્ર વિશેની મોટા ભાગની થિયરીઝના મૂળમાં આ બે ગ્રંથો છે. ભારતીય સંદર્ભમાં જોઈએ તો, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમાણે, રસાનુભૂતિને કોઈ પણ કળાકૃતિનો ઉદ્દેશ ગણવામાં આવે છે. ભરતમુનિએ જણાવેલ આઠ રસોમાંથી (હાસ્ય, કરુણ, શ્રુંગાર, વીર, બિભત્સ, રૌદ્ર, અદ્ભુત, ભયાનક) એક યા એકથી વધારે રસોનું ભાવન કોઈ કલાકૃતિ થકી થાય, એના થકી ભાવકને સૌંદર્યની અને આનંદની અનુભૂતિ થાય, તો એ કૃતિનો ઉદ્દેશ પમાયો છે એમ ગણાય.
શરણકુમાર લિમ્બાલે આ શાસ્ત્રના આધારરૂપ પૂર્વવિધાન સામે, બેઝીક પ્રેમાઈસ સામે સવાલ ઉઠાવે છે. સૌંદર્યની વાતો કોણ કરે? શાસ્ત્ર લખવાની અને તેના વિશે વિચારવાની મંજૂરી, તેમ જ સગવડ કોની પાસે હોય? શાસ્ત્રો લખવા અને કળાકૃતિના ધોરણો ઊભા કરવા એ સદીઓથી સવર્ણ લેખકો-વિચારકોની ઈજારાશાહી રહી છે. વળી, સવર્ણ લેખકો દ્વારા લખાયેલ શાસ્ત્રોને એ રીતે રજૂ કરવામાં આવે છે જાણે એ શાસ્ત્રની વાતો શાશ્વત (eternal) અને સાર્વત્રિક (universal) હોય. શરણકુમાર લિમ્બાલે પુસ્તકમાં આ પ્રકારની પેટર્ન સામે સવાલ ઉઠાવે છે.
તેમના મતે કળાના ધોરણો શાશ્વત કે સાર્વત્રિક નહિ, બલકે સામાજિક/આર્થિક સત્તાના જોરે ઘડાયેલા હોય છે. એ ધોરણો સત્તામાં રહેલા લોકોને ફાયદો થાય એ રીતે જ ઘડવામાં આવ્યા હોય છે. આ કારણે લિમ્બાલે દલિત લેખકો દ્વારા લખાયેલા સાહિત્યને વિવેચનમાં જે અન્યાય થાય છે એ વિશે ઝુંબેશ ઉઠાવે છે. તેમના મતે દલિત લેખકો દ્વારા લખાયેલ સાહિત્યને સવર્ણ લેખકો દ્વારા રચાયેલ શાસ્ત્રની નજરે જોવું એ ભૂલભરેલું પગલું છે. આમ કરવાથી હંમેશાં દલિત સાહિત્ય ટૂંકુ પડતું જ લાગશે. કારણ કે આનંદ કે સૌંદર્યની અનુભૂતિ કરાવવી એ દલિત સાહિત્યનો ઉદ્દેશ જ નથી. દલિત સાહિત્યને માપવા માટે અલગ ફૂટપટ્ટી જોઈએ, દલિત સાહિત્યનું એક અલગ શાસ્ત્ર જોઈએ.
આ શાસ્ત્ર કેવું હોય? કળાકૃતિને માપવાના એના મુખ્ય ધોરણો કેવા હોય? લિમ્બાલે પુસ્તકમાં આ મુદ્દા પર પ્રકાશ પાડે છે. લિમ્બાલેના મત મુજબ દલિત સાહિત્યકારો આંબેડકરની વિચારસરણીને અનુસરે છે. એટલે એ સાહિત્યમાં મુખ્ય ઘટકો સૌંદર્ય અને આનંદ નહિ, સમાનતા, આઝાદી અને સામાજિક ચેતના છે. આ સાહિત્ય ઘોર પીડા અને અન્યાયના અનુભવમાંથી ઉદ્ભવે છે. સૌંદર્યની અનુભૂતિનો સવાલ જ નથી. આ સાહિત્ય થકી અસામનતામાં ખચિત સમાજનો કદરૂપો, બિહામણો ચહેરો તાદૃશ થાય એ મુખ્ય ઉદ્દેશ છે.
દલિત સાહિત્ય લેખકોની કલ્પનાથી નહિ, પણ નક્કર વાસ્તવિક અનુભવથી સર્જાય છે. એ અનુભવની વાત વાચક સુધી પહોંચે એ જ ઉદ્દેશ છે. રૂપની સાધના કરતા વિવેચકોએ આ સાહિત્ય પાસે પહોંચવું હશે તો પોતાના આગ્રહો છોડવા પડશે. ટેકનીક, સ્વરૂપ કે ભાષાસૌંદર્યના ઘટકો નહિ, પણ સામાજિક અસમાનતા વિશે કોઈ દલિત સાહિત્યની કળાકૃતિ વાચકને કેટલી જાગૃત કરે છે, એને માનવતાવાદી અભિગમ કેળવવા તરફ વિચારતી કરે છે કે કેમ, એ કળાકૃતિને મૂલવવાના મુખ્ય ઘટકો હોવા જોઈએ.
કળાકૃતિમાં ભાષાસૌંદર્યની અપેક્ષા રાખતા વિવેચકો સામે પણ લિમ્બાલે સવાલ ઉઠાવે છે. દલિત સાહિત્ય એ વિદ્રોહનું સાહિત્ય છે. એની ભાષા પણ વિદ્રોહની ભાષા હોવાની. જુગુપ્સા પ્રેરે એવી ઘટનાઓ, ગાળો કે જાતીયતાનું સાવ અનાવૃત નિરૂપણ દલિત સાહિત્યમાં આવે તો એને લીધે એ કૃતિઓને ડિસમીસ કરી દેવી એ વિવેચકોની તાસીર છે. પણ લિમ્બાલે કહે છે કે આ પ્રકારની ઘટનાઓ કે ભાષા એ ઘણા દલિત લેખકોના અનુભવનું ભાથું છે. જો એ બધું વિવેચકોને અસ્વસ્થ કરે છે તો એનું કારણ જાતિગત સામાજિક અસમાનતા છે. સમાજ ગંદો છે. દલિત લેખક તો એ સમાજને સચ્ચાઈથી, પોતાના અનુભવના ભાથામાંથી વ્યક્ત કરવાનું નિમિત્ત માત્ર છે. લિમ્બાલેના મત મુજબ દલિત સાહિત્ય વાંચીને તમને સૌંદર્ય કે આનંદનો અનુભવ જો ન થાય, પણ ગુસ્સો આવે, ઉબકા આવે, ઊંઘ ઉડી જાય, દીવાલને મુક્કા મારવાનું મન થાય તો એ દલિત સાહિત્યની નબળાઈ નહિ, પણ તાકાત છે.
લિમ્બાલેની વાત અસરકારક એટલા માટે છે કે પુસ્તકની દલીલો ખૂબ જ તર્કપૂર્ણ છે. પોતાની દલીલોને ટેકો આપવા લિમ્બાલે અશ્વેતોના વિદ્રોહના સાહિત્યની—બ્લેક લીટરેચર—ની પણ વાત કરે છે. આંબેડકરવાદી અને માર્ક્સવાદી સાહિત્યની પણ વાત કરે છે, આંબેડકર અને માર્કસની વૈચારિક સમાનતા અને બંને વિચારસરણીઓ ક્યા અલગ પડે છે એની પણ વાત કરે છે. મજબૂત સંદર્ભો સહિત, તર્કપૂર્ણ દલીલો થકી લિમ્બાલે કળાના સાર્વત્રિક અને શાશ્વત ધોરણોની હેઠળ રહેલા બોદાપણાને ઉજાગર કરે છે.
આ જ વાત ઈટલીના મહાન વિવેચક અને લેખક ઉમ્બર્તો એકો, અલબત્ત થોડી અલગ રીતે, પોતાના સંપાદિત પુસ્તક ‘ઓન બ્યૂટી’માં કરે છે. પુસ્તકમાં તેઓ પશ્ચિમમાં સૌંદર્યશાસ્ત્રનો ઇતિહાસ કેવી રીતે વિકસ્યો એની વાત કરે છે. એકો જણાવે છે કે સૌંદર્યના ધોરણો કદી ય સાર્વત્રિક અને શાશ્વત હતા જ નહિ, પણ અલગ અલગ સમયે એ બદલાતા રહ્યા છે. સત્તામાં રહેલા તત્ત્વોએ હંમેશાં સૌંદર્યના શાસ્ત્રોને પોતાની વિચારસરણી મુજબ બદલ્યા છે. સત્તા બદલાય, એમ સારી કળા કેવી હોય એના ધોરણો ય બદલાય. એક ફૂટપટ્ટીથી બધું જ ન મપાય.
આપણે કોઈ કળાકૃતિને માણીએ ત્યારે ઘણીવાર એને જજ કરવામાં, એનું વિવેચન કરી નાખવા ઉતાવળા થઈ જતા હોઈએ છીએ. કોઈ કૃતિ સારી છે કે ખરાબ, એ સવાલ પૂછવાની જગ્યાએ, કેવા સૌંદર્યશાસ્ત્રને આ કળાકૃતિ અનુસરે છે, અથવા તો, આ કળાકૃતિને માપવા/માણવા માટે મારે કઈ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ, એ સવાલ વધારે મહત્ત્વનો છે.
હું માનું છું કે આ બદલાયેલો સવાલ એ કૃતિની નજીક પહોંચવામાં, એને માણવામાં વધારે મદદ કરી શકે છે.
સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર