આજે 93 બેઠકો માટેની 14 જિલ્લાઓમાં 833 ઉમેદવારોની ગુજરાતના બીજા તબક્કાની ચૂંટણી છે. સવારે દસ સુધીમાં બધાં જ મતદાન કરી આવે એવી તાકીદ પણ કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવી છે. તાકીદ કરવાનું કારણ એ પણ ખરું કે પહેલા તબક્કામાં અગાઉની ચૂંટણીઓ કરતાં મતદાનની ટકાવારી ઘટી છે. તાપીનું 72 ટકાથી વધુ મતદાન બાદ કરતાં લગભગ તમામ સ્તરે મતદાનની ટકાવારી ઘટી છે. આ થવું જોઈતું ન હતું, પણ થયું છે. તમામ પક્ષના ટોચના નેતાઓએ સભાઓ યોજી, રોડ શો કર્યા, પણ તેની અસર મતદાનમાં જોવા મળી નહીં. તમામ પક્ષોના રોડ શોમાં, તેની સભાઓમાં લોકોએ ભીડ નથી કરી એવું નથી, પણ સભામાં ભીડ કરનારાઓ મતદાનમાં ભીડ કરી શક્યા નથી તે વાતે પક્ષના નેતાઓ ચિંતામાં છે. એ જ કારણ છે કે બીજા તબક્કામાં સવારથી જ લોકો મતદાન કરે એવી અપેક્ષા રાજકીય નેતાઓ રાખી રહ્યા છે. ઈચ્છીએ કે પ્રથમ તબક્કાનો અનુભવ, બીજા તબક્કાનો ન હોય ને મતદાનની ટકાવારી વધે.
મતદાનની ઘટતી ટકાવારી ઘણાં રાજકીય સમીકરણો બદલી શકે એવું અગાઉના અનુભવો કહે છે. ગુજરાતની ચૂંટણીનાં પરિણામોએ અગાઉ કેન્દ્ર પર પણ અસરો પાડી છે. એટલે પણ રાજ્યની ચૂંટણીનું મહત્ત્વ છે. એમ લાગે છે કે ગુજરાતની ચૂંટણીઓ એક જ તબક્કામાં યોજાય એવું આયોજન થવું જોઈએ. જો ચૂંટણીનાં પરિણામો છૂટક જાહેર ન થતાં હોય તો એક જ રાજ્યની ચૂંટણી પણ છૂટક શું કામ યોજાવી જોઈએ? એક સાથે ચૂંટણી યોજાય તો જુદા જુદા તબક્કાની ચૂંટણીઓ ને તેની અસરોથી રાજ્ય બચી શકે. આ એટલા માટે કે પહેલા તબક્કાની ચૂંટણીની અસરો બીજા તબક્કા પર ન ખેંચાય. પહેલાં તબક્કામાં મતદારો ઉદાસીન રહ્યા એ જોઈને બીજા તબક્કાના મતદારો પણ ઘરની બહાર ન નીકળે એમ બને. આમ તો નેતાઓએ મતદાતાઓને મતદાન કરવાનો આગ્રહ કર્યો જ છે, છતાં મતદારોને મથક સુધી ખેંચાવાની આળસ ચડે એમ બને. એનાં કરતાં એક સાથે જ રાજ્યની ચૂંટણી થાય તો તેની અસર પણ એકસરખી પડે. આ અંગે સંબંધીતોએ વિચારીને નિર્ણય લેવો જોઈએ.
આમ તો ગુજરાતના મતદારોની સંખ્યા 20 ટકા વધી છે, તો મતદાન પણ વધવું જોઈએ, તેને બદલે સમીકરણો બદલાઈ જાય એ હદે પહેલાં તબક્કામાં મતદાન ઘટ્યું છે. આમ કેમ બન્યું તેનાં કારણો પણ છે. મતદારો 20 ટકા વધ્યા, પણ પોલિંગ બૂથ 10 ટકા પણ માંડ વધ્યાં. એ ખરું કે મતદાન ઓછું થયું હોય ત્યાં, બૂથ વધે તો પણ, બહુ ફેર ન પડે, પણ કેટલાંક બૂથ પર મતદાનની પ્રક્રિયા ઇ.વી.એમ. ન ચાલ્યાં એટલે મોડી શરૂ થઈ, એને કારણે લાઈનો લાગી, એમાં સિનિયર્સ લાંબો સમય ઊભાં રહે એ શક્ય ન હતું, એટલે ઘણાં મત આપ્યાં વગર જ પાછાં ફર્યાં. ક્યાંક પ્રક્રિયા ધીમી રહી એટલે પાંચ પછી પણ લાઈનો રહી. એ મતદાતાઓને ટોકન આપવા પડ્યા. અહીં પણ રાહ ન જોઈ શકે એવા મતદારો મત આપ્યા વગર પરત થયા હોય એમ બને. સિનિયર્સની ને સ્ત્રીઓની અલગ લાઇન હોય એ અંગે પણ આગામી ચૂંટણીઓમાં વિચારી શકાય. જે લાઇનમાં રહ્યા તેમને પણ, ક્યાંક તો મત આપતા સાડા સાત વાગ્યા.
એક તરફ આ સ્થિતિ હતી, બીજી તરફ ગુજરાતના 40 ટકા જેટલા મતદારોને મતદાનમાં, લોકશાહીમાં અને એની સરકારમાં ભરોસો રહ્યો ન હતો એટલે એ મત આપવાથી દૂર રહ્યા. આ ગંભીર ચિંતાનો વિષય છે. ગુજરાતમાં 27 વર્ષથી ભા.જ.પ.ની સરકાર છે. ભા.જ.પ.ને તો હોય કે તેની જ સરકાર બનશે, પણ લોકોને પણ એવું હશે કે આ વખતે પણ વાતાવરણ ભા.જ.પ. તરફી જ છે, તો એની જ સરકાર બનશે. આનું પરિણામ એ આવ્યું હોય કે ભા.જ.પ.ના કાર્યકર્તાઓ પોતે મત આપવામાં આળસ કરી ગયા હોય ને એમણે જ મતદારો, મતદાન મથક સુધી પહોંચે એની બહુ ચિંતા ન કરી હોય. એની સામે આપ કે કાઁગ્રેસે તો સત્તામાં આવવું જ છે એટલે એને કોઈ આળસ પરવડે નહીં ને એમણે તો મતદાન પોતાની તરફે થાય એ અંગેની બધી જ કોશિશો કરી હોય. આ કોશિશોની અસર પરિણામો પર પડે એમ બને.
એ તરફ ભલે બહુ ધ્યાન ન અપાયું હોય તો પણ, બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો મધ્યમવર્ગીય મતદારો ભૂલ્યા નથી. પેટ્રોલના ભાવ દુનિયામાં ઘટયા હોય ને ભારતમાં વધ્યા હોય એ લોકોને ન દેખાય એવું તો કેમ બને? ગેસ સિલિન્ડર સાથે મતદાનના પ્રયત્નો થયા એ એટલું તો સૂચવે જ છે કે સિલિન્ડરનો ભાવ વધારો ભુલાયો નથી. સિનિયર્સને રેલવેમાં અપાતી સવલતો કપાઈ એ પણ ઘણાંને યાદ રહ્યું જ છે. મોંઘવારી વધે અને 2014થી ઇન્કમટેક્સનો સ્લેબ બદલાય જ નહીં એ કેવું? કોરોનામાં ઓનલાઈન વર્ગો ચાલ્યા, વર્ગ શિક્ષણ બંધ હતું, પણ ફી ઘટી નહીં. એ અંગે શિક્ષણ જગત અને સરકારની ઉદાસીનતાનો પડઘો મતદાનમાં પડ્યો હોય એમ બને. મોંઘવારીએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું, એ ઉપરાંત ઇલેક્શનમાં મહિલા ઉમેદવારોની સંખ્યા પણ ઘટી. એને લીધે પણ ક્યાંક મહિલા મતદાતાઓ મતદાન મથકથી દૂર રહી હોય એમ બને. પરિણામ ગમે તે આવે, પણ બે બાબત નોંધવા જેવી છે. એક તો એ કે લોકો ભક્ત હોય તો પણ મૂરખ નથી ને બે, મતદાતા પોતાનું મન કળાવા દે એટલો ભોળો નથી. તે બધી સભામાં જાય છે, બધે ભીડ કરે છે, પણ મત આપવો કે ન આપવો કે આપવો તો કોને આપવો તે એ પોતે નક્કી કરે છે. ખરેખર તો પરિણામો આવે ત્યારે પાકી ખબર પડે, પણ આ વખતે નોટામાં પડેલા મતોની સંખ્યા પણ નાની હોવા વિષે શંકા છે.
એક વાત સ્પષ્ટ છે કે કાઁગ્રેસનાં શાસનની ટેવ ગુજરાતને છૂટી ગઈ છે. એ ફરી સત્તામાં આવવા બધું જ કરી છૂટે એમ બને, છતાં એનો આ વખતે ઉત્સાહ ઓછો જ જણાયો છે. એનો લાભ ભા.જ.પ.ને મળી શકે. આમ આદમી પાર્ટીનો તો ગુજરાતમાં વિધાનસભામાં પ્રવેશ જ નથી થયો, છતાં જે એણે કરવું જોઈએ તે બધું જ તેણે પણ કર્યું, છતાં એ પાર્ટી સીધી સત્તામાં આવે તો એ ચમત્કાર જ હશે, પણ જે પાર્ટી 27 વર્ષથી સત્તામાં છે, તે ભા.જ.પે. આ વખતે ક્યાંક કાચું કાપ્યું હોવાનું લાગે છે. પ્રજા એને ગુડ વિલ પર સત્તા સોંપે એ જુદી વાત છે, પણ ભારતીય જનતા પાર્ટીએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર વર્તાય છે. એ ખરું કે વ્યક્તિ કરતાં પક્ષ મોટો નથી, પણ ભા.જ.પ.માં વ્યક્તિઓનું કદ પક્ષ કરતાં વધુ હોય એવું ઘણા વખતથી લાગે છે. પક્ષમાં મોવડીઓ તો હોય, પણ મોવડીઓ મનસ્વી થઈ ઊઠે તો એમને કટ ટુ સાઇઝ કરવા જ જોઈએ. એવું પ્રમાણમાં ઓછું થાય છે. આ વખતે ભા.જ.પ.ના કેટલાક નિર્ણયો પુનર્વિચારને પાત્ર હતા, પણ ‘હરિ કરે તે ખરું’, એમ બધું વડા પ્રધાન આધારિત જ રહ્યું. કોઈને પોતાનો મત કે વિચાર જાણે હતો જ નહીં. હતો તેને સમજવાની વૃત્તિ કે તૈયારી મોવડીઓની ન હતી.
વડા પ્રધાન સર્વેસર્વા છે, તેની ના નથી, પણ પક્ષમાં તે જ હોય ને કેન્દ્રમાં કે રાજ્યમાં પક્ષના અન્ય કોઈ નેતાનો અવાજ જ ન હોય એ લોકશાહીના હિતમાં નથી. વડા પ્રધાને અન્ય નેતાઓનું કોઈ અસ્તિત્વ જ ન હોય, એમ એમને શોભાનાં ગાંઠિયાની જેમ જ રાખ્યા એ ઠીક ન થયું. નાનામાં નાના નેતાથી માંડીને મોટામાં મોટો નેતા પણ મોદી મોદીની માળા જપવાનું ભૂલે નહીં ને એમાં સ્વયંભૂ ઓછું ને પ્રેરિત વધારે હોય તો તે પુનર્વિચારને પાત્ર છે. મોટે ભાગના મોવડીઓને પણ ‘ન બોલ્યામાં નવ ગુણ’ને અનુસરવાની ફરજ પડાતી હોય તે ક્ષમ્ય નથી. પક્ષના કાર્યકરોની ગતિવિધિ પણ દિલ્હીથી નક્કી થતી હોય તો ગુજરાતનો સ્વતંત્ર રાજ્ય તરીકે કોઈ અવાજ કે દરજ્જો છે કે કેમ એ પ્રશ્ન છે. એ દુ:ખદ છે કે કોઈ અવાજ ન ઊઠે એની કાળજી રખાય છે ને વધુ દુ:ખદ એ છે કે અવાજ સંભળાય જ નહીં એવા સેન્સિટિવ કાન રખાય છે. ગુજરાતની ચૂંટણી હોય ને ગુજરાતનો જ અવાજ ન સંભળાય એ કેવું? ગુજરાતમાં વડા પ્રધાન બોલ્યા છે એટલું મુખ્ય મંત્રી બોલ્યા નથી એ સૂચક છે. એ મિતભાષી છે, પણ મૂકભાષી નથી, ત્યારે પ્રશ્ન થાય કે એ બોલતા નથી કે એમને બોલવા દેવાતા નથી? એ નહીં બોલે એટલે તો પદ પર નથીને? આમ તો કોને બોલવા દેવાય છે એ પણ પ્રશ્ન જ છે. આ સ્થિતિ લોકશાહીની સૂચક નથી. આટલી ભૂમિકા એટલે આપવી પડી, કારણ એને મતદાન ઓછું થયું તેની સાથે સંબંધ છે.
ગયા સપ્ટેમ્બરમાં ગુજરાતની આખી સરકાર બદલી કઢાઈ. આખી સરકાર બદલવી પડે એવી કશી અનિવાર્યતા વગર દિલ્હીને લાગ્યું કે બદલવી છે ને બદલી કઢાઈ. દેશમાં ને રાજ્યમાં બધું એકદમ અને સામટું થવાના (નોટબંધી, લોકડાઉન જેવા) દાખલા હાથવગા છે. ગયે વર્ષે થયેલી આખેઆખી સરકારની બદલી તે વખતના મંત્રીઓને સહ્ય હોય જ એમ ન પણ બને. એ પછી આ વખતે ટિકિટ આપવામાં ‘નો રિપીટ’નો પ્રયોગ થયો. (આ ‘નો રિપીટ’નો અર્થ આ સરકાર પણ રિપીટ ન કરવી એવો તો નથીને?) 75ની ઉપરનાંને ટિકિટ નહીં. (એમાં પણ બાંધછોડ કરવી જ પડી.). વળી અગાઉ ઉતારી મુકાયેલા મંત્રીઓ પાસે લખાવી લેવાયું કે તેમને ચૂંટણી લડવામાં રસ નથી. કોઈએ પૂછ્યું ન હતું કે ચૂંટણી લડવામાં રસ છે કે નહીં? ને સામેથી જ લખી અપાયું કે રસ નથી, એ શું સૂચવે છે? એ પણ ત્યારે જ્યારે આમાંના જ કેટલાંક જાહેર કરી ચૂક્યા હતા કે તેઓ ટિકિટ માંગશે. આ બધું સિનિયર મંત્રીઓને ગમ્યું હોય એમ માનવાને કારણ નથી. માની લઇએ કે વડા પ્રધાનની શરમે મંત્રીઓ ચૂપ રહ્યા હોય, પણ એ મંત્રીઓના સમર્થકો ને ચાહકોનો મોટો વર્ગ છે. તે એટલે કે એ બધા ચૂંટણી જીતીને મંત્રી થયા હતા. એમના એ સમર્થકો અને ચાહકો, પોતાના નેતાઓને આમ સરેઆમ ડિસ્કાર્ડ કરી દેવાય ને ચુમાઈને બેસી રહે એવું તો કેમ બને? બને કે આ મંત્રીઓએ ને એમના ચાહકોએ ચૂંટણીમાં આ કારણોસર રસ ઓછો લીધો હોય ને એ બધાં મતદાતાઓને મતદાન મથક સુધી લાવવામાં નિષ્ફળ રહ્યાં હોય. મતદાન ઓછું થયું એમાં ભા.જ.પ.ના ચાહકોએ જ મત આપવામાં ઢીલાશ રાખી હોય એવું ખરું કે કેમ?
આમ જ બન્યું હોય એવું નહીં, પણ આમ ન જ બન્યું હોય એવું પણ નહીં …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ડિસેમ્બર 2022