પ્રિન્સટન, ન્યુ જર્સીમાં કનુભાઈ સૂચકના ઘેર ‘સાહિત્ય સંસદ, નોર્થ અમેરિકા’ના ઉપક્રમે, એક બેઠકનું આયોજન 30 જુલાઈ 2022ના રોજ થયેલ. તેમાં સર્જક મિત્ર ભૂપેન્દ્રસિંહ રાઓલ સાથે મને પણ આ બેઠકમાં હાજર રહેવાનો અવસર મળ્યો. સાંજના 5:00થી 7:00 સુધી સર્જક બાબુ સુથારે પોતાની કવિતાઓ અને વાર્તાઓનું વાંચન કર્યું; જલસો પડી ગયો ! બાબુ સુથારની રચનાઓમાં સામાજિક નિસ્બત છે, જે મને ગમી. સાહિત્ય, સામાજિક નિસ્બતવાળું ન હોય તો કામનું શું? એમની રચનાઓમાં ગૂઢાર્થ / વ્યંગ્ય હોય છે. એમની ફેસબૂક વોલ ઉપર આંટો મારશો તો મજા પડશે અને ખાતરી થશે કે સર્જક રાષ્ટ્રવાદી નથી હોતો; વિશ્વવાદી હોય છે !
પ્રસંગે લીધી છવિ : ભૂપેન્દ્રસિંહ રાઓલ, બાબુ સુથાર અને રમેશ સવાણી
બાબુ સુથાર કોણ છે? તેમના વિચારોથી જ જાણીએ :
[1] ગઈ કાલે ન્યૂ યોર્ક ગયેલો. Museum of Modern Art (MoMa) જોવા. છ માળના એ મ્યુઝિયમમાં બીજો માળ જોયો. સમકાલીન કળાનો. ત્યાં મોટા ભાગની કળા protest artની કોટિમાં જાય એવી. એ જોતાં સહેજે ગુજરાતી સાહિત્ય યાદ આવી ગયું અને થયું : હે રામ, આખેઆખી પેઢી જાણે કે મૂંગી થઈ ગઈ છે. આપણે વાત કરીએ લોકોની પીડાની અને ગુજરાતી સાહિત્યકારો વાત કરે પતંગિયાંની !
[2] Neuroscientistsના કહેવા પ્રમાણે આપણે મોટા ભાગના નિર્ણયો બે systems પ્રમાણે લેતા હોઈએ છીએ. System-1માં લાગણી અને સહજવૃત્તિ કામ કરતાં હોય છે; જ્યારે System-2માં તર્ક કામ કરતો હોય છે. એક સંશોધન પ્રમાણે 95% લોકો System-1 પ્રમાણે નિર્ણયો લેતા હોય છે. એમાં કોને મત આપવો એ અંગેના નિર્ણયનો પણ સમાવેશ થાય છે. એટલે જ રાજકારણીઓ મતદારોની લાગણીઓને સ્પર્શવાનો પ્રયાસ કરતા હોય છે; નહીં કે એમના તર્કને. આ જ વાત આપણા સાહિત્યકારોને પણ લાગુ પડે. મોટા ભાગના સાહિત્યકારો ભાવકોની લાગણી અને એમની સહજવૃત્તિને target બનાવતા હોય છે. બહુ થોડાં; ભાવકના logicને ધ્યાન રાખતા હોય છે. લોકપ્રિય સાહિત્યકારો પહેલા પ્રકારમાં આવે !
[3] એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ: માએ એના બાળકને કહ્યું કે ગોડઝિલા જેવું કોઈ પ્રાણી નથી. એ એક કાલ્પનિક પ્રાણી છે. પછી માએ બાળકને YouTube પર જઈને ગોડઝિલા ફિલ્મની એક ક્લિપ બતાવે છે. એમાં ગોડઝિલા સાન ફ્રાન્સિસસ્કોનો Golden Bridgeને ખાતાં ખાતાં તોડી નાખતો હોય છે. થોડાક દિવસો પછી મા કારમાં એના છોકરાને લઈને પેલા Golden Bridge પરથી પસાર થાય છે. એ દરમિયાન બાળકને બીક લાગતી હોય છે: ક્યાંક ગોડઝિલા આવશે અને બ્રિજને તોડી નાખશે તો? મા એને સમજાવે છે કે ગોડઝિલા એક કલ્પના છે. પણ, બાળક એ વાત માનવા તૈયાર નથી. બાળક માને માનવા તૈયાર નથી, પણ ફિલ્મની imageને માનવા તૈયાર છે! Power of image over power of words.
[4] ભારતમાં ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થઈ ત્યારે મને એમ હતું કે હાશ, હવે ત્યાં પણ અમેરિકાની જેમ યુનિવર્સિટીઓ જે બોલવું હશે તે બોલશે અને જે કરવું હશે તે કરશે. પણ, ના. એવું ન થયું. ઊલટાની મોટા ભાગની ખાનગી યુનિવર્સિટીઓ સરકારની પગચંપીમાં પડી ગઈ. કેમ કે એમને જ્ઞાનના નિર્માણ સાથે સંબંધ ન હતો. બધાંને તક મળી છે તો રળી લેવું હતું. ગયા અઠવાડિયે હું વરસો પછી જ્યાંથી મેં પીએચ.ડી.ની ડિગ્રી લીધી છે, એ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના કેમ્પસ પર લટાર મારવા ગયો. ત્યાં મેં Annenberg Public Policy Center જોયું. અત્યારે એમાં સાઈઠેક વિદ્વાનો સંશોધનનું કામ કરી રહ્યા છે! આ સેન્ટરના ઉપક્રમે આપણી altnewsના જેવી જ એક વેબસાઈટ ચલાવવામાં આવે છે. કોઈ રાજકીય પક્ષને કે વિચારધારાને ન વરેલી એવી આ સંસ્થા સતત રાજકારણીઓ જે કંઈ બોલે એ સાચું છે કે ખોટું છે એની તપાસ કરતી હોય છે અને જો ખોટું હોય તો લોકોને એ વિશે જાણ કરતી હોય છે. જ્યારે રાજકારણીઓ અસત્યમેવ જયતેની આરતી ઉતારતા હોય ત્યારે લોકો અસત્યને સત્ય ન માની લે એની આ લોકો કાળજી રાખતા હોય છે. તમને લાગે છે કે ગુજરાતની કોઈ યુનિવર્સિટી આવું કશુંક કરી શકે? મારો જવાબ છે : ના. રામનામ લો. આપણી મોટા ભાગની યુનિવર્સિટીઓને યુનિવર્સિટીઓ કહી ન શકાય. એ બધી દુકાનો છે. સરકારના પરવાના પર ચાલતી.
[5] અમેરિકામાં Christopher Hitchens, Richard Dawkins, Sam Harris, અને Daniel Dennett, આ ચાર વિદ્વાનોએ ખ્રિસ્તી ધર્મના જ નહીં, ધર્મ માત્રના પાયા હચમાચવી નાખ્યા. મેં આ ચારેય વિદ્વાનોને બરાબર વાંચ્યા છે. એમનાં પુસ્તકો પણ વાંચ્યાં છે. એમાં Sam Harrisનું A Letter to a Christian Nation તો એક અદ્દભુત પુસ્તક છે. મેં ઘણી વાર એની વાત Facebook પર કરી છે. એ પુસ્તકમાં Harris કહે છે કે ધાર્મિક લોકોએ હત્યાઓ કરી છે, નાસ્તિકોએ નથી કરી. પણ, મજાની વાત એ છે કે આ ચારમાંથી એકેય પર કોઈએ ધાર્મિક લાગણી દુભાવાની ફરિયાદ કરી નથી. એટલું જ નહીં, આ ચારમાંથી એકેયના પુસ્તક પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. એમનાં પુસ્તકો ખુલ્લેઆમ વેચાય છે. એટલું જ નહીં, એ પુસ્તકો પર ચર્ચાઓ પણ થાય છે. અમેરિકાના પ્રમાણમાં ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતા વધારે પડતી છે. હિન્દુઓ આ પહેલાં આટલા બધા અસહિષ્ણુ ન હતા. હું એવું માનું છું કે અસહિષ્ણુતા, ખાસ કરીને ધાર્મિક અસહિષ્ણુતા, એક પ્રકારની રાજકીય product હોય છે. એટલે કે, એમાં ધર્મ ઓછો હોય છે અને રાજકારણ વધારે હોય છે. રાજકારણીઓ ધાર્મિક અસહિષ્ણુતાને એક પ્રકારની commodity બનાવી દેતા હોય છે. એ લોકો એનો ઉપયોગ પોતાની મતબેંકને મજબૂત કરવામાં કરતા હોય છે. પણ, આપણે એ બધું જોતા નથી. અને જોઈએ છે તો પણ ઘણી વાર દેખાદેખીથી એમાં જોડાઈ જતા હોઈએ છીએ.
[6] પહેલાં એ લોકો hatredનું ઉત્પાદન કરવાનું start up બનાવશે. પછી એ start upને એ લોકો એમનાં ગાણાં ગાતાં સમૂહમાધ્યમોને આપશે. ત્યાર બાદ, એ સમૂહમાધ્યમો hatredનું mass production કરશે. પછી એ માધ્યમો તમારા મગજમાં hatred manufacturing device ઇન્સટોલ કરશે. પછી તમે તમે નહીં હો. તમને કોઈક દૂર બેઠું બેઠું ચલાવશે. તમે માનશો કે હું સ્વતંત્ર છું. પણ, ના. hatred તમને બીજાના ગુલામ બનાવશે. આ આખી મશીનરી સમજો.
[7] એક માણસે એક જનાવરનો મૃતદેહ ગામની વચોવચ ફેંક્યો. થોડીક વારમાં આકાશ આખું ગીધોથી ભરાઈ ગયું. લોકો ગીધોની ટીકા કરવા માંડ્યા. પૂછવા લાગ્યા : ક્યાંથી આવ્યાં છે આ ગીધડાં? કોણે મોકલ્યાં? શા માટે આવ્યાં હશે આ? પછી ગામલોકોએ નક્કી કર્યું: ‘મારો આ ગીધડાંને’. બધા પોતપોતાના ઘરમાંથી બંદૂક લઈ આવીને મારવા માંડ્યા ગીધોને. બધાં ગીધ મરી ગયાં પછી ગામલોકોએ ઉજાણી કરી. પણ, કોઈએ એમ ન પૂછ્યું કે કોણ નાખી ગયેલું પેલા જનાવરનો મૃતદેહ આપણા ગામની વચોવચ? એટલું જ નહીં, કોઈએ એ મૃતદેહને ત્યાંથી દૂર કરવામાં પણ રસ ન લીધો. અને બીજા દિવસે પાછાં ગીધડાં … સમજો. તમે જે પરિસ્થિતિમાં છો એનાં કારણોમાં જાઓ.
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર