નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજકાલ ચર્ચામાં છે. આમ તો પ્રવેશોત્સવથી જ તે ચર્ચામાં હોય છે. બાળકોને શાળા પ્રવેશનો આનંદ થાય તે માટે પ્રવેશોત્સવ ઉજવાય છે, પણ હાલ તો તે રાજકીય મેળાવડો જ વધુ બની ગયો છે. શિક્ષકો અને આચાર્યો, સાહેબોની સરભરામાં જ એટલા વ્યસ્ત થઈ જાય છે કે બાળકો ગૌણ થઈ જાય છે. એટલું સારું છે કે પ્રવેશોત્સવને બહાને કેટલાક રાજકારણીઓ સ્કૂલનું મોં જોવા પામે છે, બાકી, એ વળી ક્યારે સ્કૂલે જવાના હતા ! આ પ્રવેશોત્સવમાં કલાકારો, સંગીતકારો, ચિત્રકારો .. વગેરેને પણ જોડી શકાય, પણ તેઓ કદાચ મત આપતા નથી અથવા તો એમના મત જીવાડે એટલા હોતા નથી એટલે તેડાતા નહીં હોય. આમ પણ બાળકો નાનેથી રાજકારણ શીખે એ વધારે મહત્ત્વનું છે, નહીં કે કળા શીખે તે, ખરું ને?
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉજવણાં-ઉઠમણાંમાં પણ વધુ સક્રિય થઈ ગઈ છે. મોટે ભાગે તે રાજકીય નેતાઓની જન્મ-મરણ તિથિઓમાં શાળાઓને રોકી રાખે છે. એ થાય તેની ય ના નથી, પણ બે અઢી વર્ષથી કોરોનાએ દાટ વાળ્યો હોય, શિક્ષણકાર્ય ઓનલાઈન થયું હોય, પણ, તે પૂરતું ન હોય, માસ પ્રમોશનથી બાળકોને પાસ કરવા પડ્યા હોય એ સ્થિતિમાં બાળકો થોડો વખત શિક્ષણકાર્યમાં વધુ પ્રવૃત્ત હોય તે ઇચ્છનીય, નહીં? તેને બદલે તે ઇતરપ્રવૃત્તિને જ શિક્ષણ માનતું થાય એ સ્થિતિ થોડો વખત ટાળવા જેવી છે. આ ઉપરાંત શિક્ષકો, આચાર્યો રસીકરણ, ચૂંટણી, વસતિગણતરી જેવી પ્રવૃત્તિઓમાંથી થોડો વખત મુક્ત કરાય અને તેમને બાળકોનાં સઘન શિક્ષણ માટે આગ્રહપૂર્વક જોડવામાં આવે તો બાળકોનાં શિક્ષણનો પાયો કાચો રહી જવાનું જે જોખમ છે તે ટાળી શકાય. શિક્ષણ સમિતિમાં રાજકીય હેતુઓ ધરાવતા અધિકારીઓ કે વહીવટી અધિકારીઓ આ મામલે વધુ ગંભીર હોય તેવી અપેક્ષા રહે, પણ એ તરફ કદાચ એ વર્ગનું ધ્યાન નથી લાગતું, નહિતર, એ મુશ્કેલ એવાં કામો કરવાની આચાર્યો, શિક્ષકો અને બાળકોને ફરજ ન પાડે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક પરિપત્ર એવો બહાર આવ્યો કે જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસથી અવગત થાય અને સૈનિકો-સ્વાતંત્ર્ય સેનાનીઓ પરત્વે ઉદારતા પ્રગટ કરે, એ હેતુથી 30 જુલાઇ, 2022 સુધીમાં શાળાની અનુકૂળતા મુજબ ગુરુવંદનાનું આયોજન કરવું. આ ઉપરાંત 1 ઓગસ્ટે ભારત માતાનાં પૂજન-અર્ચનનું આયોજન કરવું. આમ તો આવાં આયોજનથી આનંદ થાય, પણ આ ઉપક્રમમાં આનંદ ન થાય એવું ઘણું છે, કારણ આ આયોજન વેઠ ઉતારવા ને અણઘડ રીતે થયું હોવાનો વહેમ પડે છે. 30મી જુલાઇ સુધીમાં અનુકૂળતા મુજબ તમામ શાળાઓને ગુરુવંદનાનો કાર્યક્રમ કરવાનું કહેવાયું. એ ક્યારે કહેવાયું, તો કે 29 જુલાઈ ને શુક્રવારે. 29મીએ પરિપત્ર બહાર પડે તો ‘30 જુલાઇ સુધી’નો શો અર્થ કરવાનો? સીધું એમ જ ઠોકી બેસાડાયું છે કે 30મીએ શનિવારે ગુરુવંદનાનો કાર્યક્રમ કરવાનો જ છે. એમાં ‘અનુકૂળતા મુજબ’ કરવાની તક જ ક્યાં ને કેટલી છે? એ ઓછું હોય તેમ એ પછી 1 ઓગસ્ટે પૂજન-અર્ચનનો બીજો કાર્યક્રમ ! બીજે જ દિવસે, કારણ 31મીએ રવિવાર હતો. લાગે છે, આ આયોજન સમજપૂર્વકનું છે? અમૃત મહોત્સવ તો વર્ષથી ચાલે છે, પણ શિક્ષણાધિકારી એકાએક 29મીએ જાગે છે ને 30મીએ સ્કૂલોને ફરજ પાડે છે – એક પછી એક કાર્યક્રમો કરવાની. આમાં સૌથી શરમજનક તો છે, સૈનિકો પરત્વે ‘ઉદારતા’ બતાવવાની વાત ! આ કાર્યક્રમ સૈનિકો પ્રત્યે ઉદારતા બતાવવા કરવાનો? ઉદારતા? તે ય સૈનિકો-સેનાનીઓ પરત્વે? એમના પરત્વે ઉદારતા બતાવવાની કે એમના પ્રત્યે આભાર પ્રગટ કરવાનો? ક્યાં, કેવા શબ્દોનો ઉપયોગ થાય એટલી કાળજી ન રખાય તો વિવેક ચૂકવા જેવું જ થાય ને તે બધી રીતે અસહ્ય છે.
એક કાળે સ્કૂલમાં મુદ્દા પરથી વાર્તા લખવાનું શીખવાતું હતું. હવે એ શીખવાય છે કે કેમ તે નથી ખબર, પણ ત્યારે શિક્ષક જ વર્ગમાં વાર્તા કહેતા. હવે શિક્ષકો વાર્તા નહીં કહી શકતા હોય એવું શિક્ષણ સમિતિને લાગે છે, એટલે સમિતિએ એજન્સી દ્વારા ધોરણ એકનાં બાળકોને વાર્તા કહેવાનો એક ઉપક્રમ યોજ્યો. શિક્ષણખાતું અખતરાઓ યુદ્ધને ધોરણે કરતું રહેતું હોય તો શિક્ષણ સમિતિ પણ તેમાંથી બાકાત શું કામ રહે? તેણે વાર્તા દીઠ 1886ના ભાવે 100 સ્કૂલોમાં એજન્સી દ્વારા વાર્તા કહેવાનું ઠરાવી દીધું. 20મી જૂને સ્ટોરી ટેલિંગનો કોન્ટ્રાક્ટ બહાર પડ્યો અને તે વખતે હાજર જ હોય તેમ, 20મીએ જ, એક કંપનીએ પોતાની અરજી મૂકી પણ દીધી. એ પતે કે 21મીએ બીજી બે વ્યક્તિઓએ પણ અરજી કરી દીધી. સમિતિની આટલી સક્રિયતાનો વિપક્ષ તરીકે આપનો કોઈ પડઘો જ ન પડે એવું તો કેમ બને? આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરાએ તપાસ કરી તો ત્રણેય અરજદારોનું અસ્તિત્વ નથી કે ત્યાં રહેનારનું નામ કોઈ બીજું જ છે એ વાત સામે આવી. રાકેશ હિરપરા જોડે ફોન પર વાત થઈ તો તેમણે જાતે આ તપાસ કરી હોવાનું જણાવ્યું. આ કામ ‘વાર્તા કથન’ કરતાં ય કોઈને લાભ ખટાવવા હાથ પર લેવાયું હોવાનું વધારે લાગે છે. સ્કૂલોમાં વાર્તા કહેવાઈ કે કેમ તે અંગે હિરપરાએ તપાસ કરી તો કેટલીક વાતો સામે આવી. એક તો એ કે આવી કોઈ કંપની દ્વારા વાર્તા શાળાઓમાં કહેવાઈ નથી. બે, કાર્યક્રમ સ્કૂલે જ તૈયાર કર્યો હતો. ત્રણ, કોઈક સ્કૂલમાં વાર્તા કહેવાઈ ને સારી રીતે કહેવાઈ. ચાર, એજન્સીના સભ્ય વાર્તા કહેવા ઓચિંતા જઈ ચડ્યા, ત્યારે બાળકો અન્ય શૈક્ષણિક કાર્યમાં વ્યસ્ત હોવાથી વાર્તા માટે સમય ફાળવી શકાયો નહીં.
આ અંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી ધનેશ શાહનો ફોન પર સંપર્ક કરતાં તેમણે ‘વાર્તા કથન’ અંગે પ્રગટ થયેલા સમાચારો સાચા ન હોવાનું જણાવ્યું ને સ્કૂલોમાં વાર્તા કહેવાઈ છે તેનું સમર્થન કરતાં ઉમેર્યું કે 100 શાળાના આચાર્યોએ વાર્તા કહેવાઈ હોવાનાં પ્રમાણપત્રો પણ આપ્યાં છે. એ પ્રમાણપત્રો બતાવવાનું પણ તેમણે કબૂલ્યું. જો જાણકારી ખોટી ન હોય તો કેટલાક પ્રશ્નોના જવાબો સમિતિ પાસેથી અપેક્ષિત છે.
- ખરેખર તો વાર્તા કથનનો પ્રયોગ શાળાના શિક્ષકો કરી શકે એ સહજ ગણાય. એ સ્થિતિમાં કોઈ એજન્સીને વાર્તા દીઠ 1,886 રૂપિયા ખટાવવાનો આખો ઉપક્રમ ફેર વિચારણાને પાત્ર છે. શિક્ષકો પર ભરોસો ન મૂકવાનું અને ત્રાહિત એજન્સી પર પૈસા ખર્ચીને ભરોસો ખરીદવાનું કઇ રીતે યોગ્ય છે તે પણ પ્રશ્ન છે. કોઈ એજન્સીને બદલે, શિક્ષકોને કે જાણીતા બાળવાર્તા લેખકોને નિમંત્રણ આપવાનું વધારે યોગ્ય રહ્યું હોત કે કેમ? વધારે સારું તો એ હતું કે એજન્સીને ખટાવવા કરતાં એટલી રકમ શિક્ષકોને વાર્તા કથન માટે તૈયાર કરવા પાછળ ખર્ચાઈ હોત !
- વાર્તા કથનનો આ ઉપક્રમ 100 સ્કૂલો પૂરતો જ સીમિત હતો કે એમાં અન્ય સ્કૂલો ઉમેરવાનો હેતુ પણ હતો?
- 20મી જૂને વાર્તા કથનનો નિર્ણય લેવાય છે. 21મી જૂને 3 અરજીઓ આવે છે ને 30 જુલાઇ સુધીમાં વાર્તા કહેવાયાના 100 પ્રમાણપત્રો અધ્યક્ષ પાસે જમા થઈ જાય છે. આ બધું સહજ ક્રમે થયાનું લાગે છે?
- 21 જૂને જે બે વ્યક્તિઓએ અરજી કરી તે એક જ એરિયાની છે. કદાચ બંને એકબીજાના પરિચયમાં હોય ને બંનેએ સાથે મળીને અરજી કરી હોય એમ બને, કારણ બંનેની ભાષા સરખી છે. એકબીજાની અરજીઓ, જોઈને ન કરી હોય તો આવું સામ્ય શક્ય નથી. હવે એ બે વ્યક્તિઓ એક જ એરિયાની હોય, કદાચ પરિચિત હોય તો આપેલાં સરનામે મળવી જોઈએ, પણ ત્યાં હિરપરાએ જણાવ્યું છે તે પ્રમાણે એવી કોઈ વ્યક્તિઓ રહેતી નથી કે ત્યાંની આસપાસની વ્યક્તિઓને આ બંને અરજદારોનો કોઈ પરિચય પણ નથી, તો સવાલ એ રહે છે કે બંને અરજીઓની ભાષા એક જેવી થઈ કેવી રીતે કે ઓફિસમાંથી જ બે વ્યક્તિઓએ સાથે મળીને એ અરજીઓ કરી છે? આ પ્રશ્નો અત્યારે તો વણ ઉકલ્યા જ છે.
સમિતિની વાતો જોતાં એવું લાગે છે કે તે હજી ઘણી બધી રીતે પ્રાથમિક તબક્કામાં જ છે. એમ પણ લાગે છે કે સમિતિના રાજકીય કે વહીવટી હોદ્દેદારો જવાબદારી લેવા કરતાં સામાની જવાબદારી ઊભી કરવામાં વધારે માને છે. પરિપત્રો કે પત્રકોમાં આચાર્યની જવાબદારી અંગે વખતોવખત ચેતવણી અપાતી રહે છે ને આ પ્રવાહ રાજકીય ટોચથી નીચેની દિશાએ વહેતો રહે છે. જવાબદારી સ્વીકાર્યા વગર આચાર્યો અને શિક્ષકોને ભયભીત રાખવામાં આવે છે એટલે એમને સાહેબોની ભક્તિની ફરજ પડે તેવું વાતાવરણ છે. આચાર્યો, શિક્ષકોનાં યુનિયનો છે, પણ કોઈનો સામૂહિક અવાજ આર્થિક હિત સિવાય સંભળાતો નથી. શિક્ષણની કોઈ જ સમસ્યા તેમને લાગતી નથી ને આવતી કાલનું ભવિષ્ય એવાં બાળકો, શિક્ષણને નામે ખરેખર કઇ દશા ને દિશામાં છે એની બહુ ઓછાને ચિંતા છે. કાગળ પર, પત્રકોમાં બાળકો ઉત્તમ શિક્ષણ પામતાં હશે, પણ વર્ગમાં તેઓ શું પામે છે એની ચિંતા ખરેખર કરવા જેવી છે. બાળકોને વાર્તા કહેવાનો હક શિક્ષકોનો હોય ને એ પારકી એજન્સીને સોંપવો પડે ને એની કોઈ શિક્ષકને નાનમ ન લાગે ત્યારે થાય કે ખરાં છે આ બાળકો, પથ્થર એટલા દેવ પૂજી રહ્યા છે…
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ઑગસ્ટ 2022