તમે સપરિવાર રેસ્ટોરન્ટમાં જમવા ગયા હો, ત્યારે એક દૃશ્ય અચૂક જોયું હશે. જમવાનું પતી ગયું હોય, અને વેઈટર અથવા તો મેનેજર તમારા ટેબલ પાસે આવીને તમારી સાથે અપેક્ષા સભર આંખો મિલાવે, એટલે તમે કહો કે “જમવાનું જોરદાર હતું,” અને એ એટલો બધો ખુશ થઇ જાય કે તમને એવું લાગે કે જાણે કિચનમાં એપ્રોન પહેરીને એ જાતે છેલ્લા અડધા કલાકથી તમારા માટે મરી-મસાલાનો વઘાર કરતો હતો!
બ્રિટનમાં, બોરિસ જોહ્નન્સનના રાજીનામા પછી, અગામી વડા પ્રધાનની રેસમાં દોડી રહેલા ભારતીય મૂળના ઉમેદવાર ઋષિ સુનકને લઈને છેલ્લા ઘણા વખતથી ભારતના લોકોની હાલત રેસ્ટોરન્ટના વેઈટર જેવી છે. બ્રિટનમાં હવે એક “ભારતીય વડા પ્રધાન” હશે તેવા શુભ સમાચારોથી ભારતીયોમાં “ગૌરવ”નું એક એવું સામૂહિક કલાઇમેકસ આવી ગયું છે, જાણે ઋષિ સુનકને બાળપણથી મોટા કરવામાં તેમનો સીધો હાથ હોય! આને બેગાની શાદી મેં અબ્દુલા દીવાના પણ કહી શકાય.
ડાયસ્પોરામાં ભારતીય નામો વાંચીને ભીના થઇ જતા ભારતીયો એ જાણવાની પણ તસ્દી લેતા નથી કે જેમની શાદીમાં તેઓ દીવાના થાય છે તે સાચે જ “આપણા”માંના છે કે “એ” લોકો પૈકીના. પહેલી વાત તો એ કે બ્રિટનમાં ચાન્સેલર ઓફ એક્સ્ચેકર (નાણા મંત્રી) રહી ચૂકેલા અને 2015થી સંસદ સભ્ય ઋષિ સુનક જન્મે જ બ્રિટિશર છે. સધર્ન ઇંગ્લેન્ડમાં આવેલા સાઉધમ્પટન શહેરમાં 1980માં તે જન્મ્યા હતા. તેમના સંજય અને રાખી નામનાં બે ભાઈ-બહેન પણ છે.
તેમનાં માતા-પિતા યશ્વીર અને ઉષા સુનક, સાઉથઇસ્ટ આફ્રિકાના ભારતીય ડાયસ્પોરામાંથી આવે છે. પિતા યશ્વીર કોલોની એન્ડ પ્રોટેકટોરેટ ઓફ કેન્યા(હાલના કેન્યા)માં જન્મ્યા હતા, જ્યારે માતા ઉષા ટાંગાન્યીકા(જે પછીથી તાન્ઝાનિયામાં ભળી ગયું હતું)માં પેદા થયાં હતાં. યશ્વીર અને ઉષાનાં પેરેન્ટ્સ મૂળ પંજાબનાં હતાં અને ઇસ્ટ આફિકા સ્થળાંતર કરી ગયાં હતાં. સાઈઠના દાયકામાં બંને ઇંગ્લેન્ડ ગયાં હતાં. યશ્વીર જનરલ ફીઝીશિયન હતા અને ઉષા દવાની દુકાન ચલાવતાં હતાં.
ઋષિએ હેમ્પશાયરની સ્કૂલમાં અને વિન્ચેસ્ટર બોર્ડિંગ કોલેજમાંથી પ્રાથમિક ભણતર મેળવ્યું હતું. વેકેશનમાં તે સાઉધમ્પટનની હોટેલમાં વેઈટરનું કામ કરતા હતા. 2001માં તે ઓક્સફર્ડની લિંકન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. તેમનાં લગ્ન, ઇન્ફોસિસવાળા નારાયણ મૂર્તિની પુત્રી આકાંક્ષા મૂર્તિ સાથે થયાં છે. ઋષિ ચાન્સેલર હતા ત્યારે ટેક્સના મામલે વિરોધ પક્ષોએ આકાંક્ષાને નિશાન બનાવી હતી.
એક ભારતીય સમાચારપત્રને ઋષિએ કહ્યું હતું, “વસ્તી ગણતરીમાં ‘બ્રિટિશ ઇન્ડિયન’ એવું ખાનું હોય છે, હું તેમાં ટિક કરું છું. હું સંપૂર્ણપણે બ્રિટિશ છું, આ મારું વતન અને મારો દેશ છે, પણ મારો ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક વારસો ભારતમાં છે, મારી પત્ની ભારતીય છે.”
ઋષિ સુનક, બ્રિટનના વડા પ્રધાનપદની રેસમાં પહોંચી ગયા તેમાં તેમનું બ્રિટિશ હોવું કારણભૂત છે, ભારતનું મૂળ નહીં. બ્રિટનમાં કોઈપણ બ્રિટિશ નાગરિક વડા પ્રધાન બની શકે છે, પછી ભલે તેનો જન્મ બીજે ક્યાંક થયો હોય. બીજી રીતે કહીએ તો, કોમનવેલ્થ દેશનો કોઈ પણ નાગરિક બ્રિટિશ વડા પ્રધાન બની શકે. આમાં વ્યક્તિની લાયકાત તો ખરી જ, સિસ્ટમ પણ તેને મદદ કરે છે.
તો, ઋષિ સુનક તેમની પ્રતિભાના જોરે એક ઉદારવાદી દેશમાં ટોચ સુધી પહોંચે, તેમાં આપણે શું કામ ખુશ થવું જોઈએ? જયારે પણ ભારતીય મૂળની કોઈ વ્યક્તિ યુરોપ-અમેરિકામાં સફળ થાય છે ત્યારે આપણે એવી રીતે ખુશ થઈએ છીએ જાણે તેની સફળતામાં આપણું યોગદાન હોય. એમ તો એવા ઘણા ભારતીયો રશિયા, ફ્રાન્સ કે ચીનમાં પરસેવો પાડે છે, પણ તેમને અમેરિકા-બ્રિટન જેવી સફળતા નથી મળતી.
બુનિયાદી રૂપે, વ્યક્તિ અંદરની હોય કે બહારની, દેશ મેરિટ અને ટેલેન્ટને કેટલું મહત્ત્વ આપે છે, તેના પર તેની સફળતાનો આધાર રહે છે. ભારત સરકારનો તાજો અહેવાલ કહે છે કે 2021માં, દોઢ લાખથી વધુ ભારતીયો ભારતનું નાગરિકત્વ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થઇ ગયા છે. તેમાં સૌથી વધુ લોકો અમેરિકા (78,284), ઓસ્ટ્રેલિયા (23,533), કેનેડા (21,597) અને બ્રિટન (14,637) ગયા છે.
કેમ? અલગ-અલગ કારણો છે, પરંતુ આખી દુનિયામાં સામાન્ય વલણ એવું છે કે લોકો સામાજિક-આર્થિક કારણોસર બીજા દેશમાં જાય છે. અમુક લોકોને બીજા દેશમાં તેમની ટેલેન્ટની વધુ સારી રીતે કિંમત થતી દેખાય છે, જયારે અમુક લોકોને વતનનું સામાજિક-રાજકીય વાતાવણ તેમની પ્રગતિમાં નડતરરૂપ લાગતું હોય છે. મેહુલ ચોકસી, નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી જેવા હાઈ-પ્રોફાઈલ લોકો કાયદકીય ચુંગાલમાંથી બચવા વિદેશ સ્થાયી થઇ જાય છે.
ટૂંકમાં, જે તે દેશનું સામાજિક-રાજકીય વાતાવરણ વ્યક્તિની સફળતા-નિષ્ફળતામાં ભૂમિકા ભજવે છે. ઇન્ડિયન-અમેરિકન બિઝનેસવુમન ઈન્દ્રા નૂઈ માટે હંમેશાં એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે અમેરિકા ન ગઈ હોત, તો એક મલ્ટીનેશનલ કંપનીની સી.ઈ.ઓ. અને ચેરપર્સન બની હોત? પેપ્સિકોમાં તે જોડાઈ ત્યારે તેના એક્ઝીક્યુટીવ વર્ગમાં એક પણ મહિલા નહોતી અને બધા જ ગોરા અમેરિકનો હતા. તેમા છતાં, નૂઈ કંપનીમાં સૌથી ઊંચી પોસ્ટ પર પહોંચી હતી.
તેનું કારણ અમેરિકન બિઝનેસ કલ્ચર છે. નૂઈ તેમની આત્મકથામાં લખે છે કે, “દુનિયામાં યુ.એસ. હજુ પણ સૌથી ઉદાર દેશ છે.” પુસ્તકમાં તે એક પ્રસંગ ટાંકે છે. એકવાર બ્રિટનના વડા પ્રધાન સાથે તેમની લંચ-મિટિંગ હતી. બંને ગપસપ કરતા હતા, ત્યારે વડ પ્રધાને સહજ રીતે પૂછ્યું કે વર્ષો પહેલાં તમે ભારતથી યુ.કે. કેમ ન આવ્યાં? (સિત્તેરના દાયકામાં યુ.કે. હોટ-ફેવરીટ હતું). નૂઈએ વડા પ્રધાનને કહ્યું, “હું જો યુ.કે. આવી હોત, તો તમારી સાથે લંચ કરતી નહોત.”
નૂઈને અમેરિકાએ એટલો મોટો અવસર આપ્યો હતો કે તે દુનિયાની સૌથી શક્તિશાળી કંપનીની સી.ઈ.ઓ. બની હતી અને તેના જોરે જ તે વડા પ્રધાનો અને રાષ્ટ્રપતિઓ ઊઠબેસ કરતી હતી. બ્રિટને આ તાકાત આપી હોત? એક ઈમિગ્રન્ટ, અને તે પણ મહિલા, માટે કોઈ કંપનીની સી.ઈ.ઓ. બનવાનું અમેરિકા સિવાય શક્ય નથી.
ભારતમાંથી બહાર જઈને સફળતાના પરચમ લહેરાવતા અગ્રવાલો, નડેલાઓ, નૂઈઓ અને પિચાઈઓ આપણી તાળીઓના હકદાર જરૂર છે, પણ આપણે તેમની ટેલેન્ટ અને જે તે દેશની ઉદારતા માટે ખુશ થવું જોઈએ, નહીં કે તેમના ભારતીય મૂળ માટે, કારણ કે ભારત કોઈ સ્પેશ્યલ ભૂમિ નથી કે તે દુનિયાના લીડરો પેદા કરે છે. આપણે તેમની સફળતામાંથી પ્રેરણા લઈને આપણી નિષ્ફળતા પર ચિંતન કરવું જોઈએ.
ઈન્દ્રા નૂઈએ કહ્યું હતું, “હું એક એવી વાર્તા છું, જે માત્ર અમેરિકામાં જ ઘટી શકે.”
ઋષિ સુનક એક એવી વાર્તા છે, જે માત્ર બ્રિટનમાં જ આકાર લઇ શકે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 31 જુલાઈ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર