‘માઈસાહેબ’ના હૂંફાળા નામે જાણીતા ડો. સવિતા આંબેડકરની આજે પુણ્યતિથિ છે. તેમની વિદાય(તા.૨૯-૦૫-૨૦૦૩)ને ખાસ્સો દોઢ દાયકો વીતી ગયો છે. જરાગ્રસ્ત ડો. બાબાસાહેબ આંબેડકરના સહાયક તબીબરૂપે પરિચયમાં આવેલાં અને પછી તેમની સાથે લગ્નગાંઠે જોડાયેલાં ડો. શારદા કબીર એટલે જ માઈસાહેબ આંબેડકર! ડો. આંબેડકરનાં બીજા પત્ની તરીકે તેમણે દલિતોનો પ્રેમ, આદર અને કંઈક અંશે તિરસ્કાર પણ મેળવ્યો હતો.
ડો. આંબેડકરનાં પ્રથમ પત્ની રમાબાઈનું તા. ૨૭મી મે, ૧૯૩૫ના રોજ અવસાન થયું. તે પછી ડો.આંબેડકરે દીર્ઘ એકાકી જીવન ગાળ્યું. દલિતોના અધિકારો અને તેમાં મળતી સફ્ળતા-નિષ્ફ્ળતાની વચ્ચે વધતી ઉંમર અને માંદલી તબિયતે ડો. આંબેડકરને થકવી નાંખ્યા હતા. ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને પગના સાંધાના ત્રાસદાયક દુખાવાથી તેઓ પીડાતા હતા. મુંબઈમાં ડો. માલવણકરના દવાખાને તબીબી સારવાર માટે જતા બાબાસાહેબને સહાયક તબીબ તરીકે ડો. શારદા(લક્ષ્મી) કબીરનો પરિચય થયો હતો. બાબાસાહેબની સેવા શુશ્રૂષા કરતાં કરતાં બંનેનો પરિચય ગાઢ બન્યો. માઈસાહેબના શબ્દોમાં, “હું ઉંમરમાં નાની હતી. મને ડોકટર થયે માંડ પાંચ વરસ થયેલાં. ડો. આંબેડકર મારાથી બધી જ રીતે મોટા હતા. આ અરસામાં રાજકારણ એટલે શું એનો પહેલો પાઠ ડો. આંબેડકરે મને શીખવ્યો.”
ત્રણ ભાઈ અને ચાર બહેનનો બહોળો પરિવાર ધરાવતાં, ૨૭મી જાન્યુઆરી ૧૯૦૯ના રોજ જન્મેલાં ડો. શારદા કબીર જન્મે બ્રાહ્મણ હતાં. પૂનામાં હાઈસ્કૂલ શિક્ષણ મેળવી, ૧૯૩૭માં મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી તેઓ એમ.બી.બી.એસ થયાં હતાં. જાહેરજીવનની અનેક જવાબદારીઓથી ઘેરાયેલા અને વિધુર ડો. આંબેડકરે ૨૬મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દિલ્હીથી પત્ર લખી ડો. શારદા કબીર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ડો. આંબેડકરની તબિયત અને તેમના પરની મસમોટી જવાબદારીઓના સમયે તેમને તબીબ પત્નીની જરૂર હતી. ડોકટરની દરદી પ્રત્યેની ભાવનાથી પ્રેરિત થઈને તેમનો પ્રતિભાવ હકારાત્મક રહ્યો. આ નિર્ણય લેતી વખતે તેમની સામે ડો. આંબેડકરને સોંપાયેલ બંધારણ ઘડતરનું કામ અને તેમના સારા સ્વાસ્થ્યની દરકાર લેનારની ભૂમિકા જ કેન્દ્રમાં હતી. ૧૫મી એપ્રિલ ૧૯૪૮ના રોજ તેમનાં લગ્ન ડો. આંબેડકર સાથે થયાં ત્યારે તેઓ ૩૯ વરસનાં અને ડો.આંબેડકર ૫૭ વરસના હતા. લગ્ન પછી તેમનું નામાંતર સવિતા આંબેડકર તરીકે થયું અને પછી “માઈસાહેબ”ની પ્રેમ અને આદરસૂચક ઓળખ પામ્યાં.
બાબાસાહેબના આ દ્વિતીય લગ્ને એ સમયે પણ ખળભળાટ મચાવ્યો હતો. તેમના અંગત સચિવ સોહનલાલ શાસ્ત્રીએ તેને “મહાપુરુષે કરેલી મહાન ભૂલ” કહી હતી. તો દલિતોનો એક વર્ગ આ લગ્નને બ્રાહ્મણોનું કાવતરું માનતો હતો. જો કે ખુદ ડો. આંબેડકરે ભાઉરાવ ગાયકવાડ જોગ પત્રમાં લખ્યું હતું કે, “સારી ગૃહિણી હોય અને ડોકટર હોય તેવી પત્ની મારે જોઈએ છે. દલિત સમાજમાં આવી સ્ત્રી મળવાની શક્યતા નહિવત હોઈ મેં એક બ્રાહ્મણ સ્ત્રીને પસંદ કરી છે”. સરદાર પટેલે આ લગ્ન અંગે ડો. આંબેડકરને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, “ગાંધીજી હોત તો અવશ્ય આશીર્વાદ આપત.” પ્યારેલાલને ડો. આંબેડકરે કહેલું, ‘ગાંધીજી જીવતા હોત તો આ જાણીને કેટલા રાજી થયા હોત.”
તા. ૬ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ ડો. આંબેડકરનું નિર્વાણ થયું ત્યાં સુધી ડો. સવિતા આંબેડકર બાબાસાહેબનાં સાચાં જીવનસંગિની બની રહ્યાં. ૧૯૫૬માં ડો. આંબેડકરે ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારે માઈસાહેબ પણ તેમની સાથે બૌદ્ધ બન્યાં હતાં. ૯૪ વરસની ઉંમરે તેમણે વિદાય લીધી. એટલે બાબાસાહેબના નિર્વાણ પછીના લગભગ ૪૫ વરસ તેઓ આંબેડકરી ચળવળ સાથે જોડાયેલા રહ્યાં હતાં.
માઈસાહેબનાં સંસ્મરણોનું પુસ્તક “ડો. આંબેડકરાંચ્યા સહવાસાત”(ડો.આંબેડકરના સહવાસમાં) ૧૯૯૧માં પ્રગટ થયું હતું. ડો. આંબેડકરે ડો. શારદા કબીરને લખેલા પ્રેમપત્રો પણ તેમાં છે. ભારોભાર કડવાશથી છલકાતા આંબેડકરનું લાગણીઓથી ભરેલું માનવીય પાસું તેમાં વ્યક્ત થયું છે. ડો. આંબેડકર માઈને પ્રેમથી “સરુ” અને પોતાને “સરુચ્યા રાજા “તરીકે સંબોધે છે. એક પત્રનો અંશ જોઈએ : મારા પત્રે તારાં આંસુ વહાવ્યાં, જાણીને મને પણ દુઃખ થયું. જો કે આંસુ સારી બાબત છે. તે તમામ કલુષિતતાને ધોઈ નાંખે છે અને મનને સ્વચ્છ કરે છે. જો તું રોઈ તો માન હું પણ રોયો. જો કે મારા રોવાનું કારણ જૂદું છે. મારા આંસુ એ ખુશીથી વહ્યાં છે કે મારા સ્વપ્નની કન્યા મને મળી છે.” માઈ સહિતના તેમના આઠ ભાઈ-બહેનોમાંથી છએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હતાં. એનો ભારે ગર્વ અને ગૌરવ ધરાવતાં માઈસાહેબ, ડો. આંબેડકર સાથેના નવ વરસના સહજીવનને બુદ્ધનાં પત્ની યશોધરાની ભૂમિકા સાથે સરખાવતાં હતાં. તેમણે લખ્યું છે, “મારા નવ વરસના સહજીવનમાં ડો. સાહેબે મને અનેક વિષયોમાં રસ લેતી કરી. અમારી વચ્ચે વાચનની હરીફઈ થતી. અનેક મુદ્દાઓ પર વિવાદ થતો. અમારી જોડી બુદ્ધિવાદ તરફ ઝૂકેલી હતી. સાંસારિક વાતો તરફ ધ્યાન આપવાનો અમને સમય જ નહોતો.”
જો કે માઈસાહેબ એમના લગ્ન સમયથી જ સતત અવહેલના ઝેલતા રહ્યાં હતાં. બાબાસાહેબના નિર્વાણના કાવતરાંનો તેમના પર આરોપ લાગેલો. બાબાસાહેબના પુત્ર અને પૌત્ર સાથેના તેમના સંબંધો કાયમ તનાવપૂર્ણ રહ્યા હતા. ડો. આંબેડકરના ભૌતિક અને વૈચારિક વારસાના ખરા હકદારનો વિવાદ ડો. આંબેડકરનું ભારતરત્ન સન્માન કોણ સ્વીકારે તેના વિવાદ વખતે સામે આવ્યો હતો. “પાકિસ્તાન ઓર પાર્ટીશન ઓફ ઇન્ડિયા” ગ્રંથ બાબાસાહેબે પ્રથમ પત્ની રમાબાઈને અર્પણ કરતાં લખેલું, “જેના અંતરની સરળતા, હસમુખો સ્વભાવ, નિર્મળ ચરિત્ર, સુખદ સહવાસ અને મારી સાથે દુઃખો સહન કરવાની તૈયારી તથા જેણે મને મિત્રો વિહોણા સમયમાં સાથ આપ્યો છે તે. “રમુ”ની સ્મૃતિ અને ગુણગાહ્યતાની યાદને મારી આ કૃતિ અર્પણ કરું છું.” બંધારણના ઘડતરનું કાર્ય પૂરું થયા પછી ડો. સવિતા આંબેડકરના પ્રેમની કદર કરતાં બાબાસાહેબે કહેલું, “મારા શરીરની કાળજી તેણે આટલી સારી રીતે લીધી ન હોત તો મારા હાથે આ બંધારણનું કામ સારી રીતે પાર ન પડત.”
ડો. સવિતાદેવી આંબેડકર અમેઠી, રાયબરેલી અને લખનૌમાંથી વડા પ્રધાન કે વડા પ્રધાનપદના ઉમેદવારો સામે લોકસભાની ચૂંટણી લડયાં હતાં. પરંતુ જવાહરલાલ નેહરુ કે ઈન્દિરા ગાંધીની રાજ્યસભાના સભ્યપદની ઓફર બાબાસાહેબના કોંગ્રેસ વિરોધને સ્મૃતિમાં રાખીને ઠુકરાવી હતી. “હું રાજનીતિ દ્વારા સમાજસેવા કરવા માંગતી હતી. પરંતુ મારી “જ્ઞાતિ” બાધક બની. ડો. આંબેડકર સાથેના લગ્નને કારણે હવે હું દલિત સમાજ સાથે જ જોડાયેલી છું.” એમ માઈસાહેબ વારંવાર કહેતાં. એક તરફ ડો. સવિતા આંબેડકરની આ પ્રતિબધ્ધતા અને બીજી તરફ દલિતોના એક વર્ગની એમના પ્રત્યેની પરાયાપણાની ભાવનાના માહોલ વચ્ચે એક અસંપૃક્ત જીવ તરીકે માઈસાહેબ જીવ્યાં અને મર્યાં. એમની ચેહને પૌત્ર પ્રકાશ આંબેડકરના હાથે અગ્નિદાહ મળ્યો હતો એ એમનું સદ્દભાગ્ય.
e.mail : maheriyachandu@gmail.com
‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 29 મે 2019