"નિરીક્ષક" અગ્ર લેખ
ભલે રાષ્ટ્રીય સ્તરે રાજીવ ગાંધીનો કે ગાંધીનગર સ્તરે માધવસિંહ સોલંકી અને ચિમનભાઈ પટેલનો વિક્રમ હજી વણતૂટ્યો હોય, ૨૩ મે ૨૦૧૯નો દિવસ ભા.જ.પ. જે અભૂતપૂર્વ વિજયશ્રી વર્યો એને સારુ લાંબો સમય સંભારાશે. એક નવા જ વિમર્શનો એનો દાવો છે એ રીતે વિચારધારાકીય વહેણ, વમળ, વળાંક હવેના ગાળામાં આપણી જાહેર તપાસલાયક બની રહેશે – બલકે, બની રહેવાં જોઈએ એ પણ નિઃશંક છે. યથાસમય યથાપ્રસંગ એ વિશે આ પૂર્વે કિંચિત્ કહેવાનું બનતું રહ્યું છે, પણ હવે એને પૂરા કદની માવજત આપવી જોઈશે.
ઝળહળતી ફતેહના એક અઠવાડિયે આ લખાય છે ત્યારે, શપથવિધિના કાઉન્ટ ડાઉન કલાકોમાં, જો કે એક સવાલનો જવાબ વણજડ્યો રહે છે – ઇચ્છું કે આમ કહેવું તે કોઈ અંગત આત્મનેપદી લાગણીવશ ન હોય, પણ એક વાસ્તવિક આકલન હોય. આટલી મોટી જીત સામે પ્રજામાં સહજ એવું કોઈ ઉલ્લાસમોજું કેમ વરતાતું નથી. ફતેહને જો સુનામો એવો ‘પું’કાર’ મળ્યો તો ઉજવણી (પક્ષના પ્રાયોજિત મહાઆયોજનોનો અપવાદ બાદ કરતાં) કોઈ પ્રજાપટે છબછબિયાંથી ઝાઝું કાઠું કેમ કાઢી શકતી નથી? વિજય, બિનસરકારી અને બિનપક્ષીય સ્તરે સમુલ્લાસને બદલે જાણે કે સોપો પડી ગયાની કે સન્નાટો છાઈ ગયાની લાગણી કેમ જગવે છે?
આ લખી રહ્યો છું ત્યારે મહારાષ્ટ્રથી ઇ.વી.એમ.વિરોધી નિદર્શનના સમાચાર આવે છે. બીજેથી પણ એવા છુટપુટ હેવાલો મળે છે. જેટલા મત પડ્યા (બટન દબાયાં) એથી વધુ મત પણ કેટલાંક મથકો પરની ગણતરીમાં આવ્યાની વિલક્ષણ ફરિયાદ ઊઠી છે. નહીં કે આ સૌ તપાસના મુદ્દા નથી. નહીં કે પશ્ચિમના દેશોમાં .ઈવી.એમ.ને સ્થાને હાથોહાથ (મેન્યુઅલ) પ્રથા તરફ પાછા ફરવાનું વલણ ઘરઆંગણે પણ પુનર્વિચાર નથી જગવતું. તેમ છતાં, આ ક્ષણે આવી કોઈ તપાસ (બિનભા.જ.પ. પરાજયનો બચાવ) બાદ રાખીને એટલું એક અધોરેખિતપણે કહેવું રહે છે કે ભા.જ.પ.ની સરસાઈ છેલ્લાં અઠવાડિયાઓમાં સાફ જણાઈ રહી હતી.
ગમે તેમ પણ, જે પરિણામ આવ્યું છે એ કથિત કરિશ્માગત હોય કે કથિત ચાણક્યવશ, જેમ દેશજનતાએ તેમ વિજયશ્રી વરેલાઓએ હજુ કશુંક ગુણાત્મક અંતર કાપવું રહે છે તેમ જણાય છે. એ દિશામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સબકા સાથ, સબકા વિકાસ સાથે સબકા વિશ્વાસ એવું જે ત્રીજું પદ જોડ્યું એ સૂચક છે. વસ્તુતઃ સાથ, વિકાસ અને વિશ્વાસ એ ત્રણે શબ્દો જે એક વાસ્તવિક ખાધ છે તે અંગેની સભાનતામાંથી ઊંચકાયા ને ઉછાળાયા છે. ૨૦૧૪ના પરિણામ વખતે, કોઈને કદાચ વિવેકની કમી લાગે એ રીતે, ગોપાલકૃષ્ણ ગાંધીની એક જાહેર ટિપ્પણી આવી હતી કે વિજયી પક્ષને (અને વડાપ્રધાનને) હું આવકારી શકતો નથી; કેમ કે એક મોટા પ્રજાવર્ગને બાદ રાખીને બનેલી આ ઘટના છે. ૨૦૧૯ના પરિણામ સાથે વડાપ્રધાને જે ત્રીજું પદ, સબકા વિશ્વાસ, જોડ્યું છે એમાં પ્રકારાન્તરે ગોપાલકૃષ્ણ ગાંધીએ જે એક નિખાલસ પડઘો પાડ્યો હતો એની અનાયાસ સ્વીકૃતિ પણ વાંચવી હોય તો વાંચી શકાય છે.
મુદ્દે, હિંદુત્વ વિચારધારામાં પડેલા અને પાકિસ્તાન માટેની ચળવળે ઉત્તેજેલા દ્વિરાષ્ટ્રવાદની કળ છતે પ્રજાસત્તાક ભારતે (નેહરુપટેલનું એ ભારત, જેટલો વ્યાપ અશોક કે અકબરના સામ્રાજ્યનો પણ નહોતો) જેમને વળી નથી એ આજે સ્વરાજના સાત દાયકે વૈકલ્પિક વિમર્શપુકાર સાથે સત્તાનશીન થયા છે. વરસોવરસ એમના નિંભાડામાં જે રાજકીય ‘હિંદુ’ઓ પાકતા ગયા એમણે ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ’ને ધોરણે આજે બહુમતી હાંસલ કરી છે જે ૨૦૧૪ના મુકાબલે ખાસી નિર્ણાયક છે. ‘સબકા સાથ’ની એની વ્યાખ્યામાં ‘સબ’ કહેતાં અભીષ્ટ ‘સૌ’ નહીં પણ ચોક્કસ ધર્મકોમગત બહુમતી છે. એટલે ૩૦મી મેની શપથવિધિ સાથે દેશમાં પ્રજાકીય બહુમતીનું નહીં પણ બહુમતી પ્રજાનું – કહો કે ‘મેજોરિટેરિયન’ રાજ અમલમાં આવે છે. દેખીતી રીતે જ, છતી બહુમતીએ આ રાજકારણ અને આ રાજવટ ઝીણાના હિંદુ અડધિયાની હોઈ શકે છે.
હિંદુ મહાસભાથી માંડીને ભા.જ.પ. સહિત સંઘ પરિવાર સમસ્ત પોતાને દ્વિરાષ્ટ્રવાદના વિરોધી લેખે આગળ કરતાં રહ્યાં છે, પણ દેશની વ્યાખ્યા જ્યારે ‘હિંદુ’ને ધોરણે કરીએ ત્યારે ગેરહિંદુ ધોરણે પણ વ્યાખ્યા કરવાનો કેસ અને હવા બને છે એ સાદો તર્ક એમની દિમાગી પહોંચની બહાર રહે છે, એવો અત્યાર સુધીનો અનુભવ છે.
૧૯૪૦માં ફઝલુલ હકે મુસ્લિમ લીગની પરિષદમાં પાકિસ્તાનનો ઠરાવ મૂક્યો પણ હિલચાલ તો એ પહેલાંથી ચાલુ હતી. ૧૯૩૮ આસપાસનું ઝીણાનું એક ભાષણ આ લખતાં સાંભરે છે : ઇંગ્લેંડમાં તો આજે કૉન્ઝર્વેટિવ તો કાલે લેબર એમ સત્તાપક્ષ બદલાઈ શકે તેવી લોકશાહી છે. આપણે ત્યાં તો ગઈકાલે કે આજે કે આવતી કાલે, બધો વખત હિંદુ બહુમતી જ હોવાની છે. મુસ્લિમોનો વારો ક્યાંથી આવી શકે? હકીકતે, ઝીણાએ આ વાસ્તદર્શન દરમ્યાન જે તર્કચૂક કરી તે એ હતી કે કૉન્ઝર્વેટિવ અગર લેબર (કે લિબરલ) એમ કાર્યક્રમગત બહુમતી-લઘુમતીની વાત છે, નહીં કે હિંદુ અગર મુસ્લિમ એમ ધર્મગત બહુમતી-લઘુમતીની.
મુશ્કેલી એ છે કે જનસંઘ-ભાજપની માંડણી આર્થિક-સામાજિક કાર્યક્રમગત નહીં એટલી ધર્મકોમગત છે. તેથી તે ઝીણાને ગયે સાત દાયકા થઈ ગયા પછી પણ એમને સાચા પાડી રહ્યા જણાય છે. તેમ છતાં, નમો જ્યારે ‘સબકા વિશ્વાસ’નું સૂત્ર આપે છે ત્યારે છતી બહુમતીએ પ્રવર્તતી ‘ટ્રસ્ટ ડેફિસીટ’ વિશે તેઓ સભાન છે એમ ઇચ્છવું અને માનવું કોને ના ગમે.
પ્રધાનમંડળના સાથીઓ જોગ, દિલ્હીની વિજયસભામાં કાર્યકરો જોગ અને કર્મભૂમિ અમદાવાદની મુલાકાત વેળાએ એમ જે પ્રવચનો વડાપ્રધાને શપથગ્રહણ પૂર્વે કર્યા એમાં પ્રસંગે દર્પીલી પૃષ્ઠભૂ અછતી ન રહેતી હોય તો પણ એક વિજયનમ્ર ભૂમિકા નથી એવું નથી. આ ભૂમિકાએ જો ‘વિશ્વાસ’ની વાતનું એક વજૂદ છે તો બીજી પણ અપેક્ષા રહે છે. એક પક્ષ તરીકે તેઓ (અને પક્ષપ્રમુખ અમિત શાહ) હવે ભેલાણનું રાજકારણ નહીં ખેડતાં જેઓ એમને ત્યાં ‘ડૂબતું વહાણ’ છોડવાની રીતે (કે ખાસ કિસ્સામાં સૈદ્ધાંતિક ધોરણે) બીજા પક્ષમાંથી આવવા ઈચ્છતા હોય તેઓ વિધાનસભા / લોકસભાની બેઠક છોડી નવેસર ચુંટાઈને આવે એવો આગ્રહ રાખી શકે? નવસંવતના વિજયી રાજકારણ જોડે એ શોભીતું થશે; અને દમદાર ફતેહ પછી ભેલાણની એવી ગરજ પણ શા સારુ હોય, વારુ.
પરાજય પછી કૉંગ્રેસમાં મચેલી અફરાતફરી, નવ્ય રાજકારણની મથામણમાં નાગરિક સમાજ સંસ્થાઓની ભૂમિકા, જેમ ધર્મકોમગત પક્ષોની તેમ નાતજાતગત પક્ષજમાવડાની અનવસ્થા, બંધારણીય રાષ્ટ્રવાદને ધોરણે મુખ્ય પ્રવાહમાં લઘુમતીની નાગરિક સહભાગિતા, જૉબલેસ ગ્રોથનું અનર્થકારણ, કેટલા બધાં વાનાં તળેઉપર તપાસની પ્રજાસૂય કોશિશની રાહ જુએ છે, નહીં? સાવરકરી મહિમા મંડન, ગોડસે રાષ્ટ્રભક્ત હતા (જેમ ગાંધીજી પણ રાષ્ટ્રભક્ત હતા) તરેહની મુખચાલાકી, શું કહીશું આ સૌ વિશે? થોભો અને રાહ જુઓ.
મે ૨૯, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019