પરીક્ષાઓનાં પરિણામોની મોસમ છે. વિદ્યાર્થીઓ માટે પાસ કે નાપાસ કે પછી કેટલા ટકા આવ્યા કે હવેના એડમિશનમાં કેટલા ટકા કે માર્કસ ઓછા પડ્યા? એવા સવાલો પૂછાતા રહેતા ચોગરદમ જોવા મળે છે.
પણ સાથે સાથે શાળા અને કોલેજના જુદા જુદા તબક્કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા અને કેટલા નાપાસ થયા, એની સંખ્યા અને ટકાવારી જોતાં તેમાં સમયની સાથે સાથે સમાજના વિકાસની સ્થગિતતા કે અધોગતિ કે પ્રગતિ જોવાં મળે છે એવું કહેવામાં અતિશયોક્તિ નહીં લેખાય.
દસ દિવસ પહેલાં દસમું ધોરણ એટલે કે એસ.એસ.સી.નું પરિણામ બહાર પડ્યું. એસ.એસ.સી. એટલે શાળાજીવનની પહેલી જાહેર પરીક્ષા.
આ દસમા ધોરણની પરીક્ષા પછી આપણા જેવા ગરીબ દેશમાંથી બહુ મોટા પ્રમાણમાં બાળકો ભણવાનું છોડી નાના-મોટા કામધંધે યા મજૂરીમાં લાગી જાય છે, કારણ કે મોંઘુંદાટ ઉચ્ચ શિક્ષણ હવે બધાંને પરવડે એમ નથી અને પરિવારની ઓછી આવકને લઈ કમાનાર હાથોની તાત્કાલિક જરુરિયાતની મજબૂરી એ ય આજની વાસ્તવિકતા છે જ.
આવી આજની સામાજિક આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં ગુજરાતમાં આ 2019માં લેવાયેલી એસ. એસ.સી.ની પરીક્ષામાં કુલ દસેક લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાં પ્રથમ પ્રયત્ને પરીક્ષા આપનારી 3,47,140 કન્યાઓ અને 4,75,683 કુમારોનો સમાવેશ થાય છે. જેમાં કન્યાઓની પાસ થવાની ટકાવારી 72.64% અને કુમારોની 62.33% જોવા મળી.
પરીક્ષામાં આપનારા 4,75,683 કુમારો કરતાં 3,47,140 કન્યાઓની સંખ્યા ઓછી જણાય છે કારણ કે આપણે ત્યાં બાળકીઓને 5-7 ધોરણથી આગળ નહીં ભણાવવાનો જૂનવાણી ચાલ છે, રજસ્વલા થતાં જ જાણે કે દીકરી સાપનો ભારો છે, એવી સમાજની માનસિકતા હજી છે જ પણ કન્યાઓ ભણવામાં વધુ કુશળતા અને સફળતા હાંસલ કરે છે તે આ ટકાવારી દર્શાવે છે. દીવા જેવી આ ચોખ્ખી વાત દેખાતી હોવાં છતાં ય સ્ત્રીની બુદ્ધિ પાનીએ એવું કેટલાં બધાં દીકરીનાં દાદાઓ, પિતાઓ, પતિઓ, ભાઈઓ અને સગાંવહાલાંઓ માને છે એ ય સમાજની વરવી વાસ્તવિકતા સ્વીકારવી રહી.
અને મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જે વિષયોમાં નાપાસ થયા યાને કી જે જે વિષયો ભણવામાં વિદ્યાર્થીઓ ને અઘરા લાગે છે તેમાં પહેલા સ્થાને વિજ્ઞાન જણાયું છે.
આમ તો પરંપરાગત રીતે મનાતું રહ્યું છે કે ગણિત અને પરદેશી ભાષા અંગ્રેજીમાં વિદ્યાર્થીઓ સૌથી વધુ નાપાસ થતાં હોય છે. તેનાં કારણોમાં અંગ્રેજી એ પરદેશી ભાષા છે. કુટુંબ કે ગામમાં કે રોજબરોજનાં વ્યવહારમાં બોલાતી ભાષા નથી એટલે બાળકો માટે અઘરી પડે છે અને તેને ભણાવનારા દરેકેદરેક શાળામાં પૂરતા શિક્ષકો નથી તે ય હકીકત.
ગણિત વિષય એ એક પ્રકારે એબ્સ્ટ્રેક્ટ રીતે આંકડાઓ ઉપર જ વધુ ભાર મૂકીને નિરસ પદ્ધતિ એ મોટે ભાગે ભણાવાય છે એટલે બાળકોને અઘરો પડે અને શિક્ષકો ખુદ જ ગણિતનાં મૂળભૂત કન્સેપ્ટ ન સમજતા હોય એ પણ નોંધવું રહ્યું.
પરંતુ સૌથી વધુ બાળકો વિજ્ઞાન-ટેકનોલોજી વિષયમાં આ 2019ની પરીક્ષામાં નાપાસ થયા છે તે વધુ ચિંતા ઉપજાવનારી ઘટના આપણે ગણવી રહી.
વિજ્ઞાન- ટેકનોલોજી વિષયમાં 2.61 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા જ્યારે ગણિતમાં 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા અને અંગ્રેજીમાં 2.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા.
આવું કેમ બન્યું ? દેશમાં અને ખાસ કરીને કહેવાતાં આપણા વિકસિત ગુજરાતમાં ટેકનોલોજીનો ઉપયોગ આજના સમયમાં ખૂબ ખૂબ વધતો રહેલો જણાય છે. આ ડિજીટલ જમાનામાં દરેક જગાઓ એ કમ્પ્યુટરનો ઉપયોગ, વિજ્ઞાન-ટેકનોલોજીનો ઉપયોગ ઠેર ઠેર જોવા મળે છે. ખેતીનાં સાધનો, ઓજારો, ખાતરોથી માંડી બધે જ વિજ્ઞાન ને ટેકનોલોજી જણાય છે. તમામ લોકોનાં બેન્ક એકાઉન્ટમાં પણ કમ્પ્યુટર છે. ઠેર ઠેર જ્યાં બેન્ક નથી ત્યાં એ.ટી.એમ.નું ચલણ વધ્યું છે.
પણ આ ટેકનોલોજીએ સમાજમાં વિજ્ઞાન-ટેકનોલોજીનું જ્ઞાન-માહિતી વધાંર્યા કે નહીં ? આ સવાલ તો સંશોધનનો વિષય તો બને જ છે.
અને આ ટેકનોલોજીના નવા જમાનામાં છેલ્લા બે દસકામાં જન્મેલા અને જીવતા કિશોરો – યુવાનોમાં આ વિજ્ઞાન કેમ સમજવામાં અઘરું થઈ રહ્યું છે? તે આખા સમાજ માટે વિચારવાનો મુદ્દો બની રહે છે.
વળી, જ્યારે પહેલા ધોરણથી અને વિશેષ તો પાંચમા ધોરણથી રમતાં રમતાં સહેલાઈથી વૈજ્ઞાનિક રમકડાં બનાવવા, જાતે જ પ્રયોગો કરવા જેવા પ્રવૃત્તિલક્ષી માર્ગે વિજ્ઞાન ભણાવવાનો અભ્યાસક્રમ ઘડાયો હોય છતાં ય કેમ બાળકોમાં વિજ્ઞાનમાં વિશેષ રુચિ ઊભી થતી નથી ?
શું આપણી પાસે જે 8થી10 ધોરણ સુધીના વિજ્ઞાન-ટેકનોલોજીના અભ્યાસક્રમને ભણાવી શકે તેવા તાલીમબદ્ધ, સજ્જ શિક્ષકોનો અભાવ ને ફીક્સ પગારના હતાશ શિક્ષકો ભણાવવા સમર્થ નથી? કે પછી શાળાઓમાં બાળકો પ્રવૃત્તિને પ્રયોગો કરી શકે તે માટે પૂરતાં વૈજ્ઞાનિક સાધનો અને લેબોરેટરીઓ નથી ?
આપણા ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાનાં પ્રમાણમાં પૂરતાં શિક્ષકો નથી જ એ તો હકીકત છે જ. પણ એ બધી પૂરતા શિક્ષકોની વાત તો તમામ વિષયોના શિક્ષકોને લાગુ પડે પણ આ તો સૌથી વધુ નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યાની વાતનાં સંદર્ભે કારણો ક્યા ગણવા રહ્યાં ?
સમાજમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતો ચાલ્યો છે. 130 કરોડની દેશની કુલ વસ્તીમાં રોજ 2.5 લાખ મોબાઇલ ફોન ખરીદાય છે. દેશમાં અત્યારે 37 કરોડથી વધુ સ્માર્ટ ફોન વપરાશમાં છે. સાદા ફોન નહીં પરંતુ જેને મીની કમ્પ્યુટર ગણી શકાય તેવાં સ્માર્ટ ફોન અને એ ફોનને લઈ 30-30 કરોડ લોકો આપણા દેશમાં વ્હોટસએપ, ફેસબુક અને યુટ્યુબના વપરાશકારો છે.
વિજ્ઞાન-ટેકનોલોજીની માહિતી આ સ્માર્ટફોન પરથી મેળવવી અઘરી નથી. ગૂગલ પર તો દુનિયાભરની તમામ પ્રકારની વૈજ્ઞાનિક માહિતી, ટેકનોલોજીની માહિતી શિક્ષકોને, વિદ્યાર્થીઓને મળી શકે એમ છે એ છેલ્લા દાયકામાં ખૂબ જ સહજ અને સરળ બની ચૂકેલી વાત છે, અને છતાં ય સંશોધનનો એ મુદ્દો રહે જ છે કે આ સ્માર્ટફોન પરથી, યુટ્યુબ પર, ફેસબુક, વ્હોટસએપ પર વિદ્યાર્થીઓ, પરિવારજનો, વાલીઓ, શિક્ષકો શૈક્ષણિક માહિતી, સામાજિક માહિતી-જ્ઞાન મેળવે છે કે પછી માત્ર મનોરંજન, ફિલ્મો અને ધાર્મિક કાર્યક્રમો જ જૂએ છે, ફોરવર્ડ કરે છે અને શેર કરે છે ?
જો વિજ્ઞાન-ટેકનોલોજી જોવા માટે અગ્રતાક્રમે હોત તો લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ લગરીક વધેલો ને વિજ્ઞાન તરફનો પ્રેમ ય થોડોઘણો ઊભો થયેલો પામી શકાય.
ફેસબુક, વ્હોટસએપ પર સ્થાનિક ઘટનાઓ, સમાચારો, રાજકીય બાબતો તો વધુ પ્રમાણમાં જોવા મળે છે પણ તે ઉપરાંત સામાન્યજન તો ધાર્મિક ચમત્કારો અને કેટલીક બનાવટી વીડિયો ક્લિપ્સ તો એવી હોય છે જેમાં ફિલ્મી ટ્રીક્સથી ઊડતા ભૂત કે કોઈનો આત્મા બીજાનાં શરીરમાં જતો હોય તેવાં દૃશ્યો જોવાંમાં રચ્યોપચ્યો દેખાય છે, યા અમે ભૂત જોયું કે ચમત્કાર અસ્તિત્વ ધરાવે છે તેને સાંકળીને કોઈ મંદિર-ભૂવાના પરચાને પ્રવચનોના વીડિયો વ્યાપક પ્રમાણમાં મોબાઇલ ફોન પર ફરતા જોવા મળે છે એ ય સત્ય સ્વીકારવું રહ્યું.
અને આપણે ત્યાં રસપ્રદ રીતે વિજ્ઞાન-ટેકનોલોજી વિષયક કાર્યક્રમો દર્શાવાતાં હોય એવી જૂજ ચેનલો છે. બાકી ધાર્મિક ટી.વી. ચેનલોમાં તો કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય બાકી નથી એવું જરૂર કહી શકાય.
અને જ્યાં શિક્ષણ ખાતું ને શિક્ષણ પ્રધાન ખુદ અને ઉચ્ચ કક્ષાના રાજકીય નેતાઓ રોજેરોજ ચમત્કારોને પ્રાચીન ભારતના પુષ્પક વિમાનથી માંડીને પુરાતન પ્લાસ્ટિક સર્જરીનાં વિજ્ઞાનને નામે ગૌરવ ગાન કરતાં હોય, ત્યાં લોકોમાં ભ્રામક માન્યતાઓ, ગેરસમજણો અને ગૂંચવાડાઓ ઊભા થવાની શક્યતાઓ વધી જાય છે.
હમણાં ચૂંટણી દરમિયાન એક અંગ્રેજી ટી.વી. ચેનલ પર સાધ્વી પ્રજ્ઞાનો ગૌશાળામાં લેવાઈ રહેલો ઈન્ટરવ્યુ જોવા મળ્યો. જેમાં ગાયની પીઠ પર હાથ ફેરવવાથી બ્લડપ્રેશર ને ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે તેવી વાતો જોવા – સાંભળવા મળી અને આ તો વિજ્ઞાનસિદ્ધ હકીકત છે એ રીતે એક ધાર્મિક સાધ્વીજી પોતાનું કેન્સર ગૌમૂત્રને કારણે મટ્યું એવો દાવો કરે, ત્યાં સુધી તો ઠીક પરંતુ આ પણ એક વિજ્ઞાન છે એવું કહે ત્યારે વિજ્ઞાનમાં રસ ધરાવનારા, વિજ્ઞાનમાં માનનારાઓમાં એક પ્રકારનો ભય ભર્યો ગૂંચવાડો ને મૂંઝવણ ઊભી થાય તે સ્વાભાવિક છે.
અને ખાસ વાત તો એ છે કે આપણે એક બાજુ શાળામાં, વિજ્ઞાનમાં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ભણાવીએ અને મનુષ્યની ઉત્પત્તિ ને વિકાસનાં તબક્કાઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી ભણાવીએ અને આપણા જ અન્ય અભ્યાસનાં વિષયોમાં માણસને ઈશ્વરે પેદા કર્યો અને પુનઃ જન્મની કથાઓ, દંતકથાઓ ભણાવીએ ત્યારે બાળકોનાં મનમાં આપણે શંકા – ગૂંચવાડા સિવાય શું ઊભું કરીએ છીએ ?
કોઈ પણ બાળકનાં મનમાં પ્રત્યક્ષ કે પરોક્ષપણે દિમાગમાં ગૂંચવાડો રહેવાનો જ છે કે આમાં સાચું શું ? ડાર્વિનનો સિદ્ધાંત સાચો કે ધર્મ સાચો ? આપણે ધર્મ અને વિજ્ઞાનની ભેળપૂરી બનાવી વૈજ્ઞાનિક અભિગમનો રસ્તો રોકીએ છીએ.
જગતના ધર્મો અને ધાર્મિક કથાઓ, દંતકથાઓ, પાત્રો અભ્યાસક્રમમાં હોય એમાં કશું ખોટું નથી. માનવજીવનના ઇતિહાસમાં અને તેના રોજબરોજના જીવનમાં તે છે જ અને તે મુદ્દાનો ઈન્કાર ના થઈ શકે પણ સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમના ભોગે અંધશ્રદ્ધાના માર્ગે તેને પ્રોત્સાહન તો ન જ આપી શકીએ.
વિશેષમાં માનવજાત વિશે પાયાનીની વાત એ જ છે કે દરેક માણસ સમાન છે અને તે વૈજ્ઞાનિક સત્ય પણ છે. અને છતાં ય સ્ત્રી-પુરુષ, રંગ – વર્ણ, ધર્મ અને આપણે ત્યાં વર્ણવ્યવસ્થાને હિસાબે જે ઊંચ-નીચના ભેદ છે તેનાથી જ સમાજ-દુનિયા જોઈએ છીએ અને જીવંત વારસામાં બાળકોને આપતાં રહીએ છીએ, ત્યારે બાળકોમાં વૈજ્ઞાનિક સમજની કક્કો બારાખડી કેવી રીતે વિકસી શકે ? એ મહત્ત્વનો મુદ્દો વિજ્ઞાનમાં રુચિ ધરાવનાર સૌએ વિચારવો રહ્યો.
(પ્રગટ : “ગુજરાત ગાર્ડિયન”, 29 મે 2019)
https://www.facebook.com/manishi.jani/posts/2462425747109916