લોકશાહી એટલે ચૂંટણી. ચૂંટણી એટલે લોકશાહી. ચૂંટણી એટલે જ લોકશાહી. ભારતદેશના લોકશાહીથી તરબતર નાગરિકોને આ બરાબર ખબર છે. સાહિત્યમાં પણ લોકશાહી જોઈએ. લોકશાહી સાહિત્યની ઉપર કે તેથી ઊલટું? બેમાંથી ખરેખર સિનિયર કોણ? અઘરા સવાલ છે. માટે જવા દો! માંડમાંડ મળતા એકલદોકલ સુજ્ઞ વાચકને પણ મારે ખોઈ દેવા નથી. પણ સાહિત્ય અને લોકશાહી વચ્ચેનો અફેર ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, એવું ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દર ત્રણ વર્ષે અચૂક યાદ કરાવે છે.
આ ચૂંટણી મારી અંદરના લોકશાહીથી તરબતર નાગરિક, માસ્તર અને બિલકુલ ટાઇમપાસ પ્રકારના લેખકની ગહન વિચારશીલતાને ઊંધે ગધેડે બેસાડી દોડાવે છે. પ્રમુખ અને સંવર્ધક વગેરેના મત (આ ‘ચોકડી’ જ કેમ?) તો આમતેમ જરા જોઈને આપી દેવાય. પણ મધ્યસ્થ સમિતિ ?
‘મધ્યે તિષ્ઠતિ ઇતિ!’ પણ ભઈલા, વચમાં ક્યાં અને કેમ ઊભા રહેવું છે એ તો કહે. ભારત દેશમાં બધાને ખબર છે. ઊભા રહેવું, તો વચમાં. મધ્યે. ભીડભાડવાળા રસ્તા પર ગાડી પાર્ક કરી શાંતિથી શાકભાજીવાળા સાથે ભાવતાલ કરો. નડો તો કોઈ ઓળખે. ભાવ પૂછે. ‘હાંસિયા સમિતિ કે ‘સાઇડલાઇન સમિતિ’ હોય, તો કેટલા ઉમેદવારી નોંધાવે? ‘માર્ગદર્શકમંડળ’ માટે ચૂંટણી સાંભળી છે?
‘કમળ કે પંજો ?’ એવી સીધીસાદી રીતે મતદાન કરવા ટેવાયેલા મારામાંના ગુજ્જુની, મધ્યસ્થ સમિતિ બન્યા પહેલાં જ આકરી તાવણી કરે છે. ‘ચાલીસ કરતાં એક વધુ નહિ – અને એક ઓછો પણ નહીં’, ચૂંટણી-અધિકારીશ્રીની સ્થિર વેધક નજર મારા ચહેરા પર હું અનુભવું છું. અલ્યા, અમને ગુજ્જુઓને ‘પ’માંથી ‘ક’ કે ‘ક’માંથી ‘ખ’કરતાં દાયકાઓ લાગે છે! તેમાં ચાલીસ મત! આવો જુલમ ?
છેલ્લી બે-ત્રણ ચૂંટણીઓથી, મતપત્રક આવે એટલે થોડા દિવસ એમ ને એમ જ ટેબલ પર મારી સામે જોતું પડી રહે છે.
ક્યારેક એકદમ ફ્રૅશ હોઉં અને લોકશાહીનો તરવરાટભર્યો ઊભરો આવે, તો હાથમાં લઉં પણ ખરો. પણ એ ઊભરો ટકે કેવી રીતે? એંસીનેવુંમાંથી શ્રેષ્ઠતમ ચાલીસ કેમ તારવવા? આડેધડ ફટકાબાજી કરવા ક્યારેક હાથ સળવળી ઊઠે, પણ પેલો ખોટો લોકશાહી સ્પિરિટ, કે વિવિધ મહાનુભાવોના કે બની બેઠેલા વિદ્વાનોનાં લખાણોનું બિનજરૂરી વાંચન કે છેલ્લે પૂર્વજો પાસેથી મળેલા ખોટા સંસ્કાર કે મિથ્યા અહંકાર વગેરે-વગેરે … સરખી રીતે તેમ પણ કરવા દેતા નથી.
શ્રેષ્ઠતમ ચાલીસ ? આમાંથી કેટલાંને તો હું ઓળખતો પણ નથી. એમ કરું, જેટલાં નામ જાણીતાં લાગે તેમને ચોકડી? પણ આ અહમમૂલક નથી? હું કોઈનું નામ જાણતો હોઉં તેને યોગ્યતા કેવી રીતે ગણી શકાય? કે અહમ્ બિલકુલ ઓગાળી નાખું? જેમનાં નામ એકદમ અજાણ્યાં હોય તેમને ચોકડો? પણ જેમ હું જાણતો હોઉં એ યોગ્યતા ન ગણાય તેમ હું ઓળખતો હોઉં એ ગેરલાયકાત પણ ન બનવી જોઈએ. મારા અહંકાર સાથેની સંતાકૂકડીમાં બીજાનો અને ખાસ કરીને પેલી લોકશાહીનો ભોગ કેમ લેવાય ? આવા વિચારોની થોડી ઊંચકમૂક કર્યા પછી થયું, તેલ લેવા જાય બધું. થોડો અહમ્ જરૂરી છે. અહમ્ છે, તો હું છું. જેટલા ચોક્કસ જાણીતા જણાય તેમના પર ચોકડી! પણ આ તો મારી સમસ્યાનો આંશિક હલ જ થયો. હું સાહિત્યમાં પૂરેપૂરો ઘૂસેલો નથી કે સાહિત્ય મારામાં પૂરેપૂરું ઘૂસેલું નથી. જાણીતાં નામ કચકચાવીને શોધ્યા બાદ પણ ચાલીસથી થોડો દૂર છું. વળી, નામ જાણીતું હોવાની કલ્પના પણ એટલી સરળ નથી એ બરાબર સમજાય છે. સ્મૃતિ અને મનના તરંગ આપની સાથે કેવી રમત કરે છે તે દેખાય છે. ડેનિયલ કાયનેમાન મારી સામે જોઈને હસે છે.
આ રવીન્દ્ર પારેખ એ જ હશેને જેણે યાસુનારી કાવાબાતાની ‘Thousand Cranes’નો અનુવાદ કર્યો હતો? દાયકાઓ પહેલાં વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટી કૉલોનીના ‘ટી ક્વાર્ટરની લાંબી અગાશી પર ચાલતાં-ચાલતાં કેટલા ય દિવસ સુધી એ વિષાદમય કાવ્યાત્મક અનુભવે મને ઘેર્યો હતો. હાથ જાણબહાર જ ચોકડી મારી દે છે. પછી રેશનલ મગજ જાગૃત થાય છે. અલા, સિત્તેરના દસકામાં ભાઈકાકા લાઇબ્રેરીના જે અનુવાદિત પુસ્તકનું પૂંઠું જૂનું લાગતું હતું એના અનુવાદકની ઉંમર આજે કેટલી થાય ? આજે હશે ખરા ? એમનું નામ ખરેખર શું હતું ? કદાચ રવીન્દ્ર ઠાકોર ? જે હોય તે. રવીન્દ્ર તો ખરુંને ? રવીન્દ્ર તો હશેને ? ભગવાન જાણે! આમે ય હવે શું? લોકશાહીનો સુંદર અફર નિયમ છે. મારેલી ચોકડી પાછી ન લેવાય. આભાર.
આ પરેશ નાયક એ જ ને જેમણે જયંત ખત્રીની ‘ધાડ’ પરથી ફિલ્મ બનાવી હતી ? એ ફિલ્મની એક લાંબી સિક્વન્સ યાદગાર છે. આન્ટેઈ તાર્કોવ્સ્કી કે સત્યજીત રે જેવા શિખાઉ દિગ્દર્શકો સાથે જ સરખામણી કરી રહ્યો છું અને આ અનિલા દલાલ, પેલા જયંતિ દલાલ સાથે કોઈ સંબંધ હશે ? બાળપણથી પપ્પાનાં પુસ્તકોના ઘોડા પર જોયેલું ‘જયંતિ દલાલના પ્રતિનિધિ એકાંકીઓ’ યાદ આવે છે. બાજુમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનુવાદિત ‘એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’ દેખાય છે. પણ મુખ્ય તો જયંતિ દલાલ અનુવાદિત ટૉલ્સટૉયનું ‘યુદ્ધ અને શાંતિ’. ચાર ભાગ! એ પણ નવમાદસમાનાં વૅકેશનોમાં વાંચેલું. નતાશા અને પિયર બેજુખોવ, બોલ્ફોન્મ્કી વગેરેનો પરિચય. હાથ ફરી ચોકડી કરી બેસે છે.
આ રીતે પરિચિતતાનો સાચોખોટો આભાસ આપતાં નામો પર ચોકડી માર્યા પછી પણ ચાલીસના જાદુઈ આંકડાથી થોડો દૂર જ છું. ચાલીસનો આંકડો જ કેમ ? ક્યાંથી આવ્યો ? અલીબાબા અને ચાલીસ ચોર ? અલીબાબા જાણે ચાલીસ ચોરનો સરદાર હોય એમ લાગે. અલીબાબા માટે જુદું વોટિંગ? અલીબાબામાં વળી પસંદગી કેવી ? એ તો એક અને માત્ર એક જ ન હોય ? વિવિધ મનોભાવો વચ્ચે અટવાતાં હું મતપત્ર હાથમાં થોડે દૂર રાખી, લોકશાહીને – તેમાં ય સાહિત્યમાં ઘૂસેલી લોકશાહીને – બચાવી લેવા નવી પ્રેરણા કે સ્ફુરણા માટે બારી બહાર નજર કરું છું.
ત્યાં જ મગજમાં પ્રકાશ થાય છે. પેલા લેખકો અને ટાઇમપાસ કવિઓ અમસ્તા જ બારીબહાર નથી જોયા કરતા! નવી-નવી પ્રેરણાઓ અને સ્ફુરણાઓ મળી આવે. ક્યારેક તો રસ્તે ચાલતી પણ દેખાય. લોકશાહીનું મહત્ત્વનું તત્ત્વ કયું? વૈવિધ્ય? તો પછી ઈશ્વરે નીમેલું મૂળભૂત વૈવિધ્ય સાહિત્યમાં તો દેખાવું જોઈએને? ચાલીસ ચોરમાં વીસેક સ્ત્રીઓ જોઈએને? ઇતિહાસ સાક્ષી છે, ચોરીના કસબ પર જ્યારે સ્ત્રીઓએ હાથ અજમાવ્યો છે, ત્યારે વધુ કાર્યક્ષમ અને સફળ નીવડી છે.
સ્ત્રી અને પુરુષ સિવાય અન્ય વિકલ્પો વિશે હું સભાન છું. પણ હમણાં બે મુખ્ય વિકલ્પોની જ વાત કરીએ. મુખ્ય એટલે મધ્યસ્થ. મધ્યસ્થસમિતિની ચૂંટણીમાં હાંસિયાને ભૂલી જઈએ તો ન ચાલે? લોકશાહીમાં પણ, હાંસિયામાં હોવાથી કંઈક તો ખોવું પડે ને અને આ તો ભારતદેશની લોકશાહી. મોટા ભાગના હાંસિયામાં જ હોય કે બધ્ધા? હાંસિયો જ પહોળો રાખ્યો છે.
મતપત્રક પર લિંગભેદવાળી નજર ફેરવું છું. ફક્ત બાર સ્ત્રી-ઉમેદવાર! લોકશાહીની આવી કરુણ દશા? બારે – બારને ચોકડી! હરખ પણ છે. ચાલીસ થયા? ના, હજુ ખૂટે છે. ચાલીસ એટલે ચાલીસ જ, એવું કેમ? પણ હવે હિંમત છે. મગજ તરત જ વિવિધ વિકલ્પો સૂચવવા માંડે છે. પેલો કાયનેમાન ફરી લુચ્ચું હસી રહ્યો છે. પ્રથમ સિસ્ટિમ! આપણું intuitive માઇન્ડ જે રૅશનલ નથી, જે ફાસ્ટ છે. આદિમ છે. સજ્જ છે. સહજ છે.
જ્ઞાતિ? સવર્ણ, પછાત? રૅશનલ મગજ તરત સજાગ બને છે. ના ના, એ વૈવિધ્ય છે અને જેટલું છે એ પૂરતું છે. જરૂરથી ઘણું વધારે છે. ‘જાતિ વો હૈ, કે જો જો કભી નહીં જાતી! એક અનુકૂળતા છે. નામ અને અટક જોતાં, લિંગ, જ્ઞાતિ, ધર્મ, પૂર્વજોનો ધંધો વગેરે મોટે ભાગે જણાઈ આવે છે. આ અનુકૂળતા ઘણા માટે આતંકિત યંત્રણા બનતી હોય છે એ હું જાણું છું. આપણી લોકશાહીમાં કેટલાયને અટક છુપાવતા, બદલતા, એનું ઉચ્ચારણ કરતાં ખચકાતાં, એના વિષે વિવિધ ખુલાસા કરતા આપણે ક્યાં નથી જોયા?
પણ બીજા એક વૈવિધ્યની ખામી આંખમાં કણાની જેમ પડે છે. સાહિત્યમાં કોઈ એક ધર્મવિશેષને જ રસ હોય એવું કેમ દેખાય છે? શું ભાષા બધાની નથી? એને ધર્મ સાથે શું લેવાદેવા? બાલિશ પ્રશ્નો છે, મને ખબર છે. સંકુલ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને રાજકારણ છે. ઘણાં મુસ્લિમ ઘરોમાં ગુજરાતીમાં બોલવું હલકું ગણાય છે. તમારી કિંમત થઈ જાય! અને એવા સદ્ગૃહસ્થો છે, જેમને બેસતા વર્ષે ‘સાલ મુબારક! કહીએ તો એમના નવા વર્ષ પર પરધર્મનો રંગ લાગી ગયો હોય એમ દુઃખી થઇ જાય. સાલ મુબારક!’ કેટલો સુંદર પ્રયોગ! નૂતન વર્ષાભિનંદન’ જ કહેવાનું! આપણી સંસ્કૃતિ તો જાળવવી પડે ને! વોટ્સએપ યુનિવર્સિટીના સ્નાતકો, અનુસ્નાતકો અને સંશોધકો આપણને જ્ઞાન આપે છે. ‘મારી આગળ સંસ્કૃતિની મા ના પૈણીશ!’ મારાથી કોઈ ઓળખીતા પર તતડી પડાય છે. પણ આપણે એ યાદ રાખી શકીએ કે બાંગ્લાભાષીઓના ઉત્કૃષ્ટ ભાષાપ્રેમને લીધે એક નવો દેશ બન્યો.
આમ તો મને સ્થાપિત ધર્મોમાં બહુ રસ નથી. પણ મારી ભાષા અને તેના સાહિત્યમાં એ વૈવિધ્ય ટકી રહે – બલકે વધે – એવી ઝંખના ખરી. ધર્મ આધારે એકાદ ચોકડી જ ઉમેરાઈ. હવે ચાલીસ થયા? પ્રેમાળ સહૃદયી વાચક પણ હવે અધીરો બન્યો છે. વારંવાર ગણવું પડે છે. તેત્રીસ થયા કે ચોત્રીસ? ફરી ગણો.
વૈવિધ્યના આઇડિયાને થોડો આગળ લઈ જઈએ તો? ભૌગોલિક વૈવિધ્ય? ગુજરાતના ખૂણેખૂણેથી – દરેક જિલ્લામાંથી – પ્રતિનિધિત્વ આવે તો સારું નહીં? વહેંચાવું, વિખેરાવું અને કેન્દ્રસ્થ થવું, મધ્યસ્થ થવું એ બેની વચ્ચેનું સંતુલન – એ જ તો છે લોકશાહી! હાંસિયો કેન્દ્રમાં આવે, કેન્દ્ર હાંસિયામાં જાય. હાંસિયો કેન્દ્રના કેન્દ્રમાં આવે, કેન્દ્ર હાંસિયાના હાંસિયામાં જાય. પેલો દેરિદા આંખ મારે છે, “અલ્યા, મારો ધંધો પણ તું લઈ લઈશ?”
પણ આ આઇડિયાનો અમલ મુશ્કેલ છે. નામ ને અટક પરથી ભૌગોલિક સ્થાનનું આંશિક અનુમાન જ થઈ શકે છે. ખોટો વોટ જઈ શકે. ખોટો વોટ એટલે અન્યાય. લોકશાહીના નામે અન્યાય? ન ચાલે, મતપત્રક મુકાઈ જાય છે. ફરી ક્યારેક આગળ વિચારીશું.
બેચાર દિવસ ટેબલ પર નજરમાં આવ્યા કરે છે – જાણીજોઈને એમ રાખ્યું છે. ઝીણી સતામણી મનમાં રહ્યા કરે છે. યુવાવસ્થાનો હું હોત, તો મતપત્રક કાયમ માટે બાકી જ રહ્યું હોત. એવા કેટલા ય મતપત્રક કચરામાં ગયા હશે. પણ ઉંમર સાથે આવાં કામ પૂરાં કરવાની બેચેની વધે છે. ક્યારે પતાવું અને પોસ્ટ કરી દઉં! કામ પતવાથી મનને નાની સિદ્ધિનો અનુભવ થાય. બીજું કામ કરવાની તાકાત મળે. મનોવિજ્ઞાન સહેલું જ છે સ્તો!
યુવાવસ્થામાં મોટી સિદ્ધિઓ મેળવવાની હોય છે. નાની-નાની સિદ્ધિઓ તરફ ધ્યાન આપવાની ફુરસદ હોતી નથી. પણ પચાસ પછી હાલત પેલી કચરો વીણવાવાળી જેવી હોય છે. સવારથી ટોપલો લઈને નીકળીએ અને નાની-મોટી જે મળે તે ભેગી કર્યા કરીએ. હરખ થાય. સાંજ પડે બૈરીને હિસાબ અપાય. પણ આ મધ્યસ્થ સમિતિ જલદી હરખ થવા દે એમ નથી. ખરેખર મધ્યસ્થ છે. ટેબલની વચ્ચોવચ પડેલી છે. નડે છે.
એકબે દિવસમાં એક નવો વૈવિધ્ય-ચમકારો થાય છે. અટકનું કેવું? આપણી અટકો અને તેમની વ્યુત્પત્તિનો ઇતિહાસ બેનમૂન હશે એવું મને ઘણીવાર લાગ્યું છે. એવી કોઈ અટક છે, જે પહેલી વાર જ જોઈ હોય? આ શાહ, પટેલ, જોશી, મહેતા, પરમાર, રાઠોડ બધાથી કંટાળી ગયો છું. મારી સામે ફરકવું જ નહીં! કંઈક વેરાઇટી જોઈએ! બેએક ચોકડી ઉમેરાઈ જાય છે. ચાલીસ હવે ખાસા નજીક છે. શું હવે સિદ્ધિ પ્રાપ્ત થશે? કોઈ તાંત્રિક પાસે જઈને સિદ્ધિપ્રાપ્તિ યંત્ર બનાવવું પડશે?
બેત્રણ દિવસમાં, મતપત્રક પર અનેક વાર ત્રાંસી ચિંતિત નજર ફર્યા પછી, ફરી પ્રકાશ થાય છે. મતપત્રક પર ચોકડીઓ ઘણી અનિયમિત રીતે પથરાયેલી છે. અમુક ઝૂમખાં બની ગયા છે. સળંગ પાંચ-છ, કે સળંગ ખાલી જગ્યા. આ અનિયમિતતા એ બિનરૈખિક્તા (non linearity) છે, એમ અંદરનો ઍન્જિનિયર કહે છે. બિનરૈખિકતા જીવંતતાનું સ્વરૂપ છે એ હું જાણું છું. પણ થોડું સરખું, વ્યવસ્થિત કરવાની માનવસહજ ઝંખના ઉભરાઈ આવે છે. આ ઇચ્છાએ જ માણસજાતની પત્તર ફાડી છે એ પણ હું સમજું છુ. પણ સમજ્યા પ્રમાણે જ બધું કરું તો હું માણસ શાનો?
ચાલીસમાં કેટલી ખૂટે છે તે બરાબર ગણી લીધી. બે વાર. ત્રણથી વધુ સળંગ ખાલી સ્થાન હોય ત્યાં મારવી. એ ખાલી સ્થાનોમાં પણ શાહ, પટેલ, પરમાર વગેરે બાદ. ઓગણચાલીસની ગણતરીએ ફરી અટકું છું. ક્યાંક વધારે ન થઈ જાય! આ ‘ચાલીસ અને ફક્ત ચાલીસ’નો જુલમ દૂર કરો ભાઈ! થોડા ઓછાવત્તા ચોર પણ ધાડ તો પાડી જ શકે. કદાચ વધુ અસરકારક રીતે ફરી બે વાર ગણું છું. ઓગણચાલીસ જ છે. ધડકતા દિલે છેલ્લી ચોકડી.
આ catharsis શું બલા છે તે અચાનક સમજાય છે. આંખમાં આંસુ આવવાનાં જ બાકી છે. ત્યાં જ પરમજ્ઞાન, બોધજ્ઞાન કે સાક્ષાત્કાર જે ગણો તેની ઘડી આવી પડે છે. આ યુરેકાક્ષણ મોડી પડી છે. અથવા ત્રણ વર્ષ વહેલી. આટલું મગજનું દહીં કરવા કરતાં ભગવાનભરોસે ન છોડી શકાય? ઉપરવાળો સુયોગ્ય ચાલીસ પસંદ કરી લે તો શું ખોટું? ઘરના મંદિર આગળ ચિઠ્ઠી નાંખી નિર્ણય લેનાર ઓળખીતાઓ યાદ આવે છે. યાદ્દચ્છિક્તા (randomness) ઈશ્વરીય છે.
યાદ્દચ્છિક્તા આપણે ધારીએ એમ મૂર્ખતાનું લક્ષણ નથી, અંદરનો AI ભણાવતો માસ્તર યાદ કરાવે છે. ઘણીવાર યાદ્દચ્છિક્તા ઉમેરીને એજન્ટને વધુ રૅશનલ બનાવી શકાય છે. ડોબાને હોશિયાર બનાવી શકાય છે. સાચું નથી લાગતું ને? માસ્તર વધારે ડિટેઇલમાં જવા આગ્રહ કરે છે. હું એને ચૂપ કરી દઉં છું. પણ એ જતાં-જતાં એટલું તો કહી જ દે છે કે તમે સોશિયલ મીડિયાની જે પણ એપ્સ વાપરો છો, એ બધી યાદ્દચ્છિક્તાનો વ્યૂહાત્મક ઉપયોગ તમારું વ્યસન – અને પોતાનો નફો – વધારવા માટે કરે છે.
તો એકથી એક્યાસી નંબરની ચિઠ્ઠીઓ બનાવી દેવાની એટલું જ ને? ત્યાં જ અંદરનો એન્જિનિયર ટપારે છે. અલ્યા, એટલી બધી ચિઠ્ઠીઓની ક્યાં જરૂર છે? સંભાવના(probability)ના સ્કૂલના પાઠ પણ ભૂલી ગયો? ખાલી દસ જ જોઈએ – ૦થી ૯. પત્તાંની કેટ સારી કામ આપે. એક્કાથી દસ્સો. દસ્સો એ શૂન્ય. રતન ખત્રીની જરૂર છે. હમણાં-હમણાં જ ગયા. ઉપર ઈશ્વરને મદદ કરતા હશે. એમણે યાદ્દચ્છિક્તા(randomness)ની દિવ્યતાને બરોબર ઓળખી હતી. જે પારદર્શિતાથી એમણે વર્ષો સુધી પત્તાંની કેટ પરથી આંકડા કાઢ્યા એનાથી ચોથા ભાગની આપણી પ્રજામાં હોય, તો ઉદ્ધાર થઈ જાય.
આ બાયોપિકના જમાનામાં રતન ખત્રીને કોઈ યાદ કરો મટકાકિંગ, તેમની આસપાસની કિંવદંતીઓ અને તેની સાથે વણાયેલી ગરીબવર્ગની આર્થિક સામાજિક પરિસ્થિતિઓ અને પેદા થતી માઇથોલૉજી. એવી સ્ક્રિપ્ટ કોઈ લખતું હોય, અને મને ટિપ્પણી માટે મોકલે, તો વિનામૂલ્ય જોઈ આપવાનું વચન આપું છું.
ઝીણી નજરવાળા સુજ્ઞવાચક એમ કહી શકે કે આગળ તો આડેધડ ફટકાબાજી કરવામાં સંસ્કાર, અહમ્ વગેરે નડતાં હતાં અને હવે ચિઠ્ઠી ઉપાડવાનું કહો છો? આજકાલ ઠેકાણું નહીં – લૉકડાઉનની નવરાશ પછી ઘણાંની બુદ્ધિ કુશાગ્ર બની ચૂકી છે. નવરાશથી બુદ્ધિની અણી નીકળે કે બુઠ્ઠી થાય એ વિવાદાસ્પદ મુદ્દો કોઈને લાગી શકે. આને મારો અંગત અભિપ્રાય ગણવો.
એ સ્પષ્ટતા જરૂર કરી દઉં કે શુદ્ધ યાદ્દચ્છિકતા અને આડેધડ ફટકાબાજી એ બે અલગ છે. આડેધડ ફટકાબાજીમાં તમે મતપત્રકની સામે તો જુઓ જ છો. એટલે એમાં ઓળખીતા અજાણ્યા, ગમતા, અણગમતા વગેરે પ્રગટ અને પ્રચ્છન્નભાવો સાથે મનોવિજ્ઞાન ભળે જ છે. ભૂવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે. એ શુદ્ધ યાદ્દચ્છિકતાથી ઘણું દૂર છે.
પણ આખરે હું રતન ખત્રીની નિર્મળ યાદ્દચ્છિક્તાથી સુસજ્જ છું. જેટલા મતપત્રક મોકલવા હોય તેટલા મોકલો! દસ પત્તાં લઈને બેસવાનું એટલું જ ને! હવે પરિસ્થિતિ ઊલટી છે. ત્રણ વર્ષ લાંબો સમય લાગે છે. દર વર્ષે ચૂંટણી રાખો. બને તો દર છ મહિને. યાદ્દચ્છિકતાની જય! લોકશાહીની જય! ઈશ્વરીય લોકશાહીની જય!
૫, આનંદવિલા બંસલ મૉલની સામે, ગોત્રી, વડોદરા – ૩૯૦ ૦૨૧
e.mail : jagrut.gadit@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 12-13