બારમી માર્ચ, દાંડીકૂચનો દિવસ, સંમિશ્ર પ્રતિભાવો જગવતો આવ્યો અને ગયો. કંઈક ઉત્સ્ફૂર્ત કરતી ઇતિહાસસ્મૃતિ, કંઈક રસમી રાબેતો, તો કંઈક મોસમ હૈ ઈવેન્ટાના. સ્વરાજનાં પંચોતેર વરસ અને તે પૂર્વે, લોકસભાની ચૂંટણીપૂર્વે જે તે રાજ્યોના સંભવિત ચૂંટણીગાળાને આવરી લેતાં પંચોતેર અઠવાડિયાં. બને કે જશનનો માહોલ અને આસપાસનાં ઉજવણાં વાસ્તવપ્રશ્નોને કોરાણે નાખી ચૂંટણીવૈતરણી પાર કરવામાં ગોપુચ્છની ભૂમિકા ભજવે એવી અપેક્ષા પણ હોય. પણ આ બધાં અનુમાન અને આશંકાથી ઉફરાટે આલોચનાવિવેકપૂર્વક આપણે સ્વરાજલડતને એની અનન્યતા અને સમગ્રતામાં સમજવાનો પ્રયાસ કરીએ તો અમૃતપર્વનો અવસર ખસૂસ લેખે લાગે. હમણાં અનન્યતા અને સમગ્રતાની જિકર કરી પણ તે સાથે જે મર્યાદાઓ સમજાય એનીયે ચર્ચાનો બાધ નથી; કેમ કે આવી તપાસ અને એનાં તારતમ્ય આપણી પ્રજાસૂય મથામણ વાસ્તે હાડની જરૂરત છે.
અલબત્ત, ઊહ અને અપોહ તેમ સહવિચારની દૃષ્ટિએ સહજક્રમે આવી મળેલો જે વિચારધક્કો છે તે તો હાલના સત્તા-પ્રતિષ્ઠાનના એકંદર અભિગમ અને વિચારરૂખનો છે તે મારે આરંભે જ કહી દેવું જોઈએ. તમે જુઓ, અમૃત ઉજવણાંનો આરંભ ૧૯૩૦ની દાંડીકૂચ સ્મૃતિને સાંકળીને કર્યો. પણ ભલે અણચિંતવી પણ એના વિષ્કમ્ભક કે નાન્દી ઘટના જેવી બીના હજુ થોડાં અઠવાડિયાં પરની ચૌરીચૌરા શતાબ્દીની હતી. ૧૯૨૨ની ચૌરીચૌરા ઘટના અને ૧૯૩૦ની દાંડી ઘટના વચ્ચે આઠ વરસનું અંતર છે. પણ અમૃતપર્વનો આરંભ અને ચૌરીચોરા શતાબ્દી એ બેઉ વચ્ચે તો થોડાં જ અઠવાડિયાનું છેટું છે.
તમે અને હું તેમ એકંદર તવારીખ ચૌરીચૌરાને, ગાંધીએ લડત મોકૂફ રાખવાનો જે ઐતિહાસિક નિર્ણય લીધો એ રીતે અને એ કારણે પિછાણીએ છીએ. પોલીસ થાણાને આગ લગાડ્યાનો અને કુડીબંધ પોલીસ ભુંજાઈ મર્યાનો જે નિર્ઘૃણ બનાવ બન્યો એને પગલે ગાંધીજીએ આવો નિર્ણય લેવો અનિવાર્ય ને ધર્મ્ય ગણ્યો હતો. ‘ઘરનો ઘા’ અને ‘મારી નિરાશા’ એ બે લેખોમાં એમણે, દેખીતી સફળતાની લાયમાં માણસ જ્યાં અટકવું પસંદ ન કરે ત્યાં પોતાને કેમ અટકવાપણું સમજાયું એની દિલખુલાસ રજૂઆત કરી છે. પણ, હાલના સત્તા-પ્રતિષ્ઠાનની ઉજવણીના એકંદર શોર અને તામઝામમાં ચૌરીચૌરાનું આ ઇતિહાસવૈશિષ્ટ્ય વિસારે પાડી દેવાયું હતું અને ઉશ્કેરાયેલા ટોળાની કથિત વીરઘટના કેમ જાણે મુખ્ય મુદ્દો હતી.
ઊલટ પક્ષે, ૧૨મી માર્ચે ગાંધીજી છવાઈ ગયા જેવા હતા. વસ્તુતઃ ફેબ્રુઆરી ૧૯૨૨નો ગાંધીઉત્તર જાત, જમાત ને જમાના જોડેની આઠ વરસની આપલે પછી માર્ચ ૧૯૩૦માં દાંડીકૂચ રૂપે મળ્યો હતો. એમણે આ સમયગાળામાં રચનાત્મક કાર્યો સહિતની કેળવણી પર સતત ભાર મૂક્યો હતો અને તે ધોરણે ચુનંદા સૈનિકો સાથે કૂચનો રાહ લીધો હતો. ચૌરીચૌરાની સરકારી શતાબ્દીમાં આ ગાંધીસંક્રાંતિ અને સ્વરાજવિશેષનો સૂર ન જાણે ક્યાં ય ધરબાઈ ગયો હતો.
ઇતિહાસ પાસે જવામાં જેમ બીજાઓને ય તેમ હાલના સત્તા-પ્રતિષ્ઠાનને તો ખાસ વળગણ ને ગણતરી હશે તેમ સમજાય છે. એક તો, સામાન્યપણે જેને સંઘ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે એનો (એની પુરોગામી પેઢીઓનો) સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સીધો સક્રિય નાતો ખાસ નહોતો. બલકે, સલામત અંતરનો લાંબા ગાળાનો વ્યૂહ પણ હતો. પ્રથમ સરસંઘચાલક હેડ્ગવારે સત્યાગ્રહ કરી પકડાવાનો નિર્ણય લીધો તે કેવળ વ્યક્તિગત નિર્ણય હશે. સંગઠન સાચવવું ને વિસ્તારવું એ વલણ એની પાછળ કામ કરતું હશે, પણ તે ઉપરાંત સ્વાતંત્ર્યલડત બાબતે દ્વિઘાગ્રસ્ત અને વૈકલ્પિક વલણો પણ ખાસાં હતાં. (પાછલાં વર્ષોમાં દીનદયાલ શોધ સંસ્થાન સાથે કાર્યરત સંઘ પ્રચારક પ્રા. દેવેન્દ્ર સ્વરૂપે ‘હિંદ છોડો’ વખતે અણીએ આવી એકાએક વરતાયેલી અક્રિયતા વિશે લેખમાળા પણ કરેલી છે.) જે દ્વિધાવિભક્તતાનો હમણાં ઉલ્લેખ કર્યો તે રાષ્ટ્રની ધર્મકોમ આધારિત વ્યાખ્યાગત હોય એમ સમજાય છે. કૉંગ્રેસથી છૂટા પડેલા હેડ્ગેવાર, ઈટલીમાં મુસોલિનીને મળેલા ડૉ. મુંજે અને બીજાનો મુદ્દો સ્વભાવિક જ હિંદુ રાષ્ટ્રનો હતો. યથાપ્રસંગ એની ચર્ચા કરીશું. પણ ૧૯૯૭ની લાલકૃષ્ણ અડવાણીની સુવર્ણ જયંતી યાત્રા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાલનો ઉપક્રમ જે સંગઠન અને વૈચારિક અખાડો સ્વાતંત્ર્યસંગ્રામમાં નહોતાં એને પશ્ચાદ્વર્તી ધોરણે સંગ્રામ સાથે સાંકળવાની કોશિશ જેવો જણાય છે. અમદાવાદના આરંભઘોષમાં જે સિફત અને સલુકાઈથી અન્યથા ધિક્કારમૂર્તિ લેખાતા પંડિત નહેરુનું નામ કાળજીભેર આગળ કરાયું, વાંસોવાંસ અનિવાર્યપણે સરદાર સંભારાયા ને એ જ શ્વાસે સાવરકરને સાંકળ્યા તે આ સંદર્ભમાં તરત સાંભરશે. નહેરુનો સ્વીકાર જો મોટી વાત હશે તો સોયનાકામાંથી ઊંટને પસાર કરવા જેવું નામ તો સાવરકરનું છે. વીરતાના કિંવદન્તીપુરુષ લેખાતા રહેલા સાવરકરના હિંદુત્વવિચાર પરત્વે માનો કે ટીકા મોકૂફ રાખીએ તો પણ કાળા પાણીમાંથી બહાર આવ્યા પછીનાં એમનાં વરસો સ્વરાજલડતથી સલામત અંતરના જ રહ્યાં છે, અને એ ચમક્યા ત્યારે ગાંધીહત્યાવિવાદમાં ચમક્યા છે.
વડા પ્રધાને એમનાં નાન્દીવચનોમાં જે આખો થીસિસ કીધો એમાં ક્રાંતિકારીઓના સવિશેષ ઉલ્લેખની સંભાળ લીધી હતી, અને એમાં ખોટું પણ નથી; કેમ કે વીસમી સદીના પૂર્વાર્ધમાં ત્રણ દાયકાથીયે વધુ સમય ગાંધીજી સ્વાભાવિક જ એવા ને એટલા છવાયેલા રહ્યા કે બીજા ઉલ્લેખોને કંઈક ઓછો અવકાશ રહ્યો. જો એ ક્ષતિપૂર્તિ આવા કોઈક નિમિત્તે થતી હોય તો એથી રૂડું શું. માત્ર, સમગ્ર સમજની રીતે બેત્રણ બાબતો સમજીને ચાલવું જોઈએ. સાવરકર જેવા અપવાદો બાદ કરતાં ક્રાંતિકારોનો મોટો હિસ્સો રાષ્ટ્રની ધર્મકોમમૂલક વ્યાખ્યાનો હેવાયો નહોતો અને ભગતસિંહનો ઉદય થયો ત્યાં સુધી પહોંચતાં જે મોટી વાત બની આવી તે એ હતી કે બંગાળના બૉંબ યુગ સાથેનો ભાવાવેશ રાષ્ટ્રભક્તિ ને આર્થિક-સામાજિક ન્યાયની સંકલ્પના જોડે સંકળાવા લાગ્યો હતો. (વિવેકાનંદની રુઝાન, એમના ક્રાંતિકારી ભાઈ ભૂપેન્દ્રનાથે નોંધ્યા પ્રમાણે સમાજવાદી કાર્યક્રમો ભણી હતી.)
કથિત મુખ્ય ધારાની બહારના કે પછી એની જોડે પણ કાંઠા પરના જે પ્રતિરોધ ઉન્મેષો આવ્યા એમને ઇતિહાસમાં દર્જ કરવાનું જરી મોડેથી પણ શરૂ તો થયું છે. પછી એ બિરસા મુંડાથી ગોવિંદગુરુ શી નક્ષત્રમાળા હોય કે તેજાવત જેવી વૈશ્ય પૃષ્ઠભૂ ધરાવતી આદિવાસી નેતૃતા. ભણેલું, મધ્યમવર્ગી જરી ડાબે ઢળતું જે નેતૃત્વ આવ્યું એને મુખ્યધારા જોડેના પણ સીમાવર્તી આ સૌની કદરબૂજ ઓછીવત્તી હશે, પણ આટલે વરસે તો એમાં ધોરણસરની દોષદુરસ્તી કરવી ઘટે છે.
કંઈક સપાટબયાની અને કંઈક મેગા નેરેટિવ એવી જે ઇતિહાસકથા ચાલે છે એમાં નવા ને નરવા અભ્યાસીઓએ લગરીક ઊંડળમાં જઈ ચાલુ ઇતિહાસને નિખારવાપણું છે. અને સામાન્યપણે રૂઢ ખયાલો કે બાંધી છાપને લાંઘી જવું, આઉટ ઑફ ધ બૉક્સ વિચારવું જરૂરી છે. આ લખું છું ત્યારે યાદ આવે છે કે એકવાર મણિલાલ એમ. પટેલે ‘ગ્રામગર્જના’ માટે ‘નિરીક્ષક’તંત્રીની લાંબી મુલાકાત લીધી હતી, સ્વાતંત્ર્યના સુવર્ણજયંતી વર્ષને અનુલક્ષીને. એમાં ક્યાંક આંબેડકર વિશે કદરભર્યો ઉલ્લેખ હશે એટલે રિખવદાસ શાહ સરખા સહૃદય સેવાકર્મીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. દેખીતો તો એ પ્રશ્ન ઠીક જ હતો, કેમ કે દેશ રણે ચડ્યો હોય અને આંબેડકર વાઈસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં હોય તે ખૂંચે તો ખરું જ. પણ હિંદુસમાજની જે ગાંધીવર્ણવી ડાયરશાહી એમાં સ્વાતંત્ર્યનો અર્થ યુનિયન જેકને બદલે તિરંગો લહેરાતાં પૂરો થતો નથી. સ્વાતંત્ર્યની સીધી લડત મુબારક, પણ એમાં અંદરના જે પડ તળેનાં પડ, એને અંગે આંબેડકર સરખાની દોધારી નિયતિનોયે એક કેસ છે. આઝાદીની ચળવળ દરમિયાન સંસારસુધારા પરનો ગાંધીભાર બને કે લડવૈયાઓને ફોક્સ બહારની બીના જણાતી હોય, પણ સ્વરાજની વ્યાખ્યા સીમિત તો હોઈ શકતી નથી.
હમણાં સાવિત્રીબાઈ ફૂલેના નિધનનું એકસો પચીસમું વરસ બેઠું. ૧૯મી સદીમાં ફૂલે દંપતીએ જે સુધારપહેલ કરી એમાં વર્ણવાસ્તવ સંદર્ભે મુક્તિ એ પ્રધાન ચાલના હતી. અંગ્રેજ અમલે આ સંદર્ભમાં જે સુધારતક આપી એને અંગે એમાં કૃતજ્ઞતાનો ભાવ હતો. ગુલામગીરી પરની ફૂલેની કિતાબ પરચક્રમાંથી મુક્તિના અર્થને નહીં પણ કથિત સ્વચક્ર તળે દાસત્વ અગર અસ્પૃશ્યતામાંથી મુક્તિના અર્થને અનુસરે છે. મહારાષ્ટ્રની ફૂલે-આંબેડકર પરંપરા જોઈએ તો સ્વરાજના સ્વાતંત્ર્યોત્તર અર્થને એક નવી ધાર અને નવો આધાર સાંપડે છે. બાળ ઠાકરેના છત્રપતિ શિવાજી મહારાજની હિંદુપદપાદશાહી કરતાં ફૂલેને વસેલું શિવમહાત્મ્ય ‘અમારા શુદ્રોના રાજા’ તરીકેનું છે.
રાષ્ટ્રવાદના રૂઢાર્થથી હટીને, કંઇક ઊંચે ઊઠીને સ્વરાજલડત અને સ્વરાજનિર્માણને જોવાં જોઈશે. રાજને તાકતા અને એટલા જ સમાજને ઝંઝેડતા ગાંધી ત્યારે (ધારો કે રાષ્ટ્રપિતા હોતે છતે) રાષ્ટ્રવાદી નહીં હોવાનું સમજાશે અને એ ખુલ્લાપણું મને ને તમને ફૂલે તરેહનાં નાનાવિધ અર્પણોને બૂજતા શીખવશે. શ્રમિક-બૌદ્ધિક યુક્તતાથી વીસમી સદીનો બીજો દસકો બેસતે દરિયાપારનો ‘ગદર’ ઉન્મેષ સાંભરે છે ને? પણ સાથેલગું એ ય સંભારવું રહે છે કે એ માંહેલો એક લડવૈયો, નામે મંગુરામ, દેશ પહોંચ્યા પછી એક સ-ભાન નિર્ણયપૂર્વક પાછો ફર્યો નહોતો. અહીં હિંદુ સમાજની અંતરિયાળ ચંપાતાં દલિત જીવતરની મુક્તિ માટે લડવાની અગ્રતા વસતાં એણે આ નિર્ણય લીધો હતો.
સત્તાવાર અગર સ્થાપિત ને ચીલેચલુ મંજીરાના કર્ણબધિર માહોલમાં સ્વરાજનાં અમરત નવી ખોજ, નવી સમજ માંગે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 01-02