મધ્યપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલા બેતુલ જિલ્લાના શાહપુર પોલિસ સ્ટેશનમાં સન્નાટો વ્યાપેલો છે. પોલિસ ઓફિસર રાજેન્દ્રકુમાર ધ્રુવની ઓફિસમાં, તેમની સામે એક જટાજૂટ જોગી જેવો એક માણસ બેઠેલો છે. તેના લઘરવઘર વાળ અને રૂક્ષ ચહેરો જોઈ રાજેન્દ્ર કુમારને તેની સામે આવેલી નનામી ફરિયાદ બાબત કોઈ શંકા નથી.
‘આલોક! તમે ગરીબ આદિવાસી લોકોને ક્રાન્તિ કરવા ભડકાવો છો, એવી ફરિયાદ તમારી સામે છે. જો એ ફરિયાદ સાચી ઠરે, તો તમારે ચોવીસ કલાકમાં બેતુલ જિલ્લો છોડી દેવો પડશે. તમે એમ નહીં કરો, તો મારે જાહેર સલામતી ખાતર તમને લોક અપમાં પૂરવા પડશે. તમારે એ બાબત શું કહેવાનું છે?’
આલોકે આ આક્ષેપ પાયા વગરનો છે, તેમ જણાવ્યું. સાથે આવેલા કોચામુ ગામના મુખીએ પણ તેની સ્થાનિક બોલીમાં હોંકારો ભણ્યો, અને આલોક તો ભગવાનનો અવતાર છે, એમ કાકલૂદી કરીને કહ્યું.
રાજેન્દ્ર, “તમારી ઓળખ આપતી કોઈ સાબિતી તમારી પાસે છે?”
આલોકે જભ્ભાના ખિસ્સામાંથી કાર ચલાવવાનું લાયસન્સ કાઢીને બતાવ્યું.
રાજેન્દ્ર, “પણ આમાં તો નવી દિલ્હીનું સરનામું છે. ત્યાં તમે છેલ્લે ક્યારે ગયા હતા?”
આલોક, “સાહેબ, છેલ્લાં ૨૬ વર્ષથી હું તો અહીં આ લોકોની સાથે જ ગુડાણો છું.”
રાજેન્દ્ર, “તમે દિલ્હીમાં શું કામ કરતા હતા?”
આલોક, “હું ત્યાં પ્રોફેસર તરીકે કામ કરતો હતો.”
રાજેન્દ્ર ( ચમકીને) “તમે પાગલ થઈ ગયા છો? દિલ્હીની એકેય કોલેજનું નામ પણ તમને ખબર નહીં હોય. કઈ કોલેજમાં તમે ભણાવતા હતા?”
આલોક, “સાહેબ! આઈ.આઈ.ટી.માં.”
રાજેન્દ્રને ખાતરી થઈ ગઈ કે, આ માણસ પાગલ છે, અથવા પાકો ગુનેગાર છે. તેણે એની સાબિતી બતાવવા આલોકને જણાવ્યું.
આલોકે વળી ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલું આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યું. – ‘સિનિયર પ્રોફેસર’.
“તો તો તમે એન્જિયરિંગનું ભણેલા હશો, એમ ને?”
“હા, સાહેબ! ત્યાં હું પોસ્ટ ગેજ્યુએટ વિધ્યાર્થીઓને ભણાવતો હતો.”
“ગપ્પાં ના મારો. મને ખબર છે કે, એ લેવલ પર ભણાવનાર પી.એચ.ડી.ની ઉપાધિ ધરાવતો હોવો જોઈએ. પી.એચ.ડી. એટલે શું? એ ય તમને તો ખબર નહીં હોય.” – રાજેન્દ્રે તોછડાઈથી કહ્યું.
“સાહેબ! લો આ મારી ઉપાધિના સર્ટિફિકેટની કોપી.”
અને રાજેન્દ્રના ટેબલ પર અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરની રાઈસ યુનિવર્સિટીએ એનાયત કરેલું સર્ટિફેકેટ ઝગારા મારવા લાગ્યું.
આમ પૂછપરછ ચાલતી હતી, ત્યાં જ શ્રમિક આદિવાસી સંગઠનના અનુરાગ મોદી પોલિસ સ્ટશનમાં પ્રવેશ્યા. રાજેન્દ્ર એમને સારી રીતે જાણતો હતો, તેમની સંસ્થા આદિવાસીઓ માટે જે કામ કરતી હતી, તેનો તે પ્રશંસક હતો.
અનુરાગે ઓછાબોલા આલોકની બરાબર ઓળખ રાજેન્દ્ર ધ્રુવને આપી. હવે ચમકવાનો વારો રાજેન્દ્રનો હતો! અડધો કલાકની અનુરાગ સાથેની વાતચીત પછી રાજેન્દ્ર આલોક સાગરના પગે પડ્યો અને પોતાની આ હરકત બદલ માફ કરવા આલોકને વિનંતી કરવા લાગ્યો.
કોણ હતો એ પાગલ પ્રોફેસર?
૧૯૫૨ની સાલમાં દિલ્હીમાં જન્મેલ આલોકના પિતા દયા સાગર ભારત સરકારના નાણાં ખાતામાં ઉચ્ચ કક્ષાના અધિકારી હતા. એમ.એસ.સી. થયેલી તેની માતા દિલ્હી યુનિવર્સિટીની મિરાન્ડા કોલેજમાં પ્રોફેસર હતી. આલોકે પણ ૧૯૭૩માં આઈ.આઈ.ટી. દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંમાં માસ્ટરની ડિગ્રી મેળવી હતી. વધુ અભ્યાસ માટે તે હ્યુસ્ટનની રાઈસ યુનિવર્સિટી આવ્યો હતો અને ૧૯૭૭ની સાલમાં એને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.
પોસ્ટ ડોક્ટરેટના ભણતર માટે આલોક કેનેડા ગયો હતો અને ત્યાંની ડેલહાઉસી યુનિવર્સિટીના ફેલો તરીકે થોડોક વખત રહ્યો હતો. પણ આઈ.આઈ.ટી. દિલ્હીમાંથી પ્રોફેસર તરીકે જોડાવા આમંત્રણ મળતાં આલોક સ્વદેશ પાછો ફર્યો હતો. તેના હાથ નીચે ઘણા વિદ્યાર્થીઓને માસ્ટરની પદવી મળી હતી. ભારત સરકારની રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે રહી ચૂકેલી રઘુરામ રાજન એમના વિદ્યાર્થી હતા!
પણ ૧૯૮૨ની સાલની કોઈક અદ્દભુત વેળાએ આલોકના દિમાગમાં દેશની દબાયેલી, કચડાયેલી અને દરિદ્રતા અને અજ્ઞાનના બે પડળો વચ્ચે પીસાતી છેવાડાની વ્યક્તિ માટે અનુકંપા જાગી ઊઠી. પોતાની આખીયે કારકિર્દી તેને નકર્યા સ્વાર્થને પોષતી, સમાજના રાક્ષસી યંત્રોના એક પૂર્જા જેવી ભાસવા લાગી.
[રાક્ષસી યંત્રો – ‘વેગુ’ પર લેખ http://webgurjari.in/2014/02/14/monstrous-machines/ ]
‘આ મનોયાતનાનો એક જ ઈલાજ છે – દલિત આદિવાસીઓની સેવા.’
આ જ ખયાલ દિવસો સુધી આ પાગલ પ્રોફેસરના દિલો દિમાગને પડઘાવવા લાગ્યો. તેજસ્વી ભવિષ્યનાં બધાં શમણાં ફગાવી દઈને, આલોક સાગર બત્રીસ વર્ષથી, બેતુલ જિલ્લાના, માત્ર ૭૫૦ માણસોની વસ્તી વાળા એ છેવાડાના ખૂણે ધૂણી ધખાવીને ખૂંપી ગયો છે.
એની મિલ્કતમાં માત્ર ત્રણ જોડી કપડાં, એક સાઈકલ અને આદિવાસીઓએ ઊભું કરી આપેલું એક ખોરડું છે.
અદિવાસીઓનાં બાળકોને આલોક ભણાવે છે, એમને એમના હક્કો માટે જાગૃત કરે છે, અને કમાઉ ફળોનાં વૃક્ષોના સંવર્ધનનાં કામમાં ઓતપ્રોત છે. ખાસ કરીને સારી એવી આવક ઊભી કરી આપતાં આંબળાનાં વૃક્ષોના રોપા ઉછેરી તે, આદિવાસીઓને વહેંચે છે. આલોકના પ્રયત્નોથી અત્યાર સુધીમાં આશરે ૫૦,૦૦૦ વૃક્ષો મ્હાલી રહ્યાં છે. દિન પ્રતિદિન ઉજ્જડ બનતી જતી વનરાજી , તેના આ યજ્ઞથી લીલીછમ બની ગઈ છે.
આલોક બહુ ઓછાબોલો જણ છે. એને કોઈ પ્રખ્યાતિનો મોહ નથી. જાતે વહેતી કરી દીધેલી અને અતીતમાં સરી ગયેલી પોતાની ઝળહળતી કરકિર્દી ગુમાવી દેવા માટે આલોકને કોઈ જ અફસોસ નથી.
એક વીડિયો …
https://www.youtube.com/watch?v=KxTvnOucQeI
સંદર્ભ –
http://www.patrika.com/news/bhopal/fo…
https://yourstory.com/2016/09/alok-sa…
e.mail : surpad2017@gmail.com