Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9292900
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેતાઓને સત્તા ભલે આપીએ, રાજ્યના સ્વરૂપ સાથે ચેડાં કરવાનો અધિકાર ન અપાય

રમેશ ઓઝા|Opinion - Opinion|19 January 2023

રમેશ ઓઝા

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનકરે ગયા અઠવાડિયાના બુધવારે જયપુરમાં કહ્યું હતું કે ૧૯૭૩ના કેશાવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો જોતાં પ્રશ્ન થાય છે કે શું આપણે લોકતાંત્રિક નથી? ગયા અઠવાડિયે આપણે જોયું એમ કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતની ૧૩ ન્યાયમૂર્તિઓની બેન્ચમાંથી સાત ન્યાયમૂર્તિઓએ ચુકાદો આવ્યો હતો કે સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે, પણ બંધારણના મૂળભૂત માળખામાં (બેઝિક સ્ટ્રકચર) ફેરફાર કરવાનો અધિકાર નથી. મૂળભૂત માળખામાં શું આવે છે એ પણ આ શ્રેણીમાં જણાવવામાં આવ્યું હતું.

લોકશાહી દેશમાં અંતિમ પ્રભુસત્તા (સોવરેન્ટી) નાગરિક ધરાવે છે અને નાગરિક જેને પોતાનો બહુમૂલ્ય મત આપીને બહુમતી સાથે પસંદ કરે એ લોકપ્રતિનિધિઓ તેમ જ શાસકો આપોઆપ નાગરિકોની પ્રભુસત્તાના અધિકારી બને છે. જગદીપ ધનકરની દલીલ આ છે. જો લોકોના પ્રતિનિધિઓ લોકોએ આપેલા કૉલનું પાલન ન કરી શકે તો એ લોક્શાહી કહેવાય? જયદીપ ધનકર સવાલ કરે છે.

હવે ધનકર સાહેબને તો જાણ છે, પણ તમને કદાચ જાણ નહીં હોય કે ૧૯૭૦ના દાયકામાં ઇન્દિરા ગાંધી અને તેમના ધનકરો બરાબર આ જ દલીલ કરતા હતા જે આજે કરવામાં આવી રહી છે પણ ત્યારે બી.જે.પી.ના પૂર્વાવતાર ભારતીય જનસંઘે તેનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે પણ તેનો વિરોધ કર્યો હતો. ખાતરી કરવી હોય તો જનસંઘના એ સમયના ઠરાવો અને સંઘના મુખપત્રોમાં છપાયેલા સંપાદકીયો અને લેખો જોઈ જાવ. સંઘ અને જનસંઘના નેતાઓએ ત્યારે કાઁગ્રેસના ધનકરોને સમર્થન આપવું જોઈતું હતું, પણ નહોતું આપ્યું. સાચા લોક્શાહીવાદી છો ને? હજુ એક હકીકત તરફ ધ્યાન ખેંચું? એ સમયે સંઘ પરિવારના નેતાઓ બંધારણના બેઝીક સ્ટ્રક્ચરની વ્યાખ્યા કરનારા ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાને માથે લઈને નાચતા હતા. 

લોકશાહી દેશોમાં હંમેશાં ફાસીવાદી સરમુખત્યાર શાસકો લોક્શાહી માર્ગે સત્તા સુધી પહોંચે છે અને પછી લોક્શાહીનું ગળું પીસી નાંખે છે કે જેથી તેમને કોઈ પડકારી ન શકે અને સત્તા પરથી હટાવવાની તો કોઈ જગ્યા જ ન બચે. જર્મનીમાં હિટલર આ રીતે લોક્શાહી માર્ગે જ સત્તા સુધી પહોંચ્યો હતો અને પછી તેણે શું કર્યુ એ ઇતિહાસ છે. હિટલર પણ પોતાને સાચો અને સવાયો લોક્શાહી પ્રેમી અને લોક્શાહીનો રક્ષક ગણાવતો હતો.

ધનકર સાહેબ જેને બંધારણના મૂળભૂત માળખામાં પણ સુધારા કરવાનો અધિકાર આપવા માગે છે એ લોકપ્રતિનધિઓ દેશનાં અને પ્રજાનાં હિતોને વરેલા હોય એ જરૂરી નથી. તેઓ બંધારણને સમજતા હોય અને તેને વરેલા હોય એ જરૂરી નથી. તેઓ સત્તાકીય લાભ માટે પક્ષના શક્તિશાળી નેતાઓની ગુલામી કરતા હોય છે એ તો આપણને રોજ જોવા મળે છે. એકાદ દસકામાં એકાદ લોકપ્રતિનિધિ માંડ મળશે જેણે અંતરાત્માને વફાદાર રહીને મોઢું ખોલ્યું હોય અને પક્ષના નેતાઓ સામે અસંમતિ જાહેર કરી હોય. મોટા ભાગે તો ગામના ઉતાર જેવા લોકો રાજકારણમાં જાય છે અને ખોટા માર્ગે એકઠું કરેલું ધન ખરચીને તેમ જ પક્ષના નેતાઓની ખુશામત કરીને ટિકિટ મેળવે છે અને લોકપ્રતિનિધિ બને છે. જે પોતાનાં અંતરાત્માને વફાદાર નથી એ દેશનાં અંતરાત્માની રખેવાળી કરે? અને જેની બૌદ્ધિક ક્ષમતા દેશના સરેરાશ નાગરિકની સરેરાશ બૌદ્ધિક ક્ષમતા કરતાં પણ ઓછી છે એ શું લાબું જોઈ શકાવાનો! આવા ભ્રષ્ટ અને અલ્પબુદ્ધિ નેતાઓને સત્તા ભલે આપીએ, રાજ્યના સ્વરૂપ સાથે ચેડાં કરવાનો અધિકાર ન અપાય.

માટે સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતી કેસમાં કહ્યું હતું કે લોકપ્રતિનિધિઓને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર ખરો, પણ બંધારણનાં મૂળભૂત માળખાની બાબતે નહીં. લોકો દ્વારા ચુંટાઈને લોકપ્રતિનિધિ બન્યો એનો અર્થ એવો નથી કે એ આખા દેશનો અવાજ છે. અને અવાજ છે તો એ એક અવાજ છે અને તેની સામે બીજા ઘણા અવાજો છે. જો એ લોકોનો અવાજ છે તો એ આજનો અવાજ છે, સર્વકાલીન અવાજ નથી. માટે આ લખનારે ઇન્દિરા ગાંધીના વખતમાં પણ લોકપ્રતિનિધિના અબાધિત અધિકારની દલીલનો વિરોધ કર્યો હતો અને આજે પણ કરે છે. હા, કેટલાંક ગોદી ગલૂડિયાંઓએ ૧૯૭૦ના દાયકાને ભૂલી જઇને આજે સૂર બદલ્યો છે અથવા ચૂપ રહે છે. જ્યાં બૌદ્ધિકોને ખરીદવામાં આવતા હોય અને જ્યાં બૌદ્ધિકો વેચાતા હોય ત્યાં લોકતંત્રની સલામતી કેટલી?

અહીં એક પ્રસંગની યાદ અપાવવી યોગ્ય રહેશે. ૧૯૫૯-૬૦ના વરસમાં નાણાવટી ખૂન કેસ બહુ ગાજ્યો હતો. એ કેસ ગાજ્યો એનું કારણ જ્યુરી હતું. એ જમાનામાં અદાલતને મદદરૂપ થવા ખટલાની સુનાવણી વખતે આમ નાગરિકોની બનેલી જયુરીને બેસાડવામાં આવતી. જ્યુરીના સભ્યો જજની સાથે સાથે સુનાવણી વખતે બન્ને પક્ષની દલિલો સાંભળતા અને પછી પોતપોતાનો અભિપ્રાય જજને આપતા. હેતુ એવો હતો કે એક કરતાં વધુ કાન સાંભળતા હોય અને એક કરતાં વધુ ચિત્ત છણાવટ કરતાં હોય તો ન્યાયદાનની પવિત્ર ભૂમિમાં નિર્દોષને અન્યાય ન થાય. પણ નાણાવટી ખૂન કેસમાં કેવો અનુભવ થયો? ખૂનના આરોપી કમાન્ડર કે.એમ. નાણાવટીનું મોહક વ્યક્તિત્વ અને તેમના વકીલ કાર્લ ખંડાલાવાલાની હાવભાવયુક્ત નાટ્યપૂર્ણ (થિયેટ્રિકલ) અસ્ખલિત અને ધુંવાધાર દલીલો સાંભળીને અદાલતની જ્યુરીના સભ્યો અને અદાલતમાં ઉપસ્થિત લોકો મેસ્મેરાઈઝ્ડ થઈ ગયા. એમાં પાછી આરોપી સ્ત્રી હોય અને ઉપરથી બેવફા પત્ની હોય તો પૂછવું જ શું? અદાલતમાં પ્રેક્ષકોને ભાવવિભોર કરી મૂકે એવું નાટક ભજવાયું અને ખૂનીની જગ્યાએ બેવફા સ્ત્રી વિરુદ્ધ અને તેનાં પ્રેમી વિરુદ્ધ જ્યુરીનો મત બન્યો. બાય ધ વે, વાચકોને હું ‘એક રુકા હુઆ ફેંસલા’ નામની ફિલ્મ જોવાની ભલામણ કરું છું.

જ્યુરીના સભ્યો એરે ગેરે નથુ ખેરે નહોતા. સમાજમાં થોડીઘણી પ્રતિષ્ઠા ધરાવનારા લોકો હતા. કાયદાનું ભલે ઊંડું નહીં, પણ પ્રાથમિક જ્ઞાન ધરાવતા હતા. તેમની પાસે દોરવાયા વિના નીરક્ષિર વિવેકની અપેક્ષા હતી પણ તેઓ ભાન ભૂલી ગયા અને કાંઠો છોડીને વહી ગયા. એ ખટલા પછી જયુરીની સિસ્ટમ ખતમ કરી નાખવામાં આવી.

જો જયુરીના સભ્યો ભાન ભૂલી જાય તો સામાન્ય નાગરિક ભાન ભૂલે એમાં કોઈ નવાઈ ખરી! ઘણીવાર કોઈ નેતાની પાછળ લોકો ભાન ભૂલી જતા હોય છે. ઍડૉલ્ફ હિટલરે તેની આત્મકથામાં લખ્યું છે કે પ્રજામાં સ્ત્રીનાં લક્ષણો હોય છે એટલે તેની અંદર કોઇને વરવાની એક પ્રકારની તડપ હોય છે. નેતાને માત્ર પ્રજાની અંદર તેના પ્રતિ વરવા માટેની તડપ પેદા કરતા આવડવું જોઇએ. પછી જુઓ શું થાય છે! નેતા એ પછી પ્રજાનાં સમર્થન દ્વારા ધારે એવી મનમાની કરી શકે છે.

પ્રજાનો સાથ અને પ્રજાનો અવાજ એ જ લોકતંત્ર એવો એક ખોટો ખ્યાલ લોકોમાં તો શું, વિદ્વાનોમાં પણ પ્રવર્તે છે. ૧૯૬૭માં ગોલખનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે બંધારણમાં મૂળભૂત અધિકારોની બાબતે સુધારા કરવાનો સંસદને અધિકાર નથી એવો ચુકાદો આપ્યો ત્યારે સમાજવાદી સંસદસભ્ય બેરિસ્ટર (પ્લીઝ નોટ, બેરિસ્ટર) નાથ પૈએ લોકસભામાં ખરડો રજૂ કર્યો હતો. ખરડામાં એવી જોગવાઈ હતી કે બંધારણમાં કોઈ પણ પ્રકારના સુધારા કરવાના સંસદના અધિકારને રોકવાના સર્વોચ્ચ અદાલતના અધિકારને મર્યાદિત કરવો જોઇએ. કારણ? કારણ કે લોકસભાના સભ્યોને લોકોએ ચૂંટ્યા છે, તેઓ લોકોનાં અવાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેને વાચા આપે છે, વગેરે. પ્રજાના અને દેશનાં હિતમાં કઈ નીતિ અપનાવવી એ શાસકોએ નક્કી કરવાનું છે અને એમાં અદાલત અવરોધ પેદા ન કરી શકે. એ નીતિ માટે પ્રજાની સંમતિ મળી ગઈ એટલે પત્યું. એ સમયે બીજા એક સમાજવાદી નેતા અને સંસદસભ્ય મધુ લિમયેએ નાથ પૈને ટોણો મારતાં કહ્યું હતું કે તમે જો કાયદા સાથે ઇતિહાસનો પણ અભ્યાસ કર્યો હોત તો સારું થાત.

જો નાથ પૈં જેવો માણસ મુગ્ધતામાં વહી જાય તો ભારતીય રાજ્યને કોના ભરોસે મુકવું? ભારતીય રાજ્યને બંધારણને ભરોસે જ મુકાય, કારણ કે રાજ્યની કલ્પના બંધારણમાં છે અને બંધારણે દરેક પક્ષકારને વિવેકની મર્યાદામાં બાંધ્યા છે. ટકાઉ સંતુલન રચીને આપ્યું છે અને એ સંતુલનને ખેરવવાનો કોઈને અધિકાર નથી. પ્રજાનો અવાજ, પ્રજાની સર્વોપરિતા વગેરે વાતો છેતરામણી છે. પોતાનાં પક્ષે સંતુલન ખોરવવાની રમત છે.

ઇન્દિરા ગાંધીનો હેતુ સમાજવાદી ભારતનાં નિર્માણનો હતો. એમાં વિચારધારા ઉપરાંત રાજકારણ પણ હતું. પોતાની ગરીબ તરફી ઈમેજ વિકસાવવાનો ઈરાદો હતો અને તેમાં ન્યાયતંત્ર આડું આવતું હતું. અત્યારના શાસકોનો ઈરાદો હિંદુરાષ્ટ્ર સ્થાપવાનો છે અને તેમાં ન્યાયતંત્ર આડું આવી શકે છે. આ જે ઉધામા છે એ હિંદુ રાષ્ટ્ર માટે બંધારણ પર ધાડ પાડવા માટેના છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 જાન્યુઆરી 2023

Loading

19 January 2023 રમેશ ઓઝા
← જૈનો અને મુસ્લિમો સહિત સૌ ધર્મીઓ સુધરશે ખરા? સાધુ કઈ ઉંમરે થવાય? લગ્ન કઈ ઉંમરે થાય?
મન્તવ્યજ્યોત (૨૭) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : સંજ્ઞાપ્રક્રિયા – સૅમિયોસિસ →

Search by

Opinion

  • ‘ગુજરાત સમાચાર’ : હે નાગરિકો, ધર્મોક્રસીમાં વિશ્વગુરુ બનવા તમે ગુલામ બનો!
  • મંત્રી વિજય શાહ ઉપર એફ.આઈ.આર. : રાષ્ટ્રીય સુરક્ષાનો ન્યાયિક- નાગરિક વ્યૂહ 
  • ગુજરાતમાં ગુજરાતીની ઉપેક્ષા દંડનીય અપરાધ ગણાવો જોઈએ …
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૩  
  • વિસ્તારવાદને પડતો મૂકો : નકશા કરતાં વધારે પ્રેમ માણસને કરો

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો
  • પાયમાલ થઇ ગઇ… 

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved